Opinion Magazine
Number of visits: 9446636
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જે શહીદ થાય તે જ દેશભક્ત કહેવાય?

રાજ ગોસ્વામી|Opinion - Opinion|21 May 2017

ગુજરાતીઓ સૈન્યમાં જોડાતા નથી એવું મહેણું બહુ જૂનું છે, એટલે ‘કેટલા ગુજરાતી શહીદ થયા?’ એવો ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રીનો કટાક્ષ ઘા ઉપર મીઠું ભભરાવવા જેવો છે, પરંતુ ગુજરાતીઓએ એનાથી નારાજ થવાની કે શરમ અનુભવવાની જરૂર નથી. યાદવનું નિશાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રવાદના નામ ઉપર ચાલતી રાજનીતિ હતી અને એની સામે સવાલ કરતા કહ્યું, ‘યુપી, મધ્યપ્રદેશ, દક્ષિણ ભારત હર જગહ સે શહીદ હુએ હૈ, ગુજરાત કા કોઇ જવાન શહીદ હુઆ હો તો બતાઓ.’

તથ્યોના આધાર પર અખિલેશનું વિધાન ગલત છે. ‘દિવ્ય ભાસ્કર’ની ઓનલાઇન આવૃત્તિમાં ગુજરાત સરકારની સૈનિક કલ્યાણ અને પુન:વસવાટ કચેરીના પ્રગટ થયેલા આંકડા પ્રમાણે 1965થી અત્યારે સુધીમાં 86 ગુજરાતી સૈનિકો શહીદ થયા છે. આમાં કારગિલ યુદ્ધ (1999) પછી શહીદ થયેલા ગુજરાતીઓની સંખ્યા 50 છે.  જો કે, અખિલેશે જે ‘સળી’ કરી છે તે પેલી પ્રચલિત માન્યતા પર આધારિત છે કે ગુજરાતીઓ ‘મની માઇન્ડેડ’ છે અને ‘દાળ-ભાતિયા’ છે.

એને સૈન્યમાં બીજા પ્રદેશના લોકોના પ્રતિનિધિત્વ સાથે જોડો એટલે દાખલો એવો બેસે કે અન્ય રાજ્યોના સૈનિકો દેશની રખેવાળી કરતાં કરતાં શહીદી વહોરે છે ત્યારે ગુજરાતીઓ એમનું બેન્ક બેલેન્સ તગડું કરવામાં વ્યસ્ત હોય છે. આમાંથી જ એ માન્યતાએ જન્મ લીધો છે કે ગુજરાતીઓ સૈન્યની આકરી કારકિર્દીને બદલે ધંધા-વેપારનો સુંવાળો વ્યવસાય પસંદ કરે છે. આમાં ભાવ એવો અભિપ્રેત છે કે પૈસા બનાવવા એ સ્વાર્થી પ્રવૃત્તિ (અને એટલે ક્રાઇમ) છે અને સરહદ પર લડવું એ સેવા છે (અને દરેકની ફરજ છે).

આવા કુતર્કના આધારે એવી ‘ગાળ’ આપવામાં આવે છે કે ગુજરાતી મા-બાપો એમના દીકરાને સરહદ ઉપર મોકલવાને બદલે ગલ્લા પર બેસાડે છે. રાહુલ ધોળકિયાએ શાહરુખ ખાનની (અમદાવાદના ડોન લતીફ આધારિત) ફિલ્મ ‘રઇસ’માં આ જ માન્યતા આગળ ધપાવી હતી, જેમાં ‘લતીફ’ એક જગ્યાએ કહે છે, ‘અમ્મીજાન કહેતી થી, કોઇ ધંધા છોટા નહીં હોતા, ઔર ધંધે સે બડા કોઇ ધર્મ નહીં હોતા.’ પહેલા તો ગુજરાતીઓએ આ મહેણાથી નારાજ થવાની જરૂર નથી, કારણ કે દેશપ્રેમ બતાવવાની એક માત્ર સાબિતી સૈન્યની નોકરી કે શહીદી નથી.

બીજું, સૈન્યમાં ગુજરાતીઓ ઓછા છે તે વાત સાચી છે, અને તેનાં ઠોસ કારણો છે. બીજી વાત પહેલા. સૈન્યમાં કેટલા ગુજરાતી છે તેના અધિકૃત આંકડા ઉપલબ્ધ નથી, કારણ કે સરકાર (કે સૈન્ય) પ્રાદેશિક જાતિ પ્રમાણે આંકડા રાખતી નથી. જેનો રેકોર્ડ મળે છે તે ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, પંજાબ અને આંધ્રપ્રદેશ બ્રિટિશરાજ સમયની ‘માર્શલ રેસ’ (લડાયક જાતિ) પરંપરામાં આવે છે.

2004માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને ડેપ્યુટી પ્રધાનમંત્રી એલ. કે. અડવાણીએ ભારતીય સેનામાં ગુજરાત રેજીમેન્ટ ઊભી કરવાની માગણી કરી હતી, તેને ફગાવી દેતાં તત્કાલિક રક્ષામંત્રી જ્યોર્જ ફર્નાન્ડિઝે કહ્યું હતું કે સ્વતંત્રતા પછી સેનાએ કોઇ જાતિ, સમુદાય કે બીજી કોઇ ઓળખના આધારે રેજીમેન્ટ બનાવવાનું બંધ કર્યું છે અને શીખ, ગોરખા કે ડોગરા જેવી ‘સિંગલ ક્લાસ’ રેજીમેન્ટ બ્રિટિશ પરંપરાના ભાગરૂપે જ રાખવામાં આવી છે. એટલે ગુજરાતીઓ એ જ કારણથી ઓછા છે, જે કારણથી તમિલિયનો કે કન્નડો ઓછા છે: રેજીમેન્ટનો અભાવ.

બીજું, કાળજીપૂર્વકનું આયોજન કહો કે અકસ્માત, આઝાદી પછી આર્થિક સત્તા પશ્ચિમ ભારત તરફ ખસી, રાજકીય ગઢ મધ્યપૂર્વ ભારતમાં મજબૂત થયો, વહીવટી ક્ષમતા દક્ષિણના નિયંત્રણમાં આવી અને સૈનિક તાકાત ઉત્તરમાં કેન્દ્રિત થઇ. એટલે દેશને ચલાવવા માટે એક રાજકારણીને કેરળના કુશળ વહીવટદારની, પંજાબના જાબાંઝ સૈનિકની અને ગુજરાતના ધંધાદારીની આવશ્યકતા રહે છે, અને આ ચારેય ‘ભારત’ નામની ઓળખ બતાવે છે.

એટલે, મહેણાની વાત કરીએ તો, ગુજરાતનો વેપારી દેશની તરક્કી અને ઇજ્જતમાં એટલો જ સહયોગ આપે છે, જેટલો ભોગ મરાઠા લાઇટ ઇન્ફંટ્રી કે રાજપૂતાના રાઇફલ્સ આપે છે. ભારતીય સૈન્ય જેવી સેક્યુલર ફોર્સ બીજી કોઇ નથી, અને એનો જશ બ્રિટિશરોને જાય છે જેમણે ઇસ્ટ ઇન્ડિયા કંપનીના આવતા પહેલાં અંદરો-અંદર લડતા ભારતના વિભાજિત લશ્કરોને પ્રોફેશનલ આર્મીની છત્રી નીચે એકઠા કરીને એમને ‘ખાધે-પીધે’ એટલા સુખી અને સમૃદ્ધ બનાવી દીધા કે એમને દેશમાં ચાલતી વહીવટી કે રાજકીય માથાકૂટમાં રસ લેવાની જરૂર ન રહી.

હકીકત એ છે કે એક સામાન્ય માણસ સૈન્યમાં જોડાય છે તેની પાછળ માત્ર ને માત્ર કોઇ કટ્ટર રાષ્ટ્રભક્તિ કે દેશસેવા નહીં પરંતુ સામાજિક ઇજ્જત, ઉચિત આમદની અને જીવનભરના પેન્શનની સુવિધાની ભાવના પણ હોય છે. એમાં જીવનું જોખમ છે તે સાચું, પરંતુ એને દેશભક્તિ સાથે જોડવા કરતાં વ્યાવસાયિક જોખમ ગણવું વધારે ઉચિત છે. જે લોકો એને દેશભક્તિની સાબિતી ગણે છે તે લોકો સૈન્યને રાજકીય રંગ ચઢાવીને એની વ્યાવસાયિક કુશળતાને હાનિ પહોંચાડી રહ્યા છે.

રાષ્ટ્રભક્તિની પહેચાન શૂરવીરતા કે શહીદીમાં જ નથી, પણ પોતાના પરિવાર, પ્રદેશ અને સરકાર પ્રત્યેની પ્રામાણિક જવાબદારીમાં છે. એ રીતે એક વિજ્ઞાની, રમતનો ખેલાડી, શિક્ષક કે એક વેપારી એટલો જ રાષ્ટ્રભક્ત છે, જેટલો એક વફાદાર અને ઇમાનદાર સૈનિક હોય છે. એમ તો મહાત્મા ગાંધી સરહદ પર જઇને લડ્યા ન હતા, અને છતાં એમને રાષ્ટ્રભક્તોમાં ઊંચા રાષ્ટ્રભક્ત ગણવામાં આવે છે. એ રાષ્ટ્રભક્તિ એમના ડહાપણ, પ્રામાણિકતા અને જવાબદેહીમાંથી આવતી હતી. એટલા માટે જ એમને ‘અહિંસાના સૈનિક’ એવું નામ પણ મળ્યું હતું. આ ‘સૈનિક’ ગુજરાતી જ હતા, એ ઓછું છે?

જેસી કૃષ્ણ.

સૌજન્ય : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘રસરંગ’ પૂર્તિ, “સન્નડે ભાસ્કર”, 21 મે 2017

Loading

21 May 2017 admin
← સાર્થ જોડણીકોશઃ મહિમા અને મર્યાદા
રૉજર આઇલ્સ વિશ્વનો પહેલો પત્રકાર હતો જેણે ૧૯૯૫માં પત્રકારત્વનું હડકાયું મૉડલ વિકસાવ્યું હતું →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved