Opinion Magazine
Number of visits: 9504769
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગૃહિણીનું આર્થિક વળતર કેટલું ગણાય?

વર્ષા પાઠક|Opinion - Opinion|22 December 2017

ગૃહિણીને પરાણે નોકરી કરાવવાના ‘અપરાધ’ બદલ તેનાં પતિ-સાસુને ગુનેગાર ઠરાવી શકાય ?

ગૃહિણીના ગૃહકાર્યની કિંમત કેટલી? આ પ્રશ્ન વર્ષોથી પૂછાતો આવ્યો છે. જવાબનો આધાર એ કોણ આપે છે, આપનારની માનસિક સ્થિતિ કેવી છે, એનો ઉછેર કઈ રીતે થયો છે, એની આસપાસના લોકો શું માને છે, એવાં અનેક પરિબળો પર હોય છે. દર વખતે જુદાંજુદાં, ક્યારેક તો વિરોધાભાસી લાગે એવા જવાબ મળે છે પરંતુ અદાલત જ્યારે આ બાબતમાં ફેંસલો સુણાવે ત્યારે ગમે કે ન ગમે, પણ આપણે માન્ય રાખવો પડે છે.

તાજેતરમાં મુંબઈ ખાતે મોટર એક્સિડન્ટ્સ કલેઇમ્સ ટ્રિબ્યુનલે રસપ્રદ ચુકાદો આપ્યો. એક હાઉસવાઇફના એક્સિડન્ટલ ડેથના કિસ્સામાં એણે કહ્યું કે ઘરકામ કરતી નોકરાણીને કેટલો પગાર અપાય છે, એને માપદંડ ગણીને મૃત ગૃહિણીના પરિવારને વળતર ચૂકવવું જોઈએ. આ કેસમાં ગૃહિણીની સરખામણી નોકરાણી સાથે કરીને એનું અપમાન થયું, એવી ગેરસમજ કરવાની જરૂર નથી. બલકે, આ ચુકાદા પછી બીજા અનેક પરિવારોને ન્યાય મળવાની આશા ઊભી થઈ છે.

વર્ષ 2012માં 35 વર્ષની ફાતિમાનું મોટરસાઇકલની અડફેટે મૃત્યુ થયું હતું. ફાતિમાના પતિએ દાવો કર્યો કે આ દુર્ઘટના વાહનચાલકની બેદરકારીને પરિણામે થઈ હતી અને મરનારના પરિવારને છ લાખ રૂપિયાનું વળતર મળવું જોઈએ. રોડ એક્સિડન્ટ થાય ત્યારે મોટા ભાગના કિસ્સામાં મરનાર કે ઈજા પામનારને આર્થિક વળતર આપવાની જવાબદારી ઇન્શ્યોરન્સ કંપની પર આવે છે અને બધા જાણે  છે કે કોઈ ઇન્શ્યોરન્સ કંપનીને પૈસા આપવા નથી ગમતા. ઉપરોક્ત કિસ્સામાં એમણે એવી દલીલ કરી કે ફાતિમા માત્ર ગૃહિણી હતી. એની પોતાની કોઈ આર્થિક આવક નહોતી. આવા સંજોગોમાં એની ‘નોશનલ ઇન્કમ’ના આધારે વળતરની કિંમત નક્કી ન કરી શકાય. 

નોશનલ ઇન્કમ એટલે કે ધારણા આધારિત આવકને સાદી ભાષામાં સમજાવવી હોય તો વ્યક્તિની ઉંમર, અકસ્માત સમયની એની આવક, એ સાજીસારી રહી હોત તો હજી કેટલાં વર્ષમાં કેટલું કમાઈ શકત વગેરેના આધારે થતી ગણતરી. અકસ્માતમાં મૃત્યુ પામનાર કે આજીવન પંગુ થઇ જનાર વ્યક્તિ પુરુષ હોય ત્યારે આ ગણતરી કરવામાં ખાસ તકલીફ નથી પડતી. પરંતુ મરનાર સ્ત્રી હોય અને એમાં ય એ નોકરી કે બિઝનેસ ન કરતી હોય ત્યારે વિવાદ ઊભો થાય છે.

બહુ જૂના જમાનામાં તો મરનાર હાઉસવાઇફ હોય તો વળતર આપવામાંથી વીમા કંપનીઓ સાવ છટકી જતી પરંતુ પછી લોકોએ લડવાનું અને અદાલતોએ અલગ, રાધર વધુ સમજદાર વલણ અપનાવવાનું શરૂ કર્યું. દેશની સર્વોચ્ચ અદાલતોએ છેલ્લાં સાતઆઠ વર્ષમાં એવા ચુકાદા આપ્યા કે મરનાર ગૃહિણી ભલે ઘરની બહાર નોકરી કરવા ન જતી હોય, પણ ઘરની અંદર એ ચોવીસે કલાક કામ કરે છે. બહાર જઈને એ આટલી મહેનત કરે કે આટલો સમય આપે તો ઘણી વધુ કમાણી કરી શકે. ઘરમાં આટલું કામ કરીને એ નોકરને આપવાના પૈસા બચાવે છે, પોતાની રીતે આર્થિક ફાળો આપે છે. એટલે સ્ત્રીના જીવલેણ અકસ્માતના કિસ્સામાં પરિવારને આર્થિક નુકસાન થયાની હકીકત સ્વીકારવી પડે.

આવા ચુકાદા પછીયે તકરારો તો ચાલુ જ રહી. હવે એ મુદ્દો ઊભો થયો કે ગૃહિણીના ગૃહકાર્યની કિંમત કઈ રીતે નક્કી કરવી? આ બાબતમાં કોઈ માપદંડ નથી કે પત્ની વાસણ માંજે, કપડાં ધૂએ, રસોઈ કરે. આ બધામાં કયા કામના કેટલા પૈસા મળવા જોઈએ. વળી એના જવાથી પરિવારમાં જે શૂન્યાવકાશ સર્જાય, એનું માપ કઈ રીતે કાઢવું? ફાતિમાના કિસ્સામાં બહુ વિચારીને ટ્રિબ્યુનલે ફેંસલો સુણાવ્યો કે પત્ની, માતા કે બહેન ઘરમાં જે કામ કરે છે, એને ભલે નોકરિયાત કામવાળીની સર્વિસ સાથે ન સરખાવી શકાય, પરંતુ કઠોર વાસ્તવિકતાને નજરમાં રાખીને પૂછવું પડે કે, સ્ત્રીના ગયા પછી ઘરમાં એના જેટલું કામ કરનાર બહેનને રાખો તો કેટલો પગાર આપવો પડે? ફાતિમાના કિસ્સામાં ટ્રિબ્યુનલે મહિને સાડા ચાર હજાર રૂપિયાની રકમ ઠરાવી. મુંબઈની ટ્રિબ્યુનલે ભૂતકાળમાં સુપ્રીમ કોર્ટે આપેલો ચુકાદો પણ ટાંક્યો કે હાઉસવાઈફના ઘરકામ માટે મહિને પાંચ હજાર સુધીનું વળતર મળી શકે. તે ઉપરાંત સ્ત્રીના ગયા પછી પતિ અને બાળકોના જીવનમાં જે ખોટ પડે એનું નુકસાન પણ ભરપાઈ થવું જોઈએ. ફાતિમાના કિસ્સામાં એના પતિને પચાસ હજાર અને એનાં બાળકોને પાંચ લાખ રૂપિયાનું વળતર ચુકવવાનો આદેશ વીમા કંપનીને અપાયો છે.

હવે એક બીજા કેસની વાત કરીએ, જે સહેજ જુદા પ્રકારનો છે, પણ અહીં એની વાત કરીને તમારો અભિપ્રાય જાણવો છે. આ કેસ હજી અદાલતમાં નથી ગયો, પણ સાંભળનારા જુદાજુદા મત આપી રહ્યા છે. ઠીકઠીક ગણાય એવી આર્થિક સ્થિતિ ધરાવતા પરિવારે એમનાથી વધુ ઊંચું સામાજિક અને આર્થિક સ્ટેટસ ધરાવતા ફેમિલીમાં પોતાની દીકરીનાં લગ્ન કર્યાં. વિદેશમાં હનીમૂન ઉજવીને પાછી ફરેલી યુવતીએ કદાચ માની લીધું હશે કે ઘરમાં પૈસાની ખોટ નથી તો એણે બહાર કામ કરવા જવાની જરૂર નથી.

ઘરમાં નોકર અને રસોયાની સવલત પહેલેથી હતી. એટલે ઘરની અંદર પણ આરામ હતો. તે બેઠીબેઠી ટીવી જુએ, ફોન પર ગપ્પાં મારે, ઓનલાઇન શોપિંગ કરે કે સોશિયલ નેટવર્ક પર ટાઇમ પસાર કરે. સાંજ પડે એટલે પતિને ઓફિસમાં ફોન કરવાનું શરૂ કરે કે ક્યારે આવશે, સાંજે શું કરીશું. પતિ કામમાં વ્યસ્ત હોય તો ફોન રિસીવ ન કરે કે કોઈ વાર અકળાઈ જાય. એમાંથી પછી  તકરાર ઊભી થાય. થોડો સમય આ તમાશો જોઈ રહેલી સાસુએ છેવટે પુત્રવધૂને પણ ઘરની બહાર કોઈ કામ શોધી લેવાનો આગ્રહ કર્યો. સાસુ પોતે વર્ષોથી નોકરી કરે છે. એ પહેલેથી માનતાં હતાં કે નવરાં બેઠાં માણસનું દિમાગ ખરાબ થાય અને બીજા પ્રોબ્લેમ્સ ઊભા થાય. નોકરી નહિ તો કોઈ બીજી સામાજિક પ્રવૃત્તિ કરવી જોઈએ.

દોઢ વર્ષની અંદર લગ્નજીવન ભાંગી ગયું. ડિવોર્સના કિસ્સામાં બંને પક્ષ એકમેક સામે  જાતજાતની ફરિયાદો કરે છે. આ કેસમાં કન્યાપક્ષવાળાની એક ફરિયાદ એવી છે કે તેમણે દીકરીને કામ કરવા નહોતી પરણાવી. ઓનલાઇન શોપિંગ માટે છોકરી ઘણીવાર પોતાના કમાયેલા પૈસા વાપરતી હતી, એ વાત પણ તેને અને તેની મમ્મીને વાંધાજનક લાગતી હતી. કારણ કે એમના માનવા મુજબ લગ્ન પછી પત્નીના બધા શોખ પૂરા કરવાની જવાબદારી માત્ર પુરુષની હોય.

અફકોર્સ ડિવોર્સ પાછળ બીજાં કારણો જવાબદાર હશે, જેના વિશે બહારના લોકોને ખબર ન પડે. પણ આ ફરિયાદ થોડી વિચિત્ર તો લાગી. હવે આ કેસ જો કોર્ટમાં જાય તો જજ શું કહે? ગૃહિણીને પરાણે નોકરી કરાવવાના ‘અપરાધ’ બદલ  પતિ- સાસુને ગુનેગાર ઠરાવી શકાય?

પહેલી નજરે આ ડિવોર્સ કેસ, ફાતિમાના કેસથી સાવ જુદો છે, પણ બંને વિશે સાંભળ્યા પછી સવાલ તો થાય કે, આ બીજા કિસ્સામાં ઘરની અંદર સ્ત્રીના કામનું મૂલ્ય આંકવાનું આવે તો કોર્ટ શું કહે? 

e.mail : viji59@msn.com

સૌજન્ય : ‘સામાજિક સવાલ’, “દિવ્ય ભાસ્કર”, 22 ડિસેમ્બર 2017

Loading

22 December 2017 admin
← સામાજિક ન્યાય માટે અત્યાચારના રાજકારણને બદલવાની જરૂરિયાત
ઉત્તમ કામ્બલે : ફેરિયાથી તંત્રી સુધીની પ્રેરણાદાયી સફર →

Search by

Opinion

  • સહૃદયતાનું ઋણ
  • સાંસદને પેન્શન હોય તો શિક્ષકને કેમ નહીં?
  • કેવી રીતે ‘ઈજ્જત’ની એક તુચ્છ વાર્તા ‘ત્રિશૂલ’માં આવીને સશક્ત બની ગઈ
  • અક્ષયકુમારે વિકાસની કેરી કાપ્યાચૂસ્યા વિના નરેન્દ્ર મોદીના મોં પર મારી!
  • ભીડ, ભીડ નિયંત્રણ, ભીડ સંચાલન અને ભીડભંજન

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન
  • અરણ્ય રૂદન
  • પિયા ઓ પિયા

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved