Opinion Magazine
Number of visits: 9448730
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

હવે લિંગાયતો માગણી કરી રહ્યા છે કે તેમના વીરશૈવ સંપ્રદાયને અલગ ધર્મની માન્યતા આપવામાં આવે

રમેશ ઓઝા|Opinion - Opinion|2 August 2017

આ દેશમાં સનાતન હિન્દુ ધર્મ કરતાં સંપ્રદાયો, પેટા-સંપ્રદાયો અને જ્ઞાતિઓની ઓળખ પ્રબળ છે. આની વચ્ચે દેશને જોડવો કઈ રીતે? દયાનંદ સરસ્વતીથી લઈને સાવરકર સુધીનાઓને એમ લાગે છે કે હિન્દુ તરીકેની ઓળખ વિકસાવીને અને આગ્રહપૂર્વક લાગુ કરીને. ગાંધીજીને એમ લાગતું હતું કે ભારતીય તરીકેની ઓળખ વિકસાવીને અને આગ્રહપૂર્વક લાગુ કરીને. જે આરસીમાંથી હજારો ટુકડા થયા છે એને પાછી જોડવી શક્ય નથી અને એવી કોઈ જરૂર પણ નથી. વળી એ ટુકડા વિખેરાયેલા નથી, પણ એકબીજા સાથે જોડાયેલા છે એટલે એક રીતે એ હિન્દુ સમાજને અને અર્થાન્તરે ભારતીય સમાજને એક અલાયદો આકાર આપે છે. આ આકારસમૃદ્ધિને ભારતની સમૃદ્ધિ તરીકે જોવી જોઈએ. તિરાડો જોઇને શરમાવા કરતાં અને પોતાને નિર્બળ સમજવા કરતાં અનેકવિધ રેખાઓ જોઈને પોરસાવામાં વધારે લાભ છે. આમ પણ તિરાડો ક્યારે ય પુરાવાની નથી. લિંગાયતો આનું તાજું ઉદાહરણ છે

તમે જાણો છો સર્વોચ્ચ અદાલતમાં ચુકાદાનો રાહ જોતી જૂનામાં જૂની પિટિશન કોની છે અને કેટલાં વર્ષ જૂની છે? તમે જાણો છો કે એ પિટિશનમાં શેની માગણી કરવામાં આવી છે? લગભગ ત્રણ દાયકા જૂની પિટિશન આર્યસમાજીઓની છે અને એમાં માગણી કરવામાં આવી છે કે આર્ય સમાજને ગેર-હિન્દુ સ્વતંત્ર લઘુમતી ધર્મ તરીકેની માન્યતા આપવામાં આવે જે રીતે બૌદ્ધ, જૈન અને સિખ ધર્મનો પ્રાદુર્ભાવ ભારતમાં થયો હોવા છતાં સ્વતંત્ર ધર્મની માન્યતા આપવામાં આવી છે. આ પિટિશન પર સુનાવણી થાય એમ ભારત સરકાર ઇચ્છતી નથી અને કદાચ શરમના માર્યા કે પછી આપસી મતભેદને કારણે આર્યસમાજીઓ પણ સુનાવણીનો ખાસ અગ્રહ રાખતા નથી એટલે પિટિશન પડી છે.

આર્યસમાજીઓની દલીલ શું છે એ પણ સમજી લો. બહુ સીધીસાદી દલીલ છે. હિન્દુ ધર્મ એટલે સનાતન ધર્મ એમ આદિ શંકરાચાર્યથી લઈને આજ સુધી બધા કહેતા આવ્યા છે. આ ઉપરાંત ૩૩ કોટી દેવતાઓ અને સેંકડો સંપ્રદાયો અને પેટા-સંપ્રદાયોનું જાળું સનાતન ધર્મ ધરાવે છે. ખરું પૂછો તો હિન્દુ ધર્મ એ કોઈ સંગઠિત ધર્મ જ નથી. આની સામે આર્ય સમાજની સ્થાપના જ હિન્દુ સનાતન ધર્મની ટીકા કે નિંદામાંથી થઈ છે. દયાનંદ સરસ્વતીએ પોતે લખેલા ‘સત્યાર્થ પ્રકાશ’ સહિત ઉપલબ્ધ સેંકડો ગ્રંથ જોઈ જાઓ એમાં તમને સનાતન ધર્મની નિંદા મળી આવશે. બીજું, હિન્દુ ધર્મથી ઊલટું આર્ય સમાજ સંગઠિત છે અને એના આચાર-વિચારના અફર સિદ્ધાંતો છે. ભૂતકાળમાં બૌદ્ધ અને જૈન ધર્મના સ્થાપકોએ પણ સનાતન ધર્મની નિંદા કરી હતી અને તેમનાથી અલગ થઈને સ્વતંત્ર આચાર-વિચારવાળા ધર્મની સ્થાપના કરી હતી અને આજે એ બન્ને ધર્મો સ્વતંત્ર ધર્મનો દરજ્જો ધરાવે છે. એ પછી સિખોના ગુરુઓએ સનાતન ધર્મની નિંદા કરી હતી અને એનાથી અલગ પડીને સ્વતંત્ર અને અફર આચાર-વિચારવાળા ધર્મની સ્થાપના કરી હતી અને એ પણ ગેરહિન્દુ ધર્મની માન્યતા ધરાવે છે. ભારતમાં સ્થપાયેલા અન્ય ધર્મોને ગેરહિન્દુ ધર્મની માન્યતા મળે તો એના જેવો જ ઇતિહાસ અને લક્ષણો ધરાવતા આર્ય સમાજને શા માટે નહીં એવો તેમનો પ્રશ્ન છે.

વાચકોને જાણ હશે કે આર્ય સમાજના સ્થાપક દયાનંદ સરસ્વતીને હિન્દુ પુર્નજા‍ગરણના પિતામહ કહેવામાં આવે છે. હિન્દુ ધર્મના માળખામાં જ એવી ખામી છે કે એ વિદેશી ધર્મો સામે માર ખાય છે અને એમાંથી એક દિશાનું બહર્ગિમન થઈ રહ્યું છે. આને માટે હિન્દુ સનાતન ધર્મમાં આમૂલાગ્ર સુધારાઓ કરવાની અને એની પુનર્બાધણીની જરૂર છે. આર્ય સમાજ આવો એક પ્રયાસ હતો. દયાનંદ સરસ્વતીની એવી અપેક્ષા હતી કે ભારતના તમામ હિન્દુઓ ચોક્કસ ચહેરા વિનાના સનાતન ધર્મના સુધારેલા અવતાર જેવા આર્ય સમાજને અપનાવી લેશે. તમે જાણો છો આનું શું પરિણામ આવ્યું? હિન્દુઓએ તો આર્ય સમાજ પ્રેરિત હિન્દુ ધર્મની સુધારેલી આવૃત્તિ સ્વીકારી નહીં, પરંતુ સિખો આર્યસમાજીઓનો દુરાગ્રહ જોઇને માગણી કરવા લાગ્યા કે તેઓ હિન્દુ નથી અને ગેરહિન્દુ તરીકેની માન્યતા આપવામાં આવે. ઓગણીસમી સદીની છેલ્લી પચીસી પહેલાં સિખોએ ક્યારે ય કહ્યું નહોતું કે તેઓ હિન્દુ નથી. આવું ત્યારે બન્યું જ્યારે સિખોએ પણ આર્ય સમાજ અપનાવી લેવો  જોઈએ એવો આર્યસમાજીઓ આગ્રહ કરવા લાગ્યા. દયાનંદ સરસ્વતીના હિન્દુ પુર્નજા‍ગરણની ફળશ્રુતિ એટલી કે હિન્દુઓ જગ્યા વિના હતા ત્યાંને ત્યાં જ રહ્યા અને સિખો હિન્દુઓથી અળગા થયા.

હિન્દુઓના પુર્નજા‍ગરણના બીજા મસીહા સ્વામી વિવેકાનંદ હતા જેને પ્રસિદ્ધ ફ્રેન્ચ સાહિત્યકાર રોમાં રોલાંએ હિન્દુ ધર્મના નેપોલિયન તરીકે ઓળખાવ્યા હતા. તેમણે પણ સનાતન ધર્મની કેટલીક ક્ષણોની ટીકા કરી હતી, એમાં સુધારાઓ સૂચવ્યા હતા અને હિન્દુ ધર્મની સંવર્ધિત આવૃત્તિ તરીકે રામકૃષ્ણ મઠની સ્થાપના કરી હતી. રામકૃષ્ણ મઠનો સંપ્રદાય (કે જે કહો એ) સનાતન ધર્મથી એટલો દૂર નથી ગયો જેટલા આર્યસમાજીઓ ગયા છે. આમ છતાં રામકૃષ્ણ મઠે સર્વોચ્ચ અદાલતમાં પિટિશન કરી હતી કે રામકૃષ્ણ સંપ્રદાયને હિન્દુ ધર્મથી અલગ સ્વતંત્ર ધર્મની માન્યતા આપવામાં આવે. સર્વોચ્ચ અદાલતે ૧૯૯૫માં મઠની પિટિશન ફગાવી દીધી હતી.

હવે કર્ણાટકમાં લિંગાયતો માગણી કરી રહ્યા છે કે તેમના વીરશૈવ સંપ્રદાયને ગેરહિન્દુ ધર્મનો દરજ્જો આપવામાં આવે. બારમી સદીમાં થયેલા સંત કવિ અને ફિલસૂફ બસેશ્વરે સનાતન ધર્મની ટીકા કરીને અને એનાથી અલગ પડીને નવા પંથની સ્થાપના કરી હતી. સનાતની હિન્દુઓએ વીરશૈવ પંથને ગાળો દીધી હોય અને નિંદા કરી હોય એવા પણ ઘણાં પ્રમાણ છે જે સાબિત કરે છે કે વીરશૈવ પંથ સનાતન પંથ કરતાં વેગળો છે. તેઓ લિંગપૂજા કરે છે અને એટલે તો લિંગાયત તરીકે ઓળખાય છે એનું શું? આનો ખુલાસો તેઓ એવો આપે છે કે તેઓ ઈષ્ટ લિંગની પૂજા કરે છે જ્યારે સનાતનીઓ સમિષ્ટ લિંગની પૂજા કરે છે. કર્ણાટકમાં લિંગાયતોની વસ્તી ૧૫ ટકા છે અને ગુજરાતમાં જેટલી પટેલો અને મહારાષ્ટ્રમાં જેટલી મરાઠાઓ રાજકીય-સામાજિક-આર્થિક વગ ધરાવે છે એટલી કર્ણાટકમાં લિંગાયતો ધરાવે છે. આવી બેહૂદી માગણીનું એક કારણ કર્ણાટક વિધાનસભાની નજીક આવી રહેલી ચૂંટણી પણ છે. કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને ભારતીય જનતા પાર્ટીના નેતા યેદિયુરપ્પા લિંગાયત છે અને તેમને ફિક્સમાં મૂકવાની આ રમત છે.

સવાલ એ છે કે ભારતમાં હિન્દુઓ હિન્દુ કેટલા છે જેના પર વિનાયક દામોદર સાવરકરે હિન્દુ રાષ્ટ્રની રચના કરવામાં મદાર રાખ્યો હતો? હિન્દુ પુર્નજા‍ગરણના બબ્બે મશાલચીઓના અનુયાયીઓ (બધા નહીં તો તેમાંના કેટલાક) કહે છે તેઓ હિન્દુ નથી અને હિન્દુ તરીકે ઓળખાવા માગતા નથી. મધ્યકાલીન યુગમાં હિન્દુઓમાં સુધારાઓ કરીને નિર્વિરોધી ક્રાન્તિ કરનારા સંતોના અનુયાયીઓ કહે છે કે અમે હિન્દુ નથી. આ દેશમાં સનાતન હિન્દુ ધર્મ કરતાં સંપ્રદાયો, પેટા-સંપ્રદાયો અને જ્ઞાતિઓની ઓળખ પ્રબળ છે. આની વચ્ચે દેશને જોડવો કઈ રીતે? દયાનંદ સરસ્વતીથી લઈને સાવરકર અને અત્યારના હિન્દુત્વવાદીઓને એમ લાગે છે કે હિન્દુ તરીકેની ઓળખ વિકસાવીને અને આગ્રહપૂર્વક લાગુ કરીને. ગાંધીજીને એમ લાગતું હતું કે ભારતીય તરીકેની ઓળખ વિકસાવીને અને આગ્રહપૂર્વક લાગુ કરીને. જે આરસીમાંથી હજારો ટુકડા થયા છે એને પાછી જોડવી શક્ય નથી અને એવી કોઈ જરૂર પણ નથી. વળી એ ટુકડા વિખેરાયેલા નથી, પણ એકબીજા સાથે જોડાયેલા છે એટલે એક રીતે એ હિન્દુ સમાજને અને અર્થાન્તરે ભારતીય સમાજને એક અલાયદો આકાર આપે છે. આ આકારસમૃદ્ધિને ભારતની સમૃદ્ધિ તરીકે જોવી જોઈએ. તિરાડો જોઈને શરમાવા કરતાં અને પોતાને નિર્બળ સમજવા કરતાં અનેકવિધ રેખાઓ જોઈને પોરસાવામાં વધારે લાભ છે. આમ પણ તિરાડો ક્યારે ય પુરાવાની નથી. લિંગાયતો આનું તાજું ઉદાહરણ છે.

તમને શું લાગે છે? વિચારી જુઓ?

સૌજન્ય : ‘કારણ-તારણ’, “ગુજરાતી મિડ-ડે”, 02 અૉગસ્ટ 2017

Loading

2 August 2017 admin
← ‘ધ મિનિસ્ટૃી અૉવ્ અટમૉસ્ટ હેપિનેસ’
‘તું નાનો, હું મોટો – એવો ખ્યાલ જગતનો ખોટો’ →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved