Opinion Magazine
Number of visits: 9483724
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

લોકોને લોકતંત્ર જોઈએ છે, મજબૂત રાજકીય વિકલ્પ જોઈએ છે

રમેશ ઓઝા|Opinion - Opinion|31 December 2020

એક સ્વજને સવાલ કર્યો કે દેશ ફાસીવાદ તરફ આગળ વધી રહ્યો છે અને લોકતંત્રનો અસ્ત થઈ રહ્યો છે, ત્યારે કરવું શું? જેને બીજી જાગીર કહેવાય એ લોકપ્રતિનિધિગૃહોના કામકાજના સમયમાં કાપ મુકવામાં આવી રહ્યો છે કે જેથી શાસકોને ગૃહમાં જવાબ ન આપવો પડે. જેને ત્રીજી જાગીર કહેવાય છે એ ન્યાયતંત્ર સર્વોચ્ચ અદાલતના સ્તરે સુધ્ધાં પાણીમાં બેસી ગયું છે અને જેને ચોથી જાગીર તરીકે ઓળખવામાં આવે છે એ મીડિયા મહદ્ અંશે વેચાઈ ગયા છે. ચૂંટણીપંચ સહિતની લોકશાહી સંસ્થાઓ તેનો પ્રભાવ ગુમાવી ચૂકી છે. અત્યારે દેશમાં જયપ્રકાશ નારાયણ જેવા કોઈ શ્રદ્ધેય વ્યક્તિ રહ્યા નથી, ત્યારે કરવું શું?

‘ત્યારે કરવું શું?’ એ ટૉલ્સટૉયી સવાલ છે. માત્ર ભારતને આ સવાલ નથી કવરાવતો, જગતના ઘણા દેશોને આ સવાલ કવરાવે છે; ત્યારે કરવું શું? મેં એ મિત્રને પૂછ્યું કે તમારી નજરમાં કોઈ વિકલ્પ છે ખરો, ત્યારે તેમણે જવાબ આપ્યો કે વિકલ્પ માત્ર રાજકીય જ હોઈ શકે એટલે દેશને અત્યારે રાજકીય વિકલ્પની જરૂર છે. રાજકીય વિકલ્પ એમ તમે જ્યારે કહો છો ત્યારે તેનું સ્વરૂપ શું હોઈ શકે એવા મારા સવાલના જવાબમાં તેમણે કહ્યું, મજબૂત વિરોધ પક્ષ. એ પછી તેમણે કૉંગ્રેસની અત્યારની અવસ્થા વિષે ચિંતા વ્યક્ત કરી અને પૂછ્યું કે કૉંગ્રેસ પાછી બેઠી થઈ શકે એવી કોઈ શક્યતા ખરી? કૉંગ્રેસ બેઠી ન થાય તો શું? બીજો કોઈ પક્ષ નજરે પડે છે? કોણ ફાસીવાદી શાસનથી આ દેશને બચાવશે?

મેં તેમને કહ્યું કે તમે ભારતના ભવિષ્ય વિષે જેવી ચિંતા ધરાવો છો એવી ચિંતા ધરાવનારા આ દેશમાં ઘણા છે. ઘણા છે એટલે થોડાઘણા નથી, એટલા બધા છે કે તેઓ બહુમતી ધરાવે છે. એ લોકોને સહિયારું ભારત જોઈએ છે. એ લોકોને બંધારણીય શાસન જોઈએ છે. એ લોકોને કાયદાનું રાજ જોઈએ છે. એ લોકોને અંગ્રેજોએ લખેલા ઇતિહાસના આધારે વેર વાળવાની જગ્યાએ ભૌતિક અને માનવીય વિકાસમાં રસ છે. એ લોકોને લોકતંત્ર જોઈએ છે. એ લોકોને નાગરિક સ્વાતંત્ર્ય જોઈએ છે. એ લોકોને પ્રત્યેક સ્ત્રી પુરુષની સમકક્ષ નહીં, પણ કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના પૂર્ણ માનવ તરીકે જીવી શકે એમાં રસ છે. એ લોકોને ન્યાયી સમાજ-રચનામાં રસ છે. એ લોકોને છેવાડાના માણસનો હાથ પકડવામાં આવે અને હૂંફ આપવામાં આવે એમાં રસ છે. એ લોકોને આ દેશમાં કોઈને પણ ઓળખના આધારે સતાવવામાં ન આવે એવું ભારત જોઈએ છે. એ લોકોને ભારતનો પ્રત્યેક નાગરિક નિર્ભયતાથી જીવે, નિર્ભયતાથી બોલે અને હક માટે નિર્ભયતાથી લડે એવું ભારત જોઈએ છે. જો કોઈને પોતાનો વિચાર પકડી રાખીને વિરોધી વિચારવાળા સાથે લડવું હોય તો લડવા મળે એવું ભારત એ લોકોને જોઈએ છે. આનું બોલકું ઉદાહરણ તો એ છે કે હિન્દુત્વવાદીઓને હિંદુ ભારત માટે પ્રચાર કરવાની અને લડવાની સ્વતંત્રતા એ લોકોની કલ્પનાના ભારતે આપી હતી.

એ લોકોને ધર્મની મર્યાદા જાળવવામાં આવે એમાં રસ છે. ધર્મની મર્યાદા જાળવવી એટલે દરેક અર્થમાં જાળવવી. આપણે બીજાના ધર્મની મર્યાદા જાળવીએ, આમન્યા રાખીએ. બીજો આપણા ધર્મની મર્યાદા જાળવે. આપણે ધાર્મિકશ્રદ્ધાને અંગત માનીને ધર્મને ઘરની અંદર મર્યાદિત રાખીએ અને ધર્મનો રાજકીય દુરુપયોગ કરવા જેટલી મર્યાદા ન ઓળંગીએ. આવી મર્યાદાનું નામ જ સેકયુલરિઝમ. તો આ દેશમાં બહુમતી ભારતીયો ધર્મની બાબતે આવી મર્યાદા જાળવવી જોઈએ, એમ માને છે.

અહીં ઉપરના બે ફકરામાં જેવા ભારતની કલ્પના કરવામાં આવી છે એને અંગ્રેજીમાં ‘આઈડિયા ઑફ ઇન્ડિયા’ કહેવામાં આવે છે. સહિયારું ભારત અને ન્યાયી ભારત. વેદોથી લઈને વિનોબા સુધીના મનીષીઓએ આવા ભારતની કલ્પના વિકસાવી છે અને એવા ભારતનો પદાર્થ વિકસાવ્યો છે. સાધારણપણે ઉપલબ્ધ પદાર્થના આધારે સભ્યતાઓ અને સંસ્કૃતિઓ વિકસતી હોય છે, ભારત જગતનો એક માત્ર એવો અનોખો દેશ છે જેમાં મંગલ કલ્પનાઓએ પદાર્થ વિકસાવ્યો છે. ભારત નામનો મસાલો ભારત નામની કલ્પનાનું પરિણામ છે. ભારતીય સમાજ માનવીય સમાજનો વિરોધી નથી.

તો વાત એમ છે કે આજે પણ ભારતની બહુમતી પ્રજા આવા વિવેકી, સહિયારા અને ન્યાયી ભારતને વરેલી છે જેને હમણાં કહ્યું એમ ‘આઈડિયા ઑફ ઇન્ડિયા’ કહેવામાં આવે છે. સામે જે લોકો હિંદુ ભારતની કલ્પનાને વરેલા છે એ લોકો લઘુમતીમાં છે. લઘુમતીમાં એટલે ભારતની કુલ લોકસંખ્યામાં વીસ ટકા પણ નહીં હોય. એ લોકોની ખૂબી એ છે કે એ રાજકીય રીતે સંગઠિત છે. બુદ્ધિદરિદ્રતા અને તામસિકતા એટલી તીવ્ર છે કે તેઓ નથી વિચારી શકતા કે નથી વિવેક કરી શકતા. દલીલ કરશો તો સભ્ય હશે તો ચૂપ રહેશે અને જો તામસિકતા તીવ્ર હશે તો ગાળો દેશે અથવા દેશદ્રોહી કે કાઁગ્રેસતરફી જેવાં લેબલ ચોડશે. આનાથી આગળ તેઓ બે વાક્યમાં દલીલ ભલે નહીં કરી શકે, પણ પોતાની જગ્યા તો નહીં જ છોડે. માટે જેને હિંદુ ભારત જોઈએ છે તેમની સાથે દલીલમાં ઊતરવાનો કોઈ અર્થ નથી, એ દીવાલ સામે માથું અફળાવવા જેવું છે. જો મુસલમાનનું બુરું થતું હોય તો પોતાનું ભલે ધનોતપનોત નીકળી જાય એવું વલણ તેઓ ધરાવે છે.

તો વાતનો સાર એ કે આ દેશમાં ૮૦ ટકા નહીં તો કમસેકમ ૬૦ ટકા નાગરિકો એવા છે જેઓ ‘આઈડિયા ઑફ ઇન્ડિયા’ને વરેલા છે અને માત્ર ૨૦ ટકા નાગરિકો આઈડિયા ઑફ હિંદુ ઇન્ડિયાને વરેલા છે. તેઓ સંગઠિત છે અને તેમની પાસે તેમનો મજબૂત રાજકીય પક્ષ છે. તેમને શંકા કરતા અને પ્રશ્ન પૂછતા આવડતું નથી, અને એમ નહીં કરવાની તેમને તાલીમ આપવામાં આવી છે. શંકા કરવી અને પ્રશ્ન કરવો એને તેઓ હિંદુદ્રોહ અર્થાત્ દેશદ્રોહ સમજે છે. ભારતીય જનતા પક્ષનું એ પીઠબળ ત્યાં સુધી તૂટવાનું નથી જ્યાં સુધી ફાસીવાદના વિનાશક સ્વરૂપનો તેમને અનુભવ નહીં થાય. સામે પક્ષે મારા મિત્રની પીડા એ વાતની છે કે ‘આઈડિયા ઑફ ઇન્ડિયા’ને વરેલા ૬૦ ટકા ભારતીય નાગરિકો પાસે કોઈ મજબૂત રાજકીય વિકલ્પ નથી.

ત્યારે કરવું શું?

આની ચર્ચા આવતા અઠવાડિયે.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 31 ડિસેમ્બર 2020

Loading

31 December 2020 admin
← Extra-ordinary tales of the ordinary
હાશ ! 2020 ગયું ને 2021 આવ્યું … →

Search by

Opinion

  • શબ્દો થકી
  • દર્શક ને ઉમાશંકર જેવા કેમ વારે વારે સાંભરે છે
  • જૂનું ઘર 
  • મનુભાઈ પંચોળી ‘દર્શક’ : કટોકટીની તારીખે સ્વરાજનો નાશ!
  • વિદ્યા વધે તેવી આશે વાચન સંસ્કૃતિ વિકસે

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ
  • आइए, गांधी से मिलते हैं !  
  • પહેલવહેલું ગાંધીકાવ્ય : મનમોહન ગાંધીજીને
  • સપ્ટેમ્બર 1932થી સપ્ટેમ્બર 1947… અને ગાંધી
  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 

Poetry

  • પાંચ ગીત
  • હાજર છે દરેક સ્થળે એક ગાઝા, એક નેતન્યાહુ?
  • ચાર ગઝલ
  • નટવર ગાંધીને (જન્મદિને )
  • પુસ્તકની વેદના

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved