Opinion Magazine
Number of visits: 9449020
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગુજરાતના ગ્રંથપાલો અને ગ્રંથાલયોનો પહેલવહેલો વિસ્તૃત માહિતી સંગ્રહ

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|10 September 2023

પુસ્તક પરિચય

‘ગુજરાતનાં ગરવાં ગ્રંથાલયીઓ અને ગ્રંથપાલો’ પુસ્તક ગ્રંથાલય ક્ષેત્રે એના પ્રકારનો પહેલવહેલો માહિતીસંગ્રહ છે. તેમાં એક સદીના સમયગાળાના દિવંગત તેમ જ હયાત એવા  કુલ 91  ગ્રંથપાલ (લાઇબ્રેરિયન્સ)ના ‘જીવનવૃત્ત અને પ્રદાન’ અંગે વાંચવા મળે છે.

ગ્રંથાલયી શબ્દ ગ્રંથપાલ માટેનો શ્રેષ્ઠતાસૂચક સમાનાર્થી છે. આ શબ્દ ભારતમાં ગ્રંથાલયવિજ્ઞાન(લાઇબ્રેરી સયાન્સ)ના આદ્ય પ્રવર્તક શિયાલી રંગનાથને (1892-1972) ગ્રંથપાલના પાંચ મૂળભૂત કર્તવ્યો જણાવ્યા છે તેને લગતો છે. ગ્રંથપાલના કર્તવ્યોને લગતી ‘પંચસૂત્રી’નું પહેલું ચરણ છે :  ग्रंथालयी सदासेवी पंचसूत्री परायण.

જો કે સંપાદકની માન્યતા મુજબ ‘ગ્રંથપાલના હોદ્દાને ગ્રંથાલયી તરીકે સંબોધવાનો શ્રેય મોહનદાસ પટેલને જાય છે.’ તેઓ એમ પણ લખે છે કે ‘ગ્રંથાલય ક્ષેત્રે જે રીતે ડૉ. રંગનાથનનો એક યુગ હતો, એ રીતે ગુજરાતમાં મોહનદાસ પટેલનો પણ ગ્રંથાલય ક્ષેત્રે યુગ હતો.’

પુસ્તકના એક હિસ્સામાં એવા ગ્રંથાલયો કે ગ્રંથસંગ્રહો વિશેના લેખો છે કે જેમાંથી કેટલાંકમાં હજારેક વર્ષ પ્રાચીન વાચનસામગ્રી છે. અહીં એ પણ જાણવા મળે છે સો વર્ષ કે તેથી વધુ સમયથી ચાલી રહ્યા હોય તેવાં વીસથી વધારે જાહેર ગ્રંથાલયો ગુજરાતમાં છે. તેમાંથી ઘણાં ટ્રસ્ટ કે સાહિત્યિક-સાંસ્કૃતિક સંસ્થાઓ દ્વારા ચાલે છે, અને તેમને સરકારી  સહાય બિલકુલ નથી, અથવા નજીવી છે.

ગુજરાતભરમાં જાણીતા સતત ઉદ્યમશીલ વરિષ્ઠ ગ્રંથાલયી મણિભાઈ પ્રજાપતિ સંપાદિત 688 પાનાંના આ મોટા કદના પુસ્તકનું પેટાશીર્ષક ‘શ્રી કિરણચન્દ્ર એચ. પટેલ અભિવાદન ગ્રંથ’ છે. અત્યારે 70 વર્ષના કિરણચન્દ્ર પાલનપુરની બી.એડ. કૉલેજના 39 વર્ષ સુધી ગ્રંથપાલ હતા. તેમનું ગુણકિર્તન કરતા દસ લેખો પુસ્તકનો પહેલો ભાગ બનાવે છે.

તેના લેખકોએ કિરણચન્દ્રનું ‘વાંચતા વંચાવતા’ ‘સહૃદયી અને પ્રતિબદ્ધ’ ‘સમર્થ ગ્રંથપાલ’ તરીકે ગૌરવ કર્યું છે. અભિવાદન નિમિત્તે, જે ગ્રંથાલયવિદો વિશે અહીં લખાયું છે તેમની પસંદગી પાછળનાં ધોરણો અને પુસ્તકના સ્વરૂપનું વિવરણ સંપાદકીયમાં છે :

‘અહીં સમાવિષ્ટ ગ્રંથાલયવિદોની પસંદગી માટે કોઈ ચોક્કસ માપદંડ નક્કી કરવામાં આવ્યો નથી. પરંતુ સંપાદકના પરિચયમાં આવેલા ગ્રંથાલય વ્યાવસાયિકો કે જેમની ગ્રંથાલયી તરીકેની માનવીય સંવેદનશીલતા અને મદદરૂપ થવાની ભાવના અસાધારણ રહી હોય, જેમનું ગ્રંથાલયિત્વ સ્પર્શી ગયું હોય, તેમ જ જેમના ગ્રંથાલયિત્વ અને પ્રદાન સંદર્ભે સાંભળવામાં આવ્યું હોય તે પૈકી કેટલાંક વિશે ચરિત્રલેખન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.’ સંપાદક એક સ્પષ્ટતા પણ કરે છે : ‘અહીં ફક્ત ગુજરાતના મૂળ નિવાસી ગ્રંથાલય વ્યાવસાયિકોનાં ચરિત્રચિત્રણો સમાવિષ્ટ છે. બીજા શબ્દોમાં કહું તો અન્ય રાજ્યોનાં મૂળ નિવાસી કે જેમની જન્મભૂમિ ગુજરાત રહી છે તેમનો અહીં સમાવેશ કરવામાં આવ્યો નથી.’

ગ્રંથાલયવિજ્ઞાનના વિદ્યાર્થીઓ, અધ્યાપકો, સંશોધકો કે ચાહકોને આ પુસ્તકમાંથી પસાર થતા આ ક્ષેત્રનાં લગભગ બધાં પરિચિત નામો અને ગ્રંથાલયો અહીં મળે છે, અને અલબત્ત નવાં વિશે પણ જાણકારી પ્રાપ્ત થાય છે. પણ એક વ્યક્તિએ કરેલા કોઈ પણ સંપાદનમાં જે માનવીય મર્યાદા અને આપણા ઉદાસિન વિદ્યાકીય માહોલમાં કેટલુંક ચૂકી જવાનું આવે તે પણ બનાવાનું.

સંપાદકીયમાં સરકાર દ્વારા થઈ રહેલી ગ્રંથાલયોની ઉપેક્ષા ‘સમગ્ર રાષ્ટ્ર માટે વિઘાતક’ હોવાનો પુણ્યપ્રકોપ પણ છે. સંપાદકના તેને લગતા મંતવ્યોને આ શબ્દોમાં સારવી શકાય : ‘સરકાર ગ્રંથપાલોની ભરતી નહીં કરીને શું નિષ્પન્ન કરવા માગતી હશે, તે સમજાતું નથી. પ્રત્યક્ષ રીતે સરકાર આર્થિક ભારણ ઓછું કરી રહી છે. પરંતુ આ ભારણના પ્રમાણમાં થતા નુકસાનનો અંદાજ કલ્પ્નાતીત છે. ગ્રંથપાલ વગરના ગ્રંથાલયને ગ્રંથાલય કહી જ કેમ શકાય ?

‘ગ્રંથાલયોના પ્રશ્ને સરકારી તંત્રનું અને ખાસ તો કેળવણીવિદોનું મૌન પીડાકારક બની રહ્યું છે. શિક્ષણના વ્યાપક હિતને લઈને ગુજરાતની પ્રજાએ જાગવું જ રહ્યું! અને ગ્રંથાલય વ્યાવસયિકોએ પણ આત્મમંથન કરવાની ઘડી આવી છે.’

પુસ્તકમાં  ગ્રંથપાલોના પરિચયનો ક્રમ જન્મવર્ષ મુજબનો છે. શરૂઆત ગુજરાતના સો કરતાં વધુ ગામડાં-કસબામાં ગ્રંથાલયો સ્થાપનાર મૂર્ધન્ય લોકસેવક મોતીભાઈ અમીન (1873-1939) વિશેના લેખથી થાય છે.

સહુથી મોટી ઉંમરના હયાત ગ્રંથપાલ પ્રતાપરાય મહેતા આ શુક્રવારે 95મી વર્ષગાંઠ ઉજવશે. પુસ્તકમાં સમાવવામાં આવેલા આખરી 89મા ગ્રંથપાલ ફક્ત 39 વર્ષનાં છે. પરિચય લેખકો (જૂજ અપવાદ બાદ કરતા) ખુદ ગ્રંથાલય વ્યાવસાયિકો (library professionals) છે.

સંપાદકે 91માંથી 41 ગ્રંથપાલો વિશે પોતે લખ્યું છે. ચાર ગ્રંથપાલોનો પરિચય ‘આત્મવૃત્ત’ તરીકે મળે છે. રંગનાથનના ત્રણ ગુજરાતી શિષ્યો – મોહનદાસ પટેલ, પુરુષોત્તમ પટેલ અને હસમુખ પાઠક -ને લગતા લેખોમાં ગુરુની મહત્તા ઉજાગર થાય છે.

અનેક પ્રકારના ગ્રંથાલયોના વડાઓનો પરિચય મળે છે, જેમાં અનેક વિદ્યાશાખાઓની કૉલેજો -યુનિવર્સિટીઓ છે. તે ઉપરાંત આઈ.આઇ.એમ. અને ઇ.ડી.આઈ. જેવી વ્યાવસાયિક શિક્ષણ માટેની સંસ્થાઓ, પી.આર.એલ. અને અટીરા જેવી સંશોધન સંસ્થાઓ તેમ જ રાજ્યની વિધાનસભા અને વડી અદાલતના ગ્રંથપાલો વિશે પણ વાંચવા મળે છે.

ગ્રંથપાલોની કારકિર્દી તેમ જ તેમનાં સંશોધન-સૂચિકાર્ય-લેખન અંગે અઢળક માહિતી મળે છે. વિદ્યાજગતમાં એકંદરે ઉપેક્ષિત ગણાતા પણ વાસ્તવિક રીતે ખૂબ મહત્ત્વના સૂચિકરણના કામની ઉત્સાહપ્રેરક વિગતો ગ્રંથપાલોના પરિચયોમાંથી સાંપડે છે. સૂચિઓની સંખ્યા અને તેમનું વૈવિધ્ય ઘણાં રસપ્રદ છે. કેટલાક ગ્રંથપાલોએ તેમના ક્ષેત્રના પરિસંવાદો માટે નોંધપાત્ર કમ કર્યું છે, તો કેટલાકે વ્યવસાયના સંગઠન માટે કામગીરી બજાવી છે.

તદુપરાંત ગ્રંથપાલોના અનેક ગૌરવગ્રંથોના ઉલ્લેખો પણ મળે છે. તેની પરથી એવી છાપ બંધાય છે કે કોઈ પણ વિદ્યાશખા કરતાં વધારે ગૌરવગ્રંથો ગ્રંથાલયવિજ્ઞાનમાં પ્રસિદ્ધ થયા છે. એટલે આ શાખા સાથે જોડાયેલી વ્યક્તિઓની સામાજિક કૃતજ્ઞતા ધ્યાનપાત્ર છે, એમ કહી શકાય.

આ પુસ્તકમાં ગ્રંથાલયિત્વનું વ્યક્તિગત ધોરણે ગુણગાન થયું છે. એટલે જાહેર તેમ જ સંસ્થાકીય ગ્રંથાલયોનો ઉપયોગ કરનાર તરીકે નોંધવું રહ્યું કે આપણે ત્યાં અનેક વાચકોના ગ્રંથાલયોના ઉપયોગના અનુભવો – અપવાદો બાદ કરતાં – એકંદરે નિરાશાજનક હોય છે.

એટલે આ સંગ્રહમાં જે કેટલાક ગ્રંથપાલોને પોંખવામાં આવ્યા છે તેમને આધીન થોડાંક ગ્રંથાલયોમાંના ગ્રંથપાલો તેમ જ કર્મચારીઓના વાણી-વર્તન-વ્યવહાર અને કાર્યક્ષમતાના અનુભવો તેમ જ તે ગ્રંથાલયોનો એકંદર માહોલનો આ માહિતી સંગ્રહના કેટલાક વાચકોને અનુભવ હોવાનો. તેમને માટે આ ગુણકિર્તનને વ્યક્તિસાપેક્ષ અને ઓછું પ્રતીતિજનક જણાય એમ પણ બનવાનું.

કેટલાક ગ્રંથપાલોનું પ્રદાન વિશિષ્ટ છે. જેમ કે, અમદાવાદની ફિઝિકલ રિસર્ચ લૅબોરેટરી(પી.આર.એલ.)ના લાઇબ્રેરિયન રોડા ભરૂચાએ 1969માં મિકેનાઇઝડ ઇન્ડેક્સ બનાવીને ‘લાઇબ્રેરી ઑટોમેશનની ભારતમાં સૌ પ્રથમ શરૂઆત કરી.’

પ્રવીણ શાહે અટીરાની લાઇબ્રેરીમાં ટ્ક્સાટાઇલ ડૉક્યુમન્ટસના વર્ગીકરણ માટે ‘માઇક્રો ક્લાસિફિકેશન સ્કીમ તૈયાર કરી. કેટલાંક વર્ષ બાદ એ જ સંસ્થામાં કવિ-ગ્રંથપાલ હસમુખ પાઠકે ટેક્સટાઇલને લગતાં પુસ્તકોના કોલોન વર્ગીકરણને નવેસરથી તૈયાર કર્યું અને તે સ્વીકાર પામ્યું.

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની હંસા મહેતા લાઇબ્રેરીના એક આધારસ્તંભ ચંપકલાલ શુક્લ મિશિગન યુનિવર્સિટીમાંથી લાઇબ્રેરી સાયન્સમાં પી.એચડી. મેળવનારા પહેલા વિદ્યાર્થી હતા, પણ તેમણે નોકરી માટે પોતાનો દેશ પસંદ કર્યો.

ગ્રંથપાલોની ઉમદાઈ વિશે પણ વાંચવા મળે છે. કચ્છના ભૂકપમાં વર્ષાબહેન મહેતાનું મકાન ધ્વસ્ત થઈ ગયું હતું, તેમ છતાં સરકારી જિલ્લા પુસ્તકાલય ખાતે હાજર રહીને પુસ્તકોને બચાવવાની કામગીરી કરી હતી. એટલું જ નહીં એક અઠવાડિયામાં તો તંબૂ ઊભા કરીને લોકો માટે લાઇબ્રેરી શરૂ કરી દીધી હતી.

વિરલ બુકમૅન જયંત મેઘાણીએ ભાવનગર ગાંધી સ્મૃતિ પુસ્તકાલયમાં જે દીવાલો હતી તે હઠાવી દીધી અને પુસ્તકોનાં કબાટોનાં તાળાં દૂર કરી દીધાં. એન.આઈ.ડી.ના પૂર્વ લાઇબ્રેરિયન સ્વધાબહેન મજમુદારને યાદ કરનારા બૉસ્ટનની સ્ટ્રીટ કે મુંબઈની ગલીમાં મળી આવે.

ગ્રંથાલયોને લગતા ત્રીજા વિભાગમાં શૈક્ષણિક, સાર્વજનિક, સરકારી, સંશોધન સંસ્થાકીય અને બાળ ગ્રંથાલયોના પેટા વિભાગો છે. તે બધામાં ભરપૂર ઐતિહાસિક વિગતો અને લાઇબ્રેરીની સાંપ્રત પ્રવૃત્તિઓની ઉપયોગી માહિતી છે. તેમાં સહુથી રસપ્રદ છે તે કેટલાક ગ્રંથાલયોમાં સચવાયેલા પ્રાચીન કે દુર્લભ પુસ્તકોની યાદીઓ.

ગ્રંથના અવકાશપૂરકો તરીકે ગ્રંથાલય સંસ્કૃતિ અંગેનાં સંખ્યાબંધ અવતરણો પુસ્તકની  મિરાત છે. તે તે સંપાદકની દૃષ્ટિ અને તેમના માહિતી-રાશિમાંથી આવ્યાં છે. તેમાં ય જણસ કહેવાય તેવાં અવતરણો ગ્રંથાલયમાંથી પુસ્તકો પોતાના નામે લેવા માટે વાચકને જે લાઇબ્રેરી કાર્ડ અથવા ગ્રંથાલય ટિકિટ આપવામાં આવે છે તેનું મૂલ્ય ઉજાગર કરતાં ચાર અવતરણો છે. જેમ કે : 

·       When I got my library card, that’s when my life began.’  

·       ‘I find the most valuable thing in wallet is my library card.’ 

·       There is no problem that a library card cannot solve. 

·       Having fun is not hard when you have got a library card. 

‘વિશિષ્ટ ગ્રંથાલયો’ વિભાગમાં જૈન જ્ઞાનભંડારો, જૈનેતર હસ્તપ્રત ભંડારો, ઇસ્લામી ગ્રંથાલયો તેમ જ પ્રમુખ મદરેસાઓના કિતાબઘરો છે. આ વિભાગ બતાવે છે કે તે બતાવે છે કે સંકુચિતતા અને કટ્ટરતાના સાંપ્રત દેશકાળમાં પણ સાચા ગ્રંથાલયી એવા સંપાદકના વિચારો જ્ઞાનના જગતને છાજે તેવા ખુલ્લા, મુક્ત અને વ્યાપક છે.

વળી, અરધી સંખ્યા જેટલા લેખો સંપાદકે ખુદ લખ્યા છે. તેમના યુવા સંતાનો જેટલી ઉંમરના ગ્રંથપાલો વિશે લખવામાં પણ આ નિરાભિમાની અને નમ્ર ગ્રંથપાલે સંકોચ અનુભવ્યો નથી. તેમના માટે તેમના ક્ષેત્રનું દસ્તાવેજીકરણ ખુદની વરિષ્ઠતા કરતાં વધુ  મહત્ત્વનું છે.

અલબત્ત,એમના આ દળદાર સંપાદનને પણ સંપાદનની જરૂર છે તે કહેવું રહ્યું. જો કે સંપાદકનો ઉદ્યમ પાનેપાને દેખાય છે. તેની પાછળ માહિતીની દુનિયામાં ભવિષ્ય માટે નજીકના ભૂતકાળના અને સાંપ્રતના દસ્તાવેજીકરણનો આશય સ્પષ્ટ છે. ગ્રંથાલયી મણિભાઈએ ગ્રંથ માટે દસ વર્ષ સુધી કરેલાં પરિશ્રમ વિદ્યાકીય નિષ્ઠા અને કૃતજ્ઞતા વિના શક્ય ન બને. ગ્રંથાલયીઓના ગૌરવ-પુસ્તકો પ્રસિદ્ધ થતાં રહ્યાં છે. અમૃતવર્ષ પાર કરી  ગયેલા મણિભાઈ પ્રજાપતિનો અભિવાદન ગ્રંથ વિદ્યાજગત કરે તે ઈચ્છનીય છે.

‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌-‌‌‌‌——————-

પ્રકાશક : કિરણચન્દ્ર એચ. પટેલ અભિવાદન સમિતિ, c/o મણિભાઈ પ્રજાપતિ, manibhaiprajapati@gmail.com , મો. 9601273836, પુસ્તકની કિંમત 1600/- 

[1300 શબ્દો]
પ્રગટ : ‘પુસ્તક સાથે મૈત્રી’ નામક લેખકની સાપ્તાહિક કોલમની સંવર્ધિત આવૃત્તિ, ‘રસરંગ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 10 સપ્ટેમ્બર 2023
e.mail : sanjaysbhave@yahoo.com

Loading

10 September 2023 Vipool Kalyani
← India that is Bharat: ઇતિહાસ, અર્થતંત્ર, રાજકારણની શબ્દરમત એટલે નામાંતરણ વિવાદ
ચલ મન મુંબઈ નગરી—213 →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved