Opinion Magazine
Number of visits: 9448938
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

હિંદુત્વનું રાજકારણ ફૂલીફાલી રહ્યું છે એનું કેવું પરિણામ મળશે?

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|24 April 2024

1950ના પ્રજાસત્તાક બંધારણ સાથે આપણી સામેનો પડકાર સાંકડી અને જીર્ણમતિ ઓળખોથી ઊંચે ઊઠી નાગરિક ઓળખ વિકસાવવાનો હતો : વૈકલ્પિક વિમર્શના દાવેદાર પક્ષ તરીકે જનસંઘે – ભા.જ.પે. જનતા અવતારની તક રોળી  નાખી : આજે નાગરિક ઓળખ તો ઠીક પણ બચાડી હિંદુ ઓળખ સુધ્ધાં પટેલ ને ક્ષત્રિય જેવી ભવાટવીમાં ભટકે છે 

‘ખેડે તેની જમીન’નું સૂત્ર આપનારા ઉછંગરાય ઢેબર આઝાદી પછી સૌરાષ્ટ્ર રાજ્યના પ્રથમ મુખ્ય મંત્રી બન્યા હતા

પ્રકાશ ન. શાહ

રાજકોટ – રૂપાલા ઘટનાક્રમ અને પરિણામ, એની ચિંતાથી એક અર્થમાં કંઈક ઉફરાટે આ ક્ષણે હું સૌરાષ્ટ્રનાં ઢેબર વરસો સંભારવા ઈચ્છું છું, જેમાં સરદાર પટેલની મહદ્ભૂમિકા હતી તે પ્રમાણે પહેલાં કાઠિયાવાડનું યુનિયન અને પછી સૌરાષ્ટ્રનું રાજકીય એકમ તો જાણે કે થયાં.  પણ સ્વરાજ બચાડું હજુયે બધે નથી પહોંચ્યું તો ત્યારે તો કેટલે માંડ પહોંચ્યું હશે!

1948થી 1954નાં એ વરસો ઢેબરભાઈના મુખ્ય મંત્રીપદનાં હતાં, અને એમણે હાથ ધરેલી રાજસૂય-પ્રજાસૂય પહેલો થકી એક મોટી કોશિશ ને કીર્તિદા કામગીરી ગરાસદારી નાબૂદીની હતી. આજે સૌરાષ્ટ્રનો પાટીદાર સમુદાય જો એક બળુકી હાજરી પુરાવી શકતો હોય તો એની ઇતિહાસચાવી આ ગરાસદાર નાબૂદીમાં ઠીક ઠીક પ્રમાણમાં પડેલી છે.

ચોક્કસ ટકાવારી કે કોઠાબદ્ધ તપસીલમાં ગયા વગર એક સામાન્ય અવલોકન તરીકે કહું કે ગરાસદાર નાબૂદી સાથે મુક્તિ અનુભવતો વર્ગ સહજ ક્રમે, શરૂઆતનાં એ વરસોમાં, કાઁગ્રેસ સાથે વધુ ભળ્યો હશે. 

કૃષ્ણકુમારસિંહજી જેવા ઉમદા ખવાસના લોકો બાદ કરતાં ઠીક ઠીક ગરાસદારી તત્ત્વો સ્વરાજ સરકાર બાબતે ગિન્નાયેલાં ને ઘવાયેલાં હોઈ પોતપોતાની રીતેભાતે કોઈ સામી છાવણીમાં પનાહ લે અગર ભળે તો તે અસ્વાભાવિક અલબત્ત નહોતું. નવાસવા સ્થપાયેલા જનસંઘને પણ તે પૈકી કંઈ ટેકો મળ્યો હશે એવો મારો ખયાલ કટોકટીકાળે 1976ના સહ-જેલવાસ દરમ્યાન ચિમનભાઈ શુક્લ સાથેની જનસંઘનાં આરંભવર્ષો અંગેની વાતોથી દૃઢાયો છે. રાજકીય ઉમેદવારી કે પક્ષની રીતે બીજી છાવણીમાં ભળવાનું બને તે એ સંજોગોમાં સમજી શકાય એવું પણ હતું.

વાત જો કે કમનસીબે આવી અને આટલી જ નહોતી. જેમની સામંતી સત્તા લોકશાહી પ્રક્રિયાને અંતર્ગત સ્વરાજ સહજ રીતે ગઈ એમણે કથિત અન્યાય સામે અસામાજિક રાહે ઉપાડો લીધો : ભૂપતનું કથિત બહારવટું એનો સૌથી મોટો દાખલો હતો અને છે. આ પ્રકારનાં હિંસક તત્ત્વોને સૌરાષ્ટ્રમાં ક્યાંક ક્યાંક રાજમહેલાતી આશરો મળ્યાનુંયે નોંધાયેલ છે. મારા બાળચિત્તને આઠ-દસ વરસની વયે એ ક્યાંથી પકડાયું હોય!

મેઘાણી પ્રતાપે વીર બહારવટિયાઓની રંગ વાતો હવામાં હશે એટલે ભૂપત છાનોમાનો અમારા ગામમાં (ત્યારે હું વડોદરા હતો) આવીને મોહન ટોકીઝ (પછીથી નવરંગ કોમ્પ્લેક્સ) કે સુપ્રીમ ટોકીઝ(પછીથી કલામંદિર)માં ફિલ્મ જોઈ ગયો એવી અફવા અદ્દલોઅદ્દલ રોમાંચક અનુભવાતી તે આ લખતાં સાંભરે છે. ભલે દેખંતી રોમાંચક પણ હતી તો એ એક અસામાજિક ઘટના પ્રક્રિયા જ ને.

મેં સૌરાષ્ટ્રે છેડેથી વાત શરૂ કરી પણ દક્ષિણ ગુજરાતમાંયે એને મળતું ચિત્ર ક્યાં નહોતું? મોરારજી દેસાઈ વલસાડની બેઠક પર સમાજવાદી પક્ષના અમૂલ દેસાઈ સામે ચૂંટણી હારી ગયા, ત્યારે મારા બાળકિશોર ચિત્તે સ્વાભાવિક જ એક પ્રાગતિક વિપક્ષ સામે સ્વરાજના સત્તા પક્ષે ખાધેલી હાર અંગે હર્ષોદ્રેક અનુભવ્યો હતો. પાછળથી જાહેર જીવનમાં કંઈક સક્રિયતાવશ થયેલા સંપર્કો થકી મને સમજાયું કે ‘ખેડે તેની જમીન’ના સૂત્રને અનુલક્ષીને ખેર-મોરારજીની પ્રગતિશીલ રાજવટ હસ્તક જે જમીનદારોએ ગુમાવવાનું આવ્યું એમનો ટેકો અમૂલ દેસાઈને મળ્યો હતો : અહીં મારો મુદ્દો અમૂલ દેસાઈની પાત્રતા વિશે નથી, પણ ઇતિહાસની પ્રક્રિયા કેવા વળાંક લેતી હોય છે. એને અંગે દેખીતા કૌતુકનો પણ એકંદરે સમજનો છે. 

આ સમજની પ્રક્રિયાને સાત્ત્વિક સમર્થનકારી ઊંજણ કાનજીકાકાએ (પૂર્વ મુખ્ય મંત્રી હિતેન્દ્ર દેસાઈના પિતા અને સરદાર પટેલ પછીના ગુજરાત કાઁગ્રેસના પ્રમુખે) જે રીતે પોતાની જાગીરદારીની જમીનો પર કામ કરનારાઓને માલિક બનાવી જાણ્યા એ બીના થકી મળ્યું હતું.

હવે જરા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાંથી મધ્ય ગુજરાતમાં આવું? વલ્લભ વિદ્યાનગરના વિશ્વકર્મા લેખે વિશ્રુત ભાઈકાકાએ સ્વરાજના શરૂનાં વર્ષોમાં ચૂંટણી લડી હાર વેઠેલી. પરિણામ પછી પહેલી તકે એ મોગર ઠાકોર નટવરસિંહને મળ્યા ને કહ્યું કે પટેલનો ‘પ’ અને ક્ષત્રિયનો ‘ક્ષ’ મળીને પક્ષ બને તો એની જીત નક્કી છે.

અહીં હું ગુજરાતના રાજકારણના તત્કાલીન પ્રવાહો ને પરિબળોની ચર્ચામાં વિશેષ નહીં જતાં એક માત્ર એટલી જ ટિપ્પણી ચાલુ ચર્ચાએ કરું કે અર્થકારણ, સમાજકારણ, શાસનકારણ અને રાજકારણની આ ચર્ચા સ્વાતંત્ર્યોત્તર એક પ્રજાસત્તાક સહજ જે અપેક્ષા આપણ સહુને અંગે જગવે છે તે બંધારણીય રાહે અપેક્ષિત નાગરિકતાના વિકસન અને પ્રફુલ્લનનની છે. 

એક કાળનાં સામંતી તત્ત્વો હોય કે આપણી દુર્દૈવ સામાજિક નિયતિવશ કથિત ઊંચનીચગત સમુદાયો હોય, સૌએ ઓગસ્ટ 1947થી અગર સવિશેષ તો જાન્યુઆરી 1950થી નૂતન નાગરિક ઓળખને ધોરણે સમતાપૂર્વક પોતાનો વ્યવહાર ગોઠવવાનો છે.

નહીં કે એ દિશામાં કંઈ થયું જ નથી. બધી મર્યાદાઓ સાથે લોકશાહી તરીકે ટકી ગયા છીએ. આજે કાઠું લાગતું હોય તો પણ ઘોષિત કટોકટીને વટી ગયેલાઓ કાળક્રમે અઘોષિત કટોકટીને પણ અંડોળી જઈ શકશે. પ્રસંગે મંડલી અને ખામ તરેહના ધક્કાઆંચકા પેલી આર્થિક-સામાજિક ન્યાયની દિશા અંગેના ગતિરોધ સામે કિંચિત કામ પણ આપતા હશે. પણ સરવાળે તે સાંકડી સામસામી ઓળખમાં ગંઠાઈ જાય છે. થોડાં વરસ પર પાટીદાર ઉઠાવ જોયો. હવે એનો અણધાર્યો જવાબ આજે ક્ષત્રિય જમાવટ રૂપે સામે આવ્યો છે.

ભા.જ.પ.ને ડેમેજ કન્ટ્રોલ કે પ્રબંધનની અફળ-સફળ રગ ઓછીવત્તી હોઈ શકે છે. પણ મંડનમિશ્રને ટોડલે શુક-સારિકા સંવાદ થતો તેમ એને ટોડલે હિંદુ ઓળખના રાજકારણની મર્યાદાઓને લક્ષમાં રાખી તેમ ક્ષત્રિય વિ. પટેલના ટૂંકા પનાને સમજી કોઈ રુપાલા-મકરાણા નાગરિક સંવાદની આશા રાખી શકીએ? ન જાને.

e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 24 ઍપ્રિલ 2024

Loading

24 April 2024 Vipool Kalyani
← દુર્દાંત વજન
દડ્યું છે →

Search by

Opinion

  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved