Opinion Magazine
Number of visits: 9446258
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ખોટી રકમના દાખલાનો સાચો જવાબઃ કોમી હિંસા અને ધ્રુવીકરણ નહીં વહીવટ અને આર્થિક સમાનતાને અગ્રિમતા 

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|6 August 2023

હિંદુ હિતને સાચવવા માટે કોમી ધ્રુવીકરણ કરવું જરૂરી નથી, કાયદાકીય અને સામાજિક પગલાં લેવાય તો પણ એ તો થઇ જ શકે છે.

ચિરંતના ભટ્ટ

મણિપુરમાં ચાલી રહેલી અરાજકતાને ત્રણ મહિના થયા છે અને હવે ભારતીય જનતા પાર્ટીનું જ્યાં શાસન છે તેવું બીજું રાજ્ય ભડકે બળી રહ્યું છે. પાટનગરની નજીક, વળી એવા શહેરની પણ નજીક જ્યાં મોટામસ કોર્પોરેટ્ જાયન્ટ્સ છે ત્યાં આ રમખાણો થઇ રહ્યાં છે. હરિયાણાનો નૂહ જિલ્લો જે મેવાત તરીકે પણ ઓળખાય છે, તેમાં થયેલી હિંસાની આગ ગુડગાંવ સુધી પહોંચી છે. આ જે પણ થઇ રહ્યું છે તે રાજકીય છે એ વાત પણ હવે નવી નથી રહી, કોમી રમખાણો હંમેશાં રાજકીય કારણોસર જ થતાં આવ્યાં છે અને આજે પણ એમ જ થાય છે. કઠે એવી બાબત એ છે કે અત્યારે જ થઇ રહ્યું છે તે કેન્દ્ર સરકારની નજીક, જ્યાં તેમનું શાસન રાજકીય સ્તરે પણ છે ત્યાં થઇ રહ્યું છે. આ રમખાણોમાં વિરોધ પક્ષનો હાથ છે એવું કહેનારા, આ બધું જ ચૂંટણી લક્ષી છે વગેરે દોષારોપણનો ખેલ તો આ બધી દુર્ઘટનાઓની સમાંતર ચાલતો જ રહે છે. ધ્રુવીકરણ એ રાજકારણનું બીજું નામ છે એમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી. આપણા દેશની વિવિધતાનો હાથા તરીકે ઉપયોગ કરીને તેની એકતાનો ભંગ થઈ રહ્યો છે, થતો આવ્યો છે.

અહીં મુદ્દો એ નથી કે કાઁગ્રેસ કે ભા.જ.પા.માંથી કોનો વાંક કાઢવો અને કેટલો કાઢવો પણ મુદ્દો એ છે કે શાસક પક્ષ તરીકે ભા.જ.પા.એ કાયદો અને વ્યવસ્થા જાળવવાને મામલે વધારે જવાબદાર વર્તન કરવાની જરૂર છે. જ્યાં અરાજકતા ફેલાય ત્યાં 144ની કલમ લાગુ કરી દેવાથી અને ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવાથી ઉકેલ નથી આવવાનો. શાસક પક્ષ તરીકે ભા.જ.પા.એ એ ગણતરી રાખવી જ પડે કે જો કોમી રમખાણો ધાર્યા કરતાં વધારે ફેલાય તો કઈ દિશામાં જઈ શકે છે, અને તે રોકવા શું કરવું જોઇએ. વળી એક વાર તણખામાંથી ભડકો થાય તો એને બને એટલો જલદી ઠારી દેવા માટે કાયદો અને વ્યવસ્થાની દૃષ્ટિએ જે થવું જોઇએ એની સૂઝ, સજ્જતા બન્ને હોવા જરૂરી છે. ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવાથી કે આમ જનતા – જે રમખાણોમાં રહેંસાય છે તેમની પર મર્યાદાઓ નાખવાથી જે ખેપાનીઓ છે એ અટકવાના તો નથી જ. મણિપુરમાં જે થઇ રહ્યું છે તેને ત્રણ મહિના થયા અને એનો ઉકેલ હાથવગો છે એવું માનવાનું કોઇ કારણ નથી. હરિયાણાના નુહમાં જે થયું છે તે સમયસર કાબૂમાં આવે એ ભા.જ.પા.ની રાજકીય છબી માટે પણ જરૂરી છે.

ભા.જ.પા. માટે આ ઊંચે બંધાયેલા દોરડા પર ચાલવા જેવી સ્થિતિ છે કારણ કે સંઘ પરિવાર સાથે બગાડાય એમ નથી. વળી હિંદી પટ્ટાના ત્રણ રાજ્યોમાં ચૂંટણી માથે છે અને આવતા વર્ષે એપ્રિલ-મેમાં લોકસભાની ચૂંટણી છે. આ બધું માથે હોય ત્યારે ધ્રુવીકરણનો રાવણ ધૂણે, કોમી હિંસા થાય એ ભા.જ.પા.ને ન પોસાય કારણ કે તેની સીધી અસર અર્થતંત્ર પર પણ પડે છે. વળી હરિયાણાનો નૂહ જિલ્લો જે અચાનક જ લોકજીભે ચઢી ગયો છે, ત્યાં આસપાસાના કોર્પોરેટ ઑફિસિઝ ધરાવતાં શહેરો જેવી નોકરીઓ કે સવલતો નથી જ. સાવ કલાકના અંતરે આવેલાં બે સ્થળો વચ્ચે આર્થિક દૃષ્ટિએ આટલો બધો ભેદ હોય ત્યારે તે બન્ને સ્થળોના પ્રશ્નો પણ સાવ જુદા હોય. ગુરુગ્રામ કેન્દ્ર સરકારના આર્થિક સમીકરણોની નજીક છે, ભૌગોલિક રીતે પણ અને ભા.જ.પા. પણ સારી પેઠે જાણે છે કે કોમી હિંસાને જો લાંબી ચાલી જશે તો બધું થાળે પાડતા નાકે દમ આવશે. વળી સાહેબને તો 2002નો અનુભવ પણ છે.

ભા.જ.પા. જો ભારતની સૌથી મોટી રાજકીય પાર્ટી હોય તો તેણે કાયદો અને વ્યવસ્થાને તથા આર્થિક ખાઇને ઓછી કરવાની પહેલને જ અગ્રિમતા આપવી જોઇએ. બીજું કોઇપણ લક્ષ્ય ભા.જ.પા. માટે નિશાન ચૂક સાબિત થઇ શકે છે. ભા.જ.પા.ને પોતાનો હિંદુત્વનો મુદ્દો આગળ વધારવામાં કોઇ ઉતાવળ નથી કરવી, પણ સંઘ જેવી સંસ્થાઓને સ્વાભાવિક રીતે જ આ બાબતો ઝડપથી આગળ વધે એમાં રસ હોય. હિંદુ હિતને સાચવવા માટે કોમી ધ્રુવીકરણ કરવું જરૂરી નથી, કાયદાકીય અને સામાજિક પગલાં લેવાય તો પણ એ તો થઇ જ શકે છે. ધ્રુવીકરણ બે ધારી તલવાર છે અને બન્ને પક્ષે આચરાતી પ્રક્રિયા પણ કારણ કે ભા.જ.પા. વિરોધપક્ષો જ્યારે લઘુમતીને ટેકો આપે ત્યારે દેકારો કરે અને વિરોધપક્ષો સી.એ.એ. સામે અવાજ ઉઠાવે. સરકારે સી.એ.એ.ની વાત આગળ ન વધારી અને સંઘ પરિવારની ફટકી ગઈ કારણ કે તેમને થયું કે આ તો લઘુમતીની ઇચ્છા પ્રમાણે બધું થયું. આવામાં ભા.જ.પા.ને હિંદુત્વના એકીકરણ માટે ધ્રુવીકરણનો ટેકો લેવો પડે છે, પણ વાસ્તવિકતા એ પણ છે કે એક હદ પછી આવું રાજકારણ બહુ લાંબુ ચાલતું નથી.

સારો વહીવટ, મહત્ત્વના આર્થિક મુદ્દાઓ પર કામગીરી, બેરોજગારી જેવા પ્રશ્નોનો ઉકેલ, મોંઘવારી વગેરે પર કામ થશે તો જ અંતે તો નક્કર લાગશે. નારાબાજીથી પેટ નથી ભરાતું, લોકો ભલે કંઇપણ કહે પછી તે નારાબાજી કરનારા હોય કે બૌદ્ધિક ચર્ચા કરનારા કે પછી થોડાઘણા રૂપિયા લઇને પથ્થરમારો કરનારા લોકો હોય – જો તેમની પાસે કામ હશે, તે પોતાનો નિર્વાહ સારી રીતે ચલાવી શકતા હશે, ગજવાં પર બોજ નહીં હોય તો એક સ્વસ્થ સ્વચ્છ લોકશાહીમાં અને લોકશાહી ઢબે જેટલા સવાલ સરકાર સામે થવા જોઇએ એ જ થશે. રેલી, સરઘસ, મૉબ લિન્ચિંગ કે ધ્રુવીકરણમાં આમ જનતાની પ્રાથમિકતા જ નથી. વડા પ્રધાન આ જાણે છે પણ સંઘની ગતિ ક્યારેક સરકારની ગતિ કરતાં વધારે હોય છે એમાં ખાળે ડૂચા અને દરવાજા મોકળા વાળી હાલત થઇ જાય છે.

આ વર્ષે ઓક્સફામના એક રિપોર્ટમાં ભારતમાં પ્રવર્તમાન આર્થિક અસમાનતાની વાત કરાઈ જે કોવિડ-19 રોગચાળા પછી વધી છે. આવકમાં ફેરફાર, સ્થળ અને જાતિ અનુસાર કમાણીનાં સાધનોમાં ભેદ, જી.એસ.ટી.ની સંકુલતા જેવા પાસા આ માટે જવાબદાર છે. ધનિકો વધારે ધનિક બન્યા છે અને ગરીબો વધારે ગરીબ. ધનિકો પર વધુ ટેક્સ લાદવો અને ગરીબો પર ઘટાડવાની કોઈ પહેલ થાય તો સામાજિક-આર્થિક ઉન્નતિની શક્યતા વધે તેવું આ રિપોર્ટમાં સૂચવાયું છે. ભા.જ.પા.એ પણ આ મુદ્દાઓ પર વિચારવાની જરૂર છે. જરૂરી છે કે બ્રાન્ડ ભા.જ.પા. ભાગલા કરે તેવી નહીં પણ સર્વાંગી હોય. આ માટે તેણે પહેલાં તો એક હિંદુ પક્ષ તરીકેની લઘુમતિનું પ્રતિનિધિત્વ કરવાની પોતાની મર્યાદાઓ સમજવી જરૂરી છે.

નૂહમાં જે પણ થયું તેને પ્રથમ દૃષ્ટિએ સ્વીકારવાને બદલે તેને વસ્તુલક્ષી રીતે નાણવું જરૂરી છે.  આ જિલ્લો સંવેદનશીલ માત્ર મુસલમાનોની વસ્તીને કારણે નથી, પણ ત્યાં ઘણાં વર્ષોથી રોહિંગ્યા પણ આવીને વસેલા છે અને તબલિગી જમાતે કટ્ટરપંથી માહોલ પણ ખડો કર્યો છે.  બેરોજગાર યુવકોમાં સરકાર પ્રત્યે રોષ ફેલાવવામાં આમાંના કેટલાક તત્ત્વોએ પણ ભાગ ભજવ્યો છે. જ્યારે શનિ-રવિમાં રમખાણો થયાં ત્યારે પોલીસ અધિકારો પોતાની ફરજ પર હતા જ નહીં, આવી સંવેદનશીલ ‘યાત્રા’ નીકળવાની હોય અને પોલીસની ગેરહાજરી હોય તો તે વહીવટી નિષ્ફળતા છે એ સ્વીકારવું પડે. રોહિંગ્યાઝ, જિલ્લામાં રેઢિયાળ વહીવટ તંત્ર અને આઇ.એ.એસ. અધિકારીઓની ગેરહાજરીએ નૂહમાં લબકી રહેલા અંગારાની આગ બનાવી છે. આવામાં આર્થિક સ્થિરતા અને સમાનતા લાવવા માટે વહીવટની મજબૂત પકડ અને રોજગારીના તક જેવા વિકલ્પો પર સરકાર કામ કરે તો કંઇ ફાયદો થાય.

બાય ધી વેઃ

૨૦૦૨ના રમખાણો પછી ગુજરાતમાં ફરી અશાંતિ ન થાય એ માટે નરેન્દ્ર મોદી અને તેની સરકારે બનતું બધું જ કર્યું છે.  વિશ્વાસની અછત પૂરી કરવી એ કેન્દ્ર સરકાર માટે સૌથી અગત્યનો મુદ્દો હોવો જોઇએ પછી તે પોતાના હિંદુ મતદાતાઓ તરફ હોય કે લઘુમતી માટે હોય. ધ્રુવીકરણ ઘોંઘાટ છે કોઇ પહેલ કે ઉકેલ નથી અને માટે જ ભા.જ.પા.એ ધ્રુવીકરણથી દૂર રહી વહીવટ પર ધ્યાન આપવું જરૂરી છે. આપણે 5 ટ્રિલિયન ડૉલર્સનું અર્થતંત્ર બનવું હોય તો નારાબાજી અને હિંસાથી દૂર રહીને જ બની શકાશે. ધર્મનો હથિયાર તરીકે ઉપયોગ કરતા બધા જ રાજકીય પક્ષોએ અટકવું પડશે કારણ કે ભારતની વિવિધતા તેની શક્તિ છે તેમાં ફૂટ પડાવનારા બધા જ સ્વાર્થી સત્તાધીશો છે જેમને વહીવટમાં એક ટકા જેટલો પણ રસ નથી.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 06 ઑગસ્ટ 2023

Loading

6 August 2023 Vipool Kalyani
← આ ધરતી પરનું એક માત્ર દયાજનક પ્રાણી છે માણસ
બ્રોમાન્સ: રોમાન્સથી નીચે અને મિત્રતાથી ઉપર →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved