ભારત વૈશ્વિક સ્તરે ગુપ્તચર કામગીરીને મામલે જે પણ કરે છે તેની પર આ ફાઇવ આય્ઝ અલાયન્સના સભ્યોની બારીક નજર છે. ભારત હજી એક વિકાસશીલ દેશ છે અને તેમાં જ્યારે તેના ગુપ્તચર વિભાગ દ્વારા બેફામ રીતે કામ થઇ રહ્યું હોવાની લાગણી વિદેશી રાષ્ટ્રોને થાય ત્યારે આપણે ચેતી જવું પડે
![](https://opinionmagazine.co.uk/wp-content/uploads/2022/10/chirantana-bhatt-240x300.jpg)
ચિરંતના ભટ્ટ
અંગ્રેજી ફિલ્મો જોઇએ ત્યારે વિદેશની ઇન્ટેલિજન્સ એજન્સીઝ એટલે કે ગુપ્તચર વિભાગની કામગીરી જોઇને આભા થઇ જવાય છેલ્લાં કેટલાંક વર્ષોમાં ભારતીય ગુપ્તચર વિભાગની કામગીરી દેખાડતી વેબ સિરીઝ અને ફિલ્મો પણ આવી છે. ‘ટાઇગર ઝિંદા હૈ’ ફિલ્મ પણ ભારતીય જાસૂસ રવીન્દ્ર કૌશિકની જિંદગી પરથી બની હતી. જો કે ભારતીય ગુપ્તચર વિભાગ એટલે કે રિસર્ચ એન્ડ એનાલિસીસ વિંગ – RAW જેની કામગીરી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે આપણા દેશને નુકસાન પહોંચડાવાની કામગીરી થતી હોય, વિદેશી ગુપ્તરચ માહિતીઓ કે હિલચાલ અંગે વિગતો ભેગી કરવી, દેશમાં નીતિ ઘડનારાઓને માર્ગદર્શન આપવું અને ભારતના વિદેશ સાથેના વ્યૂહાત્મક સંબંધોને બહેતર બનાવવા, દેશના ફાયદામાં કામ કરવું હોય છે. જો કે હમણાં અમુક સંજોગો એવા સર્જાયા છે જેને કારણે ‘વિશ્વગુરુ’ બનવાની દોડમાં જોડાયેલા આપણા દેશના ગુપ્તચ વિભાગ– RAW – સામે આંતરરાષ્ટ્રીય સ્તરે જેને બહુ અગત્યની ગણાય છે એવી ગુપ્તચર એજન્સીઝને જરા વાંધો પડ્યો છે.
પહેલાં તો કયા રાષ્ટ્રના ગુપ્તચર વિભાગો મહત્ત્વના ગણાય છે એ જાણવું જરૂરી છે. આ માટે ફાઇવ આય્ઝ અલાયન્સ વિશે સમજીએ. ધી ફાઇવ આય્ઝ અલાયન્સ પાંચ દેશોનો સમૂહ છે જેમાં યુ.એસ.એ., કેનેડા, ઑસ્ટ્રેલિયા, યુ.કે. અને ન્યુઝીલેન્ડનો સમાવેશ થાય છે. તેઓ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સલામતી અને ગુપ્તચર માહિતી એકઠી કરવાને મામલે સાથે મળીને કામ કરે છે. ફાઇવ આય્ઝ અલાયન્સની શરૂઆત બીજા વિશ્વયુદ્ધ દરમિયાન થઇ હતી, જેથી નિયમિતપણે ગુપ્તચર માહિતીનું આદાન-પ્રદાન થઇ શકે. જો કે શરૂઆતમાં તે યુ.કે. અને યુ.એસ.એ વચ્ચેનું જ ગઠબંધન હતું કારણ કે આ બે દેશોના ગુપ્તચર વિભાગોએ સાથે મળીને જર્મન અને જાપાનીઝ કોડ ઉકેલ્યા હતા. આ ગઠબંધનમાં જોડાયેલા દેશો નિયમિતપણે એકબીજા સાથે જરૂરી ગુપ્તચર માહિતીઓ વહેંચે છે. તેમની કાઉન્સિલને ફાઇવ આય્ઝ ઇન્ટેલિજન્સ ઓવરસાઇટ એન્ડ રિવ્યુ કાઉન્સિલ કહેવાય છે, અને તેઓ પરસ્પર એકબીજાના હિત, એકબીજાને કામ લાગી શકે તેવી પ્રક્રિયાઓ અને પદ્ધતિઓ વહેંચે છે અને વર્ષે એકવાર મળીને બેઠક કરે છે. આ પાંચ રાષ્ટ્રો તેમાં જોડાયેલા છે કારણ કે તમામના લક્ષ્યો ક્યાંક ક્યાંક મળતા આવે છે, જેમ કે ચીનની ગતિ પર ચાંપતી નજર રાખવી. આ એક દેશને કારણે તેઓ સમયાંતરે એકબીજાની વધુ નજીક આવ્યા છે. દાયકાઓ સુધી સાથે કામ કરીને તેમણે પરસ્પર સંબંધ પણ કેળવ્યા છે. જો કે એમ જરૂરી નથી કે પાંચ રાષ્ટ્રોના ગુપ્તચર વિભાગો સાથે મળીને કામ કેર છે એટલે દર વખતે તેમની નીતિઓ અને નિર્ણયોમાં સમાનતા હોય. ન્યુઝીલેન્ડની નીતિ છે કે ચીન સાથે વ્યવસાયી સંબંધો મજબૂત હોવાથી અન્ય ચાર રાષ્ટ્રોની માફક તે ચીનની આકરી ટીકા નહીં કરે.
હવે આ ફાઇવ આય્ઝ અલાયન્સને તાજેતરમાં ભારત સામે જરા વાંકુ કેમ પડ્યું છે એ સમજીએ. આપણે જાણીએ છીએ કે ભારત આતંકવાદીઓને ઘરમાં ઘુસીને મારે છે વાળું વિધાન 2024ના ચૂંટણી પ્રચારમાં વડા પ્રધાને એક કરતાં વધારે વાર વાપર્યું છે. તેમણે એમ કહ્યું હતું કે ભારત વિરોધી આતંકવાદીઓને ટેકો આપનારા રાષ્ટ્રોને રિપોર્ટ મોકલવાને બદલે હવે આપણે તો તેમના ઘરમાં ઘુસીને આતંકવાદ વિરુદ્ધ પગલાં લઇએ છીએ. કેનેડાના જસ્ટિન ટ્રુડોએ નિજ્જરની કેનેડામાં હત્યા થઇ, એમાં ભારતનો હાથ હોવાની આશંકા વ્યક્ત કરી હતી અને ભારતે જવાબમાં આ આક્ષેપનો વેતાવગરનાં અને બદઇરાદાથી કરાયા હોવાનો અભિપ્રાય આપ્યો હતો. ખાલિસ્તાની નિજ્જરની હત્યા કેનેડામાં થઇ અને પછી ભારતે ન્યુ યોર્કમાં ખાલિસ્તાની નેતાપન્નુને મારી નાખવાનો પ્રયાસ કરાવ્યો હોવાનો આક્ષેપ યુ.એસ.એ. દ્વારા મુકવામાં આવ્યો. વળી કેનેડાને યુ.એસ.એનો ટેકો પણ મળ્યો અને આ કારણે કેનેડા અને ભારતના સંબંધોમાં તાણ આવી છે. ફાઇવ આય્ઝનો હિસ્સો હોવાને કારણે કેનેડા અને યુ.એસ.એ.ની ગુપ્તચર એજન્સીઝ ભારત વિશે શું વિચારે છે તેનો પ્રભાવ બાકીના ત્રણ રાષ્ટ્રોની ગુપ્તચર એજન્સી પર પણ પડે જ તે સ્વાભાવિક છે. ભારત વૈશ્વિક સ્તરે ગુપ્તચર કામગીરીને મામલે જે પણ કરે છે તેની પર આ ફાઇવ આય્ઝ અલાયન્સના સભ્યોની બારીક નજર છે. ભારત હજી એક વિકાસશીલ દેશ છે અને તેમાં જ્યારે તેના ગુપ્તચર વિભાગ દ્વારા બેફામ રીતે કામ થઇ રહ્યું હોવાની લાગણી વિદેશી રાષ્ટ્રોને થાય ત્યારે આપણે ચેતી જવું પડે.
પછેડી જેટલી જ સોડ તાણવી જોઇએ વાળી કહેવત અહીં લાગુ પડે કારણ કે હજી તો આપણે તેમના સ્તરે પહોંચવાનું છે અને એ માટે તેમનો ટેકો પણ જરૂરી જ બનવાનો છે. ઘર આંગણે પોતાની સત્તા બતાડવામાં ભારતીય ગુપ્તચર વિભાગ બહારના સાથે બગાડે એમાં હવેલી લેતાં ગુજરાત ખોયું વાળો હાલ થવાની વકી વધારે છે. આ પાંચ આંખો માળી ડોળા કાઢે છે કારણ કે એમને એમ થાય છે કે આપણો ગુપ્તચર વિભાગ જેટલી પહોંચ છે તેના કરતાં વધારે જોર કરે છે અને કદ નથી પણ તો ય પેંગડામા પગ ઘાલે છે અને એ તેમણે ન કરવું જોઇએ એમ તેમનું માનવું છે. વળી ભારત વ્યૂહાત્મક રીતે અમુક મુદ્દાઓમાં ફાઇવ આય્ઝ એલાયન્સથી સ્વાયત્ત અભિપ્રાય ઇચ્છે છે. ભારતના ચીન અને પાકિસ્તાન સાથેના સંબંધોને મામલે પણ ફાઇવ આય્ઝના સભ્યો સાથે ભારતને બધી રીતે ગોઠવાય એમ નથી કારણ કે એ રાષ્ટ્રો આ બન્ને દેશોને મામલે જે બાબતોનો અગ્રિમતા આપે છે તે ભારતને નથી ફાવતું અને આપણે અમુક ભૌગોલિક રાજકીય મામલે આ પાંચ રાષ્ટ્રો કરતાં અલગ વલણ રાખવા માગીએ છીએ. વળી ડેટા પ્રાઇવસીને મામલે ભારતનો અભિગમ ફાઇવ આય્ઝ અલાયન્સ કરતાં જુદો પડી શકે છે. આપણા ડેટા લોકલાઇઝેશનના નિયમો અને વિદેશી ટેક્નોલૉજી કંપનીઝ પરનાં પ્રતિબંધ એ અલાયન્સના ડેટાના મુક્ત પ્રવાહ અને માર્કેટની પહોંચ અંગેની ઉદારમતવાદી નીતિથી અલગ પડે છે. આવા વાંધાવચકાં છતાં પણ વાસ્તવિકતા એ છે કે ફાઇવ આય્ઝ અલાયન્સ સાથે સંઘર્ષ ટાળવો એ ભારત અને અલાયન્સ બન્ને ફાયદામાં છે.
ભારત જો અલાયન્સ સાથે સંઘર્ષ ટાળે તો કાઉન્ટર ટેરરિઝમ, સાઇબર સ્ક્રુટીની અને દરિયાઇ સુરક્ષાને મામલે બન્ને તરફ ફાયદા થઇ શકે છે. જો ભારત આડોડાઇ કરીને હુંકાર કર્યા કરશે અને રાજકારણીઓના ફાંકા જો ખોટી છબી ખડી કરશે તો ફાઇવ આય્ઝ અલાયન્સને ભારત પર વિશ્વાસ નહીં બેસે અને તેઓ સાથે મળીને કામ નહીં કરી શકે, પરિણામે વૈશ્વિક સ્તરે બધાંને જે એક સરખાં જોખમો છે તેની સામે લડવાનું જોર નબળું પડશે. ભારતીય-પેસિફિક પ્રદેશમાં આપણું સ્થાન વ્યૂહાત્મક છે અને માટે જ જો ફાઇવ આય્ઝ સાથે જો વાંકુ પડ્યું તો આખા પ્રદેશમાં જે પણ રોકાણો, વ્યાપારી લેવડ-દેવડ અને પ્રાદેશિક સહકારી પહેલ કરવામાં આવી છે તેમાં લોચા પડવાની શક્યતા પણ વધી જાય. ચીન અને રશિયા જેવા રાષ્ટ્રોનું જોર વધે ત્યારે તેમને નાથવા માટે ભારત અને ફાઇવ આય્ઝ અલાયન્સનું એક હોવું પણ જરૂરી છે કારણ કે તો જ રાજદ્વારી, આર્થિક અને વ્યૂહાત્મક રીતે સત્તાનું સંતુલન અને સુરક્ષા જાળવી શકાશે.
ટુંકમાં સુરક્ષા, સ્થિરતા અને વૈશ્વિક સ્તરના સહકાર માટે ફાઇવ આય્ઝ અલાયન્સ સાથે ભારત તાલમેલ જાળવી રાખે એ જરૂરી છે. મતભેદ હોય પણ મનભેદ ન થાય એ આપણા ફાયદામાં છે.
બાય ધી વેઃ
ચૂંટણીના હોંકારા પડકારામાં વડા પ્રધાન એ ન ભૂલે કે ફાઇવ આય્ઝ અલાયન્સમાં જે રાષ્ટ્રો છે તેના મીડિયાએ ભારત પર જાસૂસી ઑફરેશન્સ પાર પાડ્યાના આક્ષેપ મુક્યા છે અને નેશનલ સિક્યોરિટી એડવાઇઝ અજીત ડોવાલની સંડોવણી છે એમ પણ નક્કર પુરાવા વિના કહ્યું છે. આપણે ત્યાં એક લહેર એવી પણ ચલાવાઇ છે કે નરેન્દ્ર મોદીની સત્તા અને પ્રભાવને પાંખા પાડવા માટે આવું બધું ચલાવાઇ રહ્યુ છે જ્યારે આપણે તો આતંકવાદીઓને જ હખણા કર્યા છે. જો કે આપણે ખોટી ખાંડ ન ખાવી જોઇએ કારણ કે બીજા રાષ્ટ્રોના સાથ વિના આપણે આગળ નથી વધી શકવાના અને એટલે જ આત્મવિશ્વાસને તાબામાં રાખીને આપણી સરકાર વિચારીને પગલાં ભરે એ જરૂરી છે. ભક્તોની ભક્તિ ઘરે પૂરતાં મહાન બનાવી શકે છે જ્યારે વૈશ્વિક સ્તરે આપણી માન-મર્યાદા જળવાય એ માટે વ્યૂહાત્મક અને શાલિનતા ભર્યો વહેવાર જ કામ લાગશે.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 19 મે 2024