Opinion Magazine
Number of visits: 9447706
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જોઈએ છે : દેશને મજબૂત વિપક્ષ અને વિકલ્પ

રમેશ ઓઝા|Opinion - Opinion|27 August 2020

સોમવારે કૉંગ્રેસની કાર્યસમિતિમાં જે રીતની ચર્ચા થઈ અને જે નિર્ણય લેવાયો એનાથી કોંગ્રેસીઓને નિરાંત થઈ કે નિરાશા એ આપણે જાણતા નથી, પરંતુ દેશના લોકતંત્રની ખેવના કરનારાઓને તો નિરાશા જરૂર થઈ હશે. દેશને અત્યારે મજબૂત વિરોધ પક્ષની અને રાજકીય વિકલ્પની જરૂર છે. આ બન્ને કામ કૉંગ્રેસ કરી શકે એમ છે, પરંતુ એ પહેલાં કૉંગ્રેસે ચુસ્તદૂરુસ્ત થવું પડે એમ છે. એમાં કોઈ શંકા નથી કે કૉંગ્રેસ અત્યારે બીમાર અવસ્થામાં છે અને તેને સાજા થવાની જરૂર છે.

ત્રણ પ્રશ્ને કૉંગ્રેસના નેતાઓએ નિર્ણય લેવો પડે એમ છે. એ ત્રણ પ્રશ્નોમાં પહેલો પ્રશ્ન છે વિચારધારાનો. ભલે પચીસ વરસ વિરોધ પક્ષમાં રહેવું પડે, પણ આઝાદીના આંદોલનમાં ભારત વિશેની જે કલ્પના (આઇડિયા ઓફ ઇન્ડિયા) વિકસી છે એને માટે કૉંગ્રેસ સમર્પિત હોવી જોઈએ. કૉંગ્રેસે એ કલ્પના વિકસાવી હતી, કૉંગ્રેસે એ કલ્પનાનું પોષણ કર્યું છે, કૉંગ્રેસે એ મુજબ રાષ્ટ્રઘડતર કર્યું હતું અને કૉંગ્રેસ એ કલ્પનાના વિરોધીઓ સામે રાજકીય રીતે ઝઝૂમી હતી. હિંદુ રાષ્ટ્રવાદની સામેનો ધ્રુવ સર્વસમાવેશક રાષ્ટ્રવાદનો છે. આજે હિંદુ રાષ્ટ્રવાદ આક્રમક છે તો એનો અર્થ એવો નથી કે તેનું ક્યારે ય પતન નહીં થાય. એકાદ દશકામાં નવમૂડીવાદ રાષ્ટ્રવાદને ભરખી જવાનો. અત્યારે જે અંધાધૂંધ ખાનગીકરણ થઈ રહ્યું છે એ આ વાત સાબિત કરે છે. લોકોને ડરાવી, રડાવી અને લડાવીને રાજકારણ કરવું હોય તો મજબૂત પ્રચારયંત્રણા જોઈએ અને એ નાણાં વિના શક્ય નથી.

આવી લઘુતાગ્રંથિના રાજકારણનો વિકલ્પ છે આત્મવિશ્વાસથી ભરપૂર સર્વસમાવેશક ભારતીય રાષ્ટ્રવાદનો. કૉંગ્રેસ એનું પ્રતિનિધિત્વ કરતી હતી અને ભવિષ્યમાં પણ કરવું જોઈએ. હિંદુઓના મત ગુમાવવાના ડરથી કૉંગ્રેસ હિંદુ તરફી સમાધાનકારી રાજકારણ કરશે તો તે ફાવે એ શક્યતા ઓછી છે. હિંદુઓને રીઝવવામાં જેમની મહારથ છે એની સામે મુકાબલો કરવાનો કોઈ અર્થ નથી. હકીકતમાં ૧૯૮૯ની સાલથી કૉંગ્રેસ હિંદુઓથી ડરીને રાજકારણ કરે છે જેને પરિણામે કૉંગ્રેસ માટે બાવાના બેઉ બગડ્યા જેવું થયું છે. હિંદુ કોમવાદીઓના મત મળ્યા નહીં અને ઉદારમતવાદીઓના મત ગુમાવ્યા. ટૂંકમાં કૉંગ્રેસે તેના મૂળ સ્થાને પાછા ફરવું જોઈએ અને હિંમતથી પાછા ફરવું જોઈએ. પછી સત્તામાં પાછા ફરતા ભલે દાયકો-બે દાયકા લાગે. કોંગ્રેસીઓએ એટલું ધ્યાન રાખવું જોઈએ કે ભારતમાં ઉદારમતવાદી હિંદુઓ આજે પણ બહુમતીમાં છે અને જે ભ્રમિત છે તેમનો ભ્રમ ભાંગશે.

પણ અત્યારની કૉંગ્રેસ માટે આ શક્ય છે? એ જ તો ખાટલે મોટી ખોડ છે. સોમવારની બેઠકમાં કૉંગ્રેસ કાર્યસમિતિના સભ્યોએ સાત કલાક ચર્ચા કરી, પણ એમાં કૉંગ્રેસ શા માટે એની કોઈ ચર્ચા જ કોઈએ નહીં કરી. કૉંગ્રેસના જે ૨૩ નેતાઓએ કૉંગ્રેસના હંગામી પ્રમુખ સોનિયા ગાંધીને પત્ર લખ્યો એમાં પણ વિચારધારાની વાત આવતી નથી. કૉંગ્રેસ શા માટે એ જો ખૂંટો રોપાઈ જાય તો એ પછી કૉંગ્રેસને ઊભી કરનારા મળી રહેશે.

બીજો પ્રશ્ન એ છે કે ગાંધીપરિવારનું શું કરવું? એક સમયે નેહરુ-ગાંધી પરિવાર બે ભૂમિકા ભજવતો હતો. એક ભૂમિકા હતી કોંગ્રેસીઓને જોડી રાખવાની અને બીજી ભૂમિકા હતી દેશની જનતાને કૉંગ્રેસને મત આપવા માટે પ્રેરિત કરવાની. છેલ્લાં કેટલાંક વર્ષોથી આ બીજી શક્તિ  ગાંધીપરિવારે ગુમાવી દીધી છે. હજુ આજે પણ કોંગ્રેસીઓને જોડી રાખવામાં પરિવાર સફળ નીવડી રહ્યો છે, પણ હજુ આગળ કેટલો સમય? મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને ૨૩ કાઁગ્રેસીઓનો પત્ર સંકેત આપે છે કે એનો પણ હવે અંત આવી રહ્યો છે. કાઁગ્રેસીઓ પરિવારની વાત સાંભળે છે  એનું કારણ એ નથી કે પરિવારની આણ કે પ્રતિષ્ઠા છે, પરંતુ તેઓ એકબીજાને નકારે છે. તેઓ કોઈને નકારવા માટે અથવા કોઈના નકારથી બચવા માટે પરિવારનો ઉપયોગ કરે છે. જ્યાં સુધી પરિણામ મળશે ત્યાં સુધી સાંભળશે અને જ્યારે પરિણામ નહીં મળે ત્યારે આપસમાં લડી લેશે, પણ પરિવારને સાંભળવાનું બંધ કરી દેશે.

શું સોનિયા ગાંધીને, રાહુલ-પ્રિયંકા ભાઈબહેનને અને વરિષ્ઠ કાઁગ્રેસીઓને એટલી વાત નથી સમજાતી કે પરિવારે પ્રજાને પ્રેરવાની મહત્ત્વની શક્તિ તો સાવ ગુમાવી દીધી છે અને બીજી કાઁગ્રેસીઓને જોડી રાખવાની શક્તિ પણ ધીરેધીરે ગુમાવી રહી છે? જો વાસ્તવિકતાનો સ્વીકાર નહીં કરવામાં આવે તો એક દિવસ પરિવાર આબરૂ ગુમાવશે અને કૉંગ્રેસમાં યાદવાસ્થળી થશે અને ખતમ થઈ જશે.

તો પરિવાર સામે અને કાઁગ્રેસીઓ સામે બીજો પ્રશ્ન છે પરિવારનું શું કરવું? કૉંગ્રેસ કાર્યસમિતિમાં (અને બહાર પણ) પરિવારના ગુણદોષની ચર્ચા નહોતી થઈ. એ પછી ત્રીજો મુંઝવનારો પ્રશ્ન કાઁગ્રેસીઓ સમક્ષ છે જેને ભારતીય રાજ્યશાસ્ત્રમાં ‘કૉંગ્રેસ સીસ્ટમ’ તરીકે ઓળખાવવામાં આવે છે. ૧૯૬૦ના દાયકામાં જાણીતા સમાજશાસ્ત્રી રજની કોઠારીએ ભારતીય રાજકારણના બદલાયેલા સ્વરૂપને કૉંગ્રેસ સીસ્ટમ તરીકે ઓળખાવ્યું હતું. કૉંગ્રેસ સીસ્ટમ એટલે ઈલેકશન મેનેજમેન્ટ. એક એવી સીસ્ટમ જે ચૂંણની જીતાડી આપે. જે સત્તામાં પુન: પુન: સ્થાપિત કરી આપે. કૉંગ્રેસ સતામાં હતી એટલે કૉંગ્રેસે આવી એક સીસ્ટમ વિકસાવી હતી અથવા વિકસી હતી જે હવે બધા પક્ષોએ અપનાવી છે. ભારતીય જનતા પક્ષ પણ આનાથી મુક્ત નથી. આ કૉંગ્રેસ સીસ્ટમ ઇન્ડિયન પોલીટિકલ સીસ્ટમ બની ગઈ છે.

શરૂઆત કૉંગ્રેસે કરી હતી એટલે તેનું પરિણામ કૉંગ્રેસ ભોગવી રહી છે. બીજા પક્ષો પણ હવે કિંમત ચૂકવતા થયા છે અને બી.જે.પી.નો વારો હવે પછી આવશે. કૉંગ્રેસ સીસ્ટમનો પહેલો ભોગ પક્ષઅંતર્ગત લોકતંત્ર બને છે. પક્ષ લોકસંગઠન મટી જાય છે એટલે લોકનેતા મળતા બંધ થઈ જાય છે. કૉંગ્રેસ પાસે આજે નેતાઓ છે, લોકનેતાઓ નથી. કૉંગ્રેસ સીસ્ટમે તેનું કાસળ કાઢી નાખ્યું છે. જે ૨૩ નેતાઓએ પત્ર લખ્યો હતો એમાંના કોઈ લોકનેતા નથી. કપિલ સિબ્બલ, શશી થરૂર અને બાકીના બધા નેતાઓ સીધા ઉપરથી આવીને નેતા બન્યા છે. કોઈએ શરદ પવાર કે નરેન્દ્ર મોદીની માફક નીચેથી શરૂઆત નથી કરી. તેઓ પોતે કૉંગ્રેસ સીસ્ટમનું સર્જન છે.

આમ આ કૉંગ્રેસ સીસ્ટમનું શું કરવું એ ત્રીજો પ્રશ્ન છે અને સોમવારની કાર્યસમિતિમાં એના વિષે પણ કોઈ વાત નહોતી થઈ. જ્યાં સુધી કૉંગ્રેસ આ ત્રણ પ્રશ્નો હાથ નહીં ધરે ત્યાં સુધી કૉંગ્રેસનો ઉદ્ધાર થવાનો નથી અને ભારતીય લોકતંત્રના ભવિષ્ય વિશેની આપણી ચિંતાનો અંત આવવાનો નથી.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 27 ઑગસ્ટ 2020

Loading

27 August 2020 admin
← આપણી ખોડંગાતી લોકશાહી
કલમનું સ્થાન: પરસેવો કે પ્રેરણા? →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved