Opinion Magazine
Number of visits: 9487031
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કુનેહ અને માણસાઈનો સમન્વય એટલે રતન ટાટા

રમેશ ઓઝા|Opinion - Opinion|13 October 2024

જહાંગીર રતનજી દોરાબજી ટાટા

રતન ટાટાના પુરોગામી જે.આર.ડી. (જહાંગીર રતનજી દોરાબજી) ટાટા વધારે નહીં તો, રતન ટાટા જેટલા જ વિલક્ષણ પ્રતિભાપુરુષ હતા, જેટલા રતન ટાટા હતા, પરંતુ તેઓ ગુજરી ગયા ત્યારે તેમનો એટલો મહિમા નહોતો કરવામાં નહોતો આવ્યો જેટલો રતન ટાટાનો કરવામાં આવ્યો છે. એવી ભવ્ય અંજલિઓ આપવામાં નહોતી આપવામાં આવી અને એટલી ભવ્ય વિદાય આપવામાં નહોતી આવી જેટલી રતન ટાટાને આપવામાં આવી છે. મારી દૃષ્ટિએ તો જે.આર.ડી. પોતાનાં યુગ કરતાં ઘણાં આગળ હતા. તેમણે ટાટા જૂથને નવી ઊંચાઈ આપી હતી, ભારતીય ઉદ્યોગનું સંચાલન પરિવારો દ્વારા થતું હતું અને આખી ઔદ્યોગિક સંસ્કૃતિ પેઢીગ્રસ્ત હતી ત્યારે જે.આર.ડી.એ ઉદ્યોગસંચાલનમાં પ્રોફેશનાલિઝમ દાખલ કર્યું હતું અને મેરીટ તેમ જ ટેલેન્ટની કદર કરતાં શીખવાડ્યું હતું. આ સિવાય તેઓ મુખર હતા. અનેક સામાજિક પ્રશ્નો વિષે ગભરાયા વિના શાસકોને કે સ્થાપિત હિતોને ન ફાવે એવી ભૂમિકા લેતા.

પણ જે.આર.ડી.નો એટલો મહિમા નહોતો કરવામાં આવ્યો જેટલો રતન ટાટાનો કરવામાં આવ્યો અને એવી ભવ્ય વિદાય આપવામાં નહોતી આવી જેટલી રતન ટાટાને આપવામાં આવી. આનું કારણ સમકાલીન સમયના સંદર્ભો છે. આપણે ચીતરી ચડે અને ઉબકો આવે એવી શ્રીમંતાઈના યુગમાં જીવીએ છીએ. કયા શબ્દોમાં આજની શ્રીમંતાઈને ઓળખાવવી? ભદ્દી, અશ્લીલ, બેજવાબદાર, નીંભર, અસંસ્કારી એમ જે શબ્દ કે શબ્દ સમૂહ વાપરો એ ઓછા પડે છે. હજુ મહિના પહેલા જ આપણે આવી શ્રીમંતાઇનાં દર્શન કર્યા. રાજ્ય, ધર્મ અને મહાજન (સમાજનાં જે તે ક્ષેત્રમાં કોઈ સ્થાન ધરાવનારાઓ, આજની પ્રચલિત ભાષામાં સેલેબ્રિટીઝ) એમ એ ત્રણેય સંસ્થાના લોકો શેઠજીનાં ચરણોમાં બેઠા હતાં. છોકરાના વિવાહ પાછળ અબજો રૂપિયાનો ધુમાડો કરવામાં આવ્યો હતો અને એમાં હમણાં કહ્યા એવા ત્રણેય સંસ્થાના લોકો માથે પેટ્રોમેક્સ લઈને આગળ ચાલતા હતા.

કાવ્યશાસ્ત્રમાં જુગુપ્સાને પણ રસ કહ્યો છે. શેઠજીને, શેઠજીના વૈભવનાં પ્રદર્શનોને અને માથે પેટ્રોમેક્સ લઈને આગળ ચાલનારા કહેવાતા મોટા લોકોને જોઇને લોકો જુપ્સાનો અનુભવ કરતા હતા. ભાવક(લોકો)ને જ્યારે એક રસાનુભવ થતો હોય ત્યારે તેના મનમાં જે રસનો અભાવ છે એ રસની આપોઆપ નિષ્પત્તિ થતી હોય છે. બાય ધ વે, અહીં એક વાત જણાવી દઉં કે ઈરાનમાં ૧૯૭૯માં ઇસ્લામિક ક્રાંતિ થઈ એનું એક કારણ ઈરાનના રાજાનાં વૈભવનું અભદ્ર પ્રદર્શન હતું. એ શેઠજી નહોતા, રાજા હતા અને રાજાએ જ્યારે પુત્રનાં વિવાહ કર્યા અને જે રીતે ખર્ચો કર્યો તેણે લોકોને ક્ષુબ્ધ કર્યા. બાકી મુલ્લાઓ તો પહેલાં પણ ઇસ્લામની અને સાચા મુસલમાનનાં લક્ષણોની વાત કરતા હતા.

રતન ટાટા

રતન ટાટાને જે.આર.ડી. કરતાં પણ વધુ મહાન અંજલિઓ અને સામાન્ય લોકોની ઉપસ્થિતિવાળી ભવ્ય વિદાય મળી એનું કારણ હજુ મહિના પહેલા જુગુપ્સા રસે પેદા કરેલો સાત્વિક રસ હતો. એવો પણ આપણી વચ્ચે એક શ્રીમત હતો જે લગભગ આપણી જેમ જીવતો હતો. એવો પણ એક શ્રીમંત હતો જે ક્યારે ય પેટ ન ભરાય એવો ભૂખાળવો નહોતો, પણ ખાતાં પહેલાં કોઈને ખવડાવતો હતો. આપણી વચ્ચે કોઈ એક એવો શ્રીમંત હતો જે આપણી જેમ અનાજ ખાતો, પૈસાની નોટ નહોતો ખાતો. આપણી વચ્ચે એવો પણ એક શ્રીમંત હતો જે માનવીય મર્યાદાઓ જાળવવામાં માનતો હતો. દરેકનું મૂલ પૈસાથી નહોતો કરતો. આપણી વચ્ચે એક એવો શ્રીમંત હતો જે શાસકો, ધર્મગુરુઓ અને ઐશ્વર્યવાનોને માથે પેટ્રોમેક્સ મૂકીને પોતે તેમનાં કરતાં પણ વધારે શક્તિશાળી છે એવા નાશામાં નહોતો જીવતો. આપણી વચ્ચ એવો એક શ્રીમંત હતો જે પાળેલાં પ્રાણી અને અંગત સેવા કરનારા નોકરો સાથે પિતાની સમાન વહેવાર કરતો હતો. અને આપણી વચ્ચે એવો એક શ્રીમંત હતો જે સમાજ પાસેથી મળેલું સમાજને પાછું આપવામાં માનતો હતો.

જે રીતે રતન ટાટા જીવ્યા એ ટાટા પરિવાર માટે કોઈ નવી વાત નથી. ટાટા પરિવારની આ ખાનદાની જીવનશૈલી છે. સર રતન ટાટાએ ૧૯૦૯-૧૦ની સાલમાં ૨૫ હજાર રૂપિયા ગાંધીજીને દક્ષિણ આફ્રિકા મોકલ્યા હતા. એ જમાનામાં એ ઘણી મોટી રકમ હતી. ટાટાઓની પ્રજાકલ્યાણની સાર્થક સખાવતનો કોઈ જોટો નથી. ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફન્ડામેન્ટલ રિસર્ચ, ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશ્યલ સ્ટડીઝ, ટાટા કેન્સર રિસર્ચ અને હોસ્પિટલ વગેરે સખાવતોનો દેશ પર મોટો ઉપકાર છે. ટાટાઓએ રાષ્ટ્રઘડતરમાં બહુમૂલ્ય યોગદાન આપ્યું છે. માત્ર પૈસા કમાયા નથી, ખર્ચ્યા પણ છે. અને ઉપરથી અંગત જીવનમાં સાદગી. આ બધું જ રતન ટાટાના પુરોગામીઓ કરતા આવ્યા છે. લોકોએ રતન ટાટાને ભવ્ય અંજલિ આપીને વલ્ગર કેપિટાલીઝમના યુગમાં સંયમ, સાદગી અને સરોકારનો મહિમા કર્યો છે.

આ એક પક્ષ થયો. બીજો પક્ષ એ છે કે રતન ટાટાએ એ સમયે ટાટાજૂથનું સુકાન સંભાળ્યું હતું જ્યારે ભારતમાં આર્થિક સુધારા કરવામાં આવ્યા હતા. દેશે મિશ્ર અર્થતંત્ર આધારિત સમાજવાદનો માર્ગ અપનાવ્યો હતો. એ પછી પ્રમાણમાં નિયંત્રિત મૂડીવાદનો માર્ગ અપનાવ્યો અને ગઈ સદીના છેલ્લા દશકમાં મુક્ત અર્થતંત્રનો માર્ગ અપનાવ્યો હતો. હવે એક બાજુએ સરકારી અંકુશથી મુક્તિ મળવાની હતી તો વિદેશી ધનપતિઓની પ્રચંડ મૂડી સામે સરકારી રક્ષા પણ મળવાની નહોતી. તમારી તાકાતે તમે તમારી જગ્યા બચાવો અને બનાવો. રતન ટાટાએ જગ્યા બચાવી તો ખરી જ પણ હતી તેના કરતાં વધારે મોટી જગ્યા બનાવી. સ્થૂળ સ્વરૂપમાં મૂલ્યો સાથે સમાધાનો કર્યા વિના. શાસકોને ખરીદ્યા વિના અને શાસકોના આંગળિયાત બન્યા વિના. ક્રોની કેપિટાલીસ્ટની યાદીમાં ટાટાનું નામ નથી લેવામાં આવતું. રતન ટાટાએ ટાટાજૂથને બહુરાષ્ટ્રીય કંપની બનાવી.

તેમણે જ્યારે ટાટાજૂથની અને તેની કંપનીઓની પુન: રચના કરી એ એ સમયે તેમના માટે મોટો પડકાર હતો. રૂસી મોદી, દરબારી સેઠ, એસ. મૂળગાંવકર, અજીત કેલકર જેવા ઉંમરમાં મોટા અને ટાટાજૂથની પોતાનાં સંચાલન હેઠળની કંપનીને નવી ઊંચાઈ અપાવનારા જાયન્ટ હતા. પણ એ હતા વીતી રહેલા યુગના અને યુગ બદલાઈ રહ્યો હતો. રતન ટાટાએ એ બધા જાયન્ટોને આદરપૂર્વક પણ તેમની નારાજગી વ્હોરીને નિવૃત્ત કર્યા. ઇતિહાસ અને વારસાનાં નામે લાગણીશીલ થયા વિના એમ્પ્રેસ મિલ જેવી કંપનીઓને સંકેલી લીધી. મેનજમેન્ટમાં હજુ વધુ પ્રમાણમાં પ્રોફેશનલોને દાખલ કર્યા.

ટૂંકમાં કુનેહ અને માણસાઈ એમ બન્ને ચીજનો તેમનામાં સમન્વય હતો.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 13 ઑક્ટોબર 2024

Loading

13 October 2024 Vipool Kalyani
← ચલ મન મુંબઈ નગરી — 268
રતન ટાટાઃ  વૈશ્વિક પ્રગતિના ધ્યેય સાથે બિઝનેસ થાય, જિંદગી કરુણા અને સેવા થકી જીવાય →

Search by

Opinion

  • તાલિબાની સરકારના વિદેશ પ્રધાન ભારતની મુલાકાત લે એમાં આશ્ચર્ય ન થવું જોઈએ
  • ચલ મન મુંબઈ નગરી—311
  • વિજયી ભવઃ
  • સામાજિક ભેદભાવની સ્વીકૃતિનાં ઊંડાં મૂળ 
  • સત્તાનું કોકટેલ : સમાજ પર કોણ અડ્ડો જમાવીને બેઠું છે? 

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ
  • आइए, गांधी से मिलते हैं !  
  • પહેલવહેલું ગાંધીકાવ્ય : મનમોહન ગાંધીજીને
  • સપ્ટેમ્બર 1932થી સપ્ટેમ્બર 1947… અને ગાંધી
  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 

Poetry

  • પિયા ઓ પિયા
  • પાંચ ગીત
  • હાજર છે દરેક સ્થળે એક ગાઝા, એક નેતન્યાહુ?
  • ચાર ગઝલ
  • નટવર ગાંધીને (જન્મદિને )

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved