Opinion Magazine
Number of visits: 9449348
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગાંધીજી સાથે દરેકને વાંકું પડે છે એની પાછળનું કારણ …

રમેશ ઓઝા|Opinion - Opinion|10 January 2021

આપણે જોયું કે ગાંધીજીએ ભારતના સમાજિક વાસ્તવને એના એ સ્વરૂપમાં સ્વીકાર્યું હતું. તેમણે ભારતની સામાજિક જટિલતાઓનું કોઈ એક પક્ષે સરળીકરણ નહોતું કર્યું. તેમણે કોઈ એક જગ્યાએ ઊભા રહીને બાકીના ભારતને અને ભારતના સમાજને નહોતો જોયો. તેમણે તેમના રાજકારણમાં ઇતિહાસનો ઉપયોગ નહોતો કર્યો. તેમણે ઇતિહાસનો ઉપયોગ કરીને ભારતની પ્રજાને કે ભારતની કોઈ એક પ્રજાવિશેષને મહાન કે પછી બીજાના અત્યાચારોના શિકાર (વિક્ટીમ) તરીકે નહોતી ચીતરી. તેમણે કોઈ વિચારધારાને આખે આખી એમને એમ નહોતી સ્વીકારી. તેમણે યુરોપિયનો અને અંગ્રેજો સહિત દરેક પાસેથી લીધું છે અને બચાવ પણ કર્યો છે અને દરેકને છોડવા જેવું છોડવાનું કહ્યું છે અને ટીકા પણ કરી છે.

હિંદુઓ, મુસલમાનો, ઈસાઈઓ, યુરોપિયનો, અંગ્રેજો, બ્રાહ્મણો, દલિતો, ઉત્તર ભારતના હિન્દીભાષિકો, દક્ષિણ ભારતીયો, ક્રાંતિકારીઓ, વિનીતો, જહાલો, મૂડીવાદીઓ, સમાજવાદીઓ, સામ્યવાદીઓ, જમીનદારો, આધુનિકો, સનાતનીઓ એમ દરેકનો તેમણે કેટલીક બાબતે બચાવ પણ કર્યો છે અને ટીકા પણ કરી છે. ગાંધીજી સાથે દરેકને વાંકુ પડે છે એનું કારણ આ છે. કોણ કેવા હતા કે કેવા છે એ મહત્ત્વનું નથી, કોણ કેવા હોવા જોઈએ એ મહત્ત્વનું છે. હિંદુ હોય કે મુસલમાન બન્ને એક સરખા ‘માણસ’ હોવા જોઈએ. બ્રાહ્મણ હોય કે દલિત બન્ને એક સરખા ‘માણસ’ હોવા જોઈએ. અહીં માણસ માટે સહેતુક અવતરણ ચિહ્ન વાપરવામાં આવ્યું છે. હિંદુ સમાજ ગર્વ ત્યારે લઈ શકે જ્યારે પ્રત્યેક હિંદુ પહેલા માણસ હોય અને પછી હિંદુ હોય. આ જ વાત બીજા સમાજોને પણ લાગુ પડી શકે.

સુજ્ઞ વાચકને સમજાઈ ગયું હશે કે આ અભિગમમાંથી ભારત નામની કલ્પના વિકસી છે. જેમ હિંદુ સમાજ સાચા માણસથી જ શોભે એમ ભારતીય સમાજ પણ સાચા માણસથી જ શોભે, જેને આપણે નાગરિક તરીકે ઓળખીએ છીએ. ગાંધીજીનું સૌથી મોટું યોગદાન એ છે કે તેમણે કોઈ એક સમાજવિશેષની કે વિચારધારાની તરફેણ કર્યા વિના માણસની અર્થાત્‌ નાગરિકની ભેર તાણી છે. ભારત નામની કલ્પના ભારતીય નાગરિક માટેની છે. ભારતીય રાજ્ય નાગરિક માટેનું છે. બાકીની બધી ઓળખો અને અસ્મિતાઓ ગૌણ છે.

ગાંધીજીએ ભારતને આઝાદી અપાવી એ કથન ગાંધીજીને અને બીજાઓને અન્યાય કરનારું છે. ગાંધીજીને અન્યાય કરનારું એ રીતે કે ગાંધીજીનાં અનેક યોગદાનોમાં આ યોગદાન સાવ નજીવું નહીં તો ય બહુ નાનું યોગદાન છે. આ કથનમાં ગાંધીજી માટેનું અજ્ઞાન પ્રગટ થાય છે. બીજા માટે એ રીતે કે ભારતને આઝાદી એકલા ગાંધીજીએ અપાવી છે એમ કહેવું એ અસત્ય છે. ભારતને આઝાદી અપાવવામાં બીજા અનેક લોકોનું યોગદાન છે અને એ ઉપરાંત સંજોગોનું પણ યોગદાન છે. આ કારણે આ શ્રેણીમાં ગાંધીજીના નેતૃત્વમાં ભારતમાં થયેલાં આઝાદીના આંદોલનોનું વૃત્તાંત આપવાની જરૂર નથી. માત્ર એટલું જ કહેવાનું કે ગાંધીજીના નેતૃત્વ હેઠળનો ભારતની આઝાદીનો ઇતિહાસ વાંચતી વખતે અહીં જે ગાંધીજીની વિશેષતા બતાવી છે તેને ધ્યાનમાં રાખવી જરૂરી છે.

હવે પછી અહીં ભારતના બંધારણની રચનાની વાત કરવામાં આવશે પણ એ પહેલાં ભારતને આઝાદી અપાવવામાં ક્રાંતિકારીઓના યોગદાન અને તેની મર્યાદા વિષે સત્ય હકીકત જાણી લેવી જરૂરી છે.

ભારતને આઝાદી અપાવવામાં કૉન્ગ્રેસ અને ગાંધીજી પછી સૌથી મોટું કોઈનું યોગદાન હોય તો તે ક્રાંતિકારીઓનું હતું. હિંદુ મહાસભાનું, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું, અન્ય હિન્દુત્વવાદીઓનું યોગદાન શૂન્યવત્‌ હતું. આવી જ રીતે મુસ્લિમ લીગનું યોગદાન પણ શૂન્યવત્‌ હતું. સુભાષચન્દ્ર બોઝે તેમના ‘ઇન્ડિયન સ્ટ્રગલ’ નામના પુસ્તકમાં એક પ્રસંગ વર્ણવ્યો છે. બીજુંવિશ્વયુદ્ધ શરૂ થયું અને બ્રિટિશ સરકાર મુશ્કેલીમાં ઘેરાઈ ગઈ ત્યારે કૉન્ગ્રેસપ્રમુખ સુભાષચન્દ્ર બોઝ મહમદઅલી ઝીણાને અને વિનાયક દામોદર સાવરકરને મળવા ગયા હતા. તેમને બન્નેને તેમણે સમજાવવાનો પ્રયાસ કર્યો હતો કે આપણે અંગ્રેજોની મુસીબતનો લાભ લેવો જોઈએ. નિર્ણાયક હથોડો મારવાનો સમય હાથ લાગ્યો છે. એ માટે હિંદુઓએ અને મુસલમાનોએ સાથે મળીને લડત આપવી જોઈએ. કૉન્ગ્રેસ, મુસ્લિમ લીગ અને હિંદુ મહાસભાએ મતભેદ ભૂલીને મોરચો રચવો જોઈએ. તેમણે ઝીણાને ખાતરી આપી હતી કે ભારતને જ્યારે આઝાદી મળશે ત્યારે ભારતના પહેલા વડા પ્રધાન ઝીણા બને એ માટે તેઓ પ્રયત્ન કરશે.

મહમદઅલી ઝીણાએ સુભાષબાબુનો પ્રસ્તાવ પાકિસ્તાનની શરતે માન્ય રાખવાનું કહ્યું હતું. મુસલમાનો માટે અલગ પાકિસ્તાન કબૂલ કરો તો મદદ કરીએ. આનો અર્થ એ થયો કે તેમને આઝાદીમાં રસ નહોતો. સુભાષબાબુ સાવરકરને મળવા ગયા ત્યારે સાવરકરે તેમને કહ્યું હતું કે તેઓ અંગ્રેજોના સંકટનો અલગ રીતે લાભ લેવા માગે છે. અંગ્રેજોને સૈન્યની જરૂર પડશે એટલે સૈનિકભરતી કરવામાં આવશે. ‘હું (સાવરકર) હિંદુયુવકોને મોટી સંખ્યામાં અંગ્રેજોના સૈન્યમાં દાખલ કરીને હિંદુ યુવકોને લશ્કરી તાલીમ મળે એ માટે પ્રયત્ન કરવાનો છું.’ સુભાષબાબુએ સાવરકર વિષે લખ્યું છે કે તેમને દુનિયામાં શું બની રહ્યું છે એની કોઈ જાણકારી પણ નહોતી. આનો અર્થ એ થયો કે તેમને પણ ભારતની આઝાદીમાં રસ નહોતો.

આઝાદી તો મળવાની હશે ત્યારે મળશે પણ મુસલમાનોને ઝૂકતું માપ મળવું જોઈએ એમ ઝીણાને લાગતું હતું અને આઝાદી મળવાની હશે ત્યારે મળશે પણ શસ્ત્રોની તાલીમ પામેલા હિંદુ યુવકો મુસલમાનોનો મુકાબલો કરી શકવા સમર્થ હોવા જોઈએ એમ સાવરકરને લાગતું હતું. તો કહેવાનો સાર એ કે હિંદુ અને મુસ્લિમ કોમવાદીઓએ આઝાદીના એક પણ આંદોલનમાં ભાગ નહોતો લીધો, નેતૃત્વ તો બહુ દૂરની વાત છે.

આ સિવાય આઝાદીના આંદોલનમાં જમીનદારોએ અને મોટાભાગના ભદ્ર વર્ગે પણ ભાગ નહોતો લીધો. ભારતની રિયાસતોમાંથી ગણતરીના રાજવીઓ આઝાદીના લડવૈયાઓને મદદ કરતા હતા. મોટાભાગના રાજવીઓ તો અંગ્રેજોના ડરથી લડતની બાબતે ઉદાસીન હતા અને કેટલાક વિઘ્નો નાખવાનું કામ પણ કરતા હતા. આઝાદીની લડતમાં સામ્યવાદીઓનો ફાળો નહીંવત્ હતો. હિન્દુ અને મુસ્લિમ કોમવાદીઓનો ફાળો શૂન્યવત્ હતો તો સામ્યવાદીઓનો નહીંવત્ હતો. આઝાદીની લડતમાં દલિત નેતાઓનો પણ કોઈ ફાળો નહોતો.

આમ ભારતને આઝાદી અપાવવામાં કૉન્ગ્રેસ અને ગાંધીજી પછી જો કોઈનો ફાળો હોય તો તે માત્ર ક્રાંતિકારીઓનો હતો. હવે પછી તેમના યોગદાન અને મર્યાદાની વાત કરવામાં આવશે.

e.mail : ozaramesh@gmail.com

પ્રગટ :  ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 10 જાન્યુઆરી 2021

Loading

10 January 2021 admin
← ચલ મન મુંબઈ નગરી—78
સરકારો જ તકરારોને ઉત્તેજન આપે છે એવું, ખરું? →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved