Opinion Magazine
Number of visits: 9448633
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જે તોફાનો ૭૨ કલાક પછી રોકી શકાતાં હોય, તે એક કલાકમાં પણ રોકી જ શકાય છે. મહાત્મા ગાંધીએ રોક્યાં હતાં

રાજ ગોસ્વામી|Opinion - Opinion|10 March 2020

કહે છે કે દિલ્હી કેટલી ય વખત ઉજ્જડ કરવામાં આવી અને કેટલી ય વખત ફરીથી વસાવવામાં આવી. દિલ્હીના મશહુર ગઝલકાર ગાલીબના સમકાલીન શાયર મીર તકી મીરને દિલ્હીથી ખૂબ પ્યાર હતો, પણ નાદિરશાહ અને અહેમદ શાહ અબ્દાલીના હાથે ઉજ્જડ થયેલી દિલ્હીમાંથી હિજરત કરીને લખનૌ જતો રહ્યો હતો. ત્યાં આ પરદેશીને જોઇને કોઈકે તેનો અત્તોપત્તો પૂછ્યો, તો મીરે કહ્યું,

દિલ્હી જો એક શહર થા આલમમેં ઈન્તિખાબ
રહતે થે મુંતખાબ હી જહાં રોજગાર કે
ઉસ કો ફલકને લૂંટ કે બરબાદ કર દિયા
હમ રહને વાલે હૈ ઉસી ઉજડે દયાર કે

અર્થાત્‌, દુનિયામાં એક ચુનંદું (ઈન્તિખાબ) શહેર દિલ્હી હતું, જ્યાં સંસાર(રોજગાર)ના ચુનંદા લોકો (મુંતખાબ) રહેતા હતા. તેને તખ્તા(ફલક)એ લૂંટીને બરબાદ કરી નાખ્યું, હું તે ઉજ્જડ પ્રદેશ(દયાર)નો રહેવાસી છું.

૨૦૦ વર્ષ પછી, ભારત-પાકિસ્તાનના વિભાજન પછી દિલ્હીમાં કોમી તોફાનો ફાટી નીકળ્યાં, ત્યારે મહાત્મા ગાંધી ૬ દિવસના ઉપવાસ પર ઊતરી ગયા હતા. ઉપવાસના પહેલા દિવસ પછી, તેમની ડાયરીમાં ૧૩ જાન્યુઆરી, ૧૯૪૮ના પાના પર મહાત્મા લખે છે, “હું આ ઉપવાસ માટે કોઈ કોમને દોષ દેતો નથી. હું માનું છું કે જો હિંદુઓ અને શીખો મુસ્લિમોને દિલ્હીમાંથી તગેડી મુકવા માટે મચ્યા હોય, તો તેઓ ભારત અને ખુદના ધર્મનું અહિત કરી રહ્યા છે. મને આની પીડા છે. દિલ્હી જો ખરેખર શાંત થઇ જાય, તો હું ઉપવાસ છોડીશ. દિલ્હી દેશની રાજધાની છે. દિલ્હીનું પતન ભારત અને પાકિસ્તાનનું પતન કહેવાશે. હું દિલ્હીને મુસ્લિમો માટે સલામત જોવા ઈચ્છું છું. અસલી શાંતિ સ્થપાતાં વાર લાગે, તો ય વાંધો નહીં. એક દિવસ લાગે કે એક મહિનો, પણ હું અધવચ્ચે ઉપવાસ નહીં છોડું. મારું જીવન બચાવવું, એ ઉદેશ્ય ના હોવો જોઈએ. ઉદેશ્ય ભારત અને તેના સન્માનને બચાવવાનો હોવો જોઈએ. મારે યાદ નથી કરાવવી, પણ તાજેતરની ઘટનાઓની જેમ, ભારતનું નીચાજોણું નહીં થાય, ત્યારે જ હું ખુશ થઈશ અને ગૌરવ અનુભવીશ.”

બે અલગ-અલગ કાલખંડમાં, બે અલગ-અલગ સંદર્ભોમાં દિલ્હી ઉજ્જડ થઇ હતી, પણ બે માણસોનીઓ પીડા એક સરખી હતી. ૨૪, ૨૫ અને ૨૬ ફેબ્રુઆરી, ૨૦૨૦ના ૭૨ કલાક માટે દિલ્હી આવી જ રીતે ઘાયલ થઇ, ત્યારે દિલ્હી વતીથી રડવા માટે ન તો કોઈ મીર હતો, ન કોઈ મહાત્મા. ૭૨ કલાકનાં ખોફનાક કોમી દાવાનળમાં ૪૨ લોકોનાં મોત, લાખો રૂપિયાના નુકસાન અને અનેક જિંદગીઓની તબાહી પછી એક જ સવાલ સૌના મોઢે હતો; ના પોલીસ કે ના નેતા, ઇશાન દિલ્હીના ગરીબ, લાચાર અને નિર્દોષ લોકોને બચવવા માટે ૭૨ કલાક સુધી કોઈ કેમ ના આવ્યું?

ભોળા લોકો (ટી.વી. ચેનલો અને નેતાઓએ મગજમાં ફીટ કરેલો) એવો જવાબ આપે છે કે પોલીસ અને સરકાર અમેરિકન રાષ્ટ્રપતિની સરભરામાં વ્યસ્ત હતી, તેનો તોફાનીઓએ ફાયદો ઉઠાવ્યો હતો. આ એક પ્રકારનું બચવાનામું છે. દિલ્હી ભારતની રાજધાની છે, દીવ-દમણ નથી. તેની પોલીસ દીવ-દમણની પોલીસ કરતાં હજાર ઘણી સક્ષમ છે. દિલ્હીની પોલીસ ૨૧મી સદીની છે. જેના આવતાં અને જતાં પહેલાં અમદાવાદ એરપોર્ટથી મોટેરા સ્ટેડિયમનો વિસ્તાર તાળાબંધીમાં આવી જાય, તે અમેરિકન રાષ્ટ્રપતિ દિલ્હીમાં હોય, ત્યારે આખી ઇશાન દિલ્હી ત્રણ દિવસ સુધી ભડકે બળે, તે વાત જ કેટલી અજીબ છે.

જે તોફાનો ૭૨ કલાક પછી રોકી શકાતાં હોય, તે એક કલાકમાં પણ રોકી જ શકાય છે. ઈચ્છા શક્તિનો સવાલ છે. મહાત્મા ગાંધી તો પોલીસ પણ ન હતા, અને આજના નેતાઓની જેમ કમાન્ડોના ઘેરામાં ફરતા ન હતા, છતાં ઈચ્છાશક્તિથી પ્રેરાઈને જ તેમણે એ જ દિલ્હીમાં તોફાનો રોકવાનું બીડું ઉઠાવ્યું હતું, અને એમાં સફળ નીવડ્યા હતા. ભારતમાં આજે કોઈપણ બીમારી આવે છે, ત્યારે આપણે ‘સબ મર્જ કી એક દવા’ ગાંધી તરફ નજર નાખીએ છીએ (ઇશાન દિલ્હીનાં તોફાનો જોઇને સંયુક્ત રાષ્ટ્રસંઘના મહાસચિવ એન્ટોનિયો ગુટેર્રસે કહ્યું પણ ખરું કે મહાત્મા ગાંધીના સાહસને આજે જ ખરી જરૂર છે), તે કોઈ ઔપચારિકતા નહીં, પણ આપણી કમનસીબી છે, કારણ કે આપણી આજે કોઈ એવું સક્ષમ વ્યક્તિત્વ નથી, જે ઈલાજ કરી શકે.

ઈતિહાસકાર રામચન્દ્ર ગુહાએ ગાંધીજીના એ મહાન ઉપવાસનું બયાન આપ્યું છે.

બંગાળમાં કલકત્તાનાં તોફાનો ખાળીને ગાંધીજી ૭મી સપ્ટેમ્બરે દિલ્હી આવ્યા હતા. એ દિલ્હીને સારી રીતે જાણતા હતા. દિલ્હીમાં વિભાજનના જખમ લોહિયાળ ના બને, તે માટે દિલ્હીમાં રહેવું જરૂરી હતું. સરદાર પટેલ તેમને સ્ટેશન પર લેવા ગયા હતા. દિલ્હી શરણાર્થીઓથી ઉભરાતું હતું, અને સરદાર એ ભીડ સામે એકલા પડી રહ્યા હતા. ભીડ પાસે હથિયારો હતાં, અને પલીતી ચંપાયેલો હતો. ગાંધી સાથે ના તો શ્યામા પ્રસાદ મુખર્જી હતા, જેનો અવાજ ઉગ્ર હિંદુઓ સાંભળે કે તો સોહરાવાર્દી જેવો મુસ્લિમ નેતા હતો. કૉન્ગ્રેસના નેતાઓ નવા દેશની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બાબતોમાં વ્યસ્ત હતા.

ગાંધી તેમની પ્રાથના સભાઓમાં શાંતિ માટે અપીલ કરતા હતા, અને દેશમાં તોફાનોથી ભાગીને દિલ્હી આવેલા શરણાર્થીઓ ‘ગાંધી મુર્દાબાદ’ના નારા લગાવતા હતા. આખા દેશમાંથી લોહિયાળ તોફાનોના સમાચાર આવતા હતા. ભારત-પાકિસ્તાન વચ્ચે ૫૫ કરોડ રૂપિયાનો વિવાદ ઘેરો બનતો હતો. દિલ્હીને ઉજ્જડ થઇ બચાવવી જરૂરી હતી. જાન્યુઆરી મહિનામાં, પાકિસ્તાનના ગુજરાત શહેરના સ્ટેશન પર ફ્રન્ટીયર મેલમાં હિંદુ-શીખ પ્રવાસીઓને શાક-ભાજીની જેમ કાપી નાખવામાં આવ્યા. મહાત્મા વ્યથિત થઇ ગયા. ૭૮ વર્ષના મહાત્મા તેમના જ આઝાદ દેશ સામે શું અંદોલન કરે? ૧૨૫ વર્ષ જીવવાની તેમની ઈચ્છા મરી પરવારી હતી.

૧૨ જાન્યુઆરી, ૧૯૪૮ના રોજ મહાત્માએ આમરણ ઉપવાસની જાહેરાત કરી. આઝાદ ભારતમાં મહાત્માના એ પહેલા ઉપવાસ હતા. બિરલા હાઉસ બહાર શીખ શરણાર્થીઓની ભીડે કહ્યું, “ખૂનનો બદલો ખૂનથી … ગાંધીને મરવા દો.” આ સાંભળીને નહેરુ ચિલ્લાયા, “કોણ બોલ્યું આ? પહેલાં મારી લાશ પાડો.” ઉપવાસના બીજા દિવસે ગાંધીજીએ કહ્યું, “જો હિંદુઓનો સંહાર નહીં અટકે, તો દસ ગાંધી ભેગા થઈને પણ મુસ્લિમોને બચાવી નહીં શકે.” ત્રીજા દિવસે પાકિસ્તાનને ૫૫ કરોડ આપવાનો નિર્ણય લેવાયો. ચોથા દિવસે સરકારના પ્રધાનોએ શરણાર્થીઓ માટે તેમના નિવાસ્થાનોના દરવાજા ખોલી નાખ્યા.

મહાત્માની તબિયત હવે બગડતી હતી. કીડની ગડબડ કરતી હતી. પાંચમાં દિવસે, તમામ ધર્મોના લોકોએ દિલ્હીમાં દુકાનો બંધ રાખી. છઠ્ઠા દિવસે, ‘બાપુ ના ખાય, તો અમે પણ નહીં ખાઈએ’ કહીને હોટેલો, ઢાબાઓ અને રેસ્ટોરન્ટના કર્મચારીઓએ પીરસવાનું બંધ કર્યું. શરણાર્થી છાવણીઓમાંથી મહાત્મા પાસે લેખિત સંદેશા આવ્યા. બે લાખ લોકોએ શાંતિ-કરાર કર્યો, જેમાં લખ્યું હતું, “અમે હિંદુ, શીખ, ઈસાઈ અને અન્ય નાગરિકો જાહેર કરીએ છીએ કે ભારતના મુસ્લિમ નાગરિકો અમારી જેમ જ દિલ્હીમાં શાંતિ, સુરક્ષા અને સન્માનથી રહેવા માટે મુક્ત છે.”

મહાત્માએ ઉપવાસ છોડવાનો નિર્ણય કરીને કહ્યું, “જો દિલ્હી સ્વસ્થ થઇ જાય, તો હું પાકિસ્તાન જઈશ.” ૧૮મી તારીખે, હિદુ, મુસ્લિમ અને શીખ નેતાઓ રાજેન્દ્ર પ્રસાદના ઘરે ભેગા થયા અને ગાંધીજીની શરતો માન્ય રાખી. રૂમમાં ‘ગાંધીજી કી જય’નો નારો ગુંજ્યો, નહેરુના ચહેરા પર સ્મિત આવ્યું. બહાર, દિલ્હીમાં ખુશી ફેલાઈ ગઈ. દિલ્હીને કોમી પાગલપનમાંથી બચવવાના મહાત્માનો પ્રયાસ સફળ થયો હતો. વરસતા વરસાદમાં હજારો લોકો બિરલા હાઉસ પર ભેગા થઇ ગયા.

૧૯૧૩થી શરૂ કરીને મહાત્માનો આ ૧૭મો ઉપવાસ હતો. ૧૬મી તારીખે મહાત્માએ તેમના એક અનુયાયીને લખ્યું હતું કે આ તેમનો ‘મહાન ઉપવાસ’ હતો. એ છેલ્લો પણ ઉપવાસ હતો. ૩૦મી જાન્યુઆરીએ, શાંતિના આ ઉપાસકનું, એ જ દિલ્હીમાં હિંસક મોત થઇ ગયું. મહાત્માએ મીર તકી મીરના દિલ્હીને ફરી એકવાર ઉજ્જડ થતી બચાવી હતી. આ ૨૦૦ વર્ષ જૂની વાત નથી. ૧૯૪૮ની વાત છે. સમજી શકાય, તેટલી નજીકની વાત છે. જો સમજવું હોય તો.

પ્રગટ : ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 08 માર્ચ 2020

Loading

10 March 2020 admin
← ‘માટી’ : નવો ચીલો ચાતરતા ઉમેશ સોલંકી
સરકાર પાસે સંકટનો મુકાબલો કરવાની આવડત નથી, ને દાનત પણ નથી →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved