Opinion Magazine
Number of visits: 9458845
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

લેખક અને સ્વતંત્રતા, સુરેશ જોષી વ્યાખ્યાન

મેહુલ દેવકલા|Opinion - Opinion|3 May 2022

‘આપણે ત્યાં રવીન્દ્રનાથ ટાગોર, વલ્લતોલ, નિરાલા, પ્રેમચંદ જેવા, ગુલામ દેશમાં સ્વતંત્ર લેખકો થઈ ગયા. આપણું સાહિત્ય દેશને સ્વતંત્રતા મળી એ પૂર્વેથી જ સ્વતંત્ર રહ્યું છે. લોકશાહીએ સાહિત્યની પ્રશ્નો પૂછવાની, અસહમત થવાની અને સ્વતંત્ર વિચાર કરવાની ક્ષમતાને પોષી છે. દુર્ભાગ્યે, વિગત દિવસોમાં જો કે આ ક્ષમતા દંડિત થઈ રહી છે.’

ખ્યાત હિંદી કવિ અને કલામર્મજ્ઞ અશોક વાજપેયી ગુજરાતી સાહિત્ય પરિષદના ઉપક્રમે તૃતીય સુરેશ જોષી વ્યાખ્યાન અંતર્ગત બોલી રહ્યા હતા. વિષય હતો ‘લેખક અને સ્વતંત્રતા’. સુરેશ જોષીનું કર્મક્ષેત્ર વડોદરા ૧૯મી એપ્રિલે આ પ્રસંગનું સાક્ષી બન્યું.

છેક, ૧૯૬૦માં સુરેશ જોષી ‘ભોંયતળિયાનો આદમી’ નામે એક પરિચય દોસ્તોએવસ્કીની ‘નોટ્‌સ ફ્રૉમ અન્ડરગ્રાઉન્ડ’ વિશે લખે છે. મૂળ તો વાત વ્યક્તિસ્વાતંત્ર્યની જ છે. આપણા સમયની એ બલિહારી જ કહી શકાય કે દાયકાઓ પછી સુરેશ જોષી શતાબ્દીએ યોજાનાર વ્યાખ્યાનની ભૂમિકા આવી કોઈક ભોંયતળિયાની જગ્યાએ મંડાઈ. શિક્ષણધામો સત્તાની જીહજૂરીનાં કેન્દ્રો બન્યાં છે. (‘પૂર્વનિર્ધારિત સ્થળનો પરવાનો કાર્યક્રમનાં બે દિવસ પહેલાં અનિવાર્ય કારણોસર રદ્દ થયો.’)

આર્ક ફાઉન્ડેશનની ગેલેરીનાં ભોંયતળિયે આછા પીળા પ્રકાશના અજવાળે ઘણી ઉજળી વાતો થઈ. નાદુરસ્ત તબિયત છતાં અમદાવાદથી પરિષદપ્રમુખ પ્રકાશ ન. શાહ આવ્યા અને વ્યાખ્યાનનો આગાઝ કરાવ્યો. કોરોના કાળમાં પ્રથમ બે વ્યાખ્યાનો ઑનલાઈન યોજાયાં હતાં. પ્રકાશભાઈના શબ્દોમાં મૂકું તો, ઑનલાઈન પછી ઑફલાઈન માહોલમાં, વિશ્વમાનવ-ક્ષિતિજ પરંપરામાં અને એરિક ફ્રૉમની બાનીમાં મુખોમુખ (ફેસ ટુ ફેસ) એક અદકેરી સાંજ.

સુરેશ જોષીના પરિવારજનો દ્વારા અશોકજીની આવકારવિધિ થઈ. પૂર્વ પ્રમુખ સિતાંશુભાઈએ આવકારમાં સૂર પુરાવ્યો. ગુજરાતનાં વિવિધ ઠેકાણેથી આવેલાં – કાનજી પટેલ, જયદેવ શુકલ, બકુલ ટેલર, માલિની ગૌતમ, શરીફાબહેન સહિત ઘરઆંગણે જ્યોતિ ભટ્ટ, શિરીષ પંચાલ, રમણ સોની, ધ્રુવ મિસ્ત્રી સરીખાં જાણતલોની હાજરીથી ભોંયતળિયાનો એ ખંડ દીપી ઉઠ્યો હતો.

સુરેશ જોષીનું સાંનિધ્ય જેઓ પામ્યાં છે એવા ગુલામ મોહમ્મદ શેખે વક્તા અશોક વાજપેયીનો પરિચય આપતા જણાવ્યું કે, ‘ભારત ભવનની પરિકલ્પનાથી માંડીને હાલમાં ગાલિબ અને કબીરને જોડે કઈ રીતે મૂકી શકાય એ અંગે વિચારતા રહેતા અશોકજી સ્થૂળ વિગતો બહારનું વિરલ વ્યક્તિત્વ છે. તેઓએ ભારતભવન થકી જે અનેરું કામ ભોપાલમાં કરી બતાવ્યું એ ભારતનાં બાકીનાં રાજ્યોમાં પણ ફળીભૂત થતું હોત તો કેવું અદ્દભુત પરિદૃશ્ય રચાત!

અશોકજીએ વ્યાખ્યાનમાં જણાવ્યું કે, જે સમાજમાં લેખક સ્વતંત્ર ન હોય એ સમાજને સ્વતંત્ર ના કહી શકાય. મહાત્મા ગાંધીએ સ્વતંત્રતા આંદોલન દ્વારા વ્યક્તિગત સ્વતંત્રતાની અવધારણાને સામૂહિક સ્વતંત્રતાની સાથે જોડી આપી. પશ્ચિમમાં આધુનિકતા અને સ્વતંત્રતાની અવધારણા પણ પરસ્પર વિક્સી હોવાનું તેમનું તારણ હતું.

એમણે કહ્યું કે સ્વતંત્રતા એક એવી મૂડી છે કે જે ‘બીજા’ની સાથે વહેંચવાથી વધે છે. પરંતુ આપણે એવા ક્રૂર સમયમાં જીવીએ છીએ કે જ્યાં આ ‘બીજા’ને બીજા દરજ્જા પર ઉતારી પાડવાની જોહુકમી ચાલી રહી છે.

અશોકજીએ એક સનદી અધિકારી તરીકેની એમની સુદીર્ઘ કારકિર્દીના અનુભવોથી જણાવ્યું કે, બહુ જ જૂજ એવાં કોમી રમખાણો હોય છે જે ક્ષણિક ઉત્તેજનાથી શરૂ થતાં હોય છે. મોટા ભાગનાં તો પૂર્વયોજિત જ હોય છે. ધર્મ અને રાજકારણનું એક વિકૃતરૂપ અહીં દૃષ્ટિગોચર થાય છે. સત્તાની પગચંપી કરતું મીડિયા પણ એમાં આડકતરી રીતે ભાગીદારી કરતું જણાય છે. મીડિયામાં સાહિત્ય માટે જગ્યા સંકોચાતી જાય છે. સ્વતંત્રતાની રક્ષા કરતા સાહિત્યથી વેગળી દિશા એણે ઝાલી છે. જો કે, મીડિયાનો એક નાનકડો હિસ્સો આજે પણ સત્યને બોલવામાં અને અસહમત થવામાં સાહિત્યની પાસે છે. ટેક્નૉલોજીના દુરપયોગ સામે પણ વાજપેયીજીએ ચિંતા પ્રગટ કરી.

આપણા સમયમાં જે બની રહ્યું છે અને જે રીતે રહ્યું છે એની નોંધ લેવી એ આપણા સમયના સાહિત્યનો આપદ્દ ધર્મ છે. ઓક્તાવિયો પાઝને ટાંકીને એમણે કહ્યું કે પાઝે કવિતાને ‘બીજો ઇતિહાસ’ કહ્યો હતો. બહુ વિકટ સમયમાં પણ કવિ દેખતો, નોંધતો, પ્રશ્નો પૂછતો, શંકા કરતો રહે છે અને એ જ એની સ્વતંત્રતાનાં કામ છે.

સાહિત્યનાં સૌંદર્યબોધ અને સ્વતંત્રતાને જોડી આપીને એમણે એમના વક્તવ્યને વિરામ આપ્યો. વક્તવ્યની શરૂઆત એમણે ગાલિબના શેરોથી કરી હતી તો અંત એમણે સ્વરચિત ‘લિખો’ નામની કવિતાથી કર્યો. આ જ કવિતાની થોડીક પંક્તિઓ ગુજરાતી અનુવાદમાં :

લખ

કારણ, તારા મૃત્યુની સદીઓ પર્યંત
તારા વંશજો એ જાણી શકે કે
ભયાનક ઉન્માદના સમયમાં
એના એક વડવાએ યાદ રાખવાની,
નોંધવાની ને બોલવાની હામ ભીડી હતી.
લખ
કારણ, સર્વત્ર નાશ કરવાના
અપાર ઉત્સાહના સમયમાં
તેં કવિતા માટે સમય બચાવવાની દરકાર કરી
ભલે કવિતા તને ના બચાવી શકી

વ્યાખ્યાનના અંતે, પરિષદના ઉપપ્રમુખ પ્રફુલ્લ રાવલે ખૂબ જ માર્મિક રીતે આખી ઘટનાને મૂકી આપતાં એવો આશાવાદ પ્રગટ કર્યો હતો કે બદલાતા સમય વચ્ચે પણ આ વ્યાખ્યાનમાં ઉપસ્થિત કરાયેલા મુદ્દાઓ લાંબો વખત સંભારાતા ને ચર્ચાતા રહેશે – અને એ રીતે પડ જાગતું રહેશે. સમગ્ર આયોજનમાં સક્રિય ભૂમિકા ભજવનાર ભરત મહેતા છેલ્લી ઘડીએ નાદુરસ્ત તબિયતને કારણે હાજર ન રહી શક્યા એના વિશેષોલ્લેખ સાથે એમણે પીયૂષ ઠક્કરે કરેલા સુચારુ સંચાલન અંગે પણ આભાર ને આનંદની લાગણી પ્રગટ કરી હતી.

E-mail : mehul.41@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 મે 2022; પૃ. 15

Loading

3 May 2022 admin
← ગુજરાતી પત્રકારત્વની ગઈકાલ, આજ અને આવતીકાલ : રાજ ગોસ્વામીની મુલાકાત
લોકભારતીની વિશ્વભારતી બનવાની યાત્રા તરફનું પહેલું પગલું →

Search by

Opinion

  • સમાજવાદ, સામ્યવાદ અને સ્વરાજની સફર
  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Poetry

  • મહેંક
  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved