Opinion Magazine
Number of visits: 9446518
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઇઝરાયેલના યહૂદી શાસકો તેમનો પોતાનો અતીત ભૂલી ગયા છે અને મુસલમાનો સાથે એ જ કરે છે જે ખ્રિસ્તી દેશોમાં તેમની સાથે થયું હતું

રમેશ ઓઝા|Opinion - Opinion|22 October 2023

રમેશ ઓઝા

ઇઝરાયેલ અત્યારે જે સંકટનો સામનો કરી રહ્યું છે એવું સંકટ તો તેણે ત્યારે પણ નહોતું અનુભવ્યું, જ્યારે ઇઝરાયેલની નવી નવી સ્થાપના થઈ હતી. તે પશ્ચિમ એશિયાના દુ:શ્મન મુસ્લિમ દેશોથી ઘેરાયેલું હતું અને હજુ પા પા પગલી ભરતું હતું. હજુ તો દુનિયાભરમાંથી યહૂદીઓ ઇઝરાયેલમાં સ્થાયી થઈ રહ્યા હતા અને ઇઝરાયેલ બની રહ્યું હતું. કારણ એ છે કે બીજા વિશ્વયુદ્ધ પછી જગત બે છાવણીમાં વહેંચાઇ ગયું હતું અને ઇઝરાયેલને લોકશાહી મૂડીવાદી દેશોનો અને તેમાં પણ મુખ્યત્વે અમેરિકાનો ટેકો હતો. આ ઉપરાંત વિશ્વદેશોમાં વસતા શ્રીમંત અને વગદાર યહૂદીઓની લોબી બહુ પાવરફુલ હતી. આ સિવાય પણ એક બે કારણ હતાં. આરબ દેશોના શેખો અમેરિકનો સાથે મળીને ખનીજ તેલનો ધંધો કરતા હતા અને વૈભવી, વૈભવી નહીં, ઐયાશી જીવન જીવતા હતા. ઇઝરાયેલનો સામનો કરવા માટે જે સંકલ્પશક્તિ જોઈએ એ તેમનામાં નહોતી. આ બાજુ ઇસ્લામિક દેશોમાં સમાજવાદ-સામ્યવાદના આધુનિક મૂલ્યોનાં અંકુર ફૂટે એવી કોઈ શક્યતા નહોતી એટલે સામ્યવાદી દેશોને, રશિયાને આરબ વિશ્વમાં જેટલો હોવો જોઈએ એટલો રસ નહોતો.

એટલે તો ૧૯૬૭માં માત્ર છ દિવસમાં ઇઝરાયેલે તેનાં પર આક્રમણ કરનારા મુસ્લિમ દેશોને પરાજિત કર્યા હતા અને તેની જમીન કબજે કરી હતી અને એમાંની ૯૦ ટકા જમીન આજે પણ ઇઝરાયેલના કબજામાં છે. વાત માત્ર એટલેથી પૂરી થતી નથી. ઇઝરાયેલ ધીરેધીરે આરબોની ભૂમિ છીનવી રહ્યું છે અને આરબોને એ ભૂમિમાંથી ખદેડી રહ્યું છે. આખી ગાઝા પટ્ટી ઇઝરાયેલની ઓપન જેલ તરીકે ઓળખાય છે, જ્યાં તેનાં મૂળ વતનીઓ પોતાની ભૂમિમાં કેદીનું જીવન જીવી રહ્યા છે. ઇઝરાયેલને એવો નશો છે કે કોઈ મુસ્લિમ દેશ તેનો વાળ પણ વાંકો કરી શકે એમ નથી. આમાં ઇઝરાયેલના શાસકોનું એ તરફ ધ્યાન ન ગયું કે જગત બદલાઈ રહ્યું છે. જગત દ્વિધ્રુવીય નથી રહ્યું, પણ અનેક છાવણીઓમાં વહેંચાઇ ગયું છે. આમાં સૌથી શેતાની છાવણી રશિયા અને ચીનની છે જેમાં હવે ગામના ઉતાર સમાન કીમ જોંગ ઉનનું ઉત્તર કોરિયા જોડાયું છે. આ બદલાયેલા વિશ્વનો બોલકો દાખલો રશિયા-યુક્રેન યુદ્ધ છે. નથી અમેરિકા અને નાટોના સભ્ય દેશો યુક્રેનને જીતાડી શકતા કે નથી રશિયા યુક્રેનને હરાવી શકતું. એમાં હવે ચીને ગયા એપ્રિલ મહિનામાં સાઉદી અરેબિયા અને ઈરાન વચ્ચે સમજૂતી કરાવી છે જે દાયકા પહેલાં અસંભવ લાગતી હતી. અત્યારે ઈરાન પણ ઇઝરાયેલની સામે આરબ દેશો સાથે ઊભુ છે. આજે જગત બહુ ઝડપથી બદલાઈ રહ્યું છે.

આજે ઇઝરાયેલ સામે વરવી વાસ્તવિકતા એ છે કે ૧૯૬૭ના સિક્સ ડેઝ વૉરની જ્વલંત કીર્તિ ધરાવતું ઇઝરાયેલ માત્ર ગાઝા પટ્ટીમાં સક્રિય હમાસ નામના એક જૂથ સામે આજે આ લખી રહ્યો છું ત્યારે ૧૧ દિવસથી લડી રહ્યું છે અને હજુ વિજય નજરે પડતો નથી, જ્યારે કે ૧૯૬૭માં ઈજીપ્ત સહિત મુસ્લિમ દેશો સંગઠિત રીતે ઇઝરાયેલ સામે યુદ્ધમાં ઉતર્યા હતા. આ બાજુ સાઉદી અરેબિયાના શાસક પ્રિન્સે અમેરિકાના વિદેશ પ્રધાનને ૧૫ કલાક મુલાકાત આપી નહોતી અને હોટેલમાં બેસાડી રાખ્યા હતા. વાચકોને એ વાતની જાણ તો હશે જ કે હમણાં સુધી સાઉદી અરેબિયા અમેરિકાના પીઠ્ઠું તરીકેની ખ્યાતિ ધરાવતું હતું. અને હવે ખબર આવ્યા છે કે સાઉદી અરેબિયા સહિતના આરબ દેશોએ અમેરિકાના પ્રમુખ જો બાયડનને મળવાની પણ ના પાડી દીધી છે. પ્રચંડ હુમલાઓ છતાં હમાસ બાન પકડેલા ત્રણસો જેટલા ઇઝરાયેલીઓને છોડતું નથી. હમાસે જેમને બાનમાં રાખ્યા છે એમાં ત્રીસ અમેરિકન નાગરિકો પણ છે. આમ જગતમાં રાજકીય સમીકરણો બદલાઈ રહ્યાં છે, પણ ઇઝરાયેલ તેને સમજવાની જગ્યાએ હજુ તેની જૂની દાદાગીરી, જોહૂકમી અને સરકારી ત્રાસવાદની પ્રવૃત્તિ છોડતું નથી. એમાં ઇઝરાયેલના વર્તમાન વડા પ્રધાન એક જંગલી અને ઝનૂની શાસક છે.

જી હા, ત્રાસવાદ. ઇઝરાયેલ જે કરી રહ્યું છે એ એક રાજ્ય દ્વારા કરવામાં આવતી ત્રાસવાદી પ્રવૃત્તિ છે. હમાસનો ઇઝરાયેલ પરનો હુમલો ત્રાસવાદી જવાબ માત્ર છે. વાચકોને મારી સલાહ છે કે ઈન્ટરનેટ પર જઇને ૧૯૪૮માં જ્યારે ઇઝરાયેલની સ્થાપના થઈ ત્યારનો ઇઝરાયેલનો નકશો જુઓ અને અત્યારનો ઇઝરાયેલનો નકશો જુઓ. એમાં આરબોની કબજે કરવામાં આવેલી ભૂમિ સહિતનો ઇઝરાયેલનો નકશો જોવા મળશે. ઇઝરાયેલ આરબોની, મુખ્યત્વે પેલેસ્ટાઇનની ભૂમિ કબજે કરી રહ્યું છે, પોતાને વિસ્તારી રહ્યું છે અને ત્યાંની પ્રજાને ખદેડી રહ્યું છે. આગળ કહ્યું એમ આખેઆખી ગાઝા પટ્ટી ઇઝરાયેલની ઓપન જેલ છે. કયા અધિકારથી ઇઝરાયેલ આ કરી રહ્યું છે અને તેમાં કઈ નૈતિકતા છે? અને એ પણ દાયકાઓથી બેશરમપણે. એમાં કોઈ શંકા નથી કે ઇઝરાયેલ એક ત્રાસવાદી રાજ્ય છે.

હકીકત તો એ છે કે યહૂદીઓએ પોતાના વતનને છોડીને નાસવું પડ્યું અને જગતમાં જે તે દેશોમાં જઇને વસવું પડ્યું એને માટે મુસલમાનો જવાબદાર નહોતા. ઇસ્લામની સ્થાપના તો યહૂદીઓને સતાવવાની શ્રેણીબદ્ધ ઘટનાઓ બની એની સદીઓ પછી થઈ હતી. હકીકત તો એ પણ છે મધ્યકાલીન યુરોપમાં કેથલિક ચર્ચની સંમતિ સાથે, કહો કે આદેશ સાથે, યહૂદીઓને યુરોપના જે તે દેશોમાં સતાવવામાં આવતા હતા ત્યારે કેટલાક યહૂદીઓએ ભાગીને પશ્ચિમ એશિયાના મુસ્લિમ દેશોમાં આશરો લીધો હતો અને મુસ્લિમ દેશોએ તેમને ધીમ્મી તરીકે માન્યતા આપીને આશ્રય આપ્યો હતો. ધીમ્મી એ છે જે કિતાબી ધર્મને અનુસરે છે અર્થાત્ માત્ર એક ધર્મગ્રન્થને અનુસરે છે, પણ કુરાનને નથી અનુસરતા. આ જગતમાં ખ્રિસ્તીઓ, યહૂદીઓ અને મુસલમાનો કિતાબી પ્રજા છે. ટૂંકમાં ઇસ્લામ મુજબ ધીમ્મી ઈશ્વરે પસંદ કરેલી શ્રેષ્ઠ પ્રજા ભલે નથી, પણ સાવ કનિષ્ઠ પણ નથી. કુરાન મુજબ તેઓ આશ્રય અને સંરક્ષણના અધિકારી છે. એટલે તો બીજા વિશ્વયુદ્ધ પછી યહૂદીઓને પેલેસ્ટાઇનમાં વસાવવાનો પ્રસ્તાવ આવ્યો ત્યારે કેટલાક લોકોએ આરબોને ધીમ્મીની યાદ અપાવી હતી. બીજા વિશ્વયુદ્ધ વખતે યહૂદીઓનું જાતિનિકંદન કરનાર હિટલર ખ્રિસ્તી હતો, મુસલમાન નહોતો. ટૂંકમાં સદીઓ જૂનું વૈમનસ્ય ખ્રિસ્તીઓ અને યહૂદીઓ વચ્ચે હતું, મુસલમાનો અને યહૂદીઓ વચ્ચે નહોતું.

હકીકત તો એ પણ છે કે ખ્રિસ્તીઓ પોતાના દેશમાંથી યહૂદીઓને ખદેડવા માગતા હતા અને તેમાં બીજા વિશ્વયુદ્ધ પછી તેમને મોકો મળી ગયો. શા માટે ખ્રિસ્તી દેશો યહૂદીઓને ખદેડવા માંગતા હતા? કારણ કે યહૂદીઓ વેપારી પ્રજા હતી, લગભગ દરેક દેશમાં પ્રજાનું શોષણ કરતા હતા, યહૂદીઓ પોતાના વાડા (ડાયસ્પોરા) બનાવીને રહેતા હતા, અન્ય પ્રજા સાથે ભળતા નહોતા અને ચોવીસે કલાક જેરુસલેમ માટે ઝૂરતા હતા, તેનું રટણ કરતા હતા. તેઓ જે દેશમાં રહેતા હતા તેને વફાદાર નહોતા એવો તેમના ઉપર આરોપ કરવામાં આવતો હતો. વિનાયક દામોદર સાવરકરની થિયરી મુજબ જે પ્રજાની પવિત્ર ભૂમિ અન્યત્ર કોઈ બીજા દેશમાં હોય તેની વફાદારી શંકાસ્પદ હોય છે. યહૂદીઓની પવિત્ર ભૂમિ પેલેસ્ટાઇન હતી એટલે હિન્દુત્વવાદીઓ જેમ મુસલમાનોને ભરોસાપાત્ર નથી માનતા તેમ કેટલાક ખ્રિસ્તીઓ યહૂદીઓને ભરોસાપાત્ર નહોતા માનતા. બીજા વિશ્વયુદ્ધ પછી યહૂદીઓની ઇઝરાયેલની મંશા પૂરી કરીને ખ્રિસ્તીઓએ ટાઢે પાણીએ ખસ કાઢી હતી.

તો આનો અર્થ એ થયો કે પાડાને વાંકે પખાલીને ડામ આપવામાં આવે એમ પેલેસ્ટાઇનની પ્રજાને ડામ આપવામાં આવ્યો હતો. પાછો એટલાથી સંતોષ નથી. ૧૯૪૮થી ઇઝરાયેલ પાડોશી દેશોના મુસલમાનોને સતાવે છે. તેને હેરાન કરીને ખદેડે છે. તેમની જમીન આંચકે છે. વરસોવરસ વિસ્તાર વધારીને પહોળું થતું જાય છે. બેશરમપણે ત્રાસવાદી પ્રવૃત્તિ કરે છે. ઇઝરાયેલના યહૂદીઓ તેમનો પોતાનો અતીત ભૂલી ગયા છે અને મુસલમાનો સાથે એ જ કરે છે જે ખ્રિસ્તી દેશોમાં તેમની સાથે થયું હતું.

પણ દરેક ચીજનો અંત હોય છે. જો નાગાઈ ચિરંજીવ હોત તો ઋષિઓએ, પેગંબરોએ અને ફિલસૂફોએ નાગાઈનો મહિમા કર્યો હોત. તેમણે તો સત્ય, મર્યાદા અને નૈતિકતાનો મહિમા કર્યો છે. જો નાગાઈ અંતિમ સાધન હોત તો આ જગત જીવવા જેવું ન રહેત, માનવપ્રજા ક્યારની ખપી ગઈ હોત. માટે ગાંધીજીએ યહૂદીઓને સલાહ આપી હતી કે જ્યાં રહો છો ત્યાંથી જ ઈશ્વર સમીપે રહી શકાય છે, પણ જો તમારે તમારી પવિત્ર ભૂમિમાં જઇને રહેવું જ હોય તો પેલેસ્ટેનિયન બનીને રહો. કોણ આવીને રહેવાની ના પાડે છે? ઇઝરાયેલની સ્થાપના થઈ એનાં પહેલાં અનેક યહૂદીઓ પેલેસ્ટાઇનમાં જઇને વસ્યા હતા અને બીજા કેટલાક નિવૃત્તિ પછી જેરુસલેમ જઇને બાકીનું જીવન ગાળતા હતા. આમાં યહૂદીઓ માટે અલગ દેશની જરૂર ક્યાં પડી? અને અંતે પાડોશીનો પ્રેમ જીત્યા વિના માત્ર બાહુબળના જોરે તમે સુખેથી જીવી શકશો એમ જો તમે માનતા હો તો એ એક ભ્રાંતિ છે.

ઇઝરાયેલના અતિરેક દિનપ્રતિદિન વધી રહ્યા છે, મુસલમાનોની સહનશક્તિનો અંત આવી રહ્યો છે, પેલેસ્ટાઇનના આરબો કેસરિયા કરવાના મિજાજમાં છે અને જગતનાં સમીકરણો બદલાઈ રહ્યાં છે. સમય સતત બદલાતો રહેતો હોય છે.

પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસ રંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 22 ઑક્ટોબર 2023

Loading

22 October 2023 Vipool Kalyani
← નોબેલ પુરસ્કાર: અમેરિકા કેમ ઇમિગ્રન્ટ બૌદ્ધિકો માટે સ્વર્ગ સમાન છે?
‘ગાંધી સ્મૃતિ ભવન’ : નિર્વાણથી નિર્માણ તરફ … →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved