Opinion Magazine
Number of visits: 9446806
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગાલિબ અને ગુજરાત : હુઈ મુદ્દત કિ ગાલિબ મર ગયા પર યાદ આતા હૈ

રાજ ગોસ્વામી|Opinion - Opinion|1 January 2023

જિંદગીના રસને પીવામાં કરો જલદી ‘મરીઝ’

એક તો ઓછી મદિરા છે, ને ગળતું જામ છે

મરીઝનો આ પ્રખ્યાત શેર છે. આવા તો અનેક છે. મરીઝે જીવન વિશે, સંબંધો વિશે, મિત્રો અને ઈશ્વર વિશે સુક્ષ્મ વાતો કહેતા કલાત્મક શેર આપ્યા છે. તેમના શેરની ગહેરાઈના કારણે જ કવિતાના ચાહકોએ તેમને ગાલિબ સાથે સરખાવ્યા હોય. મરીઝનું મૂળ નામ અબ્બાસ અબ્દુલઅલી વાસી હતું. તે સુરતમાં જમ્યા હતા. મજાની વાત એ છે કે મિર્ઝા અસદુલ્લા બેગ ખાન ઉર્ફે મિર્ઝા ગાલિબ(1797-1869)નો પણ સુરત સાથે સંબંધ હતો. આ અઠવાડિયે, 27 ડિસેમ્બરે, ગાલિબની 225મી વર્ષગાંઠ ગઈ.

ગાલિબ શાયરી એટલે કે પદ્યની સીમાની બહાર ગદ્યમાં પણ બેમિસાલ છે એ તેમની બીજી વિશેષતા છે. ગાલિબનો પત્રવ્યવહાર વ્યાપક હતો અને એમાં એણે સીધી, સરળ અને સંવેદનાત્મક ઉર્દૂ ભાષા વિકસાવી હતી એ બહુ લોકોને ખબર નથી. એથી ય ઓછા લોકોને એ ખબર હશે કે ગાલિબના આ પત્રલેખનમાં ગુજરાતનું પણ એક સ્થાન હતું.

ગાલિબનું મોટા ભાગનું જીવન ઉત્તર ભારત(દિલ્હી, આગ્રા, કોલકાતા)માં વીત્યું હતું. ગુજરાત સાથે તેમનો સંવેદનાત્મક સંબંધ હતો. સુરતના નવાબ મીર જફર અલી ખાન સાથે ગાલિબે પત્રવ્યવહાર કર્યો હતો. બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ જ્યારે સુરતનો કબજો લઇ લીધો હતો અને નવાબ પરિવારની સંપત્તિ પચાવી પાડી હતી, ત્યારે આ નવાબે બ્રિટિશ સંસદ સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો હતો અને જીત મેળવી હતી.

1859થી 1869 સુધી ગાલિબે તેમને 61 પત્રો લખ્યા હતા. નવાબ મીરના પ્રપૌત્ર અને હાલ મુંબઈ સ્થિત નવાબ મીર જફર ઈમામે ૨૦૦૩માં ‘મિર્ઝા ગાલિબ એન્ડ ધ મીર્સ ઓફ ગુજરાત’ શીર્ષક હેઠળ આ પત્રોનું સંપાદન કર્યું છે. રૂપા એન્ડ કંપનીએ એનું પ્રકાશન કર્યું છે.

ગુજરાતીમાં આ પુસ્તક છે? જાણમાં નથી, પરંતુ 2009માં સુરત મહાનગરપાલિકાની ૩૭મી નાટયસ્પર્ધામાં એ.એસ. કસલીવાલા લિખિત અને નરેશ કાપડિયા દિર્ગ્દિશત દ્વિઅંકી નાટક ‘મિરજા ગાલિબ સુરતમાં’નું મંચન પણ થયું હતું. વાર્તા એવી હતી કે 1869માં મૃત્યુ પામેલા ગાલિબ નરકમાં ‘હાઉસફૂલ’નું બોર્ડ જોઇને અને સ્વર્ગમાં પ્રવેશબંધીના કારણે વર્ષો પછી પાછા દિલ્હી આવે છે અને ત્યાં સુરતના એક પત્રકારને મળીને પોતે 140 વર્ષ પહેલાંના ગાલિબ જ છે એ સાબિત કરવા પ્રયાસ કરે છે.

નવાબ મીર જફુર અલી ખાને ગાલિબને સુરત આવવા આમંત્રણ આપ્યું હતું. તે વખતે ગાલિબ બીમાર હતા અને અનુકરણીય શૈલીમાં એમણે જવાબ લખ્યો હતો, ‘કિસી સૂરત મેં મૈં સુરત નહીં આ શકતા.’ અહીં એના તેમના પેલા વિખ્યાત શેર, ‘કોઈ ઉમ્મીદ બર નથી આતી, કોઈ સૂરત નજર નહીં આતી … આગે આતી થી હાલ-એ-દિલ પે હંસી, અબ કિસી બાત પે નહીં આતી’નું અનુસંધાન છે.

સુરતના નવાબ પરિવારમાં દાદ ખાન સૈયાહ મીર ગુલામ બાબા અને બીજા  શાહી સભ્યો સાથે ગાલિબ પત્રોથી સંપર્કમાં હતો. કેટલાક અભ્યાસીઓ માને છે કે માત્ર પત્રોના કારણે ય ઉર્દૂ સાહિત્યમાં ગાલિબનું સ્થાન નિશ્ચિત હતું. ગાલિબ પહેલાં ઉર્દૂ અલંકારિત ભાષા હતી. ગાલિબે એને આમ અને સંવેદનાત્મક બનાવી દીધી. એ એવી રીતે લખતા જાણે ‘વાત’ કરી રહ્યા હોય. એક પત્રમાં એ લખે છે, ‘સો કોસ સે બા-જબાન-એ કલમ બાતેં કીયા કરો ઔર હીજ્ર મેં વિસાલ કે મઝે લીયા કરો’ – માઈલો દૂરથી કલમના મોઢેથી વાતો કરો અને છૂટા પડી ગયા હો તો ય મિલનની મઝા લૂંટો. બીજા એક પત્રમાં એ લખે છે, ‘મેં કોશિશ કરતા હૂં કી કુછ ઐસી બાત લીખૂં કી જો પઢે ખુશ હો જાયેં.’

એમનું પત્રલેખન બહુ વ્યસ્ત હતું, એ રોજના પાંચથી છ પત્રો લખતા હતા. ઘણી વાર તો એ પોતાના સરનામે પણ પત્ર મોકલતા. કોઈકે એક વાર એમનું સરનામું પૂછયું તો ગાલિબે કહેલું, “અસદુલ્લાહ ગાલિબ, દિલ્હી કાફી હોગા.” મુનશી હરગોપાલ તફતા પરના એક પત્રમાં ગાલિબનો અંદાજ જુઓ, ‘‘ક્યોં સાહબ રુઠે હી રહોગે યા માનોગે ભી? ઔર કિસી તરહ નહીં માનતે તો રુઠને કી વજહ લિખો. મેં ઈસ તન્હાઈ મેં સિર્ફ ખતોં કે ભરોસે જીતા હૂં. યાની ઉસકા ખત આયા. મૈંને જાના કી વહ શખ્સ તશરીફ લાયા. હૂં ન તંદુરસ્ત ન ખુશ હૂં ન નાખુશ, ન મુર્દા હૂં ન જિંદા. જીયે જાતા હૂં બાતેં કિયે જાતા હૂં. રોટી રોજ ખાતા હૂં. જબ મૌત આયેગી તો મર ભી રહૂંગા.’

કવિ તો નિજાનંદ માટે લખે એવી ફકીરી-ફિલોસોફીની આપણે ત્યાં ગુજરાતીમાં નિબંધો લખનારા, વાર્તાઓ લખનારા અને બીજા એસોર્ટેડ કલમબાજો જે જુર્રત કરે છે એવું ગાલિબની બાબતમાં નથી. ‘નિજાનંદ માટે લખવાની’ ચાલાકીથી તમે સામાજિક જવાબદારીમાંથી મુક્ત થઈ જાઓ છો એ એક બોનસ પોઈન્ટ છે. ગાલિબનો આ શેર ‘મગર લિખવાયે કોઈ ઉસકો ખત તો હમસે લિખવાયે, હુઈ સુબહ ઔર ઘર સે કાન પર રખકર કલમ નિકલે.’ વાંચો તો તમને કદાચ નર્મદનું ચિત્ર યાદ આવી જાય.

ગાલિબની આ બીજાના દુઃખે દુઃખીવાળી ઈન્સાનિયત બહુ પ્રકાશમાં નથી આવી. એમના કેટલાક શેર આની સાબિતી છે. એ લખે છે, ‘બસ એક દુશ્વાર હૈ હર કામ કા આસાં હોના, આદમી કો ભી મય્યસર નહીં ઈન્સાં હોના.’ મતલબ આપણે એવા સમયમાં જીવીએ છીએ જ્યાં દરેક કામ અઘરું છે, આજકાલ તો આપણે માણસ પણ બની નથી શકતા. આદમી અને ઈન્સાનનો આ ફર્ક ગાલિબ જ કરી શકે.

ઉર્દૂ સાહિત્યકાર ડો. ઈબ્દદાદ બરૈલવી લખે છે કે, ‘‘ગાલિબની મહાનતા એમાં છે કે એ બીજાનાં દુઃખ-દર્દને અનુભવી શકે છે અને એની કથની અને કરણીમાં આ મહત્ત્વની બાબત છે.’’ આ વાંચોઃ ‘રગો મેં દૌડતે ફિરને કે હમ નહીં કાઈલ, જબ આંખ હી સે ના ટપકા તો ફિર લહુ ક્યા હૈ.’ નસમાં રક્ત ફરે છે એ સાબિતી છે કે આપણે જીવતા છીએ પણ એનો મતલબ એ નથી કે આપણે જીવંત છીએ. જીવંતનો મતલબ બીજાના દર્દનો અહેસાસ. સંવેદનશીલતાનો સાચો મતલબ  બીજાના દર્દથી પોતાની આંખમાંથી આંસુ ટપકે તે. ગુજરાતી કલમબાજો શબ્દોના  પ્રાસ જોડીને અથવા તો ક્રોસવર્ડ રમતા હોય એમ જે ‘વાક્યો’ બનાવે છે, એને સંવેદનશીલતા નહીં, હાથચાલાકી કહેવાય.

મહાત્મા ગાંધીએ ગાલિબને વાંચ્યો હશે કે નહીં એ એક અભ્યાસનો વિષય છે, પરંતુ ક્ષમા અને સહિષ્ણુતાનું ચિંતન પણ ગાલિબમાં ભરપૂર છે. ઘણા શેર છે, પરંતુ આ એક શેર આ ચિંતનને અદ્ભુત રીતે વ્યક્ત કરે છે : ‘ના સૂનો ગર બુરા કહે કોઈ, ના કહો ગર બુરા કરે કોઈ, રોક લો ગર ગલત ચલે કોઈ, બખ્શ દો ગર ખતા કરે કોઈ.’

હિન્દી સાહિત્યમાં ગોસ્વામી તુલસીદાસનું જે સ્થાન છે એવું જ સ્થાન ઉર્દૂમાં ગાલિબનું છે. ગાલિબ એક રોમેન્ટિક અથવા ઈશ્કીયાં શાયર હતો એ બહુ સંકુચિત વ્યાખ્યા છે. એની શાયરી સૂફિયાના આધ્યાત્મિક અંદાજને સ્પર્શે છે. આ એની સાબિતી : ‘ન થા કુછ તો ખુદા થા, કુછ ન હોતા તો ખુદા હોતા, ડુબોયા મુઝકો હોને ને, ન મેં હોતા તો ક્યા હોતા … હુઈ મુદ્દત કિ ગાલિબ મર ગયા પર યાદ આતા હૈ, વો હર ઈક બાત પર કહતા કિ યૂં હોતા તો ક્યા હોતા.’ એક અનંત, વિશાળ બ્રહ્માંડમાં માણસની પામરતા વિશેનો આટલો સરસ વ્યંગ એક ફકીર જ કરી શકે.

મિર્ઝા જમાલ નામના એક ગાલિબપ્રેમીએ ‘ગાલિબ કે ખતૂત’ નામથી  એની ઓડિયો બનાવી છે. જે યુટયુબ પર ઉપલબ્ધ છે. ત્રણ ભાગના આ ઓડિયોમાં ઝીયા મોઈયુદ્દીને તેમની આગવી  શૈલીમાં પત્રોનું પઠન કર્યું છે. આ પ્રયત્ન પાકિસ્તાનની ઈ.એમ.આઈ. કંપની દ્વારા થયો છે. ભારતમાં આવું કામ કેમ નથી થયું એ આશ્ચર્યની વાત છે. એમ તો સુરતના મીરને લખાયેલા પત્રો ગુજરાતીમાં ઉપલબ્ધ નથી એ પણ જરા વિચારવા જેવી વાત છે. ગુજરાતીઓ જો કે ‘ગાલિબ કોણ?’ એવો પ્રશ્ન પૂછે તો નવાઈ નહીં. જો કે એનો જવાબ પણ ગાલિબ જ આપી ગયો છે :

‘ઉમ્ર ભર દેખા કીયા મરને કી રાહ,

મર ગયે ફિર દેખીયે દિખલાયેં ક્યા!

પૂછતે હૈ વોહ કી ગાલિબ કૌન હૈ?

કોઈ બતાયેં કી હમ બતાયેં ક્યાં!’

પ્રગટ : “બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 01 જાન્યુઆરી 2023
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

1 January 2023 Vipool Kalyani
← 2023: વૈશ્વિક રાજકારણના કયા મુદ્દાઓ પર ચાંપતી નજર રાખવી જરૂરી છે આ વર્ષે
પ્રાથમિક શિક્ષણનો દાટ વાળવા સૂરત, ખૂબસૂરત પ્રયત્નો કરી રહ્યું છે … →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved