Opinion Magazine
Number of visits: 9447803
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કાયદાનું રાજ માનાં ધાવણ જેવું હોય છે

રમેશ ઓઝા|Opinion - Opinion|30 April 2023

રમેશ ઓઝા

માન્યું કે અતિક અહમદ સદીનો સૌથી મોટો ગુંડો હતો અને એવો કોઈ ગુનો નહીં હોય જે તેણે નહીં કર્યો હોય, પણ પોલીસની હાજરીમાં, મીડિયાની સામે, તેની હત્યા કરવામાં આવે એનો બચાવ કરી શકાય? ફરિયાદ તો એ જ હતી ને કે તે સામાજિક માનમર્યાદા અને દેશના કાયદાઓનું ઉલ્લંઘન કરતો હતો અને પોતે જે કરે તેને કાયદો સમજતો હતો? જો સામાજિક માનમર્યાદાનું પાલન અને દેશના કાયદાઓનો આદર એ સભ્યતાનો માપદંડ હોય અને જગત આખામાં એ જ માપદંડ હોય છે તો ઉત્તર પ્રદેશની સરકારે જે કર્યું એ સભ્યતા હતી? જે યુવકોએ અતિકની હત્યા કરી એ એવા વર્ગમાંથી આવે છે જે દેશી કટ્ટા પણ ખરીદી શકે તેમ નથી તો તેમની પાસે બે બે લાખની કિંમતની પિસ્તોલ આવી ક્યાંથી?

કોઈ પણ ગુંડો, આય રિપીટ કોઈ પણ ગુંડો, ત્યારે જ સામાજિક અને કાયદાકીય મર્યાદાનું ઉલ્લંઘન કરે જ્યારે તેને ખાતરી હોય કે કોઈ તેનો વાળ પણ વાંકો કરી શકે તેમ નથી. પ્રજાને ડરાવી શકાય છે અને પ્રજાને ડરમૂક્ત કરવાનુ અને રાખવાનું જેનું કામ છે એને ખરીદી શકાય છે. કાયદાનાં રાજની રખેવાળી કરનારું ન્યાયતંત્ર પાગળું છે અને દેશનાં રાજકારણનું ચારિત્ર્ય ભ્રષ્ટ છે. બાબા, બાહુબલી, ધનપતિ અને નેતાઓની ધરી છે. આ જો વાસ્તવિકતા હોય તો એ વાસ્તવ શું ગુંડાઓએ પેદા કર્યું છે? ગુંડાઓ તો તેનો લાભ લઈ રહ્યા છે જેમ બગલબચાં (ક્રોનીઝ) કુબેરપતિઓ શાસકો સાથેની ભાઈબંધીનો લાભ લઈ રહ્યા છે. ખરા ગુનેગાર એ નથી જે વ્યવસ્થાનો લાભ લઇ રહ્યા છે, ખરા ગુનેગાર એ છે જે વ્યવસ્થા બદલતા નથી. વ્યવસ્થા સુદૃઢ હોય તો સાચા લોકો લાભ લે અને વ્યવસ્થા ભ્રષ્ટ હોય તો ખોટા લોકો લાભ લે. ઊલટું એવું બને છે કે સડેલી વ્યવસ્થાની કિંમત સાચા લોકોએ ચૂકવવી પડે છે.

પોલીસ દ્વારા કરવામા આવતા એન્કાઉન્ટરનો કે પસંદગીના લોકોની કરવામા આવતી હત્યાઓનો બચાવ કરનારા લોકો કાં નાગરિક તરીકે ગમાર છે અથવા હિંસક મનોવૃત્તિ ધરાવે છે. હત્યારા એ જ નથી કરતો જે પ્રત્યક્ષ હત્યા કરે છે, પણ હત્યારા એ પણ કરે છે જે પસંદગીનાં ધોરણે હત્યાનું સમર્થન કરે છે. આવા લોકોએ હજુ માણસ અને જવાબદાર રાજ્યના પ્રગલ્ભ નાગરિકો બનવાનું બાકી છે. રાજ્ય જો ગુનેગારને અદાલતમાં ગુનેગાર ઠેરવીને સજા ન કરી શકતું હોય તો રાજ્ય નપુંસક છે. નપુંસક રાજ્યનું સમર્થન કરવાનું ન હોય પછી શાસકો આપણા હોય કે આપણને ન ગમતા હોય.

કાયદાનું રાજ માંનાં ધાવણ જેવું હોય છે. આમ કહેતી વખતે હું જરા ય અતિશયોકિત નથી કરતો. ભારતની પ્રજાને નાત જાત વંશ અને ધર્મનો પક્ષપાત ધરાવતા શાસકો પુરસ્કૃત અરાજકતાનો અનુભવ નથી. આઝાદી પહેલાં કાઠિયાવાડમાં બાપુઓનાં રાજમાં અને અંગ્રેજી રાજ આવ્યું એ પહેલાં મહારાષ્ટ્રમાં પેશાવાઓનાં રાજમાં લોકોને આનો અનુભવ થયો હતો, પણ એ તો સાવ મામૂલી હતો. લોકોએ દીવા પ્રગટાવીને અંગ્રેજી રાજને આવકાર્યું હતું. અત્યારે સુદાન તરફ નજર કરો. પક્ષપાતી શાસકોની રાજ્યપુરસ્કૃત હિંસા અત્યારે અરાજકતામાં ફેરવાઈ ગઈ છે. હાહાકાર મચ્યો છે. આવા બીજા અનેક દેશો હતા અને છે. આજે તમે જેને દુ:શ્મન માનો છો એનું ઢીમ ઢળશે અને કાલે આપણા લાડકવાયાનું પણ ઢીમ ઢળી શકે છે. ગોળી અને પૈસો ધર્મનિરપેક્ષ હોય છે. 

અહીં એક પ્રસંગ યાદ આવે છે. ૨૦૦૭ની વાત છે. ઉત્તર પ્રદેશના અત્યારના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ ત્યારે લોકસભાના સભ્ય હતા. એ વખતે તેમના મતદારક્ષેત્ર ગોરખપુરમાં કોમી હુલ્લડો થયાં હતાં અને તે સમયના મુખ્ય પ્રધાન મુલાયમ સિંહ યાદવે યોગી આદિત્યનાથને કોમી દ્વેષ ફેલાવવાના અને દંગાફિસાદ કરવાના આરોપ હેઠળ જેલમાં ધકેલી દીધા હતા. તેમના ઉપર ગંભીર આરોપ લગાવવામાં આવ્યા હતા. યોગી આદિત્યનાથે લોકસભામાં અક્ષરસઃ રડતાંરડતાં તેમની સાથે કરવામાં આવતા અત્યાચારોનું બયાન કર્યું હતું. ખાતરી કરવી હોય તો યુ ટ્યુબ ઉપર એ કલીપ જોવા મળશે. 

લોકસભાના સભ્ય, ગોરખનાથના પ્રતિષ્ઠિત મંદિરના મહંત, વિશ્વના સૌથી મોટા રાજકીય સંગઠન સંઘપરિવારના અને ભારતીય જનતા પક્ષના સભ્ય, જે માણસ પોતાની સેના ધરાવે છે એમ દરેક પ્રકારની તાકાત ધરાવનારા યોગી આદિત્યનાથ રડે? અત્યારે તેઓ ઉત્તર પ્રદેશમાં જે કરી રહ્યા છે એ કરતાં પહેલાં તેમણે ૨૦૦૭ની એ ઘટના અને પોતાનાં લોકસભાના ભાષણને યાદ કરવાં જોઈએ. જવાબદાર રાજ્ય જો તમને વહાલું લાગતું હોય, શ્રેયસ્કર લાગતું હોય તો એ બીજા માટે પણ શ્રેયસ્કર છે. અને સૌથી વધુ તો આપણને શ્રેયસ્કર લાગવું જોઈએ, કારણ મારી, તમારી પાસે ૨૦૦૭માં યોગી આદિત્યનાથ પાસે જે તાકાત હતી એના હજારમાં ભાગની પણ નથી.

માટે કાયદાનું રાજ માનાં ધાવણ જેવું હોય છે.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 30 ઍપ્રિલ 2023

Loading

30 April 2023 Vipool Kalyani
← ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં  સામાજિક ભેદભાવ
સુદાનમાં સત્તામોહનો દાવાનળઃ બે લશ્કરી વડાઓના ઘર્ષણમાં દેશ હોમાયો →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved