Opinion Magazine
Number of visits: 9504402
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

માત્ર વાત જ નહીં, કહેવાની રીત પણ સાચી હોવી જોઈએ

રમેશ ઓઝા|Opinion - Opinion|31 March 2019

પહેલી વાતઃ જગતની કોઈ સંસ્કૃતિ શૂન્યાવકાશમાં નથી વિકસતી. તેને માટે અનુકૂળ માટી-હવા-પાણીની જરૂર પડતી હોય છે. બીજી વાતઃ જગતની કોઈ સંસ્કૃતિ સંપૂર્ણ નથી હોતી. સંસ્કૃતિઓ આખરે માનવર્નિિમત હોય છે એટલે તેમાં ખામીઓ રહેવાની જ. ત્રીજી વાતઃ આખી દુનિયામાં સંસ્કૃતિઓના પરસ્પર સંક્રમણનો યુગ અત્યારે ચાલી રહ્યો છે. એની શરૂઆત આજથી પાંચસો વરસ પહેલાં, માણસ પોતાના વતનથી ઘણે દૂર જતો અને વસતો થયો, ત્યારે થઈ હતી અને અત્યારે તેનું પ્રમાણ અનેકગણું વધી ગયું છે. માણસ પોતાને અને પોતાપણાને લઈને બીજા સ્થળે વસવાટ કરવા જતો હોય છે અને ત્યાં તેણે બીજાની અને બીજાપણાની સાથે જીવવાનું હોય છે.

અહીંથી ઓળખયજ્ઞા અને સમન્વયયોગની શરૂઆત થાય છે અને તેનાથી કોઈ મુક્ત નથી.

આ વાક્ય ફરી વાર નોંધી લો; તેનાથી કોઈ મુક્ત નથી. જગતમાં અત્યારે જોવા મળી રહેલો સંસ્કૃતિ-સંઘર્ષ એ ઓળખયજ્ઞા અને સમન્વયયોગને નકારવાનું પરિણામ છે. આ આજના યુગની નવી સ્થિતિ છે.

આપણને એમ લાગે છે કે આપણા પોતાના પોતાપણામાં કોઈ ખામી નથી અને જે ખામી છે એ બીજાના બીજાપણામાં રહેલી છે. એ જો તેનું ખામીયુક્ત બીજાપણું છોડી દે અને આપણી  ખામીરહિત સંસ્કૃતિ સ્વીકારી લે તો અમે તેમને બાથમાં લેવા આતુર છીએ. અમારી અંદર પ્રેમની કોઈ ખોટ નથી, ઉમંગનો દરિયો છે; તેણે માત્ર બીજાપણું જતું કરવું જોઈએ અને જે આપણું છે તેને તેણે પોતાનું કરવું જોઈએ. અચ્છા, બીજાઓ તેમનું બીજાપણું જતું ન કરવા માગે તો પણ ચાલશે (એટલી ઉદારતા અમારામાં છે), પણ બહુમતીના પોતાપણાને તેણે અધિક માપ તો આપવું જ જોઈએ. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની આવી ભૂમિકા છે. તેઓ અત્યંત પ્રામાણિકતાપૂર્વક એમ માને છે કે તેઓ કોઈ આકરી શરત નથી મૂકતા. લઘુમતીએ બહુમતી સાથે સમરસ થવું જોઈએ, બસ. શું આ માગણી  વધારે પડતી છે?

આ દલીલ જેટલી દેખાય છે એટલી નિર્દોષ નથી. એમાં સાંસ્કૃતિક સર્વોપરિતા સ્થાપિત કરવાનો હેતુ છે. અમે અમારું જતું નહીં કરીએ કારણ કે અમે બહુમતીમાં છીએ અને તમારે તમારાપણું જતું કરવું પડશે કારણ કે તમે લઘુમતીમાં છો. બીજું અમારી સંસ્કૃતિ ખામીરહિત શ્રેષ્ઠ છે એટલે તેને અપનાવવામાં વાંધો ન હોવો જોઈએ. આને સાંસ્કૃતિક સંક્રમણ અને સમન્વય ન કહેવાય. આને સાંસ્કૃતિક સર્વોપરિતા માટેનો આગ્રહ અને સંઘર્ષ કહેવાય.

આજકાલ આખા જગતમાં આવા સાંસ્કૃતિક સંઘર્ષ ચાલી રહ્યા છે, કારણ કે જાગતિક (વૈશ્વિક) સમાજ પચરંગી બની રહ્યો છે, જેમાં મોટી સંખ્યામાં લોકો પોતાપણું લઈને બીજાના બીજાપણા સાથે જીવી રહ્યા છે. અંગ્રેજીમાં કહીએ તો કોસ્મોપોલિટનિઝમ અને મલ્ટી-કલ્ચરિઝમ આજના જગતની આકાર લઈ રહેલી વાસ્તવિકતા છે અને તે આવતીકાલની નક્કર વાસ્તવિકતા હશે. ભારતમાં હિંદુઓ સાંસ્કૃતિક સર્વોપરિતાનો આગ્રહ રાખે છે તો પરાયા દેશમાં એ જ હિંદુઓ પરાયાઓની સાંસ્કૃતિક સર્વોપરિતાથી બચવા માગે છે.

અહીં ત્રણ બાબત તટસ્થતાપૂર્વક તપાસવી જોઈએ. પહેલી બાબત એ છે કે શું આપણી સંસ્કૃતિ ખરેખર ખામીરહિત છે? બીજી બાબત એ કે આપણી સંસ્કૃતિનું રક્ષણ કરવા માટે દીવાલો રચવાથી સરવાળે ફયદો થવાનો છે કે નુકસાન? આઘા રહેવાથી કે આઘા રાખવાથી સરવાળે આપણને કોઈ ફાયદો થશે ખરો? અને ત્રીજી બાબત એ છે કે આજના જગતમાં આઘા રહેવું કે કોઈને આઘા રાખવા એ શક્ય છે?

આ ત્રણ સવાલ વિશે, કોઈની વાતમાં આવ્યા વગર, શાંતિથી વિચારો.

શું હિંદુ સંસ્કૃતિ ખરેખર ખામીરહિત છે? આ શ્રેણીમાં હિંદુ સંસ્કૃતિનો ઘાટ કઈ માટીમાંથી ઘડાયો એની વાત કરવામાં આવી રહી છે. એ માટીની મુલાયમતા, લવચીકતા, તેની સુગંધ વગેરેની વાત કરવામાં આવી રહી છે જેણે હિંદુમાનસને ઘાટ આપ્યો છે; તે શું ખરેખર નિર્દોષ ખામીરહિત છે? દલિતો, પછાત વર્ગના લોકો અને દરેક વર્ગ કે જ્ઞાતિની બહેનો મારો કાન આમળે એ પહેલાં મારે કહી દેવું જોઈએ કે આપણી માટીની અદ્દભુત મુલાયમતા તેમ જ લવચીકતા છતાં અને આબોહવામાં મન પ્રસન્ન કરી દે એવી સુગંધ હોવા છતાં આપણી સંસ્કૃતિ પૂર્ણપણે ખામીરહિત નથી. થોડું શરમાવાપણું આપણી સંસ્કૃતિમાં પણ છે અને જ્યાં શરમાવાપણું હોય ત્યાં સ્વાભાવિકપણે છોડવાપણું પણ હોય.

એ હકીકત છે કે જગતની તમામ સંસ્કૃતિમાં ભારતીય સંસ્કૃતિ સૌથી વધુ ઉદાર છે. આ વાતે આપણે ચોક્કસ ગૌરવ લઈ શકીએ, પરંતુ સાથોસાથ જ્યાં શરમાવાપણું છે તેનો સ્વીકાર પણ કરવો રહ્યો.

સમસ્યા અહીં છે. ભારતમાં જે સંસ્કૃતિ-વિમર્શ થાય છે ગૌરવ-શરમનો વિવેક જળવાતો નથી. દલિત અને સ્ત્રીને કરવામાં આવેલા ન્યાયની એરણે હિંદુ સંસ્કૃતિને મૂલવનારા પ્રગતિશીલો હિંદુ સંસ્કૃતિની કિંમત કોડીની કરે છે એ પણ ખોટું છે અને સંસ્કૃતિ-સંરક્ષકો હિંદુ સંસ્કૃતિમાં કોઈ ખામી જ જોવા તૈયાર નથી એ પણ ખોટું છે.

આવા બે અંતિમેથી સંસ્કૃતિ-વિમર્શ કરવામાં આવશે તો સરવાળે એમાં આપણને જ નુકસાન થવાનું છે.

ભોળા હિંદુઓને એમ લાગે છે કે પોતાને બુદ્ધિમાન પ્રગતિશીલ ગણાવનારાઓને હિંદુઓમાં કોઈ સારપ નજરે પડતી જ નથી. તેઓ હિંદુ ધર્મનો, હિંદુ સંસ્કૃતિનો અને હિંદુઓનો દ્વેષ કરે છે. તેમની વિચારસરણી પાશ્ચાત્ય છે, તેઓ ભારતીય નથી. પ્રગતિશીલ લોકો દ્વારા કરવામાં આવતી હિંદુ સંસ્કૃતિની આક્રમક ચિકિત્સાને કારણે સરેરાશ હિંદુએ તેમની વાત સાંભળવાની જગ્યાએ કાન બંધ કરી દીધા છે.

આ એ હિંદુ છે જેણે રાજા રામમોહન રોયથી લઈને ગાંધીજી સુધીના સુધારકોની વાત સાંભળી હતી અને તેમને સાથ આપ્યો હતો, પરંતુ અત્યારના પ્રગતિશીલોને તેઓ સાથ આપતા નથી.

કેમ?

આ મુદ્દે બુદ્ધિમાન, પ્રગતિશીલ અને પોતાને ઉદારમતવાદી ગણાવતા સંસ્કૃતિ-ચિકિત્સકોએ વિવેક કરવાની જરૂર છે. તેમણે રાજા રામમોહન રોયથી લઈને ગાંધીજી સુધીના પૂર્વસૂરિઓએ કરેલા વિમર્શ પર એક નજર કરવાની જરૂર છે. એમણે એ જોવા-સમજવાની જરૂર છે કે મા પોતાના બાળકને ઓસડ કઈ રીતે પીવડાવે છે. સાચું બોલતા અને કાન આમળતા કોઈ રોકતું નથી. રાજા રામમોહન રોય, વિવેકાનંદ કે ગાંધીજી પણ કાન આમળવાનું ચૂક્યા નથી. પણ કાન આમળવાની એક રીત હોય … એમાં પ્રેમ હોય તો વાત બને …

તો આજનો આ લેખ મારા પ્રગતિશીલ મિત્રોને સમર્પિત.

e.mail : ozaramesh@gmail.com

સૌજન્ય : ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 31 માર્ચ 2019 

http://sandesh.com/just-talking-not-tell-it-to-be/

Loading

31 March 2019 admin
← કાશ્મીરના બહાદુર કિશોર ઇરફાનને શૌર્ય ચક્ર અને સ્વીડનની પાણીદાર કિશોરી ગ્રેટાને નોબેલ નૉમિનેશન
હું બેચૅન છું
 →

Search by

Opinion

  • સહૃદયતાનું ઋણ
  • સાંસદને પેન્શન હોય તો શિક્ષકને કેમ નહીં?
  • કેવી રીતે ‘ઈજ્જત’ની એક તુચ્છ વાર્તા ‘ત્રિશૂલ’માં આવીને સશક્ત બની ગઈ
  • અક્ષયકુમારે વિકાસની કેરી કાપ્યાચૂસ્યા વિના નરેન્દ્ર મોદીના મોં પર મારી!
  • ભીડ, ભીડ નિયંત્રણ, ભીડ સંચાલન અને ભીડભંજન

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન
  • અરણ્ય રૂદન
  • પિયા ઓ પિયા

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved