Opinion Magazine
Number of visits: 9448712
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

લવજેહાદ, કાયદો અને મહિલાસ્વાતંત્ર્ય

ચંદુ મહેરિયા|Opinion - Opinion|30 June 2021

ગુજરાત વિધાનસભાના બજેટસત્રમાં પસાર કરાયેલા, રાજકીય રીતે લવજેહાદ વિરોધી કાયદા તરીકે પ્રચારિત, ‘ગુજરાત ધર્મસ્વાતંત્ર્ય (સુધારા) વિધેયક, ૨૦૨૧’ને રાજ્યપાલની મંજૂરી મળી ગઈ છે. સરકારે નિયમો ઘડી આ  કાયદાનો ૧૬મી જૂન, ૨૦૨૧થી અમલ પણ શરૂ કરી દીધો છે. અગાઉ ભારતીય જનતા પક્ષ શાસિત ઉત્ત રપ્રદેશ, મધ્ય પ્રદેશ, હરિયાણા, કર્ણાટક, હિમાચલ પ્રદેશ અને ઉત્તરા ખંડમાં લવજેહાદ વિરોધી કાયદા ઘડાયા હતા. હવે ગુજરાત પણ તેમની પંગતમાં આવી ગયું છે. આ કાયદા મુજબ ૨૦૦૩ના ગુજરાત ધર્મસ્વાતંત્ર્ય અધિનિયમમાં કેટલાક  સુધારા કરવામાં આવ્યા છે. મહિલાઓને બળજબરીથી, ફોસલાવીને કે કપટથી લગ્ન કરવાનો અસલી મકસદ ધર્મપરિવર્તનનો હોય, તો તેને ગુનો ગણી ત્રણથી દસ વરસની સજાની જોગવાઈ કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભામાં થયેલી ચર્ચાઓ અને હિંદુત્વ બળોની લવજેહાદ વિરોધી ઝુંબેશ પરથી સમજાય છે કે મુસ્લિમ પુરુષો દ્વારા બિનમુસ્લિમ સ્ત્રીઓને પ્રેમ અને લગ્નના નામે ફસાવી તેમનું ધર્માંતર કરાવવામાં આવી રહ્યાનું, તે માટેના સામૂહિક પ્રયાસો કે ષડ્‌યંત્રો થતાં હોવા જેવી બાબતોની જોગવાઈ ધરાવતા આ કાયદા પાછળ મૂળે રાજકીય હેતુ છે.

એકાદ દાયકાથી કેરળ, તટીય કર્ણાટક, પશ્ચિમી ઉત્તર પ્રદેશ ઉપરાંત કેટલાંક બી.જે.પી.શાસિત રાજ્યોમાં લવજેહાદની બુમરાણ જોવા મળે છે. કર્ણાટકના રામસેનાના નેતા અને ‘લવજેહાદ : રેડ ઍલર્ટ ફૉર હિંદુ ગર્લ્સ’ના લેખક પ્રમોદ મુત્તાલિકે ૨૦૦૯માં સૌ પ્રથમ વાર લવજેહાદ શબ્દ પ્રયોજ્યો હોવાનું ઇતિહાસકાર ચારુ ગુપ્તાએ ‘મિથ ઑફ લવજેહાદ’ પુસ્તકમાં નોંધ્યું છે. અન્ય અભ્યાસીઓ કેરળમાં ખ્રિસ્તી ચર્ચે આ શબ્દ પ્રથમ વાર પ્રયોજ્યો હોવાનું જણાવે છે. જો કે હવે લવજેહાદનો મુદ્દો સાંપ્રદાયિક રાજકીય એજન્ડા અને મતોની ફસલ લણી આપનાર બની ગયો છે. તેથી જ પચીસ વરસથી જ્યાં ભા.જ.પા.નું શાસન તપે છે, તે ગુજરાતમાં પણ આવો કાયદો ઘડવો તે દીર્ઘ રાજવટની નિષ્ફળતા અને નાલેશી ગણાય, તે વાતની લગીરે ફિકર વિના લવજેહાદ વિરોધી કાયદો ઘડાયો છે.

લવજેહાદ વિરોધી વર્તમાન કાયદા અને અભિયાનને અદાલતોનું પણ પીઠબળ મળ્યું હતું. ૨૦૧૭માં ઉત્તરા ખંડની વડી અદાલતે લગ્ન માટે ધર્મપરિવર્તનને અટકાવવાનો કાયદો ઘડવા રાજ્યસરકારને સૂચન કર્યું હતું. અલ્હાબાદ હાઈકોર્ટના સિંગલ જજની એક બૅન્ચે ૨૦૧૪માં મુસ્લિમ યુવાનો સાથે લગ્ન કરવાને લીધે અસલામતી અનુભવતી પાંચ હિંદુ યુવતીઓની પોલીસ રક્ષણની માંગ નકારી હતી. અદાલતે તેના ચુકાદામાં માત્ર લગ્નના હેતુ માટે કરવામાં આવતા ધર્મપરિવર્તનને અસ્વીકાર્ય ગણ્યું હતું. આસ્થા અને વિશ્વાસમાં વાસ્તવિક પરિવર્તન સિવાયના ધર્મપરિવર્તનને અદાલતે અમાન્ય ઠેરવ્યું હતું. ૨૦૦૯માં કેરળ હાઈકોર્ટને લવજેહાદના આરોપોમાં તથ્ય જણાયું હતું.

કર્ણાટક હાઈકોર્ટની ડિવિઝન બૅન્ચે તો ૨૦૦૨થી ૨૦૦૯ દરમિયાન રાજ્યભરમાંથી ગૂમ થયેલી ૨૧,૮૯૦ છોકરીઓના કેસો લવજેહાદની શંકાવાળા ગણી તેની તપાસ સી.આઈ.ડી. ને સોંપી હતી. જો કે ગૂમ થયેલી છોકરીઓમાંથી ૨૨૯નાં જ આંતરધાર્મિક લગ્નો થયાં હતાં અને તેમાંથી માત્ર ત્રેસઠે જ ધર્મપરિવર્તન કર્યાનું સી.આઈ.ડી. તપાસમાં ખૂલ્યું હતું. વળી, આ તપાસમાં પોલીસને લગ્નના બહાને ધર્મપરિવર્તનનો કોઈ સામૂહિક પ્રયાસ કે ષડયંત્ર ન જણાતાં ૨૦૧૩માં અદાલતે આ કેસનો વીંટો વાળી દીધો હતો.

સુપ્રીમ કોર્ટે પણ લવજેહાદના આરોપોની તપાસ નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી(એન.આઈ.એ.)ને સોંપી હતી. તે પછી સર્વોચ્ચ અદાલતે કેરળના હાદિયા કેસમાં લવજેહાદના આરોપો નકાર્યા હતા અને ધર્મપરિવર્તન મંજૂર રાખ્યું હતું. સુપ્રીમ કોર્ટે અને અલ્હાબાદ હાઈકોર્ટે તાજેતરના ચુકાદાઓમાં પુખ્ત ઉમરની કોઈ પણ વ્યક્તિને ધર્મ કે જ્ઞાતિના બાધ સિવાય પોતાની પસંદગીના પાત્ર સાથે લગ્નનો અધિકાર હોવાનું અને આવો અધિકાર બંધારણના અનુચ્છેદ ૨૧નું અભિન્ન અંગ હોવાનું જણાવવામાં આવ્યું છે.

વર્તમાન લોકસભામાં કેન્દ્રિય ગૃહ રાજ્ય મંત્રી કિશન રેડ્ડીએ કૉંગ્રેસના કેરળના સાંસદ બેન્ની બેહનાનના લોકસભા-પ્રશ્નના લેખિત જવાબમાં જણાવ્યું હતું કે લવજેહાદ જેવો કોઈ શબ્દ કાયદામાં પરિભાષિત નથી. કેન્દ્રિય તપાસ સંસ્થાઓની તપાસના આધારે તેમણે જણાવ્યું હતું કે લવજેહાદનો કોઈ મામલો કેન્દ્રસરકારની જાણમાં નથી. સરકારી સંસ્થા ‘ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફૉર પોપ્યુલેશન સાયન્સિઝ’નો ૨૦૧૩નો સર્વે ભારતમાં આંતરધાર્મિક લગ્નો બહોળા પ્રમાણમાં થતાં હોવાના આરોપોનો છેદ ઉડાડે છે. આ અભ્યાસમાં જણાયું છે કે ૧૫થી ૪૯ વરસની વિવાહિત મહિલાઓમાંથી માત્ર ૨.૨૧ ટકાએ જ ધર્મબહાર લગ્નો કર્યાં છે. શહેરોમાં આંતરધાર્મિક લગ્નોનું પ્રમાણ ૨.૯ ટકા અને ગામડાંઓમાં ૧.૮ ટકા જ છે. સૌથી વધુ ૩.૫ ટકા આંતરધાર્મિક લગ્નો ખ્રિસ્તી મહિલાઓ કરે છે. તે પછીના ક્રમે શીખ ૩.૨ ટકા અને હિંદુ ૧.૫ ટકા છે. માત્ર ૦.૬ ટકા મુસ્લિમ મહિલાઓ જ ધર્મબહાર લગ્ન કરે છે. જે બી.જે.પી. રાજ્યોમાં લવજેહાદની ઝુંબેશો ચાલે છે ત્યાં આંતરધાર્મિક લગ્નોનું પ્રમાણ ઘણું ઓછું છે. દેશમાં સૌથી વધુ ૭.૮ ટકા આંતરધાર્મિક લગ્નો પંજાબમાં થાય છે. પંજાબની શીખ-હિંદુ લગ્નપરંપરાનું આ પરિણામ છે. તે પછીના ક્રમે ઝારખંડમાં ૫.૭ અને આંધ્રમાં ૪.૯ ટકા મહિલાઓ આંતરધાર્મિક લગ્નો કરે છે.

રાજ્યોના લવજેહાદ વિરોધી કાયદા અને જમણેરી બળોનું મહિલાવિરોધી અભિયાન પણ છે. તે મહિલાઓની વ્યક્તિગત અને સંસ્થાગત સ્વતંત્રતાને તો અવરોધે જ છે,  પ્રેમના દાયરાને પણ સાંકડો કરે છે. લવજેહાદ શબ્દ જ પરસ્પર વિરોધી છે. બે જુદા-જુદા ધર્મોની વ્યક્તિઓ લગ્ન કરે, તો તેમને સાંકળતી સમાન બાબત પ્રેમ હોય કે ધર્મ ? મહિલાઓને નાદાન, નબળી અને અણસમજુ સમજીને તેને કસાઈઓના હાથમાં જતી બચાવવાનો દાવો કરનારા ખરેખર તો તેમને વસ્તુ કે ચીજ ગણે છે. શાયદ એટલે જ સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જસ્ટિસ મદન લોકુર આવા કાયદાઓને લોકશાહી સરકારોનું ખાપપંચાયત કે જાતિપંચાયત જેવું વલણ ગણે છે. નિવૃત્ત ન્યાયાધીશ એ.પી. શાહના મતે મહિલાઓની સ્વતંત્રતા પિતૃસત્તા અને પુરુષોને ડરાવે છે. લવજેહાદના કાયદા જાણે કે મહિલાઓ પોતાનું સારુંનરસું જાતે વિચારી શકતી નથી તેમ ઠસાવી તેમની સ્વતંત્ર ઓળખ પર પ્રહાર કરે છે.

૧૯૫૪નો સ્પેશિયલ મૅરેજઍકટ અલગ-અલગ ધર્મોમાં માનતાં યુગલોને તેમની ધાર્મિક માન્યતા અકબંધ રાખીને લગ્નની અનુમતિ આપે છે. ઇન્ડિયન પિનલ કોડની ઘણી જોગવાઈઓ હેઠળ બળજબરી, લોભ, લાલચ કે છેતરપિંડીથી થતાં લગ્નો સામે મહિલાને પર્યાપ્ત કાનૂની રક્ષણ મળેલું છે. એ સંજોગોમાં લવજેહાદ વિરોધી અલગ કાયદાઓમાં રાજકીય હેતુની બૂ આવવી સ્વાભાવિક છે. જુદા ધર્મ કે જ્ઞાતિના કે એક જ ધર્મ કે જ્ઞાતિના પણ વડીલોની સંમતિ વિના પ્રેમલગ્ન કર્યા બાદ અસલામતી અનુભવતા અને પોલીસ તંત્ર સમક્ષ રક્ષણની માંગમાં નિષ્ફળ રહેતાં અનેક યુગલો હાઈકોર્ટમાં પોલીસરક્ષણ માટે ધા નાંખે છે. ગુજરાત હાઈકોર્ટનાં જસ્ટિસ સોનિયાબહેન ગોકાણીએ એપ્રિલ, ૨૦૧૯માં આવા કેસો અંગેના ચુકાદામાં ગુજરાત સરકારને સુપ્રીમ કોર્ટના નિર્દેશો મુજબ સિંગલ વિન્ડોસિસ્ટમ ઊભી કરી તેમની ફરિયાદોનો નિકાલ કરવા આદેશ કર્યો હતો. પરંતુ ગુજરાત સરકાર પ્રેમલગ્નોને કારણે પોલીસ રક્ષણ માંગતાં યુગલોને તુરત રક્ષણ મળે તેવી વ્યવસ્થા કરવાને બદલે ભર કોરોને લવજેહાદ વિરોધી કાયદો લઈ આવી છે !

ભારતમાં અલ્પ છતાં આંતરધાર્મિક લગ્નોની એક દીર્ઘ પરંપરા છે. તે દેશના બિનસાંપ્રદાયિક પોતને મજબૂત કરે છે અને ધાર્મિક-સાંસ્કૃતિક વિવિધતા છતાં દેશની એકતાનાં દર્શન કરાવે છે. મહિલાસ્વાતંત્ર્યને અવરોધતા લવજેહાદ જેવાં અભિયાનોને બદલે આંતરધાર્મિક અને આંતરજ્ઞાતીય લગ્નોનું પ્રમાણ વધે, તો દેશ ખરા અર્થમાં સમરસ બની શકશે.

e.mail : maheriyachandu@gmail.com 

Loading

30 June 2021 admin
← લૂઝ કનેક્શન (18) : અનીતિ, સ્વકેન્દ્રીયતા, ગાંડિયાવેડા
ભારતીય સમાજ એકબીજાના ધર્મનો આદર કરે છે, સંઘ-ભાજપે આ સમજવું પડશે →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved