Opinion Magazine
Number of visits: 9446413
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જો નવું અપનાવવું હોય તો ગળથૂથીમાં મળેલું છોડવું પડે, જે ઘડીકમાં છૂટતું નથી

રમેશ ઓઝા|Opinion - Opinion|7 January 2024

કેટલાંક ગુણલક્ષણો કુદરત પાસેથી મળે છે અને કેટલાક સમાજ પાસેથી. પણ એક વિકલ્પ એ છે જે કુદરત કે સમાજ પાસેથી જે નથી મળતું, પણ આપણા માટે હિતકારી છે એ સ્વપ્રયત્ને અપનાવવું અને છોડવું

રમેશ ઓઝા

કેટલાંક સ્વભાવ લક્ષણો આપણે લઇને જન્મીએ છીએ. જેમ કે ભય, ક્રોધ, લોભ, મોહ, પ્રેમ, મૈથુન વગેરે. વતાઓછા પ્રમાણમાં દરેક મનુષ્યમાં આ લક્ષણો હોય છે. કેટલાંક લક્ષણો આપણો જન્મ જે સ્થળે, જે સમયે (જ્યોતિષની પરિભાષામાં નહીં) જે પરિવારમાં અને જે સમાજમાં થયો હોય ત્યાંથી જન્મતાની સાથે ધીરે ધીરે મળવા લાગે છે. ગુજરાતી ભાષામાં આને ગળથૂથીમાં મળેલાં લક્ષણો કહીએ છીએ. હિન્દુના ઘરમાં જન્મેલું બાળક હિન્દુ બને અને મુસલમાનનાં ઘરમાં જન્મેલું બાળક મુસલમાન બને. આ જે બનવાની પ્રક્રિયા છે એ સંસ્કાર છે અને તે ચોક્ક્સ સામાજિક પરિવેશમાંથી એની મેળે આપોઆપ વગર પ્રયાસે મળવા લાગે છે. આપણે કેટલી બધી ચીજો માટે ગર્વ અનુભવીએ છીએ? હિન્દુ હોવા માટે, મુસલમાન હોવા માટે, જૈન હોવા માટે, બ્રાહ્મણ હોવા માટે, ચોક્કસ પ્રકારનાં બ્રાહ્મણ હોવા માટે, પટેલ હોવા માટે, લેઉઆ પટેલ હોવા માટે, ગુજરાતી હોવા માટે, ભારતીય હોવા માટે, પુરુષ હોવા માટે વગેરે વગેરે. આમાં ચોક્કસ પરિવેશમાં થયેલો જન્મ નિર્ણાયક હોય છે, આપણો એમાં કોઈ પુરુષાર્થ હોતો નથી. બ્રાહ્મણ માતાની કોખે જન્મેલો જીવ બ્રાહ્મણ હોવા માટે ગર્વ અનુભવશે પણ જો તે દલિત માતાની કોખે જનમ્યો હોત તો તે બ્રાહ્મણોની નિંદા કરતો હોત. ટૂંકમાં ચોક્કસ પરિવેશજન્ય સંસ્કારોનો લેપ એની મેળે ચડવા લાગે છે અને આપણે તેને આપણા જીવનનો અવિભાજ્ય હિસ્સો માનવા લાગીએ છીએ. તેને માટે પ્રાણ લેતાં અને પ્રાણ આપતાં પણ કેટલાક લોકો સંકોચ કરતા નથી. પણ યાદ રહે, આમાં તમારો કોઈ પુરુષાર્થ નથી, એ એક અકસ્માત છે.

હવે તમે જો ધર્મોનો અભ્યાસ કર્યો હશે તો એમાં જોવાં મળ્યું હશે કે ધર્મગ્રંથો અને ધર્મગુરુઓ જન્મ સાથે સ્વભાવમાં મળેલાં લક્ષણોની વાત કરશે પણ કૌટુંબિક સામાજિક પરિવેશમાંથી મળેલાં લક્ષણોની વાત લગભગ નહીં કરે. તેઓ લોભ, મોહ, ક્રોધ, વિષયાક્તિ છોડવાની વાત કરશે અને તે સાથે પ્રેમ કરવાની વાત કરશે, અહિંસાની વાત કરશે, કરુણાની વાત કરશે, સત્યની વાત કરશે. ઊલટું કેટલાંક હિંદુ ધર્મગ્રંથો અને ધર્મગુરુઓ તો કહે છે કે આ ધરતી પર શ્રેષ્ઠ ભૂમિ ભારતવર્ષ છે, એમાં શ્રેષ્ઠ હિન્દુ છે, હિંદુઓમાં શ્રેષ્ઠ બ્રાહ્મણ છે અને બ્રાહ્મણોમાં શ્રેષ્ઠ પુરુષ છે. જેણે આગલા જન્મમાં પૂણ્ય સંચિત કર્યું હોય તેને જ માત્ર ભારતમાં હિન્દુ બ્રાહ્મણ પુરુષ તરીકે જન્મ મળે છે. પ્રમાણ માટે અહીં હું આદિ શંકરાચાર્યનાં પ્રસિદ્ધ ‘વિવેકચૂડામણી’નો બીજો શ્લોક ટાંકું છું : 

जंतूना नरजन्म दुर्लभमत: पुंस्त्वं ततो विप्रता

तस्माद्वैदिकधर्ममार्गपरता विद्वत्तमस्मात्परम् ।

आत्मानात्मविवेचनं स्वनुभवो ब्रह्मात्मना संस्थिति:

मुक्तिर्नो शतजन्मकोटिसुकृतै: पुण्यैयविना लब्धते ।। 

(જીવોમાં નરજન્મ (નર, નારી નહીં) દુર્લભ છે અને એમાં વળી બ્રાહ્મણ નર અને એ પણ વૈદિક ધર્મ પાળનારો નર હોય અને તે જો શાસ્ત્રાભ્યાસ કરીને આત્મા અનાત્મા વચ્ચે વિવેક કરી શકતો હોય અને બ્રહ્મમાં લીન રહેતો હોય તો તો પૂછવું જ શું! આવું ભાગ્ય शतजन्मकोटि સો કરોડ જન્મોમાં સારાં કૃત્યો મળે તેને જ મળે) 

શંકરાચાર્ય કહે છે કે આત્મા અનાત્મા વચ્ચે વિવેક કરી જાણનારો અને બ્રહ્મમાં લીન રહેનારો પાછો વૈદિકધર્મી બ્રાહ્મણ નર તો હોવો જ જોઈએ. બ્રહ્મલીન વૈદિકધર્મી, બ્રાહ્મણ અને પુરુષ એમ ત્રણ લાયકાત ધરાવતો હોવો જોઈએ. આ વિસંગતી છે અને આવી વિસંગતતા દરેક ધર્મમાં જોવા મળશે. ધર્મ, ધર્મગ્રંથો અને ધર્મગુરુઓ માનવીએ રચેલાં સંસ્કારજગતને માન્યતા આપે છે.

તો વાતનો સાર એ કે ધર્મગ્રંથો અને ધર્મગુરુઓ ઈશ્વરે આપેલાં સ્વભાવલક્ષણોને વધારવા ઘટાડવાની વાત કરે છે પણ સામાજિક પરિવેશમાંથી એટલે કે ગળથૂથીમાં મળેલાં લક્ષણોનો પુરસ્કાર કરે છે.  સ્ત્રી પુરુષની સેવા કરે એ તેનો ધર્મ છે, અછૂત સવર્ણોની સેવા કરે એ તેનો ધર્મ છે, બ્રાહ્મણને ભૂદેવ તરીકે પૂજ્ય ગણવા એ ગૈર બ્રાહ્મણોનો ધર્મ છે અને સ્વર્ગ ચોક્ક્સ ધર્મનો સ્વીકાર કરવાથી જ મળે એ વિધર્મીઓ સ્વીકારે એ તેમનો ધર્મ છે અને એમાં જ તેનું કલ્યાણ છે. કોઈ પણ ધર્મના ગ્રંથો અને ધર્મગુરુઓના વચનો જોઇ જાવ, દરેક જગ્યાએ એક કે બીજા સ્વરૂપમાં આ વાત જોવા મળશે.

આમ કેટલાંક ગુણલક્ષણો કુદરત પાસેથી મળે છે અને કેટલાક સમાજ પાસેથી. પણ એક ત્રીજો વિકલ્પ પણ છે અને એ છે જે કુદરત કે સમાજ પાસેથી જે નથી મળતું, પણ આપણા માટે હિતકારી છે એ વિવેક કરીને સ્વપ્રયત્ને અપનાવવું અને છોડવું. જો કુદરત કે પરિવેશ એ બંનેમાંથી કોઈ જગ્યાએથી ન મળતું હોય તો તેને વિકસાવવું. જેમ કે દરેક પ્રકારની સમાનતા, ન્યાય, એક માણસે બીજા માણસને આપવો જોઇતો માનવીય આદર, પોતાનો નિર્ણય પોતે લેવાનો અને પોતે ઇચ્છે એ મુજબ જિંદગી જીવવાનો અંગત માનવીય અધિકાર, ભિન્ન વિચાર સાંભળવા જેટલી સહિષ્ણુતા, દાદાગીરીની જ્ગ્યાએ સંવાદ, કોઇ પણ સમાજવિશેષ અને તેની માન્યતાઓથી નિરપેક્ષ માત્ર નાગરિકને કેન્દ્રમાં રાખતું હોય એવું માનવકેન્દ્રી તેમ જ માનવલક્ષી જવાબદાર રાજ્યતંત્ર વગેરે ગુણો નથી માણસ લઈને જન્મતો કે નથી તે જન્મ સાથે ગળથૂથીમાં મળતાં. આ મૂલ્યો અપનાવવાં પડે છે અને એ પણ સમજીવિચારીને પ્રયાસપૂર્વક.

હવે બને છે એવું કે પુરુષ ભગવાને બનાવ્યો અને પુરુષ શ્રેષ્ઠ છે અને સ્ત્રીએ પુરુષનો હુકમ પાળવો જોઈએ એ સમાજે શીખવાડ્યું, પણ માનવતાવાદીઓ કહે છે કે સ્ત્રી અને પુરુષ સમાન છે. તેઓ પુરુષને શ્રેષ્ઠ હોવાની પુરુષગ્રંથિ છોડવાની અને સ્ત્રીઓને ખુદ્દારી સાથે જીવવાની સલાહ આપે છે. આવી જ સલાહ તેઓ બ્રાહ્મણોને અને દલિતોને આપશે. તેઓ પુરુષપ્રધાન સમાજની જગ્યાઓ માનવીય સમાજ રચવાની વાત કરે છે.

પણ આમાં કેટલાકનો ગરાસ લૂંટાય છે અને એટલે તેઓ અસ્મિતાનો આશારો લઈને અસ્મિતાઓનું રાજકારણ કરે છે. અસ્મિતાઓનો આશારો લેનારાઓ માનવીય ગૌરવને નકારતા હોય છે.

આ સાવ નવી વાત છે જે નથી કુદરત પાસેથી મળતી કે નથી ગળથૂથીમાં મળતી પણ વ્યાપક માનવીય હિત માટે માનવીએ વિવેક કરીને વિચારીને વિકસાવી છે. છેલ્લાં પાંચસો છસો વરસ દરમ્યાન માણસે આ મૂલ્યો વિકસાવ્યાં છે જેને આધુનિક માનવીય મૂલ્યો તરીકે ઓળખાવવામાં આવે છે.

અહીં આપણી સામે સમસ્યા પેદા થાય છે. જો નવું અપનાવવું હોય તો ગળથૂથીમાં મળેલું છોડવું પડે અને જે છોડવાનું છે એ આપણી અંદર ઊંડે સુધી ધરબાયેલું છે. ડીપ કાસ્ટીંગ થયેલું છે. ઘડીકમાં છૂટતું નથી. વિશ્વમાં આધુનિક માનવમૂલ્યો વિકસ્યાં ત્યારથી માણસ જાત સાથે ઝઘડી રહ્યો છે. કેટલાક લોકો ધરાર છોડવા માગતા નથી. કેટલાક લોકો આધુનિકતાનો પ્રતિકાર કરે છે.

પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસરંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 07 જાન્યુઆરી 2024

Loading

7 January 2024 Vipool Kalyani
← ખરેખર અનોખા પાત્રોનાં શબ્દચિત્રો
માસ્તરો છે, મજૂરો નથી ! →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved