Opinion Magazine
Number of visits: 9451874
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કલા, કલાકાર અને રસિકજનોનું હિત જાળવતું ઉદ્યોગપતિઓનું કૉર્પોરેટ પેટ્રોનેજ

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|9 April 2023

NMACC એટલે ભારતને મળેલું પોતાનું આગવું બ્રોડવે થિએટર અને આલાગ્રાન્ડ આર્ટ હાઉસ જેની મુલાકાત ન લેવી એ કલાના મક્કાએ માથું ન ટેકવવા જેવું થશે

ચિરંતના ભટ્ટ

કલાકાર – પછી ભલે તે કોઇ પણ ક્ષેત્રમાં કામ કરે – એક એવી છબી હોય જે પોતાના સંગીત કે નૃત્ય કે નાટ્ય કે પછી રંગોમાં ગુલતાન હોય, એને દુનિયાની કંઇ પડી ન હોય અને બસ એક પોતાની કલાને મઠારવામાં, નિખારવામાં પોતાનો જીવ રેડ્યા કરે. આ એક બહુ જ નાટ્યાત્કમ વર્ણન છે, પોતાની જાતને સો ટચના સોના જેવા ગણાવતા કલાકારોને પૈસાનું મહત્ત્વ પૂછાય તો નાકનું ટિચકું ચઢી જાય પણ વાસ્તવિકતા એ છે કે એવા કલાકાર અને તેની કલાને પણ આર્થિક આશ્રયની જરૂર તો પડતી જ હોય છે. કલા ભલેને કોઇ પણ જાતની હોય પણ પેટ્રોનેજ વગર – આશ્રયદાતા વગર તેને માટે ટકવું, વિકસવું, લોકો સુધી પહોંચવું આસાન નથી. રાજા રવિ વર્માને પહેલાં ત્રાવણકોરના રાજવીનો આશ્રય મળ્યો અને પછી બરોડા સ્ટેટના ગાયકવાડ પરિવારે તેમની કલાને આશરો આપ્યો. રાજા – રજવાડાં હતા ત્યારે સંગીત, નૃત્ય, નાટ્ય અને ચિત્રકળાને આશ્રયદાતા મળી રહેતા અને કલાકારો તેમની કલા સાથે સચવાઇ જતા અને પ્રસિદ્ધિ પણ મેળવતા. માત્ર ભારતની વાત નથી પણ ૧૫મી સદીમાં ફ્લોરેન્સના ડ્યૂક લોરેન્ઝો મેડીસીના દરબારમાં એલેસાન્ડ્રો બોતિસેલીએ તેના ક્લાસિક ગણાતા આર્ટવર્ક – બર્થ ઑફ વિનસની રચના ન કરી હોત અને પોપો જુલિયસ બીજાના ટેકા વગર સિસ્ટાઇન ચેપલની છત પર તમને માઇકલ એંજેલોનું કામ જોવા ન મળત.

રાજાઓનાં રાજપાટ ગયાં તેની સાથે કલાની ગતિ પર પૂર્ણવિરામ નથી મુકાયું. વર્તમાન સમયમાં કૉર્પોરેટ કંપનીઝએ રાજા-રજવાડાની જગ્યા લઇ લીધી છે અને કલાનો વિકાસ, પ્રચાર અને પ્રસાર થતો રહે એ માટે વિશ્વભરમાં કૉર્પોરેટ પેટ્રોનેજ વિકસ્યું છે. મોટી કૉર્પોરેટ કંપનીઝ કલા માટે નાણાંની કોથળી ખુલ્લી મૂકે છે. તેઓ પોતાના અંગત કલેક્શન માટે આર્ટ વર્ક્સ ખરીદે છે, મોટા શોઝને સ્પોન્સરશિપ આપે છે, મ્યૂઝિયમ્સમાં શોઝને સપોર્ટ કરે છે. ભારતમાં પણ આ ટ્રેન્ડ લાંબા સમયથી છે. ચિત્રકલા અને ચિત્રકારોને મળતું પેટ્રોનેજ નવું નથી, ગોદરેજ પરિવાર હોય કે અંબાણી કે પછી મહિન્દ્રા તેમણે હંમેશાં કળાને કોઇને કોઇ રીતે મંચ આપ્યો છે, અંગત કલેક્શનમાં ઉચ્ચ કોટિના ચિત્રકારોનાં કામ ઉમેર્યાં છે અને અન્ય પ્રવૃત્તિઓમાં પણ ભાગ લીધો છે. જેમ કે ગોદરેજ પરિવારની ડિઝાઇન લેબ છે તો ટીના અંબાણીએ હાર્મની આર્ટ્સ દ્વારા ભારતના કલાકારોને, ખાસ કરીને શિલ્પકારોને બહુ મોટું ફલક આપ્યું. હાર્મની આર્ટ દ્વારા નાગજી પટેલ જેવા અનેક આલા દરજ્જાના શિલ્પકારોને પોતાના સર્જન વધુને વધુ લોકો સુધી પહોંચાડવાની તક સાંપડી. મહિન્દ્રા પરિવાર દ્વારા એક દાયકાથી પણ વધુ સમયથી થિએટર ફેસ્ટિવલ કરવામાં આવે છે જેમાં નવા પ્રકારના નાટકો રજૂ થાય છે વળી મેટા એવોર્ડ્ પણ કલાકારોને એનાયત કરવામાં આવે છે, તો તેમનો બ્લૂઝ ફેસ્ટિવલ પણ મુંબઈમાં સુપર હિટ છે તો તે વારણસીમાં કબિરા ફેસ્ટિવલ કરે છે તો લખનૌમાં સનાત્કદા ફેસ્ટિવલ યોજે છે. બિરલા પરિવારે પણ કળાના ક્ષેત્રમાં નોંધનીય કામ કર્યું છે. ટાટા લિટરેચર ફેસ્ટિવલ સાહિત્ય માટે થતી બહુ મોટી ઇવેન્ટ ગણાય છે તો આર્ટ ગેલેરીઝ, મ્યૂઝિયમ્સથી માંડીને પરફોર્મિંગ આર્ટ્સ એટલે કે નૃત્ય, નાટ્ય, સંગીત માટે પણ ટાટા ગ્રૂપ દ્વારા યોજાતી ઇવેન્ટ્સ જાણીતી છે. વળી ગોઆમાં યોજાતો સિરેન્ડિપીટી આર્ટ ફેસ્ટિવલ પણ હીરો એન્ટરપ્રાઇઝના મુંજાલ પરિવારની દેન છે. દાલમિયા ભારત ગ્રૂપ હેરિટેડ સાઇટ્સના મેઇન્ટેનન્સની જવાબદારી ઉપાડતું આવ્યું છે. ગોએન્કા ગ્રૂપ દ્વારા પણ ઘણા કલાકારોને ઓળખ ઘડવામાં મોટી મદદ મળી છે, મુંબઈના પબ્લિક આર્ટમાં આર.પી.જી. ગ્રૂપનો શ્રેય નોંધનીય છે. આ યાદી ઘણી લાંબી થઇ શકે તેમ છે કારણ કે ભારતીય કૉર્પોરેટ્સ પોતાની કલ્ચરલ રિસ્પોન્સિબલિટીઝ પ્રત્યે બહુ સભાન છે.

આ આખી વાત કરવાનું કારણ છે મુંબઈમાં ૩૧મી માર્ચે જેનું ઉદ્ઘાટન થયું તે નીતા મૂકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર – NMACC. જ્યારે તે જાહેર જનતા માટે ખુલ્લું મુકાયું ત્યારે, ૩૧મી માર્ચે મનોરંજન વિશ્વના દેશી અને વિદેશી સિતારાઓએ તેના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપી. તેની સરખામણી મેટ ગાલા સાથે કરવામાં આવી. NMACC મુંબઈના બાન્દ્રા કુર્લા કોમ્પલેક્સમાં કલા અને સંસ્કૃતિને એક એવું સરનામું મળ્યું છે જે ભવ્યાતિભવ્ય તો છે જ પણ એક પણ કળા એવી નથી જેને માટે ત્યાં સ્થાન ન હોય. ન્યૂ યૉર્કના બ્રોડવેની વાતો કરનારાઓએ એક વાર તો અહીંનું એ ગ્રાન્ડ થિએટર જોવું રહ્યું જેની છત પર સાડા આઠ હજાર કરતાં પણ વધારે સ્વરોસ્કી ક્રિસ્ટલ્સ જડેલા છે, જેમાં ૧૮ તો ગેલેરી બૉક્સિઝ છે – જે આપણે હજી સુધી તો ક્લાસિક અંગ્રેજી ફિલ્મોમાં જ જોયા છે. અત્યારે ત્યાં ધી ગ્રેટ ઇન્ડિયન મ્યૂઝિકલ નામનો શૉ ચાલી રહ્યો છે જેમાં પાંચમાં વેદ તરીકે ઓળખાતા નાટ્ય શાસ્ત્રને આધારે આપણી સંસ્કૃતિની રજૂઆત છે. વળી સેન્ટરમાં ૧૨૫ જણ બેસી શકે તેવી જગ્યા છે ક્યૂબ જ્યાં જે પ્રકારનો કાર્યક્રમ થાય તે પ્રમાણે બેઠક વ્યવસ્થા વગેરેમાં ફેરફાર થઇ શકે. ૨૫૦ જણને સમાવી શકે તેવા સ્ટુડિયો થિએટરની ખાસિયત છે ઇન્ટિગ્રેટેડ વોઇસ રેકોર્ડિંગ, ટેલિસ્કોપિક બેઠક વ્યવસ્થા વગેરે.  વિદેશની ગેલેરીઝ જોઇને ખુશ થનારા રસિકો માટે અહીં ચાર માળનું અને ૧૬,૦૦૦ હજાર ચોરસ મિટરમાં ફેલાયેલું આર્ટ હાઉસ છે. ત્યાં અત્યારે તો પાંચ ભારતીય અને પાંચ વિદેશી કલાકારોની કૃતિઓ મુકાઇ છે અને ભવિષ્યમાં પણ ઉત્કૃષ્ટ પ્રદર્શનો યોજાતાં રહેશે. ફેશનનો ઇતિહાસ, ભારતીય ફેશનનો વિદેશી ચલણ પર પ્રભાવનું પ્રદર્શન ઇન્ડિયા ઇન ફેશન અત્યારે ખુલ્લું મુકાયું છે જેમાં લોર્ડ કર્ઝનની પત્નીનું ઇવનિંગ ગાઉન છે તો સોનમ કપૂરે પોતાના લગ્નમાં પહેરેલાં વસ્ત્રો પણ ડિસપ્લે કરાયાં છે. અહીં કળા સાથે જોડાયેલી કાર્યશાળાઓ પણ યોજાશે અને ઓપન માઇક્સ જેવી ઇવેન્ટ્સ પણ થશે.

ભારતમાં પહેલીવાર આ પ્રકારનું કલ્ચરલ સેન્ટર બન્યું છે. અનેક ઔદ્યોગિક પરિવારો અને કૉર્પોરેટ્સ કળાનાં ક્ષેત્રમાં પોતાની જવાબદારી નિભાવતા આવ્યાં છે પણ આ સ્તરે, આ વિઝન સાથે કોઇ સર્જન થયું હોય તેવું પહેલીવાર થયું છે. પ્રેસ ઇન્ફર્મેશન બ્યૂરો અનુસાર ભારત સરકારે દેશભરમાં સાત કલ્ચરલ સેન્ટર વિકસાવ્યા છે જે પટિયલા, નાગપુર, ઉદયપુર, પ્રયાગરાજ, કોલકતા, દિમાપુર અને તાંજોરમાં છે. પરંતુ ખાનગી ધોરણે કશુંક અકલ્પનિય વાસ્તવિકતામાં ફેરવાયું હોય તેવું પહેલીવાર થયું છે. ભારતીય કળા, સંસ્કૃતિ અને વારસાને રજૂ કરવા માટે આ સેન્ટર એક આલા ગ્રાન્ડ સ્થળ છે. વળી અહીં માત્ર ભારતીય સર્જનોને સ્થાન નહીં મળે બલકે બ્રોડવેના મ્યૂઝિકલ્સ જેમ કે ‘સાઉન્ડ ઑફ મ્યુઝિક’ જેવા પ્રોડક્શન્સ પણ લાવવામાં આવશે તો આર્ટ ગેલેરીમાં તમને ધિરાણ પર લાવવામાં આવેલ પેઇન્ટિંગ્ઝમાં મોનાલિસાનું સ્મિત જોવા મળે તો પણ નવાઈ નહીં! સાત વર્ષથી નીચેનાં બાળકો, વિદ્યાર્થીઓ, વૃદ્ધો અને દિવ્યાંગો માટે અહીં નિઃશુલ્ક પ્રવેશ છે. અહીંના પરિસરની દીવાલો પર પણ આધુનિક કલાકારોનાં ચિત્રોથી માંડીને પારંપરિક પિછવાઈ જોવા મળે છે.

આ સેન્ટર જાહેર જનતા માટે ખુલ્લું મુકાયું તે પહેલાં નીતા અંબાણીએ મીડિયાને જણાવ્યું હતું કે, આવું કંઇક કરવું તેમનું લાંબા સમયનું સપનું હતું. આ એક એવું આશાસ્પદ સ્થળ છે જે લોકોને એકબીજા સાથે જોડશે, કોમ્યુનિટીની ભાવનાને મજબૂત કરશે અને ભારતીય કલા અને સંસ્કૃતિને સર્વોચ્ચ રીતે રજૂ કરવા માટે આ એક કાયમી સરનામું બને તેવો જ અમારો ઉદ્દેશ છે અને રહેશે. આ આપણા દેશના સાંસ્કૃતિક વારસાને એક તર્પણ છે.

બાય ધી વેઃ

કલાને નવા મંચ, નવી દિવાલો, નવા માઇક્સ મળતા રહે છે. NMACC આપણું આગવું બ્રોડ વે થિએટર છે. કટ્ટરવાદીઓ કલાને રોકવા મોરચા કાઢશે, શાહી ફેંકશે, દેકારા કરશે, આર્ટ કૉલેજીઝમાં જઇને વિદ્યાર્થીઓના કામ પર વગર કારણના ટંટા ઊભા કરશે પણ કલા તો જમીન ફાડીને ઊગનારી કૂંપળ સમાન છે એટલે કલાને તો આશરો મળ્યા જ કર્યો છે અને મળતો રહેશે. ઉદ્યોગકારોની કામગીરીને 360 ડિગ્રી દૃષ્ટિકોણમાં જોવાની ટેવ પાડવાની જરૂર છે, નહીંતર તેમના ઠાઠથી થતા અચંબા અને ઇર્ષ્યામાં તેમનું ખરું કામ જોવાનું તમે ચૂકી જાવ તેમ બને. NMACC એક એવી જગ્યા છે જેની મુલાકાત લેવી જ જોઇએ, આપણે ત્યાં તો કશું થતું નથી, તવંગરો તો પૈસા ભેગા કર્યા કરે છે વાળા મ્હેણાં મારતાં પહેલાં આ વિઝનને વાસ્તવિકતામાં ફેરવનારા કૉર્પોરેટ પેટ્રોન્સને સલામ કરવી ઘટે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 09 ઍપ્રિલ 2023

Loading

9 April 2023 Vipool Kalyani
← ચલ મન મુંબઈ નગરી—191
લલિત કલાઓમાં આધુનિકતાવાદ  →

Search by

Opinion

  • મસાણ અને મોક્ષની મોકાણમાં જીવતા વારાણસીના દલિત ડોમ
  • એકલતાની કમાણી
  • સમાજવાદની 90 વર્ષની સફર: વર્ગથી વર્ણ સુધી
  • શ્રીધરાણી(16 સપ્ટેમ્બર 1911 થી 23 જુલાઈ 1960)ની  શબ્દસૃષ્ટિ
  • एक और जगदीप ! 

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved