Opinion Magazine
Number of visits: 9446891
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગાંધીજીને માત્ર શિલ્પમાં નહીં, જીવનમાં પણ ઉતારનાર શિલ્પકાર : કાંતિભાઈ પટેલ

કેતન રૂપેરા|Gandhiana|16 January 2019

૨૦૧૨નું એ વર્ષ હતું. ‘ગાંધીજી અને કળાકારો’ વિશે બીરેન અને ઉર્વીશ કોઠારી સાથે મળી એક લેખ તૈયાર કરવાનું નક્કી કર્યું હતું. વિચાર એ હતો કે “ગાંધીજીનું ચિત્ર બનાવ્યું હોય, તેમનું શિલ્પ તૈયાર કર્યું હોય કે તેમની તસવીરો લીધી હોય એવા કલાકારોનો ગાંધીજી સાથેનો રૂબરૂ અનુભવ કેવો રહ્યો હશે? આ મુખ્ય વિચારની આસપાસ કામ કરતાં” વિશ્વભરનાં કુલ દસેક કલાકારોના જે રસપ્રદ અનુભવો હતા, તે આલેખ્યા. એમાંનાં એક તે શિલ્પકાર કાંતિભાઈ પટેલ.

ચાંદલોડિયા(અમદાવાદ)માં નાનો છોકરો પણ જાણે એવી એમની જગ્યા ચીકુવાડીએ ગયો. સત્તાવાર નામ ‘શિલ્પભવન’. પહોંચીને નામ-ઠામ જણાવ્યાં. બીજા એક મિત્રે મોકલેલા ફોટા આપ્યા, અને પૂછ્યું, “મારે તમારો ઇન્ટરવ્યુ કરવો છે. તમને અનુકૂળ સમય-દિવસ હોય એ કહો, ત્યારે આવી જઈશ.”

એમનો જવાબ, “તમને (ઉપર ભાર સાથે) અનુકૂળ હોય તો અત્યારે જ વાત કરી લઈએ.”

“હા, મને તો અનુકૂળ જ છે.”

“તો, આવો ….” એમ કહી એમનાં અનેક શિલ્પોથી સમૃદ્ધ ખંડમાં લઈ ગયા.

ઇન્ટરવ્યુ તો હવે પછીની મુલાકાતમાં જ ગોઠવાશે, અત્યારે માત્ર સમય માગી લઈએ, એવી માનસિક તૈયારી સાથે આપણે ગયા હોઈએ અને તાત્કાલિક ઇન્ટરવ્યુ ગોઠવાઈ જાય – પત્રકારત્વમાં એ આનંદની કોઈ સીમા નથી હોતી! પણ શિલ્પખંડમાં બેઠા પછી એમણે જે વાત કરી. તેમણે ગાંધી, સરદાર, વિવેકાનંદ, રાજચંદ્ર, ઇન્દુલાલ … સરીખાનાં કદ-કાઠી સાથે એમનાં વ્યક્તિત્વને પણ પૂર્ણપણે ઝિલ્યાં હોય એવાં શિલ્પો જોયા પછી થયેલી આહ્‌લાદક અનુભૂતિને પણ ઓળંગી લીધી હતી.

મુલાકાતનો વિષય ગાંધીજીને લગતો હતો. એ વાતને સાંકળતા તેમણે કહ્યું, “… આ પણ ગાંધીવિચારમાં આવે – મને અત્યારે ફાવે એમ હોય તો પછી અત્યારે જ વાત કરી લેવામાં શું વાંધો? તમે બીજી વાર આવવાનું કહ્યું એટલે આવવું જ એવું થોડું? તમને શા માટે મારે ફરીથી ધક્કો ખવડાવવો?!”

આ હતા કાંતિભાઈ, ગાંધીમાર્ગી શિલ્પકાર કાંતિભાઈ. ગાંધીજીને શિલ્પમાં માત્ર નહીં, જીવનમાં પણ ઉતારનાર આ શિલ્પકારનું તા. ૮ જાન્યુઆરીએ અવસાન થયું. ૧૯૨૫માં જન્મ, એટલે સ્વરાજની લડતને પૂરી સભાનતાથી જોઈ-સમજી હતી. બહાર જ નહીં, અંદર-પોતાની જાત સાથે-પણ લડવાનું છે એ બાબતે બહુ સ્પષ્ટ હતા. એટલે માત્ર વિચારમાં નહીં, દિનચર્યામાં પણ ગાંધીવિચાર ઊતર્યો હતો. અલ્પાહાર અને ક્યારે, શું, કેવી રીતે ખાવું – ન ખાવુંનાં સંયમ અને રીતિને કારણે, છેક સુધી, ૯૪ની ઉંમરે પણ સક્રિય હતા. અનાસક્તિ એવી કે ચીકુવાડીની બે એકર જેટલી વિશાળ જગ્યાને પોતાના મૃત્યુ પછી કેન્દ્રિય લલિત કલા અકાદમીને મળે એવો મનસૂબો પચીસેક વર્ષ પહેલાં જ કેળવી લીધો હતો. વચ્ચેનાં વર્ષોમાં તેની કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી લીધી હતી. અને પોતાનાં જવાની તૈયારી કરી લીધી હોય એમ હજુ ગત ઓક્ટોબરમાં જ એ જમીન ભેટ ધરવાની ઔપચારિકતા પણ પૂરી કરી દીધી હતી. અંતિમ ઇચ્છા કહો તો એ અને જે જમીન પર શિલ્પસાધના કરી એનાં પ્રત્યેનું સમર્પણ કહો તો સમર્પણ, તે માત્ર એટલી કે દેહનાં અંતિમસંસ્કાર પછી તેની રાખ ચીકુવાડીની જમીનમાં ભેળવી દેવી!

આવા યોગી શિલ્પકાર સાથેની મુલાકાત સૌપ્રથમ બ્લોગ pallete (http://birenkothari.blogspot.com/2012/10/blogpost. html) અને પછી ‘नवजीवनનો અક્ષરદેહ’ (જૂન ૨૦૧૩)માં પ્રકાશિત થઈ, એ અહીં થોડા સુધારા સાથે ….

‘પાંચ રૂપૈયા બારહ દો આના’

અમદાવાદમાં ઇન્કમટેક્ષ ચાર રસ્તા પાસે ગાંધીજીની જે બેનમૂન પ્રતિમા છે તેના શિલ્પી એટલે કાંતિભાઈ બી. પટેલ. નવ વખત ઓસ્કાર માટે નોમિનેટેડ અને બે વખત ઓસ્કાર ઍવોર્ડ મેળવનાર બ્રિટિશ ફિલ્મ ડિરેક્ટર અને પ્રોડ્યુસર ડેવીડ લીને આ પ્રતિમા જોઈને કહ્યું હતું, “આટલા આબેહૂબ ગાંધી વિશ્વની બીજી કોઈ પ્રતિમામાં ઝીલાયા નથી. શિલ્પકારે ગાંધીજીના વ્યક્તિત્વને ઉપસાવનાર બધા જ ગુણોનું દર્શન આ શિલ્પમાં કરાવ્યું છે.” હૂબહૂ ગાંધી, એવી એ પ્રતિમાથી માત્ર ડેવીડ લીન નહીં, યુ.એસ.એ. અને દક્ષિણ અમેરિકાની સરકાર પણ પ્રભાવિત થયેલી છે. યુ.એસ.એ.માં ન્યૂયોર્કના મેનહટ્ટન વિસ્તાર અને દક્ષિણ અમેરિકાના ગુયાનામાં જયોર્જ ટાઉનમાં કાંતિભાઈએ બનાવેલી ગાંધીજીની આવી જ પ્રતિમા શોભી રહી છે. ૮૮ (૨૦૧૨માં) વર્ષની તેમની ઉંમર અને સાઠેક વર્ષની કારકિર્દીમાં તેમણે અનેક મહાપુરુષોનાં શિલ્પો બનાવ્યાં છે. પણ ગાંધીજી પ્રત્યેનો તેમનો અનુરાગ તેમના વિચાર-વાણી-વર્તન બધામાં ઝળક્યા વિના ન રહે. … પહેલી વાર તેમને ગાંધીજીનું શિલ્પ બનાવવાની ચાનક ચડી કે એ પહોંચી ગયા સીધા સેવાગ્રામ આશ્રમ-વર્ધા (મહારાષ્ટ્ર), – આગોતરી કોઈ જ જાણકારી આપ્યા વગર. ગાંધીજીના અંગત સચિવની કામગીરી સંભાળતા સુશીલા નૈયરને મળ્યા. પોતાની ઇચ્છા જણાવી. તરત પરવાનગી મળી પણ ગઈ.

પણ શિલ્પ બનાવતાં અગાઉ ભરપૂર સ્કેચ બનાવવા પડે. આ સ્કેચ બનાવવા માટે કાંતિભાઈ બે-ચાર નહીં, પૂરા અગિયાર દિવસ ત્યાં રહ્યા. ગાંધીજીને દૂરથી નીરખતા રહ્યા અને શક્ય એટલા સ્કેચ દોરતા રહ્યા.

આ આખી ઘટના યાદ કરતાં કાંતિભાઈ કહે છેઃ “ગાંધીજી કુટિરમાં રહે. પતલી ગાદીમાં બેસે. પાછળ તકિયો અને આગળ ઢાળિયું રાખે. બાજુમાં દિવાલ અને એક બારી પડતી. એટલે બારીની બહાર ઊભો રહીને હું સ્કેચ કરતો રહેતો. બે-ત્રણ દિવસ પછી બન્યું એવું કે તેમના મુલાકાતીઓની સંખ્યા વધી ગઈ. વાતવાતમાં ગાંધીજી ઘડીકમાં ડાબે ફરે, ઘડીકમાં જમણે ફરે. એને કારણે મને ખાસ્સી અગવડ પડે. આ સંજોગોમાં મને કુટિરની અંદર બેસવાનું મળે તો સારું. બીજા કોઈને આ વિષે કહેવા કરતાં ખુદ બાપુની પરવાનગી જ લઈ લઉં એમ વિચારીને હું અંદર ગયો. ગાંધીજી બેઠેલા હતા. હું ઊભો હતો.”

મેં કહ્યું, “બાપુ, હું બહારથી તમારા સ્કેચ બનાવ્યા કરું છું. પણ મુલાકાતીઓ બહુ આવે છે ને એટલે હું ડિસ્ટર્બ થઈ જાઉં છું …” આગળનું વાક્ય હું પૂરું કરું એ પહેલાં જ આટલું સાંભળતાની સાથે એમણે માથું ઊંચું કર્યું અને બોલી ઉઠ્યા, “ડિસ્ટર્બ એટલે શું? ગાય, ઘોડું, ગધેડું, ભેંસ … ? અંગ્રેજી લોકો એમની ભાષામાં વચ્ચે ગુજરાતી શબ્દો બોલે છે? આપણને આપણી ભાષાનું સ્વમાન હોવું જોઈએ. જાઓ તમને હું બે આના દંડ કરું છું. આશ્રમમાં મેં આ નિયમ દાખલ કર્યો છે ને તમે પહેલાં ઝડપાયા છો.”

‘એમ કહી તેમણે મને બે આના દંડ કર્યો. એ વખતે આશ્રમમાં જેઓ પોતાની મૂળ માતૃભાષા કે રાષ્ટ્રભાષામાં વચ્ચે અંગ્રેજી શબ્દો બોલે તેને બાપુ બે આના દંડ કરતા. એ દિવસોમાં બાપુએ બીજો પણ એક નિયમ કર્યો હતો. તેમની પાસે બહુ બધા લોકો ઑટોગ્રાફ લેવા માટે આવતા. એમાં તેમનો સમય બહુ જતો. એટલે એક ઑટોગ્રાફ આપવાની તેમણે પાંચ રૂપિયા ફી લેવાનું શરૂ કર્યું. આ રીતે એકઠું થયેલું ભંડોળ તેઓ હરિજન ફાળામાં જમા કરાવતા. થોડા દિવસ પછી મારા સ્કેચ પૂરા થયા. હવે મારે પાછા આવવાનું હતું. એમાંના એક ચિત્ર પર બાપુની સહી લેવા હું ગયો. એક ચિત્રમાં સહી કરાવવાના પાંચ રૂપિયા તો મેં આપ્યા જ, સાથે પેલા દંડના બે આના ય ભર્યા.

ગાંધીજી સાથે બીજી શી શી વાત થઈ હતી એ પૂછતાં કાંતિભાઈ કહે છે, “બસ, આ એક જ સંવાદ અમારી વચ્ચે થયો ૧૧ દિવસમાં.

ગાંધીજી સાથેના (ખરેખર તો એમની આસપાસના) એ અગિયાર દિવસને કાંતિભાઈ જીવનના એક મહામૂલા અવસર અને મહાન ઘટના તરીકે મૂલવે છે. આટલા દિવસ ગાંધીજી સાથે રહ્યા તેમાં કળાકારો પ્રત્યેની ગાંધીજીની દૃષ્ટિ અંગે કાંતિભાઈ કહે છે : “એમને કલાકારો માટે બહુ પ્રેમ હતો. હરિપુરા કૉંગ્રેસ સંમેલન(૧૯૩૮)ના તો પોસ્ટર્સ પણ તેમણે નંદલાલ બોઝ જોડે બનાવડાવ્યા હતા …. પણ કળાની એમને મન પ્રાથમિકતા નહોતી. એમને મન પ્રાથમિકતા માનવની હતી.”

– –

કાંતિભાઈને મન પણ પ્રાથમિકતા જે વ્યક્તિનાં શિલ્પ બનાવે તેની જાહેરજીવનની પ્રતિષ્ઠા વિષે નહીં, માણસ તરીકે એ વ્યક્તિ કેવી છે, તેની જ રહી. ગાંધીવિચારની આચારપેઢીમાં થયેલા આ ઘટાડાની ખોટ વર્તાશે.    

Email : ketanrupera@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જાન્યુઆરી 2019; પૃ. 13-14

Loading

16 January 2019 admin
← અલવિદા મૃણાલ સેન
સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓ જોઇને અસંતોષ થાય, પ્રશ્નો થાય, શંકા થાય એ લોકશાહી માટે શુભ સંકેત નથી, પણ દુર્ભાગ્યે આજની એ વાસ્તવિકતા છે →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved