Opinion Magazine
Number of visits: 9445962
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કેટલું જોઈએ ?

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|22 January 2024

રવીન્દ્ર પારેખ

જગતમાં કેટલુંક સારું છે, હજી પણ છે, પણ તે ક્યાં સુધી ને કેટલું રહેશે તેની ચિંતા છે. બધું જાણે અંતિમો પર છે ! સારું પણ ને નબળું પણ ! એક તરફ અનેક સગવડો અને ટેક્નોલોજીથી ભરપૂર જીવન છે ને બીજી તરફ માનવીય સંવેદનાનો દુકાળ વર્તાઇ રહ્યો છે. બધું જ જાણે વધુ ને વધુ કમાણી માટે છે. કમાણી કમ્ફર્ટ માટે છે, પણ જે ઉત્તમ ને મહત્તમ થાય છે તે તો પૈસો મેળવવા ! સગવડો પૈસા માટે, ટેકનોલોજી પૈસા માટે, માણસો પૈસા માટે. પૈસા માણસ માટે, પૈસા ટેકનોલોજી માટે, પૈસા સગવડો માટે. એમાં લાગણી પૈસા માટે ને પૈસા લાગણી માટે થયા છે, ત્યારથી સંબંધો સ્પષ્ટ અને નિર્દોષ નથી. ઘણાં એકબીજાનો મદદને બહાને ઉપયોગ પણ કરી રહ્યાં છે. આખા ય વિશ્વમાં ઘણું બધું થાય છે, કેટલીક સિદ્ધિઓ પણ છે, પણ કોઈ પણ ઉપકરણ કે ટેકનોલોજીનો ઉપયોગ વધુને વધુ પૈસા કેમ ભેગા થાય તે માટે જ થાય છે. પૈસા જરૂરી છે તેની ના નથી, પણ માત્ર આંકડાઓ મોટા દેખાડવા જે થઈ રહ્યું છે તેનાથી આનંદ થતો નથી. આપણને દેખાડાની ટેવ પડી છે. નાનાંથી, ઓછાથી પણ જીવી શકાય છે, તે તરફ આપણે કદાચ જોવા જ નથી માંગતા. કેટલાક વિરાટ પ્રોજેક્ટ્સ જરૂરી છે, પણ બધા જ જરૂરી છે કે તેનું લક્ષ્ય અમર્યાદ કમાણીનું નથી એમ માનવાનું મુશ્કેલ છે. કૈં પણ, કેવળ મોટું જ નહીં, વિશ્વ વિક્રમી પણ હોય ને એ દ્વારા કેવી રીતે પૈસા બનાવી શકાય તે જ હેતુ બચ્યો છે.

મૂર્તિ થોડી નાની ને કલાત્મક હોઈ શકે, પણ વિશ્વવિક્રમી હોય તો ટિકિટ રાખીને વર્ષો સુધી કમાણી કરવાનો હેતુ શુદ્ધ નથી. તેમાં ભવ્યતા હશે, પણ કલાત્મકતા વિષે શંકા રહેવાની. કોઈ પણ સ્ટેડિયમ, હેતુ જળવાઈ રહે એટલું હોય તો ચાલે, પણ સૌથી મોટું જ કરવાની ગણતરી હોય તો નફો ને કાળાબજાર વધારવાનો હેતુ અપ્રગટ રહેતો નથી. મોટું, વિરાટ, ભવ્ય કૈં હોય તો તેનો વાંધો શો હોય, પણ હેતુ દેખાડાનો, કમાણીનો, ધંધાનો જ હોય તો તે ચિંત્ય છે. રસ્તા બને તે સારી વાત છે, પણ ટોલ ટેક્સને નામે પછી લૂંટ અટકે જ નહીં, તો ત્યાં મદદ ઓછી ને નફો વધારે છે. આ બધું જ મનુષ્યના ઉત્કર્ષ માટે હોય તો ક્ષમ્ય છે, પણ ઇરાદો કમાણી અને શોષણનો જ હોય તો ફરિયાદનો પણ શો અર્થ રહે?

એ સાચું કે સુખ સગવડો માટે યંત્રો જરૂરી હતાં, તેથી વિકાસ ઝડપી બન્યો, પણ યંત્રો માણસને જ યંત્ર બનાવે તો એવા વિકાસનો અર્થ ખરો? બિગ બેન થિયરી મુજબ આ બ્રહ્માંડ 1,380 કરોડ વર્ષ પહેલાં અસ્તિત્વમાં આવ્યું ને આપણી પૃથ્વી બન્યાને 450 કરોડ વર્ષ થયાં. પૃથ્વી પર માનવ હતો ત્યાં વિકાસ થયો. અગ્નિ, ધાતુ, યંત્ર વગેરેએ માનવ માટે એવી એવી સુવિધાઓ ઊભી કરી કે તે આજે તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સુધી આવી પહોંચ્યો છે ને અહીં પણ અલ્પ વિરામ તો નથી જ ! બીજું ઘણું અવતરવા માટે તત્પર છે ને એ રોક્યું રોકાય એમ નથી.

રોબોટ્સ માણસનાં કામ કરવા લાગ્યા છે, પણ AIને તો માણસ વગર પણ ચાલે એમ છે. માણસે AIનું સર્જન કર્યું, પણ તે એવું અદ્ભુત થયું કે માણસનું જ વિસર્જન થાય એવી સ્થિતિ આવી ઊભી છે. આજે તો AI, OI (ઓરિજિનલ ઇન્ટેલિજન્સ) પર હાવી છે. AI માણસને રિપ્લેસ કરવા તત્પર છે, એવું જે નફાખોર માનસને લાગ્યું છે, તે માણસને બદલે AIનું શરણું સ્વીકારવા તૈયાર છે. માણસને તો પગાર પેન્શન આપવાં પડે ને AI એના કરતાં તો કિફાયતી જ છે. AI દ્વારા મશીનોને બૌદ્ધિક બનાવવાની વાત છે, જેથી તે માનવ જેવું જ કાર્ય વધુ ક્ષમતાથી કરી શકે ને ભવિષ્યમાં એવી ક્ષમતાથી કરે કે માણસની જરૂર જ ન રહે. અત્યારના AI કેટલાં સક્ષમ છે, તે તો નથી ખબર, પણ તે જો સેલ્ફ પ્રોડક્ટિવ થઈ શકે, તો નવાં AI પણ એની મેળે જ ઉત્પન્ન થઈ શકે. AI માણસને વિકલ્પે સક્રિય થાય તો માણસો ફાજલ પડે. એ સંદર્ભે એવું જોખમ વર્તાય છે કે 2030 સુધીમાં દુનિયામાં 300 મિલિયન લોકો નોકરી ગુમાવે. તાજી વાત એવી છે કે દુનિયાની 40 ટકા નોકરીઓ AI ખાઈ જશે. આ કારણે AIને ઘણાં નકારે છે. જો કે AI હેલ્થકેર સેક્ટરમાં ઉપયોગી છે. AI સ્કેન શરીરની નાનામાં નાની સમસ્યાઓને ઓળખી શકે એમ છે. એ રીતે AI સ્વાસ્થ્ય વિષયક તકલીફોમાં પણ ઉપયોગી થઈ શકે. AI આધારિત રોબોટિક સર્જરી વધુ ઉપયોગી થાય એમ બને, પણ ઉપયોગમાં વિવેક ક્યારે જળવાયો છે કે આમાં જળવાય?

ભારતની વાત કરીએ તો લાખો માણસો શિક્ષિત હોવા છતાં બેકાર છે, ત્યારે AI દ્વારા નોકરીની તકો છીનવવાનો કોઈ અર્થ ખરો? માણસની બુદ્ધિ એટલી સતેજ થઈ કે તેણે કૃત્રિમ બુદ્ધિ-AI વિકસાવી અને હવે પરિસ્થિતિ એવી થઈ છે કે મશીનો બુદ્ધિશાળી થઈ રહ્યાં છે ને માણસની બુદ્ધિને લૂણો લાગ્યો છે. મશીનો ઉત્પાદનનો અને માણસો નિરુત્પાદનનો ભાગ ને ભોગ બનવા લાગ્યા છે. જેમ મશીનો વધુ પૈસા કમાવી આપે એમ જ, માણસો પણ વધુને વધુ પૈસા કમાવી આપે એટલો જ અર્થ તેનો બચ્યો છે. તેને માટે તેણે માનવ સંબંધો, સંવેદનો, જીવંતતા વગેરેને દાવ પર લગાવ્યા છે. એક સવાલ દરેકે પોતાને પૂછવા જેવો છે કે કોઈ વાતે દુ:ખ થતું નથી એવું ખરું? સંપત્તિ, સત્તા ને સંચય સિવાય બીજું કૈં સૂઝતું જ નથી એવું થાય છે? બીજાનો આનંદ જોઈને આંખોમાં ઝેર વ્યાપે છે? જો આનો જવાબ ‘હા’માં આવે તો સમજવું કે આપણામાં અને રોબોટમાં એક જ ફરક રહ્યો છે ને તે એ કે રોબોટને શ્વાસ નથી ને આપણને છે. ટૂંકમાં, આપણે જીવંત રોબોટ જ છીએ.

તાજેતરમાં જ સૂચના શેઠ નામક 39 વર્ષની એક AI સંબંધિત CEOએ ચાર વર્ષનાં સગા દીકરાની હત્યા કરી. આવી જ ઘટના ઇંદ્રાણી મુકરજી નામની બીજી એક CEOએ પણ કરેલી. આવી ઘટનાઓ ભવિષ્યમાં અપવાદરૂપ ન રહે એમ બને. ‘ઘર’ ઘટી રહ્યાં છે ને ઓફિસો વધી રહી છે. ‘ઘર’ કરતાં ઓફિસોમાં રહેવાનું અને તે દ્વારા કમાણી કરવાનું વધ્યું છે. કુટુંબ પણ જાણે આવક-જાવકની ગણતરીઓ માટે જ ખપનું છે. ગમ્મત એ છે કે લગ્ન કરતાં છૂટાછેડાનું પ્રમાણ વધ્યું છે. લગ્નના વિકલ્પો અંગત લાભ સિવાયના દાખલા ઓછા જ ગણે છે. લગ્નેતર સંબંધોનું વધતું પ્રમાણ, ઘરેલુ હિંસા, હત્યા ને આપઘાતના આંકડાઓ મોટા ને મોટા કરતું રહ્યું છે. બાળકો ઘોડિયાંઘરમાં અને વડીલો ઘરડાંઘરમાં ઊછરે છે, પરિણામે કૌટુંબિક સંબંધોની હૂંફ નામશેષ થઈ રહી છે. હૂંફ ઘટતાં વ્યક્તિ સંવેદનહીન બની છે. માતાને સંતાન વહાલું જ હોય ને તેને માટે તે જીવ પણ આપી દે એ સ્થિતિ બહુ રહી નથી. તે પણ જીવ લેતી થઈ છે, ભલે પછી તે સગા દીકરાનો જ કેમ ન હોય ! આવનારા સમયમાં રોબોટ્સ સંવેદનશીલ હોય ને વ્યક્તિ સંવેદનહીન હોય, એ AI શક્ય બનાવે તો આઘાત ન લાગે. વ્યક્તિ જેમ ઉચ્ચ સ્થાન પર તેમ તે સૌથી નિમ્ન સ્થાન પર બેસી શકે એ શક્ય છે. વ્યક્તિનું લક્ષ્ય કેવળ કમાણીનું જ રહી ગયું હોય એમ લાગે છે.

આખું જગત જાણે છે કે જીવવા માટે પૈસા જરૂરી છે, પણ પેટ નોટોથી ભરાતું નથી, તે અનાજથી ભરાય છે. ગરીબને પેટ ભરવા પૈસા મળતા નથી ને અમીર પાસે પૈસા છે, પણ પેટ ભરવા જેટલી ય ફુરસદ નથી. વગર પૈસે ગરીબ ટાઢમાં ઊંઘી શકતો નથી ને અમીર વધુ કમાવાની લ્હાયમાં ઉજાગરા કરે છે. એટલું છે કે પૈસા નથી તો પણ ઊંઘ નથી ને છે તો પણ નથી. પૈસા જરૂરી ખરા, પણ કેટલા જરૂરી?

જરૂરી હોય તેનાથી દસ ઘણા પૈસા સુધી સંપત્તિ લોભ કૈંકે ક્ષમ્ય, પણ તેથી ય વધુ ભેગું કરીને ક્યાં જવાનું? આખી પૃથ્વી નામે થઈ જાય તો પણ ધરવ ન થાય એટલો લોભ આજે સંપત્તિનો, મિલકતનો છે. કેટલી ય રકમ બેન્કોમાં ન ધણિયાતી હાલતમાં સડ્યા કરે છે. કેટલી ય તિજોરીઓ માત્ર નોટો ભેગી કરવા ને કદી બહાર ન આવવા જ હોય છે. કેટલી ય સંપત્તિઓનાં વાલીવારસ નથી. મિલકતો માટે એટલા ઝઘડા થાય છે કે નફો ડોકટરો અને વકીલોને પહોંચે છે. એ બધાંને અંતે પ્રાપ્તિ શું, તો હતાશા સિવાય કૈં હાથમાં આવે એમ નથી. દુનિયા એ રીતે નોટો ભેગી કરવામાં પડી છે કે કાલ ઊઠીને મૃત્યુ વખતે નોટો લઈ જવાની છૂટ કોઈ આપે તો સ્વર્ગ કે નરકમાં નોટો લઈ જવાનું ભાગ્યે જ કોઈ ચૂકે.

જો કે, આજની વ્યવસ્થા એવી છે કે મર્યાં પછી, શ્વાસ સાથે લઈ જવાતા નથી, તો રૂપિયાનો સિક્કો પણ સાથે લઈ જવાનો તો સવાલ જ પેદા નથી થતો …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘સ્ત્રી સશક્તિકરણ’ નામક લેખકની કટાર, ‘મેઘધનુષ’ પૂર્તિ, “ગુજરાત ટુડે”, 21 જાન્યુઆરી 2024

Loading

22 January 2024 Vipool Kalyani
← દલપતરામ વિશે, અને દીપક મહેતાના તેમના પરના નવા પુસ્તક વિશે
એવિયેશનના ઈકારસ નરેશ ગોયેલ : જેટલા ઊંચા ગયા, એટલા જ નીચે પછડાયા →

Search by

Opinion

  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 
  • કોર્ટને કોર્પોરેટ કંપનીનું હિત દેખાય છે, જાહેરહિત દેખાતું નથી ! 
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved