Opinion Magazine
Number of visits: 9451867
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જમ્મુ કાશ્મીર બળતું ઘરઃ ભારત સરકારની ચતુરાઈ અને પાકિસ્તાનની સરકારની લાચારી

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|30 March 2025

ચિરંતના ભટ્ટ

જમ્મુ કાશ્મીરના કઠુઆ જિલ્લામાં આતંકવાદીઓ અને સેના વચ્ચે અથડામણ થઈ છે જેમાં જાનહાનિ પણ થઈ છે. થોડા વખત પહેલાં આપણા વિદેશ મંત્રી એસ. જયશંકરે એવું વિધાન કર્યું છે કે જો પાકિસ્તાન તેના કબજામાં રહેલા કાશ્મીરને છોડી દે તો કાશ્મીરનો આખેઆખો પ્રશ્ન જ ઉકેલાઈ જાય. વર્તમાન કેન્દ્ર સરકારને લાગે છે કે કલમ 370ને દૂર કરી જમ્મુ કાશ્મીરનો વિશેષ દરજ્જો ખસેડી લેવાયો એ કાશ્મીરના મુદ્દાને ઉકેલવાનું પહેલું અને સૌથી અગત્યનું પગલું હતું. કાશ્મીરમાં ચૂંટણી પણ થઈ તો ત્યાં માળખાંકીય સવલતો પર પણ કામ ચાલી રહ્યું છે, વડા પ્રધાન જલદી જ કાશ્મીર પહોંચાડનારી ડાયરેક્ટ ટ્રેન સર્વિસનું ઉદ્ઘાટન કરવાના છે, આ પહેલાં પણ સોનમર્ગ ટનલનું ઉદ્ઘાટન થયું છે. ટૂંકમાં કાશ્મીરમાં એક સાથે ઘણું બધું થઈ રહ્યું છે. ત્યાં રાજકીય, સામાજિક અને આર્થિક સંજોગોમાં એક સાથે ફેરફાર આવી રહ્યા છે.

ભારત પાકિસ્તાનના ભાગલા થયા ત્યારથી લઈને અત્યાર સુધી કાશ્મીરને મામલે ભારત, પાકિસ્તાન વચ્ચે ખેંચતાણ ચાલ્યા કરે છે અને એમાં ચીન ત્રીજો દાવેદાર છે. લાઇન ઑફ કન્ટ્રોલ 1971માં નિયત થઈ, પણ છતાં ય સરહદ પર સંઘર્ષ ચાલ્યા કરે છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના ઠરાવ 47 મુજબ કાશ્મીરીઓ ભારતનો ભાગ બનવા માગે છે કે પાકિસ્તાનનો તે નક્કી કરવા માટે લોકમત મેળવવાની જવાબદારી ભારતની છે પણ ભારતે એવું કંઇ કરવાની તસ્દી નથી લીધી. 2014માં ભારતમાં કેન્દ્રમાં ભા.જ.પા.ની સરકાર આવી અને ત્યારથી કાશ્મીરના સંજોગો પરિવર્તનના વાયરામાં વધુને વધુ સંવેદનશીલ બનતા રહ્યા છે. 

ચીને પહેલાં કરતાં પોતાનું વણલ સહેજ બદલ્યું છે કારણ કે પાકિસ્તાન સાથેની દોસ્તી વૈશ્વિક રાજકારણમાં નડતર બની શકે છે. તો ય ચીને  370ની નાબૂદીથી પોતાની પ્રાદેશિક માલિકીનો ભંગ થયો હોવાની વાત ભૂતકાળમાં કરી હતી જેને કારણે 2020માં સરહદ પર ભારત અને ચીન વચ્ચે 1975 પછી પહેલીવાર અથડામણ થઈ હતી. ભલે ભારત અને ચીને સરહદી અથડામણ ન કરવાની જાહેરાત કરી છે, પણ મામલો ગમે ત્યારે બિચકે તેમ છે. ભારત કાશ્મીરમાં જે પણ કરે છે તે જોઇને ચીનને તો એમ જ લાગે છે કે ભારત પોતાના પ્રદેશમાં ઘુસી રહ્યો છે. ચીન પોતાના ન્યુક્લિઅર શસ્ત્રોની ક્ષમતા વધારી રહ્યો છે. જો ચીન અને ભારત વચ્ચે સીધો સંઘર્ષ થાય તો પાકિસ્તાનને આખા કાશ્મીર પર કાબૂ કરી લેવાનો મોકો મળી જશે કારણ કે ભારત કાશ્મીર અને ચીન એમ બે મોરચા સાચવી શકે એવું શક્ય જ નહીં હોય.

જ્યારથી બંધારણના અનુચ્છેદ 370ને નાબૂદ કરાયો તેનાથી કાશ્મીરમાં રાજકીય અને સામાજિક હાલત ડહોળાઈ. પહેલાંનું રાજ્ય હવે બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વહેંચાયું અને વહીવટ કેન્દ્ર પાસે ગયો. દાયકાઓ પછી પહેલીવાર ગયા વર્ષે ત્યાં વિધાનસભાની ચૂંટણી થઈ. જો કે ભા.જ.પા.ને અહીં સત્તા પર આવવું હતું તે અપેક્ષા ઠાલી નિવડી અને એ પક્ષ જે પહેલેથી જ અનુચ્છેદ 370ની નાબૂદીનો વિરોધી રહ્યો છે તેના હાથમાં સત્તા આવી. ભા.જ.પા.ને હિંદુ બહુમતી ધરાવતા વિસ્તારોમાં જીત મળી તો ભારતીય રાષ્ટ્રીય કાઁગ્રેસને નેશનલ કોન્ફરન્સ સાથે ગઠબંધન કરી ભા.જ.પા. કરતાં વધુ બેઠકો મેળવી. હવે અહીં ચૂંટણી કરીને સરકાર ચૂંટાઈ આવી છે છતાં પણ પ્રદેશ પર કેન્દ્રનું નિયંત્રણ છે અને સ્થાનિક સરકારના હાથમાં મર્યાદિત સત્તા છે. 

અહીં પ્રશ્નો ઉકેલાયા નથી પણ પેચીદા બન્યા છે; જેમ કે પ્રવાસીઓ વધ્યા હોવાની વાત ઠોસ છે પણ આર્થિક અસમાનતા, બેરોજગારી જેવા પડકારો યથાવત્ છે. વળી ડોમેસાઈલ કાયદા અનુસાર જમ્મુ-કાશ્મીરમાં 15 વર્ષથી રહેનારી વ્યક્તિઓને ડોમેસાઈલ સ્ટેટસની અરજી કરવાની છૂટ મળે છે અને તે જમીન માલિક બની શકે તથા સરકારી નોકરી પણ મેળવી શકે – ઉપર છલ્લી રીતે યોગ્ય લાગતી આ નીતિનું સીધું પરિણામ આર્થિક વિસ્થાપન હોય તેવી પૂરી શક્યતા છે. જે લોકો ત્યાંના છે તેમની પાસે કામ નથી, અને જે લોકો માત્ર દોઢ દાયકાથી ત્યાં છે તેમને અધિકારો મળી રહ્યા છે.

ભારત સરકાર બહુ જ વ્યૂહાત્મક રીતે કાશ્મીરમાં એક પછી એક વિકાસના કાર્યો શરૂ કરી રહી છે. વિવાદો યથાવત્ હોવા છતાં આ યોજનાઓની જાહેરાત, ઉદ્ઘાટનો ભારત સરકારના વલણનો ચિતાર આપે છે. આ સારું છે કે ખોટું તેની ચર્ચા નથી પણ જોવાનું એ છે કે ભારત સરકાર ધીમી ગતિએ જમ્મુ કાશ્મીરમાં પકડ મજબૂત કરે છે અને તેમાં સામ-દામ-દંડ-ભેદની નીતિનો સુપેરે ઉપયોગ થઇ રહ્યો છે.

આ બધામાં પાકિસ્તાનની અકળામણ વધી ગઈ છે. તેના આંતરિક સંઘર્ષોનો અંત નથી અને ભારત ધીમા અને મક્કમ પગલે કાશ્મીરમાં પોતાનો પ્રભાવ વધારી રહ્યો છે. અત્યારે પાકિસ્તાનની કાશ્મીર અંગેની પ્રતિક્રિયામાં ઉશ્કેરાટ છે કારણ કે ઘર આંગણે તે અફરાતફરી છે તેનો નિવેડો પાકિસ્તાનને ચપટીભરમાં નથી મળવાનો. વડા પ્રધાન શેહબાઝ શરીફે કાશ્મીર સહિત ભારત સાથેના તમામ મુદ્દે વાટાઘાટ કરવાની તૈયારી બતાડી છે. કાશ્મીર એકતા દિવસ પર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર વિધાનસભાના ખાસ સત્રમાં તેમણે ભારતને 2019ની ઘટનાઓથી આગળ વધીને અર્થપૂર્ણ સંવાદ સાધવાની અનિવાર્યતા પર ભાર મૂક્યો. આ તરફ આપણા વિદેશ મંત્રીએ તો બિંધાસ્ત કહી દીધું છે કે પાકિસ્તાન જો પોતાના હિસ્સાનું કાશ્મીર જતું કરે તો કોઈ પ્રશ્નો રહેવાના જ નથી. પાકિસ્તાન બધી તરફથી કફોડી સ્થિતિમાં છે છતાં પણ ત્યાં સત્તાપક્ષનો દાવો છે કે તેઓ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના ઠરાવ અનુસાર કાશ્મીરીઓના સ્વનિર્ણયના અધિકારને ટેકો આપે છે. આ રાજદ્વારી પ્રયત્નો એક તરફ પણ વાસ્તવિક્તા એ છે કે પાકિસ્તાનમાં રાજકીય અશાંતિ અને આર્થિક અસ્થિરતા તેની પરાકાષ્ઠાએ છે અને માટે જ કાશ્મીરને મામલે બીજું કંઇ પણ કરવું અત્યારે પાકિસ્તાન માટે શક્ય નથી. પાકિસ્તાનમાં સુરક્ષાના પ્રશ્નો છે તેમાં બહારના મુદ્દે નવો મોરચો ખોલવાની મૂર્ખામી કરવી પાકિસ્તાનને પોસાય એમ નથી અને એટલે જ ભારત કાશ્મીરમાં જે પણ કરી રહ્યો છે તે મામલે પાકિસ્તાનની પ્રતિક્રિયા પ્રમાણમાં મંદ છે.

આ ભૌગોલિક રાજકીય ફેરફારોને પગલે કાશ્મીરમાં ક્યાંક પણ અસંમતિનો અવાજ ઊઠે છે તો ભારત સરકાર તેને નાથવા આકરા પગલાં લઈ રહી છે. પ્રતિબંધિત સંસ્થાનો સાથે સંકળાયેલા લોકોએ લખેલાં પુસ્તકો જ્યાં વેચાય છે, તેવી દુકાનો પર દરોડા પડ્યા છે. ભા.જ.પા. સરકારને નેરેટિવ – કથાનક બદલવાની આદત છે. બદલી ન શકાય તો તેને નષ્ટ કરી દેવામાં પણ તેની હથોટી છે. ભા.જ.પા. સરકારને મતે જે લોકો રાષ્ટ્રીય હિતોના વિરોધી છે તેમનો અવાજ અટકી જાય તે જરૂરી છે તો જ તેઓ ધાર્યું કરી શકશે. ટીકાકારોને મતે આ બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન છે અને જે કટ્ટરવાદી નથી તેવા અવાજોને નાથવાનો પ્રયાસ છે જે કાશ્મીરમાં તણાવ વધારી શકે છે. કાશ્મીરમાં મુસલમાનો બહુમતીમાં છે તો જમ્મુમાં હિંદુઓ બહુમતીમાં છે. કાશ્મીરી પંડિતોની વેદનાને ભા.જ.પા. લાંબા સમયથી રાજકીય મુદ્દાઓમાં ઈંધણ તરીકે વાપરી જ રહી છે જો કે તે માટે કાશ્મીરી પંડિતોએ જ તેમની ટીકા કરી છે.

અત્યારે કાશ્મીરમાં જે સતત પરિવર્તનશીલ પરિસ્થિતિ છે તેમાં ભારત બહુ વ્યૂહાત્મક પહેલ લઈ રહ્યો છે અને પાકિસ્તાન પણ પોતાનાથી બનતું કરવાનો પ્રયાસ તો કરે છે, પણ ત્યાં તો તેમના પોતાના જ પ્રશ્નો બહુ મોટા છે એટલે અત્યારે કાશ્મીર તેમની પ્રાથમિકતા ન હોય તે સ્વાભાવિક છે. ભારતના માળખાંકીય વિકાસ અને રાજકીય દાવપેચનો હેતુ સ્પષ્ટ છે – તેઓ કાશ્મીરીઓનો વિશ્વાસ જીતવા તો માગે છે પણ સાથે સાથે અહીં શાંતિ સ્થપાય તે માટે પ્રયત્નશીલ છે. જો કે બીજી તરફ મુક્ત વિચારોને નાથવાના કેન્દ્ર સરકારના સીધા કે આડકતરા  પ્રયાસો તેમના દેખીતી રીતે સારાં કામોનું મૂલ્ય ઘટાડશે. પાકિસ્તાનની તો હાલત એવી છે કે તે ધારે તો ય વાટાઘાટો કરવાની તેમની માગ વગેરે શાલીન અને રાજદ્વારી રાહે હશે તો ય તેની ધારી અસર થવાની નથી.

યુ.એન.એ 1948માં સૂચવેલા લોકમતને ભારત ગણકારતો નથી. 1947માં પાકિસ્તાનના આક્રમણના ડરના ઓથારમાં કાશ્મીર ભારતમાં ભળ્યું અને ભારતને ડર છે કે મુસ્લિમ બહુમતીને લીધે લોકમત પાકિસ્તાનમાં જોડાવા તરફ હશે, જેની અસર હિંદુ બહુમતી જમ્મુ પર પડશે. 1950ની ડિક્સન યોજનાની પુનઃવિચારણા કરી શકાય જેમાં જમ્મુ અને કાશ્મીરને અલગ સંસ્થાનો તરીક માન્યતા ન આપી માત્ર કાશ્મીર વેલી – ખીણ પ્રદેશ માટે જ લોકમતનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ માટે કાશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે જુદું કરી દઈને બળજબરીથી થતું એકકીકરણ અટકાવી શકાય. આમ થાય તો ચીનની દખલને પણ મર્યાદિત કરી શકાય. જો કે રાજકીય પડકારો બહુ સંકુલ છે અને આ પ્રશ્નનો કોઈ તાત્કાલિક ઉકેલ દેખાતો નથી.

બાય ધી વેઃ 

આ શતરંજનો એવો ખેલ છે જેમાં એક ખેલાડી પોતાના અંગત સંજોગોને કારણે સરખું રમી શકે તેમ નથી, તો બીજો ખેલાડી વિકાસ અને સુરક્ષાની આડમાં પોતાની ચાલ ચાલી રહ્યો છે. નરેન્દ્ર મોદીનું નસીબ ચમકે અને પાકિસ્તાન (એવું આમ તો કોઈ કાળે થાય નહીં જ પણ આ તો એક કલ્પના) કહી દે કે ભાઈ સા’બ અમારે ત્યાં આમે ય બળતું ઘર છે, તમ તમારે જે કરવું હોય એ કરો, અમારે કંઇ ન જોઈએ તો માળું બગાસું ખાતા પતાસું મળ્યુંનો ઘાટ થાય. જો કે આ તો માત્ર કલ્પના છે. કાશ્મીરની હાલત સ્વાયત્તતા છતાં ગુલામ જેવી છે કારણ કે તે નિયંત્રણોમાં બંધાયેલો પ્રદેશ છે. એક તરફ વિકાસની ભેટ છે તો બીજી તરફ દરોડાના ચાબખા પણ છે. કેન્દ્ર સરકાર ઇચ્છે છે કે કાશ્મીરમાં ‘બાકી સબ ફર્સ્ટ ક્લાસ હૈ’ એવું બધાએ માની લેવું જોઇએ પણ અધિકારોનું હનન ક્યાં સુધી લોકોને માફક આવશે તે જોવું રહ્યું. જો કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર પર ચીનની નજર મંડાયેલી છે એ પણ આપણે યાદ રાખવું પડશે. પોતાના સ્વાર્થ માટે ચીને પાકિસ્તાન સાથે સારી દોસ્તી કેળવી છે જે આપણે માટે જોખમી છે. આ સંજોગોમાં લોકશાહી, માનવાધિકાર જેવા પાસાંને ગણતરીમાં લેવાય તો કદાચ ભારત સરકારને ટેકો મળે.  

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 30 માર્ચ 2025

Loading

30 March 2025 Vipool Kalyani
← વિનોદ કુમાર શુક્લાને જ્ઞાનપીઠ; સાથે ચાલવાનું જાણતો એક અદનો કવિ
ભાષાના ભેખધારી →

Search by

Opinion

  • મસાણ અને મોક્ષની મોકાણમાં જીવતા વારાણસીના દલિત ડોમ
  • એકલતાની કમાણી
  • સમાજવાદની 90 વર્ષની સફર: વર્ગથી વર્ણ સુધી
  • શ્રીધરાણી(16 સપ્ટેમ્બર 1911 થી 23 જુલાઈ 1960)ની  શબ્દસૃષ્ટિ
  • एक और जगदीप ! 

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved