Opinion Magazine
Number of visits: 9484124
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

લુચ્ચાઈ સરકારમાં જ નહીં, શિક્ષકોમાં પણ એટલી જ છે … 

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion, Samantar Gujarat|2 December 2024

રવીન્દ્ર પારેખ

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની અમરોલીની સ્નેહરશ્મિ શાળા ક્રમાંક 285ના આચાર્ય સંજય પટેલ 33 વખત દુબઈ આવ-જા કરે છે, એટલું જ નહીં, શિક્ષણ વિભાગને જાણ કર્યા વગર વિદેશમાં ગેરકાયદે વેપાર કરે છે ને તેની ખબર રાજ્ય સરકારને પડતાં, તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દે છે. આચાર્ય સંજય પટેલ યુનાઈટેડ આરબ અમીરાત(UAE)ના રેસિડેન્સ વિઝા ધરાવે છે. શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ ત્યાં સુધી કહ્યું છે કે આચાર્યે રજાનો પગાર લીધો હશે તો તે વસૂલવામાં આવશે. જો કે, 10 વર્ષમાં આચાર્યે 84 લાખનો પગાર તો લીધો જ છે … 

દુબઈમાં રોકાણ માટે એક મિત્ર પાસેથી આચાર્યે 14 કરોડ 6 ટકાના વ્યાજે લીધા હતા. સુરેન્દ્રનગરના પૂર્વ ધારાસભ્ય ધનજી પટેલના દુબઈમાં રહેતા ભત્રીજા ચંદ્રેશ મકવાણાને અપાવેલા સાડા ત્રણ કરોડ પરત મેળવવા પરિચિતોએ સંજય પટેલનું અપહરણ કર્યું હતું. એનો હોબાળો થતાં શિક્ષણ સમિતિએ તપાસ ઝડપી કરી હતી ને વધારામાં ગુજરાત સરકારે પણ કડક કાર્યવાહીની તાકીદ કરતાં, પરિણામ સંજય પટેલનાં સસ્પેન્શનમાં આવ્યું હતું.

આચાર્ય સંજય પટેલ

સંજય પટેલ ચાર-પાંચ વર્ષથી દુબઈમાં ટૂર ટ્રાવેલ્સ, જનરલ ટ્રેડિંગ, ઈન્ફર્મેશન ટેક્નોલોજી ક્ષેત્રમાં બિઝનેસ કરતા હતા, એટલે અવારનવાર દુબઈ જવાનું થતું હતું. જુલાઈ, 2023થી જૂન 2024 સુધીમાં 33 વખત દુબઈનો પ્રવાસ સંજય પટેલે કર્યો હતો. ઓગસ્ટ, 2024માં આ મામલે આચાર્ય પટેલને સો કોઝ નોટિસ પણ આપવામાં આવી હતી, પણ આચાર્યે નોટિસનો જવાબ આપવાને બદલે મેડિકલ ગ્રાઉન્ડ રજૂ કર્યું હતું, જે ગ્રાહ્ય રખાયું ન હતું અને 25 નવેમ્બરે હાજર થઈ જવાબ આપવાની તાકીદ કરાઈ હતી, પણ આચાર્યે હાજર થવાને બદલે મેડિકલ રિપોર્ટ મૂકી રજા પર ઊતરી જવાનું મુનાસિબ માન્યું હતું. તેમની રજા કોણે મંજૂર કરી ને રજાનો કેટલો પગાર ચૂકવાયો તે પ્રશ્નોનો ઉત્તર મળતો નથી. 84 લાખ પગાર 10 વર્ષમાં મહિનાના 70,000ને હિસાબે ઓલરેડી ચૂકવાયો હોય તો રજાનો પગાર કપાયો નથી તે સ્પષ્ટ છે. 

બીજું, અંદાજે વર્ષમાં 33 વખત મુસાફરી કરી હોય ને માત્ર આવવા-જવાના દિવસો જ ગણીએ તો 66 દિવસ રજાના ગણવા પડે. વારુ, દુબઈ વેપાર અર્થે જ ગયા હોય તો જઈને તરત પાછા આવવાનું દરેક વખતે શક્ય ન પણ બને. 25 નવેમ્બરે હાજર થઈ જવાબ આપવાનું કહેવાયું, છતાં આચાર્યે તેની દરકાર ન કરતાં મેડિકલ રિપોર્ટ મૂકયો એમાં તંત્રની ધરાર અવગણના છે. આવામાં મજબૂત પીઠબળ ન હોય તો કોઈ આવી હિંમત ન કરે. વળી આટલી રજા તેમની પાસે હતી કે રજામાં પણ હાજરી પુરાઈ તે સ્પષ્ટ નથી. 

આ અગાઉ દુબઈને મુદ્દે નોટિસ બજાવાઈ હતી ને ત્યારે ભૂલ કબૂલીને પણ, દુબઈના આંટાફેરા તો ચાલુ જ રખાયા હતા. સરકાર આવી કોઈ ગેરરીતિ ચલાવવા માંગતી નથી એમ ભલે કહે, પણ ગેરરીતિ તો ચાલી જ છે. 33 વખત દુબઈ આવનજાવન ચાલતી હોય, એ અંગેની નોટિસ બજાવાઈ હોય ને આચાર્યે ભૂલ કબૂલી હોય ને પછી પણ અવરજવર ચાલુ જ હોય તો એમાં શિક્ષણ સમિતિની ને સરકારની ઘોર ઉપેક્ષા જ છે, એવું નહીં? તો, સરકાર ગેરરીતિ ચલાવવા માંગતી નથી એવા દાવાની આચાર્ય પર કોઈ અસર નથી એમ જ માનવું પડે.

ગુજરાતના રાજ્ય શિશણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા

એકથી વધુ વખત માંદગીની રજા મુકાઇ હોય તો મંજૂર થયા વગર બીજી રજા સાધારણ રીતે ન મુકાય એમ બને. મતલબ કે સંજય પટેલ માંદગીની રજા મંજૂર કરાવ્યા વગર તો નહીં ગયા હોય, તો સવાલ એ થાય કે એટલી રજા મંજૂર કરી કોણે? આ બધું મંજૂર થયું હોય તો પણ અને ન થયું હોય તો પણ સંબંધિત અધિકારીની રહેમ નજર વગર આખું કોળું દાળમાં જાય નહીં. રાજ્ય શિક્ષણ મંત્રી પાનસેરિયાએ માંદગીને બહાને અવરજવર કરી હશે તો તે અંગે પણ કાર્યવાહી કરવામાં આવશે તેવું કહ્યું છે ને મૂળ મહેસાણાના સંજય પટેલ પર ACBમાં કેસ થતો હશે તો તે પણ થશે એવું કહેવાયું છે, પણ સીધો સવાલ  તો એ છે કે સંજય પટેલનું સસ્પેન્શન કેટલું ટકશે, કારણ જે વ્યક્તિ 33 વખત નોટિસ છતાં, દુબઈ જઈ શકતી હોય એને માટે સસ્પેન્શન રદ કરાવવાનું બહુ મુશ્કેલ નહીં જ હોય. 

એ સૌથી વધુ દુ:ખદ છે કે શિક્ષણના ક્ષેત્રમાં પડેલો એક આચાર્ય શાળાના અન્ય શિક્ષકોની કે વિદ્યાર્થીઓની કે તેમનાં ભણતરની જરા જેટલી પણ ચિંતા કર્યા વગર પોતાના ધંધામાં જ રચ્યો પચ્યો રહે છે ને તેને કોઈ પૂછનાર નથી. આવું આચાર્ય જ કરે છે એવું નથી ને આ કૈં પહેલો કિસ્સો છે એવું પણ નથી. આ અગાઉ પણ કેટલાક શિક્ષકો વિદેશ રહીને અહીંનો પગાર ખાતા હતા ને હાજરી પુરાવતા હતા. છેલ્લા એક વર્ષથી વિદેશ રહેતા 60 જેટલા શિક્ષકોને વારંવાર સૂચનાઓ અપાયા છતાં તેઓ હાજર થયા ન હતા ને પરિણામ બરતરફીમાં આવ્યું હતું. 

સવાલ એ છે કે જો વિદેશનું જ એક માત્ર આકર્ષણ હોય તો અહીં શિક્ષક કે આચાર્ય થવાની અનિવાર્યતા શી છે? અહીં દર મહિને 60-70 હજાર ગજવે ઘાલવાના અને વિદેશની રકમથી પણ હોજરી ભરવાની, આવી માનસિકતા ભૂખ્યા વરુને પણ શરમાવે એવી છે. દુ:ખદ તો એ છે કે આવું બીજા કોઈ નહીં, પણ શિક્ષકો કરે છે. આમ પણ પેન્શન વગેરેના લાભો ન આપવા પડે એટલે સરકાર શિક્ષકોની કાયમી ભરતી કરતી નથી ને 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર શિક્ષકો રાખે છે. હવે શિક્ષકો જ જો આવા ભુખાળવી માનસિક્તાવાળા હોય તો સરકાર કાયમી શિક્ષકો શું કામ રાખે? એક તરફ આવા હરામી શિક્ષકો છે ને બીજી તરફ ખરેખર ભણાવવા ઇચ્છતા શિક્ષકો છે ને કરુણતા એ છે કે તેમને ભણાવવાની તક નથી મળતી. 

યુનિવર્સિટીથી લઈને પ્રાથમિક શિક્ષણમાં ખુશામતખોરી એટલી ઊંડે ઊતરી ગઈ છે કે ઠેર ઠેર રાજકીય વગ સિવાય બીજું કૈં અનુભવાતું જ નથી. પ્રવેશોત્સવો, તહેવારોની ઉજવણીઓ, ચોક્કસ દિવસોના તમાશાઓમાં રાજકારણીઓનો, નેતાઓનો જ મહિમા થાય છે. ઘણીવાર તો શંકા પડે કે ઉજવણી માટે નેતાઓ આવે છે કે નેતાઓ માટે ઉજવણીઓ આવે છે? એમાં જે ખરેખર ભણાવવા માંગે છે એ આચાર્યો ને શિક્ષકો અન્ય કામોમાં એવા જોતરી દેવાય છે કે તેઓ વર્ગખંડ સુધી પહોંચી જ નથી શકતા. ઘણા શિક્ષકો કોમ્પ્યુટર પર પરિપત્રોના જવાબો આપવામાં અને ડેટા ભરવામાં જ એટલા વ્યસ્ત રહે છે કે વિદ્યાર્થીઓએ શિક્ષકોને વર્ગખંડમાં ભણાવવા તેડવા જવું પડે છે ને શિક્ષકો કારકૂનીમાંથી જ પરવારતા નથી. પરવારે તો ભણાવેને !

એક દાખલો જોઈએ. રાજ્યની શાળાઓમાં ઇ-કેવાયસી ચાલ્યું. હવે ઓટોમેટેડ પરમેનન્ટ એકેડેમિક એકાઉન્ટ રજિસ્ટ્રી (અપાર) આઈ.ડી. બનાવવાની પ્રક્રિયા ચાલે છે. અપાર આઈ.ડી. બનાવવા માટે વિદ્યાર્થીઓના ડાયસ ડેટાને આધાર કાર્ડ સાથે લિન્ક કરવાના હોય છે. એમાં શિક્ષકો, વાલીઓ, વિદ્યાર્થીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. તે એ રીતે કે ડાયસ અને આધારમાં નામમાં સાધારણ ફેર હોય તો પણ અપાર આઈ.ડી. બનતું નથી. બીજી તરફ ઉપરી અધિકારીઓ કામગીરી નથી થતી એવું કહીને આચાર્યો, શિક્ષકો પર પસ્તાળ પાડતા રહે છે. એક તો એટલી બધી જાતના કાર્ડ માથે મરાયા છે કે 52 પાનાંની કેટ પણ ઓછી પડે. આ બધું આમ તો વિગતોની ચોકસાઇ માટે છે, પણ એની સમાંતરે એટલા બધા નકલી કાર્ડ બને છે કે બધી ચોકસાઈ ક્યારે હવા થઈ જાય છે તેની ખબર જ નથી પડતી. આ અપાર આઈ.ડી. બનાવવામાં પથારી શિક્ષણની ફરી ગઈ છે. ગુજરાત આખાનું શિક્ષણ કાર્ય ખોરવાઇ રહ્યું છે ને એની કોઈને પરવા નથી. શિક્ષણ વિભાગ એનો રેકોર્ડ સરખો રહે એ માટે આ બધો વેપલો કરે છે. એ સરખો થાય એ માટે શિક્ષકો સતત રોકાયેલા રહે છે. એ ઉપરાંત પણ શિક્ષણ સિવાયની એવી એવી કામગીરીઓ શિક્ષકો પાસે આવે છે કે વર્ગશિક્ષણ ખોરંભાયા વગર ન રહે. 

શિક્ષણ માટે આખો વિભાગ હોય ને શિક્ષણ જ ચાલવાનું ન હોય, તો શિક્ષણ વિભાગ હોય કે ન હોય, શો ફેર પડે છે? પણ શિક્ષણ વિભાગ છે ને એ તો રહેશે જ ! શંકા, શિક્ષકો કે વિદ્યાર્થીઓ રહેશે કે કેમ એની છે ને એથી ય મોટી ચિંતા આ બધું હોય તો પણ, શિક્ષણ હશે કે કેમ એની છે … 

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 02 ડિસેમ્બર 2024

Loading

2 December 2024 Vipool Kalyani
← ચૂંટણી વિજય એ મેનેજમેન્ટનું પરિણામ છે ?
નીવડેલા અને નવોદિત સૌ સાહિત્યકારમિત્રો પ્રતિ —  →

Search by

Opinion

  • ખાદ્ય પદાર્થોની તપાસમાં તંત્રો નપાસ?
  • શબ્દો થકી
  • દર્શક ને ઉમાશંકર જેવા કેમ વારે વારે સાંભરે છે
  • જૂનું ઘર 
  • મનુભાઈ પંચોળી ‘દર્શક’ : કટોકટીની તારીખે સ્વરાજનો નાશ!

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ
  • आइए, गांधी से मिलते हैं !  
  • પહેલવહેલું ગાંધીકાવ્ય : મનમોહન ગાંધીજીને
  • સપ્ટેમ્બર 1932થી સપ્ટેમ્બર 1947… અને ગાંધી
  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 

Poetry

  • પાંચ ગીત
  • હાજર છે દરેક સ્થળે એક ગાઝા, એક નેતન્યાહુ?
  • ચાર ગઝલ
  • નટવર ગાંધીને (જન્મદિને )
  • પુસ્તકની વેદના

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved