Opinion Magazine
Number of visits: 9449039
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જ્યાં માણસાઈનો મહિમા થતો હોય ત્યાં ગદગદ થાવ

રમેશ ઓઝા|Opinion - Opinion|3 November 2022

મૂળ ભારતીય ઋષિ સુનક બ્રિટનના વડા પ્રધાન બન્યા ત્યારથી કેટલાક લોકો પોરસાતા થાકતા નથી. કોઈક સુનક ભારાતીય હોવા માટે ગર્વ અનુભવે છે તો કોઈક તેના હિંદુ હોવા માટે ગર્વ અનુભવે છે. જો ગર્વ જ લેવો હોય તો બ્રિટિશ પ્રજા માટે લેવો જોઈએ, જેણે એક અશ્વેત, એક ગેરખ્રિસ્તી અને મૂળમાં વિદેશથી આવેલા એક ગેરબ્રિટિશ પરિવારમાં જન્મેલા પુત્રને પોતાનો માન્યો. ગર્વ લેવો હોય તો ઋષિ સુનક માટે લેવો જોઈએ, જેણે પ્રજાનો સ્વીકાર રળ્યો. સ્વીકાર પામવો અને સ્વીકાર કરવો એ માણસાઈનાં અંતિમ અને ખરા માપદંડ છે. બાકી ધર્મ, ભાષા જાતિ વગેરેનાં અભિમાન મિથ્યાભિમાન છે.

કેટલાક વળી ઇન્ડિયન ઓરિજીન ગ્લૉબલ ટૅકઓવરની વાતો કરવા માંડ્યા છે. આ ચર્ચા પણ એક દાયકાથી ચાલી રહી છે અને કેટલાક લોકો કારણ વિના પોરસાય છે. જુઓ જગતની મોખરાની કહી શકાય એવી પંદર કરતાં વધુ બહુરાષ્ટ્રીય કંપનીઓના સી.ઈ.ઓ. ભારાતીય છે, અમેરિકામાં દર ત્રીજો તબીબ ભારતીય છે વગેરે. આમાં પણ ગર્વ લેવો હોય તો એ લોકો માટે લેવો જોઈએ જેણે પોતાની કંપનીના સંચાલકની પસંદગી કરતી વખતી નાતજાત, દેશ કે ધર્મ નહોતા જોયા અને માત્ર આવડતની કદર કરી છે. ગર્વ લેવો હોય તો એ ભારતીયો માટે ગર્વ લેવો જોઈએ, જેણે મુસલમાનના ઘરમાં ડોકિયાં કરવામાં કે કોઈ નેતા કે બાપુના ભક્ત બનીને માંડવામાં આળોટવામાં આયખું નથી વિતાવ્યું, પણ પોતાની અંદર રહેલી શક્તિને પારખવામાં અને તેનો રચનાત્મક ઉપયોગ કરવામાં જિંદગીની સાર્થકતા જોઈ છે. તેમણે જગતના ચૌટે પોતાની જગ્યા બનાવી. ગર્વ લેવો હોય તો એ માણસ માટે ગર્વ લેવો જોઈએ જેણે મંદિરો બાંધવાની જગ્યાએ આઈ.આઈ.ટી., ઈસરો, આઈ.આઈ.એમ., એઈમ્સ, બી.એ.આર.સી. જેવી સંસ્થાઓ સ્થાપવાને પ્રાથમિકતા આપી. ઇન્ડિયન ઓરિજીન ગ્લૉબલ ટૅકઓવર જો ગૌરવ લેવા જેવી ઘટના લાગતી હોય તો એ જશના અધિકારી જવાહરલાલ નેહરુ પણ છે. ગ્લૉબલ ટૅકઓવર કરનારાઓ જવાહરલાલ નેહરુએ સ્થાપેલા આધુનિક યુગના આધુનિક મંદિરોની પેદાશ છે.

જો ગર્વ લેવો જ હોય તો વિશ્વમાં ચાલેલા અને ચાલી રહેલા માનવકેન્દ્રી બૌદ્ધિક વિમર્શને પણ આપવો જોઈએ જેણે બીજી બધી ઓળખોને ગૌણ ઠરાવીને કેવળ માનવીને કેન્દ્રમાં રાખ્યો અને તેના સ્વીકાર માટે મનના પરિઘને વિસ્તાર્યો. આ મનના પરિઘને વિસ્તરવાની જહેમત છે એ કોઈ નાનીસૂની ઘટના નથી. સોક્રેટીસ અને ગાંધી જેવાને પ્રાણ આપવા પડ્યા છે. પરિઘ-વિસ્તારની પ્રક્રિયા સામે પડકારો પેદા થતા જ રહે છે. આજે પણ થઈ રહ્યા છે. માટે જગત આખામાં માનવસમાજની યાત્રા એક દિશાની ધોરીમાર્ગે ચાલનારી નથી હોતી. એમાં અવરોધો આવે છે, દિશાંતરો થાય છે અને પીછેહઠ પણ થાય છે. ટૂંકો સ્વાર્થ ધરાવનારા લોકો પ્રજાને અવળી દિશામાં લઈ જવાનો પ્રયાસ કરે છે અને તેમાં તેઓ ફિલસૂફીને જોડે છે. બ્રિટન અને યોરોપના કેટલાક દેશો જ્યારે સંસ્થાનોનું શોષણ કરતા હતા, ત્યારે તેમણે તેમાં ‘વ્હાઈટમેન્સ બર્ડન’ નામની ફિલસૂફી જોડી હતી. અમે અશ્વેત પ્રજાનું શોષણ કરવા માટે દેશો કબજે નથી કરતા, પણ ત્યાંની પ્રજાનો ઉદ્ધાર કરવા માટે કર્તવ્ય (વ્હાઈટમેન્સ બર્ડન) સમજીને ફરજ બજાવીએ છીએ.

માટે જ્યારે પણ કોઈ પ્રજાના ઇતિહાસ અને વર્તમાન ઉપર નજર કરો ત્યારે સમગ્રતામાં નજર કરતાં શીખવું જોઈએ. આ એ બ્રિટિશ પ્રજા છે જેણે ભારતનું અને બીજા દેશોનું બર્બરતાપૂર્વક શોષણ કર્યું હતું. બીજી બાજુ આ એ બ્રિટિશ પ્રજા છે જેણે દાદાભાઈ નવરોજીને મત આપીને આમની સભામાં ચૂંટ્યા હતા અને એ પણ ૧૮૯૨ની સાલમાં. આપણી લોકસભાની જેમ આમની સભા માટે નાગરિકો મત આપે છે અને પોતાના પ્રતિનિધિને ચૂંટે છે. ૧૮૯૫ની સાલમાં ઇશાન લંડનના મજૂર વિસ્તારમાંથી આમની સભા માટે મંચેરજી ભાવનગરીએ ઉમેદવારી કરી હતી અને તેઓ ચૂંટાયા હતા. યાદ રહે, એ વિસ્તારમાં એક પણ ભારતીય મતદાતા નહોતો. આ એ બ્રિટિશ પ્રજા છે, જેના વિરોધ પક્ષના નેતા વિન્સ્ટન ચર્ચિલે ૧૯૨૦ની સાલમાં ગાંધીજીને નગ્ન ફકીર તરીકે ઓળખાવ્યા હતા અને બ્રિટિશ સામ્રાજ્યના પ્રતિનિધિ સામે ગાંધીજી એક આસને બેસે અને આંખમાં આંખ પરોવીને વાત કરે એને બ્રિટિશ સામ્રાજ્યનું અપમાન ગણાવ્યું હતું. બીજી બાજુ આ એ બ્રિટિશ પ્રજા પણ છે જેણે એની બેસન્ટ જેવાં અનેક લોકો આપ્યાં જેણે ભારતની પ્રજાનાં આઝાદીનાં સપનાંને અને તેના અધિકારને ટેકો આપ્યો. તેના માટે કામ કર્યું. આ એ બ્રિટિશ પ્રજા છે જેના એક પ્રતિનિધિ લોર્ડ મેકોલેએ કહ્યું હતું કે પૂર્વના દેશોની બધી જ વિદ્યાશાખાઓનું બધું જ સંગ્રહિત જ્ઞાન જો એક જગ્યાએ એકઠું કરવામાં આવે તો એક કબાટ પણ ન ભરાય અને આ વળી એ જ બ્રિટિશ પ્રજા છે જેણે બનારસમાં અને કલકત્તામાં સંસ્કૃત કૉલેજો સ્થાપી, એશિયાટિક સોસાઈટી સ્થાપી અને એક લાખ કરતાં વધુ સંસ્કૃત-પ્રાકૃત-પાલી  પાંડુલિપી એકઠી કરી. એની વાચનાઓ તૈયાર કરાવી અને પ્રકાશનની વ્યવસ્થા કરી. આ એ બ્રિટિશ પ્રજા છે જેણે ભારતનાં અર્થતંત્રને જાણીબૂજીને ખતમ કરી નાખ્યું અને આ એ જ બ્રિટિશ પ્રજા છે જે પોતાના અર્થતંત્રને બચાવવા માટે એક એવા માણસની પસંદગી કરી છે જે નથી ખ્રિસ્તી, નથી શ્વેત કે નથી મૂળ બ્રિટિશ. ઊલટું ઋષિ સુનક ધાર્મિક હિંદુ છે અને પોતાની ધાર્મિકતા છૂપાવતા પણ નથી.

આનો અર્થ એ થયો કે પ્રજાકીય યાત્રા ક્યારે ય એક સરખી અને એક દિશાની હોતી નથી, પણ આપણી પોતાની યાત્રા એક સરખી અને એક દિશાની હોઈ શકે છે. નિર્ણય આપણે લેવાનો છે. ધારો તો ભૂંડણાં બનીને બીજાનાં કુકર્મોના ઉકરડા ખુંદવામાં કે પછી પોપટ બનીને બીજાએ શીખવાડેલા આત્મપ્રશસ્તિના ગુણગાન ગાવામાં આયખું વિતાવી શકો છો, અને ધારો તો પરિઘવિસ્તારનો પણ એક વિકલ્પ ઉપલબ્ધ છે જે એમ શીખવે છે કે ઘટનાની બાબતે ન્યાયાધીશ બનવું, પણ પ્રજાની બાબતે નહીં બનવું.

મેં કહ્યું ઘટનાની બાબતે ન્યાયાધીશ બનવું, પ્રજાની બાબતે નહીં. ક્યારે ય કોઈ પ્રજા અને ઓળખોના આધારે રચાયેલા પ્રજાસમૂહો નિર્દોષ હોતા નથી. એમાં સારા-નરસાપણું એમ બન્ને હોય છે. એવું નથી કે હિંદુઓમાં કોઈ નરસાપણું નથી અને મુસલમાનોમાં કોઈ સારાપણું નથી. બન્નેમાં બન્ને છે. નિર્ણય આપણે લેવાનો છે કે ઘટનાને આધારે નિંદા કે સ્તુતિનો નિર્ણય લેવો કે પ્રજા કોણ છે એ જોઇને? જે પહેલો માર્ગ અપનાવે છે એના પરિઘનો વિસ્તાર થાય છે અને તે ઉપર ચડે છે. સત્ય નાંદેલા, કમલા હેરીસ કે ઋષિ સુનક અને આવાં બીજાં અનેક ગ્લૉબલ ટૅકઓવર કરનારાઓ આ પહેલા માર્ગના પ્રવાસીઓ છે. ઋષિ સુનક માટે ગર્વ લેનારાઓ પાછા કમલા હેરીસ માટે લેતા નથી કારણ કે તે મૂળ ભારતીય હોવા છતાં ખ્રિસ્તી છે. જે બીજો માર્ગ અપનાવે છે એ લોકો ભૂંડાવતાર ધારણ કરીને ઉકરડે પહોંચે છે.

તો ભાઈ, ગદગદ થવું જ હોય તો જ્યાં માણસાઈનો મહિમા થતો જોવા મળે ત્યાં ગદગદ થાવ અને જો રોષ કાઢવો જ હોય તો જ્યાં માણસાઈનો લોપ થતો હોય એવી ઘટના જોઇને રોષ ઠાલવો. ઋષિ સુનકના વડા પ્રધાનપદની ઘટનામાં ગદગદ થવા જેવું એ છે કે બ્રિટિશ પ્રજાએ ઋષિનું કૂળ જોયા વિના તેમનો સ્વીકાર કર્યો અને ઋષિ સુનકે તેમનો સ્વીકાર રળ્યો. માટે પરિઘ વિસ્તારો. એમાં લાભ જ લાભ છે. જો કે, એક નુકસાન છે. મનગમતી અને તેને મમળાવવામાં આનંદ આપતી પૂર્વગ્રહોની ગાંઠો છૂટી જશે. આ પણ જલદી છૂટે નહીં અને છોડવું ગમે નહીં એવું એક વ્યસન છે.

કલ્પના કરો કે, તમારે તમારાં સંતાનને આ બેમાંથી કોઈ એક માર્ગ અપનાવવાની સલાહ આપવી હોય તો શી સલાહ આપો? પ્રશ્નથી ભાગવાનો પ્રયાસ નહીં કરતા, અહીં તમારા અંતરાત્મા સિવાય કોઈ સાંભળનાર નથી, માટે મનોમન કહો કે કયો માર્ગ તમારાં સંતાને અપનાવવો જોઈએ? કયો માર્ગ તેના માટે હિતકારી હોઈ શકે? તમારો ઉત્તર તમારાં સંતાનને ઊંચે ચડાવશે અથવા ઉકરડે પહોંચાડશે. તમે તમારાં સંતાનને ક્યાં જોવા ઈચ્છો છો?

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 03 નવેમ્બર 2022

Loading

3 November 2022 Vipool Kalyani
← ખાસ છું.
Elaben Bhatt: A Life Lived for Women, Work and Peace →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved