Opinion Magazine
Number of visits: 9449159
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કાયદાનો સૌથી વધુ દુરુપયોગ તો સ્વયંસરકાર જ કરે છે !

રમેશ ઓઝા|Opinion - Opinion|29 December 2019

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા રવિવવારે રામલીલા મેદાનમાં બી.જે.પી.ની ચૂંટણીસભામાં કહ્યું હતું કે ૨૦૧૪થી આજ લગીમાં નાગરિક નોંધણીની જોગવાઈ વિષે ક્યારે ય ચર્ચા સુદ્ધાં થઈ નથી. બોલો! આ સાંભળીને તમને આશ્ચર્ય થયું? મને તો નથી થયું. જે લોકો નરેન્દ્ર મોદીને ઓળખે છે તેમને આશ્ચર્ય થાય જ નહીં, પછી તે ભક્ત હોય કે ઉઘાડી આંખવાળો. ઊઘાડી આંખવાળાઓને ખબર છે કે નરેન્દ્ર મોદી આંખનું મટકું પણ માર્યા વિના જૂઠ બોલી શકે છે. ચૂંટણીસભાઓમાં જ નહીં, સરકારી સત્તાવાર મંચ પરથી પણ વડા પ્રધાન તરીકે જૂઠ બોલી શકે છે; પછી તે સંસદ હોય, આઝાદીદિને લાલ કિલ્લા પરનું ભાષણ હોય કે પછી વિદેશી મહેમાન સાથેની અથવા વિદેશમાંની કોઈ સત્તાવાર બેઠક હોય. આ સિવાય તેઓ જે આત્મવિશ્વાસ સાથે એ પ્લસ બી સ્ક્વેર ટુ જેવા ભાંગરા વાટે છે તેની તો વાત જ જવા દો. ભક્તોને પણ આશ્ચર્ય થવાનો સવાલ નથી કારણ કે તેમને માટે તો આ બધી ભગવાનની લીલા છે જે કરવાની રતિભાર આવડત જવાહરલાલ નેહરુમાં નહોતી.

નાગરિક નોંધણી અંગેના વડા પ્રધાનના જૂઠાણાને ખુલ્લું પાડવું હોય તો કળશીએક પ્રમાણો આપી શકાય છે જેમાં ખૂદ વડા પ્રધાનનું ભાષણ છે. આ બધાં પ્રમાણો અખબારોમાં, ડિજીટલ અખબારોમાં, તટસ્થ ચેનલોમાં અને શોશ્યલ મીડિયા પર પ્રસારિત થઈ ચૂક્યા છે એટલે તેને અહીં દોહરાવાની જરૂર નથી. એનાથી વધારે ગંભીર બાબત ભારતના મુખ્ય ન્યાયમૂર્તિનાં તાજેતરનાં કથનો છે જેના તરફ નાગરિકતાના હોબાળામાં ધ્યાન ગયું નથી. આ ઉપરાંત હવે તેની નોંધ લેવી જોઈએ એવું આપણને લાગતું પણ નથી.

જ્યારે કોઈ બીમારીનો ઈલાજ કરવામાં ન આવે અને ધીરે ધીરે એ જીવનનો હિસ્સો બની જાય ત્યાર બીમાર માણસને લાગતું પણ નથી કે તે બીમાર છે. જેમ કે લોહીનું દબાણ ધીરે ધીરે વધતું જાય અને માણસ તેના તરફ ધ્યાન ન આપે તો શરીર થોડો સમય ફરિયાદ કર્યા પછી ઊંચા લોહીના દબાણ સાથે સમાધાન કરી લે છે. બને ત્યાં સુધી રસ્તો કાઢીને શરીરનું યંત્ર ટકાવી રાખવું એવી ઈશ્વરની રચના છે. એ પછી એક સમય આવે જ્યારે શરીર જવાબ આપી દે, પણ ત્યાં સુધી બેદરકાર માણસને બધું નોર્મલ જ લાગતું હોય છે. તે સ્વીકારશે જ નહીં કે તે બીમાર છે.

તો ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ માનનીય શરદ બોબડેએ માહિતીના અધિકારને લગતી એક અરજીની સુનાવણીમાં કહ્યું હતું કે માહિતીના અધિકારની જોગવાઈનો દુરુપયોગ થઈ રહ્યો છે. આને કારણે અધિકારીઓ નિર્ણય લેતા ડરે છે અને વહીવટીતંત્ર લકવાગ્રસ્ત થઈ રહ્યું છે અને એ દેશના હિતમાં નથી. વાત તો બિલકુલ સાચી કહી છે. એમાં કોઈ શંકા નથી કે કેટલાક લોકો માહિતીના અધિકારની જોગવાઈનો દુરુપયોગ કરી રહ્યા છે.

પખવાડિયા પહેલાં બળાત્કારના બનાવોની સામે દેશભરમાં દેખાવો થતા હતા ત્યારે મુખ્ય ન્યાયમૂર્તિએ કહ્યું હતું કે ચપટી વગાડતા ન્યાય મેળવવાની અપેક્ષા ન રાખવી જોઈએ. ન્યાયની એક પ્રક્રિયા હોય છે અને એ પ્રક્રિયાને રોષ દ્વારા ટૂંકાવવાની ન હોય. તેમની આ વાત પણ બિલકુલ સાચી છે. પ્રજાને ગુસ્સો આવે એટલે શું કહેવાતા ગુનેગારને વગર સાંભળ્યે ફાંસીએ ચડાવી દેવાનો!

વરસ પહેલાં સર્વોચ્ચ અદાલતે ચુકાદો આપ્યો હતો કે દલિતો અને આદિવાસીઓ સાથેના અત્યાચારને લગતા કાયદા(એટ્રોસિટી એક્ટ)નો દુરુપયોગ થઈ રહ્યો છે એટલે એ કાયદાને બિન-જામીનપાત્રમાંથી જામીનપાત્ર બનાવવો જોઈએ. આ વાત પણ સાચી. આ કાયદાનો દુરુપયોગ થઈ રહ્યો છે એ વાતમાં કોઈ શંકા નથી. આ લખનાર એ કાયદાના દુરપયોગનો ભોગ બન્યો છે. બીજા અનેક લોકો ભોગ બન્યા હશે. હવે તો દલિતો સીધી એટ્રોસિટીની ધમકી આપે છે. આ સિવાય મહિલાઓ દહેજ અને ઉત્પીડનના કાયદાઓનો દુરુપયોગ કરી રહી છે એ વિષે પણ રાજ્યોની વડી અદાલતોથી લઈને સર્વોચ્ચ અદાલતોના જજોએ અવારનવાર નિરીક્ષણો કર્યાં છે.

એ વાત સાચી છે કે ભારતના અનેક કાયદાઓનો દુરુપયોગ થઈ રહ્યો છે. દુરુપયોગ બંને કરે છે; પ્રજા પણ કરે છે અને શાસકો પણ કરે છે. પ્રજા કરતાં શાસકો વધુ કરે છે. દાખલા તરીકે હમણાં નાગરિકતાની જોગવાઈમાં કરવામાં આવેલા સુધારા સામે દેશભરમાં આંદોલન થયું ત્યારે બી.જે.પી.શાસિત રાજ્યોમાં ૧૪૪મી કલમ લાગુ કરવામાં આવી હતી એ કાયદાનો દુરપયોગ નહોતો તો બીજું શું હતું? આવા તો બીજા અનેક દાખલા આપી શકાય એમ છે. આવું માત્ર આજની સરકાર જ કરે છે એવું નથી, પાછલી સરકારોએ પણ કાયદાનો દુરુપયોગ કર્યો છે. આમ રાજા-પ્રજા બંને પક્ષે કાયદાના કરવામાં આવતા દુરુપયોગને કારણે વહીવટીતંત્ર પંગુ બની જાય છે અને સરવાળે દેશને નુકસાન થાય છે.

લાખ રૂપિયાનો સવાલ એ છે કે કાયદાનો દુરુપયોગ શેને કારણે થાય છે? દેશના માનનીય મુખ્ય ન્યાયમૂર્તિને આ સવાલ પૂછવો જોઈએ. તેમને એ પણ પૂછવું જોઈએ કે પ્રજા રોષે ભરાઈને રસ્તા પર ઊતરીને ઝટપટ ગુનેગારને સજા કરવાની માગણી કેમ કરવા લાગે છે? તેમને એમ પણ પૂછવું જોઈએ કે કેટલીક વાર પ્રજા પોતે કાયદો હાથમાં લેવા સુધી કેમ જાય છે? તેમને એમ પણ પૂછવું જોઈએ કે હૈદરાબાદમાં પોલીસ ચાર ચાર કહેવાતા બળાત્કારીઓનાં એન્કાઉન્ટર કરે ત્યારે પ્રજા પોલીસને ધન્યવાદ કેમ આપે છે? ગુનેગારને સજા કરવા માટે પ્રજા જજની જગ્યાએ પોલીસની ઓશિંગણ બને એ ન્યાયતંત્ર માટે શરમાવા જેવી ઘટના નથી? દેશના મુખ્ય ન્યાયમૂર્તિને આ સવાલ પૂછવો જોઈએ. ૯૯ ટકા કિસ્સામાં એન્કાઉન્ટર એટલે કોઈકને ઇશારે પોલીસ દ્વારા કરવામાં આવતાં ખૂન એ શું દેશના ન્યાયમૂર્તિ નથી જાણતા? તેમને એમ પણ પૂછવું જોઈએ કે કાયદાના દુરુપયોગનું પ્રમાણ ભારતમાં કેટલું છે અને બીજા આધુનિક-સભ્ય-પ્રગતિશીલ દેશોમાં કેટલું છે? તેમને એમ પણ પૂછવું જોઈએ કે કાયદાના દુરુપયોગના પ્રમાણનો તફાવત ૪૫ : ૫૫ (જેમ કે અમેરિકામાં ૪૫ અને ભારતમાં ૫૫ ટકા) છે કે ૯૫ : ૫ નો છે?

જો તમે તમારાં સંતાનને સુરક્ષિતતા આપીને જવા માગતા હો તો આ સવાલ દેશના શાસકોને અને મુખ્ય ન્યાયમૂર્તિને કરવા જોઈએ. જો સવાલ નહીં કરો તો તમારા સંતાનનું પોલીસ એન્કાઉન્ટર કરી શકે છે. જો વિરોધ કરશે તો સત્તાધીશો અને જીવનમાં સફળતા મેળવશે તો કોઈ સ્પર્ધક ફસાવી શકે છે. એવું પણ બને કે એ મૃત્યુ સુધી ક્યારે ય કલંકમાંથી અને યાતનાઓમાંથી છૂટકારો નહીં મેળવે અને એવું પણ બને કે એ એમાંથી છૂટકારો મેળવવા આત્મહત્યા કરે. તમે જો તમારા સંતાન માટે આવું દારુણ ભવિષ્ય મૂકીને જવા ન માગતા હો તો સત્તાધીશોને અને દેશના મુખ્ય ન્યાયમૂર્તિને ઉપર કહ્યા એવા સવાલ પૂછો.

પણ કોઈ પ્રશ્ન પૂછતું નથી એટલે દેશના મુખ્ય ન્યાયમૂર્તિ અને બીજા જજો સુનાવણીઓ દરમ્યાન અથવા પ્રસંગોપાત ભાષણોમાં અવારનવાર કહે છે કાયદાઓનો દુરુપયોગ થઈ રહ્યો છે. શું તેમને જાણ નથી કે કાયદાના દુરુપયોગને રોકવાનું કામ કોનું છે અને કઈ રીતે રોકી શકાય? જો ન જાણ હોય તો કાયદાપંચના અહેવાલો વાંચી લે. તેમાં કાયદાના રાજને વળગેલી બધી જ બીમારીઓની અને તેના ઈલાજોની વાત કહેવાઈ છે. અમેરિકા જેવા પ્રગતિશીલ દેશોમાં કાયદાના દુરુપયોગને કઈ રીતે રોકવામાં આવે છે એનો અભ્યાસ કરી જુએ.

ભારતની વિવિધ અદાલતોમાં સાડા ત્રણ કરોડ કેસો ચુકાદાની રાહ જોતા પડ્યા છે એમાંથી ઓછામાં ઓછા ૮૦ ટકા કેસ કાયદાના દુરુપયોગનું પરિણામ છે. કાયદાના દુરુપયોગના કારણે જેટલા કેસ દેશની અદાલતોમાં પડ્યા છે એમાંથી ૮૦ ટકા કેસમાં કાયદાનો દુરુપયોગ કરનાર સરકાર પોતે છે. કોર્પોરેટ કંપનીઓ મોંઘા ભાવના વકીલોને રોકીને સ્પેશિયલ લીવ પિટીશનના કાયદાનો દુરુપયોગ કરીને સર્વોચ્ચ અદાલતનો ૯૦ ટકા સમય ખાય છે એની પણ જાણ મુખ્ય ન્યાયમૂર્તિને નથી? દેશનો સામાન્ય નાગરિક જેનો ૮૦ ટકા ઉપયોગ કરે છે અને ૨૦ ટકા દુરુપયોગ કરે છે એ આંખમાં ખટકે છે, પણ જે કાયદાનો ૮૦ ટકા દુરુપયોગ કરે છે એ સરકાર અને કોર્પોરેટ કંપનીઓ વિષે તેમને કાંઈ કહેવાનું નથી.

સરકાર હોય, કોર્પોરેટ કંપનીઓ હોય કે સામાન્ય પ્રજા હોય; કાયદાનો દુરુપયોગ તો જ શક્ય છે જો દુરુપયોગ કરનારને ગળા સુધી ખાતરી હોય કે તેને કાયદાનો દુરુપયોગ કરવા માટે કોઈ સજા થવાની નથી. અહીં મુખ્ય ન્યાયમૂર્તિએ આંગળી પોતાના તરફ ફેરવવી જોઈએ. ન્યાયતંત્ર તરફ ફેરવવી જોઈએ. ન્યાયતંત્ર પાંગળું છે એટલે કાયદાઓનો દુરુપયોગ થઈ રહ્યો છે. ન્યાયતંત્ર પાંગળું છે માટે અદાલતોમાં કેસોનો ભરાવો થઈ રહ્યો છે. ન્યાયતંત્ર પાંગળું છે એટલે એન્કાઉન્ટર થઈ રહ્યા છે અને એન્કાઉન્ટર કરનારા પોલીસોને પ્રજા શાબાશી આપે છે. ન્યાયતંત્ર પાંગળું છે એટલે લોકો ક્વચિત રસ્તા પર ઊતરીને ઝટપટ ન્યાયની માગણી કરે છે.  અને ન્યાયતંત્ર પાંગળું છે એટલે દેશનો વડો પ્રધાન ખુલ્લેઆમ આંખનું મટકું પણ માર્યા વિના હડહડતું જૂઠાણું બોલી શકે છે.

જો ન્યાયતંત્ર ચુસ્તદુરુસ્ત હોત તો આમાનું કાંઈ ન થાત. કાયદાનો દુરુપયોગ કરનારાને કે બીજી અનીતિ આચારનારને જેલ જવાનો ડર લાગત. આ ડર નથી એટલે તમામ પ્રકારના લોકો કાયદાઓનો દુરુપયોગ કરીને ન્યાયતંત્રને નિર્વસ્ત્ર કરી રહ્યા છે અને મુખ્ય ન્યાયમૂર્તિને તેની ગંભીરતા જ સમજાતી નથી. પૃથ્વીનું તપામાન વધી રહ્યું છે એમ પર્યાવરણશાસ્ત્રી જેમ કહે તેમ મુખ્ય ન્યાયમૂર્તિ કહી રહ્યા છે કે કાયદાનો દુરપયોગ થઈ રહ્યો છે. પર્યાવરણશાસ્ત્રી કર્તા નથી દ્રષ્ટા (વિટનેસ) છે, જ્યારે મુખ્ય ન્યાયમૂર્તિ અને સમગ્ર ન્યાયતંત્ર કર્તા હોવા છતાં દ્રષ્ટાની જેમ બોલે છે; જુઓ ને કાયદાઓનો દુરુપયોગ થઈ રહ્યો છે!

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 29 ડિસેમ્બર 2019

Loading

29 December 2019 admin
← ભારતનાં બંધારણ અને આપસમાં બિરાદરી, સમજ અને સંઘર્ષથી જોડાયેલાં વિદ્યાર્થીવર્ગને લોકશાહી સરકાર સાંભળે-સમજે
ચલ મન મુંબઈ નગરી — 24 →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved