Opinion Magazine
Number of visits: 9657141
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જેવા સાથે તેવા થવું

રમેશ ઓઝા|Opinion - Opinion|18 July 2021

આ કોલમમાં આ પહેલાના લેખમાં મેં જે વિવેચન કર્યું હતું એને ક્રિસ્ટોફ જૅફફરલોટ ‘થિયરી ઑફ સ્ટીગમેટાઈઝેશન એન્ડ ઍમ્યુલેશન’ તરીકે ઓળખાવે છે. આપણે તો બહુ ભલા છીએ, પણ બીજા નઠારા છે તેનું શું? આપણો ઇતિહાસ અને પરંપરા ભલમનસાઈનાં છે, પરંતુ બીજાઓનો ઇતિહાસ અને પરંપરા નફ્ફટાઈનાં છે તેનું શું? આપણે ખાનદાન છીએ પણ બીજા નીચ છે તેનું શું? આપણે દરેક રીતે કલંકમુક્ત છીએ, પણ સામેવાળા દરેક પ્રકારના કલંક (સ્ટીગમા) ધરાવે છે ત્યારે આપણે બાપડાએ શું કરવું? ક્યાં જવું? કેમ જીવવું?

તેમની દૃષ્ટિએ આનો એક માત્ર ઉપાય છે અનુકરણ નકલ (એમ્યુલેશન) એટલે કે તેમના જેવા થવું. જેવા સાથે તેવા થવું. જો તે શઠ છે તો શઠ થવું. નીચ છે તો નીચ થવું. હિંસક છે તો હિંસક થવું. શિવાજી મહારાજે તેમના હિંદુ સિપાઈઓને મુસ્લિમ સિપાઈઓની સ્ત્રીઓ સાથે નીચ વ્યવહાર કરવાની છૂટ ન આપી એ વાતનો તો રોષ છે આપણા મહાન સાવરકરને! આપણે આપણાપણું છોડવું અને બીજાનું બીજાપણું અથવા જેવાનું જેવાપણું અપનાવવું. માટે જૅફ્ફરલોટ તેને અનુકરણ (એમ્યુલેશન) તરીકે ઓળખાવે છે. આનો અર્થ એ થયો કે હિંદુઓએ માના ધાવણમાંથી જે સંસ્કાર મળ્યા છે એ છોડવા. વેદોમાં, ઉપનિષદોમાં, સાંખ્યસૂત્રોમાં, યોગસૂત્રોમાં, જૈનદર્શનમાં, બૌદ્ધદર્શનમાં, મધ્યકાલીન સંતો અને સૂફીઓનાં વચનોમાં, મહાકાવ્યોમાં, કાવ્યશાસ્ત્રમાં, બીજાં ઓછાં જાણીતા દર્શનોમાં, આધુનિક સંતોનાં વચનોમાં, ગ્રંથો અને પરંપરાઓમાં જે કાંઈ માણસાઈની વાત કહેવાઈ છે તેને છોડવી.

આનો અર્થ એવો પણ નથી કે આપણા પ્રાચીન ગ્રંથોમાં અને પરંપરામાં કલંકિત અથવા શરમાવું પડે એવું કાંઈ જ નથી. વર્ણવ્યવસ્થા અને દલિતો સાથે અછૂતપણાનો વ્યવહાર આપણું કલંક છે. સ્ત્રી સાથે કરવામાં આવેલો અને હજુ પણ કરવામાં આવતો અન્યાય આપણું કલંક છે. આવાં બીજાં પણ અનેક કલંક છે. સાચા હિન્દુએ આપણાં કલંકિત ઇતિહાસ અને પરંપરાનો ખેલદિલીપૂર્વક સ્વીકાર કરવો જોઈએ, શરમ અનુભવવી જોઈએ અને બને એટલી ત્વરાએ કલંકિત પ્રથાને દૂર કરવી જોઈએ. હકીકત એ પણ છે કે આ જગતમાં કોઈ પ્રજા, કોઈ સમાજ, કોઈ ધર્મ, કોઈ સંપ્રદાય, કોઈ સભ્યતા કલંકમુક્ત નથી. દરેકનાં પોતપોતાનાં કલંક છે અને પોતપોતાનાં પાપ છે અને દરેકે તેનો સ્વીકાર કરીને શરમાવું જોઈએ. જગતની પ્રજા જ્યારે પોતપોતાનાં કલંકોનો સ્વીકાર કરતી થઈ જશે અને શરમ અનુભવીને તેને છોડવા માંડશે ત્યારે દુનિયામાં રામરાજ્ય અવતરશે.

આમ છતાં ય હું આગ્રહપૂર્વક કહું છું કે દલિતોએ અને અન્યાયનો ભોગ બનેલા અન્ય લોકોએ એ વાત સ્વીકારવી જોઈએ કે એકંદરે ભારતીય પરંપરા ઉદારતાની છે. હું જ્યારે ભારતીય શબ્દ વાપરું છું ત્યારે તેમાં હિંદુઓ, બૌદ્ધો, જૈનો, શીખો, સૂફીઓએ વિકસાવેલ ભારતીય ઇસ્લામને માનનારા મુસલમાનો, પ્રકૃતિપૂજા કરનારા આદિવાસીઓ અને નાસ્તિકોનો સમાવેશ થાય છે. તેમણે મળીને છેલ્લા પાંચ હજાર વર્ષ દરમ્યાન જે પરંપરા વિકસાવી છે તે સહિયારી ભારતીય પરંપરા છે. એમાં શરમાવાપણું જરૂર છે, પણ ગર્વ લેવાપણું ઘણું વધારે છે. જો સાર કાઢવામાં આવે તો આગળ કહ્યું એમ એકંદરે ભારતીય પરંપરા ઉદારતાની છે.

તો સવાલ એ છે કે આપણી સહિયારી પરંપરામાં (જેમાં હિંદુઓનો પ્રભાવ અને હિસ્સો ઘણો મોટો છે.) જે માણસાઈની વાત કહેવાઈ છે તેને પોતીકી ગણીને તેના વારસદાર તરીકે આપણે ગર્વ લેવો જોઈએ અને તેને હજુ વધુ સમૃદ્ધ કરવી જોઈએ કે પછી તેને છોડવી જોઈએ? સાચા હિંદુએ શું કરવું જોઈએ? તમે મને સલાહ આપો તો શું આપો? તમારે તમારાં સંતાનને સલાહ આપવી હોય તો શું સલાહ આપો? તમે પોતે કયો માર્ગ પસંદ કરો અથવા કર્યો છે? અહીંથી આગળ વધતા પહેલાં ક્ષણભર થોભીને વિચારી લો કે તમે તમારાં સંતાનને શી સલાહ આપીને જશો? માના ધાવણ જેવી, આપણી પોતાની, ગળથૂથીમાં મળેલી માણસાઈની પરંપરાને સ્વીકારવાની સલાહ આપીને જશો કે પછી જેવા સાથે તેવા થવા માટે તેને છોડવાની? વિચારો. સાચા ટકોરાબંધ હિન્દુએ શું કરવું જોઈએ?

હિન્દુત્વવાદીઓ કહે છે કે આપણી પરંપરામાં જે માણસાઈનો અતિરેક છે એ આપણી સમસ્યા છે. વિનાયક દામોદર સાવરકરે આમ અનેકવાર અનેક ઠેકાણે કહ્યું છે અને તેઓ જ હિન્દુત્વવાદીઓના એક માત્ર વિચારક છે. કોઈને પ્રમાણની જરૂર હોય તો મરાઠી ભાષામાં સમગ્ર સાવરકર ૧૦ ખંડમાં ઉપલબ્ધ છે એ જોઈ જાય. એમાંનાં કેટલાંક લખાણ ગુજરાતીમાં અને હિન્દી ભાષામાં ઉપલબ્ધ પણ હશે. પરંતુ બિચારા સાવરકર પણ ક્યાં ઓછા કમનસીબ માણસ છે! તેમના વિરોધીઓએ પણ એક વાત સ્વીકારવી જોઈએ કે તેઓ તેમનો અભિપ્રાય સ્પષ્ટ ભાષામાં વ્યક્ત કરવાની હિંમત ધરાવતા હતા. ઇતિહાસ અને પ્રમાણો સાથે ચેડાં કરશે અને ‘કાલ્પનિક તથ્યો’ પેદા કરશે, પણ અભિપ્રાય શરમાયા વિના આપશે. સ્ત્રીઓને તેમના વિચારો સાંભળીને ઘૃણા થાય એવા વિચારો પણ તેમણે શરમાયા વિના હિંમતપૂર્વક વ્યક્ત કર્યા છે. પણ સાવરકર બિચારા કમનસીબ માણસ છે. તેમના અનુયાયીઓ તેમની વાત સામી છાતીએ મુખરપણે કહેતા નથી, પણ એ જ વાત છાને ખૂણે કહે છે. હું ખાતરીપૂર્વક કહી શકું કે જો સાવરકર આજે હયાત હોત તો તેમણે ‘શબવાહિની ગંગા’ નામની બહુચર્ચિત કવિતાના રચયિતા પારુલબહેન ખખ્ખરની ટીકા પોતાના નામ સાથે, બિન્ધાસ્તપણે, સ્ત્રીઓના મનમાં ઘૃણા પેદા થાય એવી ભાષામાં કરી હોત, ‘શબ્દસૃષ્ટિ’ના સંપાદક વિષ્ણુ પંડ્યાની માફક નનામો લેખ લખીને ગોળગોળ ભાષામાં ન કરી હોત. જિંદગીમાં અનેક વાર માફી માગનારા સાવરકર કમ સે કમ અભિપ્રાય તો સ્પષ્ટ ભાષામાં વ્યક્ત કરવાની હિંમત ધરાવતા હતા. બીજી બાજુ પારુલબહેનને છોડવામાં પણ નહોતાં આવ્યાં. અજાણ્યા હિન્દુત્વવાદી ટ્રોલ્સે પારૂલબહેનને અશ્લીલ ગાળો આપીને છાને ખૂણે કહી દીધું હતું કે માણસાઈનો અતિરેક ત્યાજ્ય છે. બહુ માણસાઈના જાપ જપશો તો જેવા સાથે તેવા નહીં થવાય.

બોલો શું કરવું જોઈએ? આપણી પોતાની માતાનાં ધાવણને વફાદાર રહેવું જોઈએ કે પછી જેવા સાથે તેવા થવું જોઈએ?

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 18 જુલાઈ 2021

Loading

18 July 2021 admin
← ચલ મન મુંબઈ નગરી—104
બેંકોનાં રાષ્ટ્રીયકરણને દિવસે જ ખાનગીકરણનો વિરોધ →

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?
  • સેનાપ્રમુખની નિર્ણય -કટોકટી : રાષ્ટ્રીય નેતૃત્વની આઘાપાછી?
  • આજ સુધી અજાણ્યા રહેલા બે અંગ્રેજી અનુવાદ

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved