Opinion Magazine
Number of visits: 9447250
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

માણસ છો તો માણસ તરીકે જીવો

રમેશ ઓઝા|Opinion - Opinion|18 December 2022

એક ભૂખડી બારસ પરિવારમાં મામા પરોણા થઈને આવવાના હતા અને મામા વળી ખાધેપીધે સુખી હતા. ઘરમાં ઢોલિયો એક જ હતો એટલે માએ દીકરાઓને શીખવાડ્યું કે મામા આવે ત્યારે તમારે ઢોલિયે સૂવા માટે લડવાનું. બાથાબાથી કરવામાં પણ સંકોચ નહીં કરતા. મામાનું હ્રદય દૃવી ઊઠશે અને બે ઢોલિયા ખરીદી આપશે. મહારાષ્ટ્ર અને કર્ણાટક વચ્ચે સીમાવિવાદ શરૂ થયો એ મામાને એટલે કે મતદાતાઓને મામા બનાવવાનું રાજકરણ હતું. કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી નજીકમાં છે અને મહારાષ્ટ્રમાં નગરપાલિકાઓની ચૂંટણીઓ નજીક નથી, માથે છે. મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની સરકાર તોડી એને કારણે ઠીકઠીક પ્રમાણમાં મરાઠીઓની સહાનુભૂતિ ઉદ્ધવ ધરાવે છે અને માટે ચૂંટણી પંચની મદદથી ચૂંટણીઓ પાછળ ઠેલવવામાં આવે છે. કર્ણાટકમાં પણ સીધાં ચઢાણ જેવી સ્થિતિ છે. માની સલાહ મુજબ ભારતીય જનતા પક્ષના બે ભાઈઓએ (એટલે કે બે સરકારોએ અને બે પ્રાદેશિક એકમોએ) ઢોલિયા માટે આપસમાં લડવાનું શરૂ કર્યું. બેલગામ તો હું જ રાખીશ એમ કહીને બાથાબાથી પર ઉતરી પડવામાં પણ સંકોચ નહીં કરતા એમ કહેવામાં આવ્યું હતું એટલે એ પણ કરવામાં આવ્યું. એની વચ્ચે બન્યું એવું કે વિરોધ પક્ષોએ પણ બેલગામ તો હું નહીં જ છોડું એમ કહીને ઝંપલાવ્યું એટલે કેન્દ્રના ગૃહ પ્રધાન અમિત શાહે બન્ને રાજ્યોના મુખ્ય પ્રધાનોને કહ્યું કે હવે લડવાનું બંધ કરો. ઢોલિયો ત્રીજા હાથમાં ન જવો જોઈએ.

બેલગામ કર્ણાટકમાં રહે કે મહારાષ્ટ્રમાં એનાથી શો ફરક પડે છે? ફ્રિજોત કાપરા નામના અમેરિકન વિજ્ઞાનીએ તેમનાં ‘અનકોમન વિઝડમ’ નામનાં પુસ્તકમાં લખ્યું છે કે સરહદોએ સંસ્કૃતિઓનું મિલન થતું હોય છે એટલે સરહદ અને સરહદે વસ્તી પ્રજાને તો ભાગ્યશાળી સમજવી જોઈએ, પણ દુર્ભાગ્યે સંસ્કૃતિ-સંરક્ષકોએ સંસ્કૃતિઓનાં સંગમસ્થળને અને ત્યાં વસ્તી પ્રજાને કમભાગી બનાવી દીધી છે. રાષ્ટ્રવાદીઓ, ધર્મવાદીઓ, ભાષાવાદીઓ, પ્રાંતવાદીઓ, વંશવાદીઓ વગેરે પ્રકારના વાદીઓ ચીવીસે કલાક પ્રજાને ઉશ્કેરે છે, ધૂણાવે છે અને આપસમાં લડાવે છે. વળી તેઓ પોતે સંસ્કૃતિને નામે અસંસ્કારી હોય છે. નથી તેમને રાષ્ટ્રની સમજ, નથી ધર્મની સમજ, નથી ભાષા કે પ્રાંતની સમજ કે નથી તેને તેઓ પ્રેમ કરતા. આ બધાનું સંસ્કૃતિ-સંવર્ધન પણ તેમણે નથી કર્યું. ગુજરાતી સંસ્કૃતિનું સવર્ધન ઉમાશંકર અને દર્શક કરે અને ગામના ઉતાર જેવા લોકો ગુજરાતી અસ્મિતાના રક્ષક બનીને આતંક મચાવે.

માટે મરાઠી ભાષાના મૂર્ધન્ય સાહિત્યકાર પુ.લ. દેશપાંડેએ એક વખત કહ્યું હતું કે જ્યારથી સંયુક્ત મહારાષ્ટ્ર માટેનું આંદોલન શરૂ થયું છે ત્યારથી સંયુક્ત નામની કલ્પના મહારાષ્ટ્ર નામની સાંસ્કૃતિક હકીકતને પરાજીત કરી રહી છે. આ વાત તેમણે ત્યારે નહોતી કહી જ્યારે સંયુક્ત મહારાષ્ટ્ર માટે આંદોલન ચાલતું હતું, આ વાત તેમણે તેના ચાર દાયકા પછી કહી હતી જ્યારે કેટલાક લોકો મરાઠીભાષિક મહારાષ્ટ્રની રચના થયા પછી પણ સંયુક્તનો ચિપયો પછાડવાનું બંધ નહોતા કરતા. હજુ આટલું મેળવવાનું બાકી છે. સંયુક્ત પરિવારની પણ આ જ મોકાણ છે. અનેક લોકોને આનો સ્વઅનુભવ હશે. સંયુક્તના આગ્રહીઓ પરિવાર પર એટલું દમન કરે છે કે છેવટે પરિવારને તોડે છે. જ્યાં પારિવારિકતા હોય ત્યાં પરિવાર એની મેળે કોળે છે અને આપોઆપ સંયુક્ત બને છે, પણ સંયુક્ત પરિવારના ઠેકેદારો પોતાની સમજ પરિવાર ઉપર લાદે છે અને ગુંગળામણથી થાકી ગયેલા સભ્યો પરિવારથી અળગા થાય છે. માટે પુ.લ. દેશપાંડેએ કહ્યું હતું કે સંયુક્તના આગ્રહે મહારાષ્ટ્રને પરાજીત કર્યું છે અને કરી રહ્યું છે.

આ તો ડાહ્યા લોકોની વાત થઈ જે દૂરનું ભાળી શકે છે અને જેઓ પાછળ પણ દૂર સુધી જોઈ શકે છે. સંસ્કૃતિઓ કઈ રીતે રચાય છે, કોળાય છે, એકબીજાનું મિશ્રણ કઈ રીતે સંસ્કૃતિઓને સમૃદ્ધ કરે છે, કેવી રીતે પરિવર્તનો આકાર પામે છે, શું જીવે છે અને શું મૃત પામે છે, શું અપનાવવું જોઈએ શું છોડવું જોઈએ, શું પોષક છે અને શું મારક છે વગેરેનો નીરક્ષીર અભ્યાસ કરી શકે છે. પણ એવા લોકો આપણને પરવડતા નથી. આપણી અંદરની તામસિકતા એટલી તીવ્ર હોય છે કે આગ્રહો જલદી છૂટતા નથી. રાજકારણીઓ આનો લાભ લે છે. જેટલું રાજકારણ ટૂંકું અને સાંકડું એટલું એ સહેલું. એમાં કરવાનું શું હોય? બસ, આપણા વિશેની એક કલ્પના વહેતી કરો પછી તે સાચી હોય કે ખોટી. મહદઅંશે ખોટી ઉપજાવી કાઢેલી હોય. એ પછી તેનાં દુશ્મનો શોધી કાઢો અને દુશ્મનીનો ઇતિહાસ લખો. ઇતિહાસ થોડો સાચો અને મહદઅંશે ખોટો. એ પછી તેમને ડરાવો અને ડરવા માટેનાં કારણો આપો. અગેન થોડાં સાચાં અને મહદઅંશે ખોટાં ઉપજાવી કાઢેલાં. એની સાથે રડાવો. રડવા માટેનાં કારણો આપો. થોડાં સાચાં અને મહદઅંશે ખોટાં. એ પછી પોતાને રક્ષણહાર તરીકે પ્રોજેક્ટ કરો. સાવ સહેલી ફોર્મ્યુલા છે જે ભારત સહિત આખા જગતમાં આજકાલ ચલણમાં છે.

માટે પુ.લ. દેશપાંડેએ કહ્યું હતું કે જ્યારથી મહારાષ્ટ્ર માટે સંયુક્તનો આગ્રહ ઉમેરાયો છે ત્યારથી મહારાષ્ટ્ર(એટલે કે સાંસ્કૃતિક મહારાષ્ટ્ર)નો ક્ષય થઈ રહ્યો છે. પણ આ વાત સમજવા માટે બુદ્ધિ જોઈએ અને ઠેકેદારોને બુદ્ધિ અને બુદ્ધિશાળી પ્રજા પરવડતી નથી. જગતભરમાં તમામ સંકુચિત રાજકારણ કરનારા શાસકો બુદ્ધિશાળી વિરોધી (એન્ટી ઈન્ટેલેકચ્યુઅલ) હોય છે એનું આ કારણ છે. તેમને ધૂણનારા લોકો જોઈએ છે જેને ડર બતાવીને ધૂણાવી શકાય. બેલગામ મહારાષ્ટ્ર અને કર્ણાટકની સરહદનો પ્રદેશ છે એટલે એ સંસ્કૃતિ-સંગમનો પ્રદેશ છે. એમાં મરાઠીઓને મરાઠીપણું જડી રહેશે અને કાનડીઓને કાનડીપણું. બન્ને છે તો બન્નેને રહેવા દો ને! તમને ખબર છે? ભારત જગતનો એક માત્ર દેશ છે જ્યાં સરેરાશ ભારતીય ત્રણથી પાંચ ભાષાઓમાં સહેલાઇથી બોલી શકે છે. કેવી મોટી, બીજા માટે દુર્લભ એવી અમીરાત છે! એને દુરાગ્રહો દ્વારા દરિદ્રતામાં શું કામ ફેરવવા માગો છો? અને આવી તો બીજી કેટલી વિવિધતા છે! વિવિધતાઓ માટે ગર્વ લેવો જોઈએ એની જગ્યાએ ધૂણનારા અને ધૂણાવનારાઓ આતંક મચાવી રહ્યા છે.

ભારતનું વિભાજન થયું ત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદ ખેંચવાનું કામ સર સિરીલ રેડક્લિફ નામના જાણીતા બ્રિટિશ સોલિસીટરને સોંપવામાં આવ્યું હતું. તેમણે ક્યારે ય આ પહેલાં ભારતમાં પગ નહોતો મુક્યો અને એક ભાવનાશૂન્ય વકીલ તરીકે ૪૦,૦૦૦ રૂપિયાની ફી લઈને આ કામ તેમણે સ્વીકાર્યું હતું. તેમની પાસે જૂના નકશા હતા, વસ્તીગણતરીનાં આંકડા હતા, ધર્મને નામે પ્રજાને લડાવનારા કોમવાદીઓના દાવા અને પ્રતિદાવાઓના ઘોંઘાટ હતા અને માત્ર પાંચ અઠવાડિયાનો સમય હતો. તેમણે જ્યારે શુષ્ક અને અધૂરા આંકડાના આધારે અને ધર્મના ઠેકેદાર કોમવાદીઓના ઘોંઘાટથી પ્રેરાઈને કાગળના નકશા ઉપર લાઈન ખેંચી ત્યારે તેમને ખબર નહોતી કે તેઓ પ્રજાનાં હ્રદયને ચીરી રહ્યા છે અને નિર્દોષ પ્રજાના લોહીનો ફુવારો ઉડવાનો છે. લોહીની નદીઓ વહેવાની છે. ડબ્લ્યુ.એચ. ઓડેન નામના જાણીતા કવિએ રેડક્લિફની વકીલાત ઉપર ‘પાર્ટીશન’ નામની કવિતા લખી છે. ઓડેનની એ કવિતા અમર એટલા માટે છે કે રેડક્લિફની વકીલાતને ગોદીમીડિયાના પત્રકારત્વ સાથે, ધર્મગુરુઓની ધાર્મિકતા સાથે, પાળીતા સર્જકોની સર્જકતા સાથે, સત્તાપિપાસુઓના રાજકારણ સાથે રિપ્લેસ કરી શકો છો.

મારી તો દરેક લેખમાં એક જ ટહેલ હોય છે: માણસ છો તો માણસ તરીકે જીવો. એક જ જન્મ મળ્યો છે અને ઉપરથી ભગવાને વિવેક કરવા જેટલી બુદ્ધિ પણ આપી છે. બીજું શું જોઈએ!

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 18 ડિસેમ્બર 2022

Loading

18 December 2022 Vipool Kalyani
← ચલ મન મુંબઈ નગરી—175
ભારતીય એરપોર્ટ પર ચક્કાજામઃ લાંબા ગાળાનું વિચાર્યા વિનાની યોજનાઓની ઉડાન →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved