Opinion Magazine
Number of visits: 9504799
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગાંધી સાથે ગાંધીઃ ઉત્તર અને દક્ષિણમાં વહેંચાયેલાં ભાઇ-બહેનનાં રાજકારણનો પ્રભાવ કેવો

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|23 June 2024

પ્રિયંકા ગાધીનું રાજકારણ પોતાના ભાઇને સફળ બનાવવાની આસપાસ ગુંથાયેલું છે. પોતાના ભાઇને પોતાના નેતા તરીકે સંબોધી ચુકેલ પ્રિયંકા વાયનાડ પરથી પેટા ચૂંટણી લડીને ભાઇની અસમંજસ દૂર કરી રહી છે.

ચિરંતના ભટ્ટ

આખરે પ્રિયંકા ગાંધીએ ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે. આમ તો 2019માં પ્રિયંકા ગાંધી સક્રિયપણે રાજનીતિમાં જોડાયાં અને એ પછી એ ક્યારે ચૂંટણી લડશે એ અંગે અટકળો ચાલી. દાવા તો અનેક થયા કે તે ઉત્તર પ્રદેશની બેઠક અમેઠી પરથી ચૂંટણી લડશે તો ક્યાંક કહેવાયું કે મા સોનિયા ગાંધીની રાયબરેલી બેઠક પરથી પ્રિયંકા ગાંધી ચૂંટણીના મેદાનમાં ઉમેદવાર તરીકે ઉતરશે તો ક્યારેક વારાસણીનું નામ પણ લેવાયું. જો કે પ્રિયંકા ગાંધી હજી સુધી રાજકારણમાં પ્રચાર પૂરતાં જ સક્રિય રહ્યાં અને પોતાના ભાઇ રાહુલ ગાંધીને સતત ટેકો આપ્યો. એક સમયે રાહુલની ભારત જોડો યાત્રામાં તેમની તબિયત ઠીક ન હોવાથી તેમની ગેરહાજરીને ભાઇ – બહેન વચ્ચેના ભેદભાવ તરીકે ચિતરવાનો પ્રયાસ થયો ત્યારે તેની સામે બન્ને જણાએ સાથે મળીને વખત આવ્યે પોતાની વચ્ચે કોઇ મતભેદ કે મનભેદ નથી તેની સાબિતી આપી દીધી.

આ વર્ષે લોકસભાની ચૂંટણીમાં કાઁગ્રેસનો દેખાવ અણધારી રીતે સારો રહ્યો, ખાસ કરીને આ પહેલાંની બે ચૂંટણીઓની સાથે સરખામણી કરતા એ સમજાય છે. બબ્બે વાર કારમી હાર પછી આ વખતે નરેન્દ્ર મોદી અને ભા.જ.પા.ના જોર સામે કાઁગ્રેસને 99 બેઠકો મળી. રાહુલ ગાંધી ઉત્તર પ્રદેશની રાયબરેલી અને કેરળની વાયનાડની બેઠક પરથી ચૂંટણી જીત્યા. સ્વાભાવિક છે એક બેઠક જતી કરવી પડે અને વાયનાડની બેઠક પરથી રાજીનામું આપતી વખતે રાહુલ ગાંધીએ પોતાના બહેન વાયનાડ બેઠક પરથી પેટાચૂંટણીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે એવી જાહેરાત કરી. આખરે પ્રિયંકા ગાંધી ચૂંટણીના મેદાનમાં ક્યારે ઉતરશેની કાઁગ્રેસની આતુરતાનો અંત આવ્યો. ગમે કે ન ગમે પણ ગાંધી કુટુંબનું પારિવારિક રાજકારણ પ્રસરી રહ્યું છે. અમુક લોકોને નહીં ગમતું હોય છતાં ય ગાંધી પરિવારનું છોગું સાચવવું તો પડવાનું જ છે. વળી ‘ટ્રોલ’ થઇને ય રાહુલ ગાંધીએ જે શાલિનતા જાળવી, જે રીતે લોકો સાથે જોડવાના પ્રયાસો કર્યા તેની અસર ચૂંટણી પરિણામમાં દેખાઇ ગઇ. હવે ગાંધી ભાઇ-બહેન કઇ રીતે તેમના રાજકારણને આગળ ધપાવે છે તે જોવું રહ્યું. ઉત્તરે રાહુલ ગાંધી અને દક્ષિણમાં પ્રિયંકા ગાંધીને કાઁગ્રેસે પક્ષના ચહેરા તરીકે મુક્યાં છે. આ પગલું બહુ વૈચારિક છે કારણ કે આમ કરીને કાઁગ્રેસની ચૂંટણીલક્ષી રાજનીતિ પર પકડ બહેતર થશે. આ કાઁગ્રેસનો અન્ય પક્ષોને સંદેશો છે કે કાઁગ્રેસ હિન્દી પટ્ટા પરથી પોતાની લડાઇ સરળતાથી જતી નથી કરવાની. હિન્દી પટ્ટાની વાત આવે ત્યારે હંમેશાં ભા.જ.પા. એક હિન્દુ પક્ષ તરીકે આગળ રહી છે પણ રાહુલ ગાંધીની રાયબરેલી પરથી જીત અને અમેઠીમાં પણ કાઁગ્રેસની જીતને પગલે કાઁગ્રેસને જતું નહીં કરવાનુ પ્રેરક બળ મળ્યું.

અત્યારે તો વાયનાડ કાઁગ્રેસ માટે સલામત બેઠક ગણાય અને જો પ્રિયંકા ગાંધી પેટા ચૂંટણીમાં જીતી જશે તો નહેરુ-ગાંધી પરિવારનાં ત્રણ સભ્યો સંસદમાં હશે. આવું થશે એટલે કાઁગ્રેસે પણ સગાંવાદ અને પરિવારવાદ વાળા વિધાનો સાંભળવાની તૈયાર કરવી જ પડશે. વળી જે કાઁગ્રેસે 2019માં ઉત્તર પ્રદેશમાં રાયબરેલી સિવાય એકેય બેઠક નહોતી જીતી તેને આ વખતે છ બેઠક જીતીને સારી એવી કળ વળી છે એમ કહી શકાય. વ્યૂહાત્મક રીતે જોઇએ તો સમાજવાદી પાર્ટી સાથેનું કાઁગ્રેસનું ગઠબંધન રાહુલ ગાંધીને ફળ્યું હોવાથી તે રાયબરેલીની બેઠક પર પોતાની પકડ રાખે તે યોગ્ય નિર્ણય છે.

વાયનાડના રાજકારણને સમજીએ તો રાહુલ માટે એ બેઠક એક મજબૂત તરણું રહી છે એમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી. ભલે ભૂતકાળમાં રાહુલ ગાંધીએ અમેઠીથી ચૂંટણીમાં હાર મેળવી હોય પણ કાઁગ્રેસના અમુક સભ્યોને મતે તેઓ કેરળમાં અમુક બેઠકો ત્યારે જીતી શક્યા તેનું કારણ રાહુલ ગાંધીની ઉમેદવારી હતી. જો કે 2021માં વિધાનસભાની ચૂંટણીમાં કેરળમાં કાઁગ્રેસને ભારે ખોટ ગઇ હતી અને કાઁગ્રેસની યુ.ડી.એફ. અને સી.પી.આઇ. (એમ.)ના નેતૃત્વ હેઠળના એલ.ડી.એફ. એમ બે જૂથ વચ્ચે સત્તા હિલોળા લેતી હોય પણ 2021માં એલ.ડી.એફ.ની ફરી જીત થઇ હતી અને પિનારયી વિજયનની સત્તા યથાવત્ રહી. જો કે હવે ત્યાં લોકો વિજયનનો વિરોધ કરી રહ્યા છે તેવું કાઁગ્રેસના સભ્યોને લાગે છે. રાહુલ ગાંધીનું વાયનાડને છોડવું ત્યાંના મતદાતાઓમાં એવી લાગણી ન ફેલાવે કે ગાંધી પરિવારને માત્ર ઉત્તર પ્રદેશની જ પડી છે માટે ત્યાંથી પ્રિયંકા ગાંધીને ચૂંટણી લડાવવાનો નિર્ણય લેવાયો છે. આમ તો કાઁગ્રેસ ધારે તો તેમની પાસે વાયનાડની બેઠક માટે મજબૂત ઉમેદવારોના ઢગલા વિકલ્પો છે પણ ભા.જ.પા.ને બેઠકોને મામલે ફટકો પડ્યો છે એ સમય પ્રિયંકા ગાંધીને મેદાનમાં ઉતારવા માટે સલામત છે એવું પણ કાઁગ્રેસના સભ્યો સારી રીતે સમજે છે. જે બેઠક પરથી સોનિયા ગાંધી પહેલાં ત્રણ વાર જીતી ચૂક્યાં છે તેનાથી વધારે સલામત બેઠક પહેલીવાર ચૂંટણી લડનારાં પ્રિયંકા ગાંધી માટે બીજી કઇ હોઇ શકે. વળી રાયબરેલી જે મોટે ભાગે ગાંધી પરિવાર પાસે રહેલી બેઠક છે ત્યાં રાહુલ ગાંધી રહે એવી ત્યાંના મતદાતાઓને પણ અપેક્ષા હોય તે સ્વાભાવિક છે.

હવે ભાઇ-બહેનનાં સમીકરણોને રાષ્ટ્રીય રાજકારણના પરિપ્રેક્ષ્યમાં મુકીએ તો એ સ્પષ્ટ છે કે પ્રિયંકા ગાધીનું રાજકારણ પોતાના ભાઇને સફળ બનાવવાની આસપાસ ગુંથાયેલું છે. પોતાના ભાઇને પોતાના નેતા તરીકે સંબોધી ચુકેલ પ્રિયંકા વાયનાડ પરથી પેટા ચૂંટણી લડીને ભાઇની અસમંજસ દૂર કરી રહી છે. જો એ ત્યાંથી જીતી જશે તો માધવરાવ સિંધિયા અને વસુંધરા રાજે સિંધિયાની માફક સંસદમાં બેસનારી આ ભાઇ-બહેનની બીજી જોડી હશે. જો કે સિંધિયા ભાઇ બહેન વિરોધી પક્ષોમાં રહ્યાં છે. વળી રાહુલ અને પ્રિયંકા ગાંધી વચ્ચેની હૂંફ બહુ દેખીતી છે અને લાગણીશીલ મતદારો માટે એક અગત્યનું પાસું પણ છે.

જ્યારે જવાહરલાલ નહેરુ વડા પ્રધાન હતા ત્યારે 1959માં ઇન્દિરા ગાંધી કાઁગ્રેસ પ્રમુખ બન્યાં હતા જેની પણ લોકોને નવાઇ તો લાગી હતી, પણ પ્રિયંકા ગાંધીની જીત ગાંધી-નહેરુ પરિવારના સભ્યો સાથે કાર્યભાર સંભાળે એવી સ્થિતિ ફરી ખડી કરશે. 2004-2014ના યુ.પી.એ. સરકારના ગાળા દરમિયાન રાહુલ ગાંધી એક મુંઝાયેલા ‘યુવા’ રાજકારણી લાગતા હતા. પ્રિયંકા ગાંધીએ સારું, નરસું, બોગસ બધું જોયું છે અને હવે એ રાજકારણમાં ઝંપલાવે છે ત્યારે તે રાહુલ ગાંધી માટે સારો ટેકો સાબિત થશે. વળી જો વાયનાડ પરથી પ્રિયંકા ગાંધી જીતી જશે તો વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ભાઇ-બહેને મળીને સારી એવી લડત આપી હોવાની હકીકત ઘૂંટાશે.

કાઁગ્રેસના સભ્યોને એવી અપેક્ષા છે કે પ્રિયંકા ગાંધી વ્યૂહાત્મક સમજ સાથે કામ કરશે. એક ખાસ વાત એ કે પરિવારવાદ અંગે ભલે આટલી બધી હો-હા થાય પણ કાઁગ્રેસના સભ્યોને પણ ગાંધી પરિવાર વિનાની પોતાની ઓળખ અંગે હજી બહુ આત્મવિશ્વાસ નથી. કાઁગ્રેસને ગાંધી પરિવારની એટલી જ જરૂર છે જેટલી ગાંધી પરિવારને આ રાજકારણની.

બાય ધી વેઃ

પહેલી વાત તો એ કે કાઁગ્રેસને કલ્પના જ નહોતી કે પક્ષ બન્ને બેઠકો પરથી જીતી જશે. લોકસભાની આ ચૂંટણીમાં પોતના ‘પરફોર્મન્સ’થી કાઁગ્રેસ પક્ષ પોતે જ અચંબામાં છે. એક તરફ કાઁગ્રેસ માટે આશ્ચર્ય છે તો ભા.જ.પા.ને બહુમતી ન મળવી એ ભા.જ.પા. માટે આધાત છે.  પિછડા, દલિત અને અલ્પસંખ્યક એટલે કે પી.ડી.એ.નું સમીકરણ કાઁગ્રેસ માટે કામ કરી ગયું છે. જો સ.પા. અને કાઁગ્રેસનુ ગઠબંધન આ જ મજબૂતાઇથી ચાલશે તો ભા.જ.પા.ને તે સારી એવી લડત આપી શકશે. વળી આ ગઠબંધનમાં જો માયાવતીની બહુજન સમાજ પાર્ટી પણ ભળી જશે તો ચૂંટણીમાં આ ગઠબંધનને માત આપવી સહેલી નહીં હોય. અને હા, પ્રિયંકા ગાંધી જેણે હવે રાજકારણમાં ઝંપલાવ્યું છે તેમણે ભૂતકાળમાં, 2009માં એક ઇન્ટરવ્યુમાં કહેલું કે તેને રાજકારણમાં કોઇ રસ નથી.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 23 જૂન 2024

Loading

23 June 2024 Vipool Kalyani
← અત્યારનું હિન્દુત્વવાદી રાજકારણ સત્તાલક્ષી અને સત્તાકેન્દ્રી ?
“If On a Winter’s Night a Traveler” વિશે — 10 →

Search by

Opinion

  • સહૃદયતાનું ઋણ
  • સાંસદને પેન્શન હોય તો શિક્ષકને કેમ નહીં?
  • કેવી રીતે ‘ઈજ્જત’ની એક તુચ્છ વાર્તા ‘ત્રિશૂલ’માં આવીને સશક્ત બની ગઈ
  • અક્ષયકુમારે વિકાસની કેરી કાપ્યાચૂસ્યા વિના નરેન્દ્ર મોદીના મોં પર મારી!
  • ભીડ, ભીડ નિયંત્રણ, ભીડ સંચાલન અને ભીડભંજન

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન
  • અરણ્ય રૂદન
  • પિયા ઓ પિયા

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved