Opinion Magazine
Number of visits: 9504449
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઇતિહાસ જ્યારે ત્રાજવે તોળે ત્યારે કોઈની શેહશરમ રાખતો નથી

રમેશ ઓઝા|Opinion - Opinion|19 March 2023

રમેશ ઓઝા

વિદેશી ધરતી પર પોતાના દેશની ટીકા કરાય? કાઁગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ઇંગ્લેન્ડમાં ભારતમાં અસ્ત પામી રહેલા લોકતંત્ર વિષે અને આકાર લઈ રહેલા ફાસિસ્ટ સ્ટેટ વિષે જાહેરમાં નિવેદનો કર્યાં એ પછી આ પ્રશ્ન પૂછવામાં આવી રહ્યો છે. ભા.જ.પ.ના નેતાઓ અને બીજા કેટલાક લોકોને એમ લાગે છે કે દેશની અંદર ભલે શ્વાનની માફક લડીએ પણ વિદેશમાં દેશની બદનામી નહીં કરવી જોઈએ. કાઁગ્રેસીઓ કહે છે કે આવા દાયકાઓ જૂના વણલખ્યા નિયમને બાજુએ રાખીને દેશની વાત વિદેશમાં કરાવાની શરૂઆત વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કરી હતી. તેમણે તેનાં પ્રમાણો પણ આપ્યાં છે.

સામાન્ય સંજોગોમાં વિદેશની ભૂમિ પર રાજકીય નેતાઓ ઘર આંગણેની રાજકીય બાબતો વિષે નુક્તેચીની કરતા નથી. પણ એ સામાન્ય સંજોગોમાં. અસામાન્ય સંજોગો હોય તો બોલવું પણ પડે. ૧૯૭૫થી ૧૯૭૭નાં વર્ષોમાં ઇન્દિરા ગાંધીએ દેશમા ઇમરજન્સી લાદી હતી, ત્યારે કેટલાક ભારતીય નેતાઓએ વિદેશમાં ઇન્દિરા ગાંધીની નિંદા કરી હતી. ડૉ. સુબ્રમણ્યમ્‌ સ્વામી આનું બોલકું ઉદાહરણ છે. એ સમયે ઇન્દિરા ગાંધીની ટીકા કરવા માટે ડૉ સ્વામીની નિંદા કરવામાં નહોતી આવી, તેમની સરાહના કરવામાં આવી હતી. કોઈ વિવેકી અને ડાહ્યા માણસે દેશપ્રેમ અને રાષ્ટ્રવાદના સોગંદ ખાઈને એમ નહોતું કહ્યું કે ડૉ. સ્વામીએ દેશની બદનામી કરી છે. આજે દેશમાં ૧૯૭૫ કરતાં પણ વધુ પ્રમાણમાં લોકશાહીનું હનન થઈ રહ્યું છે, પણ સુબ્રમણ્યમ્‌ સ્વામીનાં પેટનું પાણી પણ હલતું નથી; જ્યારે કે સરમુખત્યારશાહી કરતાં ફાસીવાદ અનેકગણો ખતરનાક છે. અત્યારે રશિયા, ચીન, તુર્કી, મ્યાનમાર, પાકિસ્તાન વગેરે દેશોના રાજકીય નેતાઓ પોતાના દેશના શાસકોની નિંદા વિદેશમાં કરે જ છે. કરતા નથી, કરવી પડે છે. જ્યારે શાસન સરમુખત્યારશાહી હોય, પસંદ કરેલી પ્રજા સાથે જુલમ થતા હોય, કાયદાના રાજની મર્યાદાઓનું ઉલ્લંઘન થતું હોય, લોકતંત્રને નિષ્પ્રાણ બનાવવામાં આવતું હોય, ન્યાયતંત્ર સહિત લોકતાંત્રિક સંસ્થાઓને કચડવામાં આવતી હોય ત્યારે દેશ અને વિદેશમાં પણ ઊહાપોહ કરવો પડે.

બીજું, સામાન્ય સંજોગોમાં વિદેશમાં ટીકા નહીં કરવાનો વિવેક રાજકીય નેતાઓ પાળતા આવ્યા છે (બાય ધ વે એ પરિપાટીનો ભંગ નરેન્દ્ર મોદીએ જ કર્યો હતો.), પત્રકારો અને રાજકીય સમીક્ષકો નહીં. નરેન્દ્ર મોદીની રાહુલ ગાંધી કરતાં હજાર ગણી આકરી ટીકા વિદેશી મીડિયા કરે છે. બી.બી.સી.ની ડોકયુમેન્ટરી ફિલ્મ આનું તાજું ઉદાહરણ છે. ‘ધ ઈકોનોમિસ્ટ’ નામના સામયિકે નરેન્દ્ર મોદી ઉપર બે વાર કવર સ્ટોરી કરી છે જેમાં તેમને (સામાજિક) ‘વિભાજનકર્તા’ અને (કોરોનાના) ‘સંક્રમણકર્તા’ તરીકે ઓળખાવ્યા હતા. આ તો બે ઉદાહરણ છે, આવા તો બીજાં વીસ ઉદાહરણ આપી શકાય એમ છે. ક્યાં ક્યાં ગળટુપા આપશો? આ સિવાય જે તે દેશોના અને જે તે વૈશ્વિક એજન્સીઓના વાર્ષિક અહેવાલોમાં કહેવામાં આવી રહ્યું છે કે ભારતમાં લોકશાહીનું હનન થઈ રહ્યું છે. જે નાગરિકો બુદ્ધિ ધરાવે છે અને જે ગોદી મીડિયા દ્વારા બતાવવામાં આવતી દુનિયા સિવાયની સાચી દુનિયા વિશે જાણવા માગે છે અને જાણવા જેટલી બુદ્ધિ અને પ્રામાણિકતા ધરાવે છે તે આ જાણે છે.

ત્રીજું, એ તો સનાતન સત્ય છે કે જો પ્રતિષ્ઠા જોઈતી હોય તો પ્રતિષ્ઠા રળવી પડે. ખરીદીને અને ડરાવીને જે પ્રતિષ્ઠા મળે છે એ ક્યારે ય ટકી શકતી નથી. અને જેઓ પ્રતિષ્ઠા રળીને ગયા છે તેમને ગમે એટલા બદનામ કરવામાં આવે તેની કીર્તિ અસ્ત પામતી નથી. ગાંધીજી આનું ઉદાહરણ છે. ગાંધીજીને ખતમ કરવા માટે કેટલી પ્રચંડ તાકાત દિવસરાત કામે લાગેલી છે, પણ એ માણસ મરતો જ નથી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જવાહરલાલ નેહરુને ટપી જાય એવી પ્રતિષ્ઠા જોઈતી હોય તો એ રળવી પડે અને એ રળવાના માર્ગ જુદા છે. તેઓ અત્યારે જે માર્ગ અપનાવી રહ્યા છે એ પ્રતિષ્ઠાનો માર્ગ નથી. “વહુએ વગોવ્યા મોટાં ખોરડાં રે લોલ…” નામની કવિ ત્રાપજકરની એક કવિતા એક જમાનમાં ઘરેઘરે ગવાતી હતી અને ટાંકવામાં પણ આવતી હતી. ત્યારે (અને આજે પણ) બહુ થોડા લોકો પ્રશ્ન પૂછતા હતા કે ગુનેગાર કોણ? વગોવણી કરનારી વહુ કે પછી વગોવણી થાય એવાં કૃત્યો કરનારા મોટાં ખોરડાના મોભી? કોણ જવાબદાર? વહુ પરાઈ છે, વહુ ઓશિયાળી છે, નિર્બળ અને લાચાર છે માટે તેને ગુનેગાર ઠેરવવાની? ઘરનો મોભી નિર્લજ્જ કૃત્યો કરે અને લાચાર વહુ મોઢું બંધ રાખીને લાજ રાખે એ ન્યાય કહેવાય? માટે પ્રતિષ્ઠા જોઈતી હોય તો પ્રતિષ્ઠા રળવી પડે. ઉધારની પ્રતિષ્ઠા ગમે ત્યારે દગો દઈ શકે છે.

અને છેલ્લે આવે છે ઇતિહાસ. ઇતિહાસ જ્યારે ત્રાજવે તોળે ત્યારે કોઈની શેહશરમ રાખતો નથી. ત્યાં તમે એકલા હો છો અને સાથે હોય છે કરેલાં કાર્યો. ઇતિહાસ પંક્તિઓ પાડે છે અને કરેલાં કાર્યો મુજબ પંક્તિમાં બેસાડે છે. કઈ પંક્તિમાં જગ્યા પાકી કરવી એ આજના શાસકોએ નક્કી કરવાનું છે. જો રાહુલ ગાંધીને લોકસભાના સભ્યપદેથી બરતરફ કરવામાં આવશે તો રાહુલ ગાંધીએ ઇંગ્લેન્ડમાં જે કહ્યું એ સિદ્ધ થઈ જશે, એટલું જ નહીં, ઇતિહાસમાં ક્યાં જગ્યા મળશે એની પંક્તિ પણ નક્કી થઈ જશે.

જો સાચી અને ટકાઉ પ્રતિષ્ઠા રળવી હોય તો હજુ પણ સમય છે.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 19 માર્ચ 2023

Loading

19 March 2023 Vipool Kalyani
← રૂડી ગુજરાતી વાણી રાણીનો વકીલ
ઑસ્કાર એવોર્ડ્ઝઃ વંશવાદ, આર્થિક હિત, રંગભેદ, જાતિભેદનાં રાજકારણનું મેદાન →

Search by

Opinion

  • સહૃદયતાનું ઋણ
  • સાંસદને પેન્શન હોય તો શિક્ષકને કેમ નહીં?
  • કેવી રીતે ‘ઈજ્જત’ની એક તુચ્છ વાર્તા ‘ત્રિશૂલ’માં આવીને સશક્ત બની ગઈ
  • અક્ષયકુમારે વિકાસની કેરી કાપ્યાચૂસ્યા વિના નરેન્દ્ર મોદીના મોં પર મારી!
  • ભીડ, ભીડ નિયંત્રણ, ભીડ સંચાલન અને ભીડભંજન

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન
  • અરણ્ય રૂદન
  • પિયા ઓ પિયા

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved