Opinion Magazine
Number of visits: 9449562
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

એક દેશ અનેક ચહેરા: મજાનો આપણો દેશ છે. વિવિધતા અને વિરોધાભાસોથી યુક્ત અને સાંકડી સંકુચિતતાથી મુક્ત. આ દેશને બચાવવાનો છે

રમેશ ઓઝા|Opinion - Opinion|27 July 2018

આ એવો દેશ છે જ્યાં માતૃભાષા નહીં જાણનાર માણસ રાજ્યનો મુખ્ય પ્રધાન થઈ શકે છે અને એ પણ ત્રણ ત્રણ મુદ્દત માટે. ૨૦૦૦ની સાલમાં નવીન પટનાયક ઓડિશાના મુખ્ય પ્રધાન બન્યા હતા અને આજે અઢાર વરસથી રાજ કરી રહ્યા છે. કદાચ આવતા વરસે યોજાનારી ઓડિશા વિધાનસભાની ચૂંટણીમાં તેઓ ફરી જીતશે એમ માનવામાં આવે છે. તેમને તેમની માતૃભાષા ઉડિયા વાંચતા કે લખતા આવડતી નથી અને માંડ ભાંગીતૂટી ભાષા બોલે છે, પરંતુ તેનાથી ઓડિશાની પ્રજાને કોઈ ફરક પડતો નથી.

બીજી બાજુ આ એવો દેશ છે જ્યાં ઇસ્લામને અને મુસ્લિમ રાષ્ટ્રીયતાને બચાવવા માટે દેશનું વિભાજન થઈ શકે છે, પરંતુ પાછું એ જ નવા સ્થપાયેલા ઇસ્લામિક દેશનું ભાષાના નામે વિભાજન પણ થઈ શકે. પાકિસ્તાન તેના અસ્તિત્વના ૨૫ વરસ પૂરાં કરે એ પહેલાં પશ્ચિમ પાકિસ્તાનના (હાલનું બંગલાદેશ) બંગાળી મુસલમાનોએ પોતાની માતૃભાષા બચાવવા પાકિસ્તાન સાથે છેડો ફાડ્યો હતો. ૧૯૪૭માં ઇસ્લામ બચાવવા પાકિસ્તાન બન્યું અને ૧૦૭૧માં બંગાળી ભાષા બચાવવા પાકિસ્તાન તૂટ્યું.

મહારાષ્ટ્ર ભાષાની બાબતમાં અત્યંત સંવેદનશીલ રાજ્ય છે. મહારાષ્ટ્રની સ્થાપનાનું આખું આંદોલન સંયુક્ત મહારાષ્ટ્રના નામે થયું હતું અને હજુ પણ સંયુક્ત મહારાષ્ટ્ર મહારાષ્ટ્રના રાજકારણનો ધ્રુવમંત્ર છે. આખા જગતમાં જો કોઈ નાદાર, ભ્રષ્ટ અને ફૂવડ મહાનગરપાલિકા હોય તો એ મુંબઈની છે પણ મુંબઈને મહારાષ્ટ્રથી અલગ કરવામાં આવશે એવો ડર બતાવીને શિવસેના મુંબઈ પર રાજ કરે છે. જે શાસકોને પહેલી તકે રવાના કરવા જોઈએ એ દાયકાઓથી મુંબઈમાં રાજ કરે છે અને ખિસ્સા ભરે છે. મહાનગરપાલિકાની દરેક ચૂંટણી વખતે મરાઠીઓ રોજેરોજની હેરાનગતિ ભૂલી જઇને સંયુક્ત મહારાષ્ટ્રને બચાવવા થોકમાં સેનાને મત આપે છે. આ ઉપરાંત સીમા સમિતિનો અહેવાલ મહારષ્ટ્રની વિરુદ્ધ ગયો હોવા છતાં મરાઠીઓ બેળગાંવનો ચીપિયો છોડતા નથી.

મહારાષ્ટ્ર આમ પણ ઘણું મોટું રાજ્ય છે જેનું વહીવટી સુગમતા માટે વિભાજન થવું જોઈએ. મહારાષ્ટ્રમાં છેક પૂર્વના છેડે આવેલા ડોંગરગઢના જંગલમાં રહેતા લોકોએ સરકારી કામકાજ માટે મહારાષ્ટ્રની રાજધાની મુંબઈ આવવું હોય તો ૨૦ કલાકનો પ્રવાસ કરવો પડે છે. એવી તે કેવી અસ્મિતા જે લોકોને હેરાન કરે અને લોકો સુધી સરખી રીતે શાસન પહોંચે પણ નહીં. પણ મરાઠીઓ ખુશ છે. સંયુક્ત મહારાષ્ટ્ર તેમના માટે નશો છે અને જે ખૂટે છે એ બેળગાંવ ખૂટે છે. મહારાષ્ટ્રના વક્તાઓ ભાષણ પૂરું કરીને જય મહારાષ્ટ્ર બોલવાનું ચૂકતા નથી.

બીજી બાજુ ઉત્તર પ્રદેશ છે જ્યાંના નેતાઓ સામેથી માગણી કરે છે કે ઉત્તર પ્રદેશ ઘણું મોટું રાજ્ય છે એટલે તેનું વિભાજન કરવામાં આવે. વહીવટી સુગમતા માટે આ જરૂરી છે. એક વાર ઉત્તર પ્રદેશનું વિભાજન કરવામાં આવ્યું છે અને છતાં માયાવતી અને અજીત સિંહ આગ્રહપૂર્વક કહે છે કે ઉત્તર પ્રદેશના હજી ચાર ભાગ કરવામાં આવે. સમાજવાદી પક્ષ વિભાજનની માંગણી કરતો નથી તો તેનો વિરોધ પણ કરતો નથી.

તમને ખબર છે ઉત્તર પ્રદેશના ચોથા મુખ્ય પ્રધાન કોણ હતાં? સુચેતા કૃપલાની. તેઓ બંગાળી હતાં, જન્મ અને ઉછેર પંજાબમાં થયો હતો અને પોતાનાથી ૨૮ વરસ મોટા એક સિંધીને પરણ્યા હતાં. જી હાં, આચાર્ય જીવતરામ બી. કૃપલાની. ૨૮ વરસની ઉમંરના ફરકને જોઇને ગાંધીજીએ લગ્નનો વિરોધ કર્યો હતો અને કજોડું કહ્યાં હતાં. બન્ને ગાંધીજીનાં નજીકના અનુયાયી હતાં અને તે છતાં આચાર્ય કૃપલાની અને સુચેતા મઝુમદારે લગ્ન કર્યાં હતા અને ગાંધીજીને આશીર્વાદ આપવા મજબૂર કર્યા હતા. ઉત્તર પ્રદેશની પ્રજાને આપણે ગુજરાતીઓ ઓછી સંસ્કારી પ્રજા તરીકે જોઈએ છીએ; પરંતુ ઉત્તર પ્રદેશના લોકોએ બહારના, સામાજિક વિદ્રોહ કરનારા, એક મહિલાને મુખ્ય પ્રધાન તરીકે સ્વીકારી લીધા અને એ પણ ૧૯૬૦ના દાયકામાં જ્યારે ઉત્તર પ્રદેશની ૮૦ ટકા પ્રજા અશિક્ષિત હતી. સુચેતા કૃપલાની ભારતના પહેલાં મહિલા મુખ્ય પ્રધાન હોવાનું માન ધરાવે છે અને તેમને એ માન ઉત્તર પ્રદેશની એ સમયની અશિક્ષિત પ્રજાએ આપ્યું હતું.

મહારાષ્ટ્રમાં શરદ પવાર છે જેઓ બીજી અનેકરીતે વિખ્યાત અને કુખ્યાત છે, પરંતુ તેઓ નાસ્તિક છે. શરદ પવાર મૂળ તો રાષ્ટ્ર સેવા દળના કાર્યકર્તા એટલે પ્રગતિશીલ વિચારો તેમને ગળથુથીમાં મળેલા. મુસ્લિમ સત્યશોધક મંડળના સ્થાપક હમીદ દલવાઈ તેમના મિત્ર અને આંદોલનના સાથી હતા. દલવાઈ મુસલમાનોમાં સામાજિક સુધારાઓનો આગ્રહ રાખતા હતા અને મુખરપણે પોતાના વિચારો પ્રગટ કરતા હતા. તેમના વિચારો અને આંદોલન સામે મહારાષ્ટ્રમાં રૂઢિચુસ્ત મુસલમાનોએ જબરદસ્ત વિરોધ કર્યો હતો. ૧૯૭૭માં હમીદ દલવાઈનું કિડની બગડી જતાં અવસાન થયું ત્યારે તેમની અંતિમવિધિ વિષે વિવાદ થયો હતો. રૂઢિચુસ્ત મુસલમાનો વિરોધ કરતા હતા. શરદ પવાર એ સમયે મહારાષ્ટ્રની કેબિનેટમાં પ્રધાન હતા. તેઓ હમીદ દલવાઇના શબને જસલોક હોસ્પિટલમાંથી પોતાના સત્તાવાર નિવાસસ્થાને લઈ આવ્યા હતા અને હમીદની અંતિમક્રિયા કરી હતી.

એ સમયે તેમણે હિન્દુત્વવાદી હિંદુઓનો કે ઇસ્લામવાદી મુસલમાનોનો ભય નહોતો અનુભવ્યો. શરદ પવાર મુખ્ય પ્રધાન હતા ત્યારે તેઓ ક્યારે ય અષાઢી એકાદશીએ પંઢરપુર વિઠોબાની પૂજા કરવા નથી ગયા, જે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનો માટે અનિવાર્ય ગણાય છે, જાણે કે કેમ વિઠ્ઠલ મહારાષ્ટ્રના સત્તાવાર ભગવાન હોય. શરદ પવારને તમે ક્યારે ય કોઈ ગુરુના દરબારમાં નહીં જોયા હોય. આમ છતાં ય દરેક અર્થમાં રેશનલિસ્ટ શરદ પવાર મહારાષ્ટ્રમાં સૌથી વધુ લોકપ્રિય નેતા છે.

આ દેશમાં તમિલો સૌથી ધાર્મિક પ્રજા છે, પરંતુ તામિલનાડુમાં જાહેરમાં પોતાને નાસ્તિક તરીકે ઓળખાવનારા એમ. કરુણાનિધિ ૧૯૬૯થી લઈને અત્યાર સુધીમાં પાંચ વખત મુખ્ય પ્રધાન બની ચૂક્યા છે. એ પહેલાં અન્નાદુરાઈ મુખ્ય પ્રધાન હતા અને તેઓ પણ નાસ્તિક હતા. તેમના ગુરુ રામસ્વામી પેરિયાર નાસ્તિક હતા અને ખરું પૂછો તો આખું દ્રવિડ આંદોલન નાસ્તિક હતું. તમિલો સવારે પૂજા કરે અને પછી પોતાના નાસ્તિક નેતાની ભક્તિમાં કુરબાન પણ થઈ જાય. આ માણસ મદ્રાસી લાગે છે એમ કવિ સિતાંશુ યશશ્ચન્દ્રની ભાષામાં આપણે કહી શકીએ.

તો આવો આપણો મજાનો દેશ છે. વિવિધતા અને વિરોધાભાસોથી યુક્ત અને સાંકડી સંકુચિતતાથી મુક્ત. આ દેશને બચાવવાનો છે.

સૌજન્ય : ‘કારણ તારણ’ નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 27 જુલાઈ 2018

Loading

27 July 2018 admin
← મન મોર બની થનગાટ કરે
આજે ગુજરાતી ભાષાસાહિત્યના ભવિષ્યને કોને હવાલે કરાય એમ છે? નીવડેલા સાહિત્યકારો આત્મનિતુષ્ટ છે, સંસ્થાઓ આત્માનુરાગી સંકલ્પોમાં જકડાઇ ગઇ છે →

Search by

Opinion

  • વીર નર્મદ યુનિવર્સિટીએ એક્સ્ટર્નલ અભ્યાસક્રમો ચાલુ રાખવા જોઈએ …..
  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved