Opinion Magazine
Number of visits: 9446358
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કોઈ પણ જીતે, હારે છે તો પ્રજા જ !

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion, Samantar Gujarat - Samantar|21 November 2022

ચૂંટણી જોર પર છે. પ્રજા અને પ્રધાનો એકબીજાને પટાવવામાં / પતાવવામાં પડ્યાં છે. સભાઓ થાય છે, રોડ શો થાય છે ને પક્ષોને લાગે છે કે પ્રજા પોતાની સાથે છે એટલે જીત તો પોતાની જ છે, પણ પ્રધાનો જેટલી, પ્રજા બોલકી નથી. તે વધારે અકળ છે. કોઇની પણ સભામાં તે તાળીઓ પાડવા પહોંચી તો જાય છે, પણ મત તો ‘ગમે તેને’ જ આપે છે. ગુજરાતમાં 27 વર્ષથી ભા.જ.પ.ની સરકાર છે. એ જોર પર પ્રદેશ પ્રમુખે 182માંથી 182 સીટ ભા.જ.પ.ને મળવાની આગાહી કરી છે, પણ નાનું છોકરું ય ન વિચારે એવું ભા.જ.પ.ના નેતાઓ જાહેરમાં બોલે છે ત્યારે આશ્ચર્ય નથી થતું, રમૂજ થાય છે. 182 સીટ મળે કે ન મળે, પણ ભા.જ.પ.ની સરકાર ન જ બને એવું પણ નથી. તે એટલે કે પ્રજાને ભા.જ.પ.ની ભક્તિ ફળે તેવો ભરોસો છે. એક વાત તો છે કે રામ મંદિર અને 370મી કલમની નાબૂદી બાબતે ભા.જ.પે. રાષ્ટ્રમાં અને પાણી-વીજળીની બાબતે ગુજરાતમાં, પ્રજાને રાહતનો અનુભવ કરાવ્યો છે. એ જ કારણ છે કે પ્રજા મોંઘવારીની બાબતે આંખ આડા કાન કરી લે છે. આજે ઘણાં એવાં છે, જેમનું કોઈ પક્ષ પૂરું કરતો નથી, પણ પ્રજાની વફાદારી ઘટતી નથી. એ આંખ મીંચીને મત આપી આવે છે ને પછી અનેક મુશ્કેલીઓ માટે તૈયાર પણ રહે છે. ભક્તિ અને આરતી ભલે ભક્તો કરે, પણ પક્ષમાં અને પ્રજામાં, એક નાનો વર્ગ રાજી નથી તેનો ભા.જ.પે. વિચાર કરવાનો રહે જ છે. કેટલાંક ક્ષેત્રોમાં કામ નથી થયાં, તેનો અસંતોષ પ્રજાએ પોતાનાં વિસ્તારમાં મત ન માંગવા આવવાનું કહીને પ્રગટ કર્યો છે. મોંઘવારી, બેકારીથી ત્રાસનાર વર્ગ પણ નથી એવું નથી. બોટાદનો લઠ્ઠાકાંડ ને મોરબીનો ઝૂલતો પુલ ભુલાયો નથી. એની અસર ચૂંટણીમાં વર્તાય તો નવાઈ નહીં. સરકારનાં પ્રોજેક્ટ્સ ભલે અર્પણ થાય, વિશ્વમાં વડા પ્રધાન ભારતનું નામ ભલે ઊજળું કરે, પણ દીવા નીચે અંધારું છે ને તે નજર અંદાજ કરી શકાય એવું નથી તે સ્વયં સ્પષ્ટ છે.

ભા.જ.પ.ની સરકાર ન જ બનવી જોઈએ એવું કહેવાનું નથી, પણ ભા.જ.પ.ની સરકાર આડે જે વિઘ્નો છે તે તરફ નજર નાખવાની રહે. આ વખતે વિધાનસભામાં ભા.જ.પ.ની સીટો ઘટે એમ લાગે છે. એમ લાગવાનાં કારણો છે. ભા.જ.પ.નો નો-રિપીટ થિયરીનો વહેમ નડે એમ છે. એક તો 2021માં કોઈ મોટાં કારણ વિના રૂપાણીની સરકાર ઘરભેગી કરાઇ તે ઘણાંને અકળ લાગ્યું છે. એ ખરું કે કોરોના વખતે સરકાર નિષ્ફળ રહી, પણ એમ તો દેશ આખામાં ક્યાંક કેન્દ્ર સરકાર પણ નિષ્ફળ હતી ! વળી પ્રજાની એવી કોઈ તીવ્ર માંગ પણ ન હતી કે બધું થાળે પડવા આવેલું હોય ત્યારે જ સરકાર બદલવી પડે. પ્રજા સરકાર બદલે, એ સમજાય, આ તો સરકારે જ સરકાર બદલી, એ તો ઠીક, પણ વિજય રૂપાણી અને નીતિન પટેલ અને અન્યોની પાસે ચૂંટણી ન લડવાનું લખાવી / લખાવડાવીને જે ખેલ ચૂંટણી ટાણે પડાયો તે પણ પ્રજાએ જોયો છે. આ બધું કેવી રીતે ભા.જ.પી. હાઇકમાંડને પોતાની ફેવરમાં લાગે છે તે સમજવાનું મુશ્કેલ છે.

એ પણ છે કે 2017 સુધી ગુજરાતમાં ચૂંટણી મુખ્યત્વે ભા.જ.પ. અને કાઁગ્રેસ વચ્ચે જ લડાતી રહી છે, પણ 2022ની ચૂંટણીમાં બીજાં બે પરિબળો ઉમેરાયાં છે. એક તો આપ પાર્ટી પૂરી તાકાતથી મેદાનમાં છે. આપના સર્વેસર્વા અને દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ 300 યુનિટ વીજળી મફત આપવાનો વાયદો કરીને  ગયા છે. આપના જ મુખ્ય મંત્રી ગુજરાતમાં બનવાના હોય તેમ ઇસુદાન ગઢવીને આગળ કરાયા છે, તો સૂરતમાં ગોપાલ ઇટાલિયા પણ આપનું ઝાડું ફેરવીને પોતાની જગ્યા બનાવી રહ્યા છે. વળી રાજસ્થાનના મુખ્ય મંત્રી ગેહલોત સિવાય કાઁગ્રેસને ગુજરાતમાં જીતાડવાનો કોઈ કાઁગ્રેસી નેતાને રસ લાગતો નથી. એ ભા.જ.પ.ની નહીં, પણ આપની ફેવરમાં જાય છે. રાહુલ ગાંધીનું ‘ભારત જોડો’માં છે એટલું ધ્યાન ગુજરાતમાં નથી. જો કે, ગુજરાતના કાઁગ્રેસ પ્રભારી રઘુ શર્માએ જણાવ્યું છે કે રાહુલ ગાંધી આજે રાજકોટમાં અને સુરતમાં જનસભાઓ સંબોધવાના છે. એનાથી કેટલોક ફેર પડશે તે વિચારવાનું રહે. વળી રાજીવ ગાંધીના હત્યારાઓને છોડવાનું સહાનુભૂતિમાં ફેરવાય એવું કદાચ કાઁગ્રેસને હોય, તો પણ એનો લાભ ભા.જ.પ.ને કદાચ વધુ મળે એમ છે. અત્યાર સુધી હિમાચલ પ્રદેશ કે ગુજરાતમાં રાહુલ ગાંધીએ ચૂંટણી પ્રચાર ક્યાં કારણોસર નથી કર્યો એ સમજવાનું અઘરું છે.

આમ તો ચૂંટણીઓમાં અપક્ષ ઉમેદવારોનું સરકારમાં ઝાઝું ઉપજતું હોતું નથી, પણ આ વખતે અપક્ષ ઉમેવારોનો ચૂંટણીમાં પડઘો પડે એમ લાગે છે. એક બાબત સ્પષ્ટ છે કે પક્ષ માટે ગમે એટલું કામ કર્યું હોય તો પણ, બધાંને ચૂંટણીમાં ટિકિટ આપી શકાતી નથી. 182 સીટ માટે 4,100ની યાદી હતી. સક્ષમ હોય તો પણ એ બધાંને ચૂંટણી લડાવવાનું શક્ય નથી. ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી સહિત અન્ય મંત્રીઓની ટિકિટો પણ કપાઈ હોય ત્યારે બધાં ટિકિટનો આગ્રહ રાખે એ બરાબર નથી. ગમે કે ન ગમે, પણ સિનિયર્સે પક્ષની વફાદારી છોડી નથી એ નોંધનીય છે. આવી વફાદારી બધાં દાખવે એમ બનતું નથી. પ્રજાની પક્ષ પ્રત્યેની વફાદારી છે એટલી, પક્ષના કાર્યકરોની પક્ષ માટે ન હોય એ દુ:ખદ છે. ચૂંટણી આવે ને ટિકિટ ન મળે તો એકમાંથી બીજા પક્ષમાં આવનજાવન શરૂ થઈ જાય છે, ત્યારે એટલું તો પુરવાર થઈ જાય છે કે આવા સભ્યોને પક્ષ કરતાં પોતાનું મહત્ત્વ વધારે છે ને પક્ષમાં જે સમજથી જોડાવાનું બનેલું તે સમજ ટિકિટ ન મળતાં, રાતોરાત બદલાઈ જાય છે ને બીજી તરફ જેના સિદ્ધાંતોનો વિરોધ હતો એ જ પક્ષનો સિદ્ધાંત આદર્શ હોય તેમ એ તરફ દોટ મુકાય છે. અહીં પણ સિદ્ધાંત કરતાં પદની લાલચ જ કેન્દ્રમાં હોય છે, એટલે એમાં વફાદારી સિવાય બધું જ હોય એમ બનવાનું.

કમનસીબે આવા પક્ષપલટુઓ બધા જ પક્ષમાંથી મળી રહે એમ છે, પણ આ વખતે ભા.જ.પ.ના જ અસંતુષ્ટો આંખે ઊડીને વળગે એવા છે. પ્રદેશ પ્રમુખે સમજાવી જોયા છે, પણ જૂનાગઢથી તે વડોદરા ને બાયડ સુધીના સાતેક અસંતુષ્ટો એવા નીકળ્યા છે જેમણે ભા.જ.પ.ની સામે પડીને અપક્ષ તરીકે ચૂંટણી લડવાનું નક્કી કર્યું છે. ભા.જ.પે. આ સભ્યોને સસ્પેન્ડ કર્યાં છે. નાંદોદના હર્ષદ વસાવા, કેશોદના અરવિંદ લાડાણી, વાઘોડિયાના મધુ શ્રીવાસ્તવ, પાદરાના દિનેશ પટેલ (દિનુ મામા), બાયડના ધવલસિંહ ઝાલા, મહીસાગરના જયપ્રકાશ પટેલ અને ધાનેરાના માવજી દેસાઇએ ભા.જ.પ. સાથેની વફાદારી છોડી અપક્ષ ચૂંટણી લડવા ઉમેદવારી કરી છે. એ જીતશે કે કેમ તે તો સમય નક્કી કરશે, પણ ભા.જ.પ.ની સામે ટક્કર લઈ શકાશે એવો વિશ્વાસ, જે તે સભ્યને મજબૂત કરતો હોય તો પણ, પક્ષની પ્રતિષ્ઠા અને ક્ષમતાને તો દાવ પર લગાવે જ છે. ભા.જ.પ.ના જ મધુ શ્રીવાસ્તવ 1995થી વાઘોડિયા વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય છે. કદાચ રિપીટ ન કરવાની નીતિને કારણે તેમને ટિકિટ ન મળી ને એમણે વિરોધમાં સ્વતંત્ર રીતે ચૂંટણી લડવાનું સ્વીકાર્યું. એવું જ અન્ય કિસ્સાઓમાં પણ ખરું, પણ ભા.જ.પ. પોતાની નીતિને વળગી ન રહે તો પણ અસંતોષ વધે છે. જેમ કે 75થી વધુ વયનો ઉમેદવાર ન જોઈએ એવું નક્કી કર્યાં પછી, વડોદરાની માંજલપુર બેઠક પરથી ચૂંટણી લડવા 76 વર્ષનાં યોગેશ પટેલને ટિકિટ આપે તો તેની ચર્ચા ઊઠે જ ! ટિકિટ ન આપી હોત, તો યોગેશ પટેલ અપક્ષ ચૂંટણી લડે એવી શંકા ભા.જ.પ.ને હતી. એ સ્થિતિ ટાળવા અપવાદ કરાયો. આવો અપવાદ વાઘોડિયાની સીટ પર મધુ શ્રીવાસ્તવ જેવા સિનિયર નેતાને માટે પણ થઈ શક્યો હોત, પણ એમ ન થયું. આવી બાબતો પક્ષ પરનો વિશ્વાસ ઘટાડે છે.

એમ લાગે છે કે ભા.જ.પ. માટે આ વખતે મુશ્કેલીઓ વધી છે. કેજરીવાલનો પ્રભાવ વધ્યો છે. કાઁગ્રેસને મળનારા મત ભા.જ.પ.ને બદલે આપને મળે એમ બને. સુરતમાં કોર્પોરેશનની છેલ્લી ચૂંટણીમાં કાઁગ્રેસને મળનારા મતો આપને જ મળ્યા હતા ને એક બે નહીં, 27 સીટ આપને ફળી હતી. ભા.જ.પ.ના જ નીવડેલા સભ્યો બળવો કરીને અપક્ષ ચૂંટણી લડે ત્યારે, ભા.જ.પ.ના, તેમની સાથે સમર્થનમાં હતા તેવા હજારો સભ્યો અપક્ષનો સાથ આપવાના. એ સ્થિતિમાં ભા.જ.પ.ના સમર્થકો ઘટે છે એ ચિંતા કરવાની રહે. એ તો સમજ્યા, પણ મતદારો બહુ સમજી-વિચારીને મત આપે એ જરૂરી છે. કારણ એને પાંચ વર્ષે મળનારી એક તક ધારાસભ્યને તો પાંચ વર્ષ સુધી અનેક તકો પૂરી પાડે છે, એટલે એને મળનારી એક તકનો કોઈ પાંચ વર્ષ સુધી દુરુપયોગ ન કરે એટલી કાળજી તો મતદાતાએ લેવાની રહે જ છે…

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 21 નવેમ્બર 2022

Loading

21 November 2022 Vipool Kalyani
← સાહિત્યકારણી ચૂંટણી વિશે —
આધા ગાંવ : ગંગોલીની ગંગાને ગુજરાતીમાં ઉતારવાનો પ્રયાસ →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved