Opinion Magazine
Number of visits: 9448675
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

લાલ પરી

રમેશ ઓઝા|Opinion - Opinion|11 August 2024

રમેશ ઓઝા

એક જિંદગીની વાત હું મારી કૉલમમાં કહી ચૂક્યો છું, પણ બંગલાદેશનું નિમિત્ત છે અને એ જિંદગીને બંગલાદેશ સાથે સંબંધ છે એટલે ફરી એ વાત કહેવી અનુચિત નહીં ગણાય. આધુનિક ભારતના જાણીતા ઇતિહાસકાર વિલયમ ડેલરિમ્પલ(William Dalrymple)નું ‘Nine Lives: In Search of the Sacred in Modern India’ નામનું એક સુંદર પુસ્તક છે. આમ તો ભારતીય પ્રજા જ્યાં મોક્ષ મળે એવી પુણ્યભૂમિની અને પવિત્ર વ્યક્તિની ખોજ કરતી રહે છે, પણ એ સાથે એ વ્યક્તિનાં મૂળ અને કૂળ તરફ નજર કરવાનું ભૂલતો નથી. એ પુસ્તકમાં નવ વ્યક્તિઓ વિષે વાત કરવામાં આવી છે જેમની એક વ્યક્તિનું નામ છે; લાલ પરી.

લાલ પરી સિંધ પાકિસ્તાનમાં આવેલ લાલ શાહબાઝ કલંદરની દરગાહમાં રહેતી હતી. દમા દમ મસ્ત કલંદરવાળી કવ્વાલી તમે સાંભળી હશે. એમ કહેવાય છે કે જેના પર લાલ કલંદરની મહેર થાય એ ન્યાલ થઈ જાય. ખાસ કરીને માનસિક વ્યાધિ ધરાવનારા લોકો ત્યાં મન્નત માગવા આવે છે. સાંજ પડે એટલે લોકો ત્યાં થતી ધમાલમાં ભાગ લેવા જમા થવા લાગે. ધમાલનો શબ્દિક અર્થ લેવાનો નથી. ધમાલ એટલે મસ્તી. પોતાની જાતને ભૂલી જવી અને ઈશ્વર સાથે એકાકાર થઈ જવું. દસ્તૂર એવો કે સાંજે લાલ પરી આવીને ડ્રમ પર ઠેકો મારે અને ધમાલ શરૂ થાય. એ પોતે તો ગણતરીની મિનિટોમાં બીજી દુનિયામાં જતી રહે. બીજા લોકોને પણ એવો અનુભવ થવા લાગે. લોકોને લાલ પરિમાં સાક્ષાત લાલ કલંદરનાં દર્શન થવા લાગે. ઈશ્વરમાં એકાકાર થઈ ગયેલી એક તિતલી, એક પરી. એક પુણ્યભૂમિમાં એક પુણ્યાત્માની આંગળી પકડીને પુણ્ય ક્ષણનો અનુભવ અનેક લોકોએ કર્યો છે.

પણ એ બાઈને મૂળ અને કૂળ જોનારાઓએ ક્યારે ય સુખેથી જીવવા નહોતી દીધી.

લાલ પરીનો જન્મ ભારતમાં બિહારના, પણ બંગાળની સરહદે આવેલા એક ગામડામાં થયો હતો. જન્મે બિહારી, માતૃભાષા સ્થાનિક છાંટવાળી બિહારી અને ધર્મે મુસ્લિમ. બાપ પાસે થોડી જમીન હતી, ખેતી કરતો હતો અને બાળપણ બહુ સુખેથી વીતતું હતું, પણ એવામાં ભારતનું વિભાજન થયું. જે ગામમાં લાલ પરીનો પરિવાર રહેતો હતો એ ગામ ભારતમાં રહ્યું અને ગામની નદીના સામે કાંઠે પૂર્વ પાકિસ્તાન બન્યું. લાલ પરીના બાળમાનસમાં પ્રશ્ન થયો કે સામેનું ગામ અચાનક બીજો દેશ કેવી રીતે બની ગયો? એક સરખી ભૂમિ અને એક સરખા લોકો. એવું તે શું બન્યું કે એ બીજો દેશ બની ગયો! પણ એનો તેને બહુ જલદી જવાબ મળવાનો હતો. ગામના હિંદુઓએ લાગ જોઇને લાલ પરીનાં પરિવારને સતાવવાનું શરૂ કર્યું. બાપની હત્યા કરી, જમીન છીનવી લીધી અને પરિવારને પૂર્વ પાકિસ્તાનમાં ધકેલી દીધો. લાલ પરીને અને તેનાં પરિવારને નવેસરથી જિંદગી ગોઠવવાનું આવ્યું. આગળ જતાં લાલ પરીનાં લગ્ન થયાં, ફરીવાર જિંદગી ગોઠવાઈ ન ગોઠવાઈ અને પૂર્વ પાકિસ્તાનમાં આઝાદી માટેનું આંદોલન શરૂ થયું. ૧૯૭૧માં ભારતનાં વિભાજન વખતે હિંદુઓએ વેર વાળ્યું કારણ કે લાલ પરીનો પરિવાર મુસ્લિમ હતો અને ૧૯૭૧માં બંગાળી મુસલમાનોએ વેર વાળ્યું, કારણ કે લાલ પરીનો પરિવાર બિહારી હતો.

મુસ્લિમ હોવું એ પણ પાપ અને બિહારી હોવું એ પણ પાપ. માટે વિલિયમ ડેલરિમ્પલે કહ્યું છે કે ભારતની મોક્ષાર્થી પ્રજા મૂળ અને કૂળ જોવાનું ચૂકતી નથી. ખેર, લાલ પરીને ફરી ઉચાળા ભરવાનો વખત આવ્યો. બંગાળી મુસલમાનોએ લાલ પરીના બિહારી મુસલમાન પતિને મારી નાખ્યો. વાંક એટલો જ કે તે બંગાળી નહોતો અને જે બંગાળી ન હોય તેની દેશ પ્રત્યેની વફાદારી શંકાસ્પદ હતી. તેનાં પરિવારનાં બીજાં કેટલાંક લોકોની પણ હત્યા કરવામાં આવી. લાલ પરીને કહેવામાં આવ્યું કે જીવ વહાલો હોય તો બંગલાદેશ છોડીને જતી રહે. પરાણે ઉખેડી નાખવામાં આવેલા બિહારી મુસલમાનો ભરતમાં પાછા આવી શકે એમ નહોતા, કારણ કે તે “વિદેશી” હતા. વિદેશીમાં પણ મુસલમાન અને એ પણ પાકિસ્તાની. લાલ પરી રાતનાં અંધારામાં ચાલીને છૂપાતા છૂપાતા ભારતની ભૂમિમાંથી થઈને પાકિસ્તાન પહોંચી. સંસારમાં રસ તો બાળપણથી જ નહોતો, હવે ઈશ્વરભીરુ સમાજની નિર્દયતા જોઇને જરા ય ન રહ્યો.

પાકિસ્તાનમાં કોઈ ઓળખીતું નહોતું. એ જમીન સાવ અજાણી હતી. હવા પાણી અને વનરાજી અજાણ્યાં હતાં. ભાષા, પહેરવેશ, રીતિરિવાજ બધું જ અજાણ્યું હતું; પણ હવે એ તેની ભૂમિ હતી કારણ કે તે પાકિસ્તાનની હતી. નાગરિકત્વનો સ્ટેમ્પ તેનાં મૂળ અને મૂળનાં પરિવેશ કરતાં પ્રબળ હતો. જો કે નાગરિકત્વનો સ્ટેમ્પ પ્રબળ તો હતો, પણ અંતિમ નહોતો. એમ તો એ થોડાં સમય પહેલાં સત્તાવાર રીતે પાકિસ્તાની મુસ્લિમ હતી, પણ એ ઓળખ ક્યાં કામમાં આવી હતી. શી ખબર આવતીકાલે મૂળ અને કૂળ શોધનારાઓ શોધી કાઢે કે આ બાઈ મૂળમાં ભારતીય મુસ્લિમ (મોહાજીર) છે, પાછી બંગલાદેશથી આવી છે એટલે ભરોસાપાત્ર નથી. જે અલ્લાહની જગ્યાએ ખુદા બોલે તેનું મુસ્લિમપણું જો શંકાસ્પદ ગણાતું હોય અને તેને અધૂરો મુસલમાન માનીને તિરસ્કાર કરવામાં આવતો હોય તો આ તો સાવ નોખી.

લાલ પરીની જિંદગી ઓળખના આધારે કરવામાં આવેલી સતામણીની દાસ્તાન છે. હવે ઉંમર થઈ ગઈ હતી અને પરિવારમાં પોતાનું કહી શકાય એવું કોઈ બચ્યું પણ નહોતું એટલે લાલ પરી લાલ કલંદરની દરગાહમાં શાહબાઝનાં ચરણોમાં બાકીની જિંદગી વિતાવવા જતી રહે છે. ગણવા બેસો તો જિંદગીએ દુશ્મનો તો ઘણાં આપ્યાં હતાં, પણ લાલ પરી હવે પ્રેમના પંથે નીકળી પડી હતી. ડ્રમ પર ઠેકો મારે અને ટ્રાન્સમાં જતી રહે. એ ગદગદ કરી મૂકે એવું દૃશ્ય જેણે જોયું છે એ લોકો પોતાને ધન્ય માને છે.

માટે બીજાનાં મૂળ અને કૂળ જોનારાઓને, બીજાના દેશપ્રેમને અને વફાદારીને ત્રાજવે તોળનારાઓને, બીજાનાં ઘરમાં ડોકિયાં કરનારાઓને મારી હાથ જોડીને વિનંતી છે કે આ ધંધો બંધ કરો. તમે આમ કરીને ઈશ્વરના ગુનેગાર બની રહ્યા છો.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 11 ઑગસ્ટ 2024

Loading

11 August 2024 Vipool Kalyani
← ચલ મન મુંબઈ નગરી—260
બાંગ્લાદેશના હાલ બેહાલઃ  કેન્દ્ર સરકાર માટેના પડકારો અને બોધપાઠની યાદી વધુ અઘરી બની →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved