Opinion Magazine
Number of visits: 9449250
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઇસ્ટ ઇન્ડિયા કંપનીના માલિકોએ ભારતમાં કદી પગ ન મૂક્યો

રમેશ ઓઝા|Opinion - Opinion|16 February 2020

સામ્રાજ્યમાં અને સંસ્થાનમાં શો ફરક છે? આ કૉલમનો સુજ્ઞ વાચક ફરક ન જાણતો હોય એવું હું માનતો નથી, છતાં થોડું ઝીણવટથી સમજી લેવું જોઈએ. સામ્રાજ્ય એટલે એક પછી એક પ્રદેશો જીતી લઈને રાજ્યનો વિસ્તાર કરવો. રાજા કે બાદશાહ જો પ્રતાપી હોય તો તેઓ સામ્રાજ્ય વિસ્તારતા. સિકંદર છેક ભારત સુધી આવ્યો હતો એમ ઇતિહાસ કહે છે. પણ જીતેલા પ્રદેશમાં રાજ કેવી રીતે કરવું એ એક પ્રશ્ન દરેક સામ્રાજ્ય વિસ્તારનારા સામે ઉપસ્થિત થતો હતો. જો પોતાના જ દેશના એક રાજાએ બીજા રાજાને હરાવ્યો હોય તો તેનો પ્રદેશ પોતાના પ્રદેશમાં ભેળવી શકાય. પણ જ્યાં પ્રજા, ભાષા, સંસ્કૃતિ એમ બધું જ અલગ હોય તો ત્યાં શાસન કેવી રીતે કરવું?

જૂના યુગમાં સમ્રાટો એવા પ્રદેશોમાં સૂબાઓ કે પ્રતિનિધિ નિયુક્ત કરતા જે તેમના વતી રાજ કરતા. એમાં માત્ર વિદેશમાં કે દૂર વસતા સમ્રાટની આણ પોકારવામાં આવતી, બાકી વ્યવહારમાં દરેક અર્થમાં સૂબાઓનું રાજ હતું. એ પછી સરંજામશાહીની વ્યવસ્થા વિકસી જેમાં સૂબાઓને કહી દેવામાં આવતું હતું કે તમારે સમ્રાટને મહેસૂલી આવકમાંથી આટલો ભાગ આપવો અથવા ઠરાવેલી આટલી રકમ આપવાની; પછી તમારે જે કરવું હોય તે કરો. ભારતમાં અંગ્રેજો આવ્યા અને અંગ્રેજોએ ભારતને સંસ્થાન(કૉલોની)માં ફેરવવા માંડ્યું ત્યાં સુધી મરાઠાઓ સરંજામશાહીથી રાજ કરતા હતા.

બ્રાહ્મણ પેશ્વાઓને પોતાના દેશમાં સામ્રાજ્ય કેમ વિસ્તારાય એનું તો ભાન નહોતું, પણ તેમની નજર સામે અસ્તિત્વમાં આવી રહેલા અંગ્રેજોના રાજ્યનું સ્વરૂપ પણ તેમના ધ્યાનમાં નહોતું આવ્યું. તેમના મનમાં એવો પણ પ્રશ્ન નહોતો થયો કે છ હજાર માઈલ્સ દૂરથી આવેલા મુઠ્ઠીભર અંગ્રેજો શાસનની જે વ્યવસ્થા વિકસાવી રહ્યા છે એ તેમની સરંજામશાહી કે સૂબાશાહી કરતાં જુદી છે. એ સ્વરૂપને સમજવાનું કુતૂહલ પણ નહોતું થયું. શું આપણે એમ કહી શકીએ ભારતીય માનસ કુતૂહલશૂન્ય છે? હા, લગભગ એમ કહી શકાય. પરલોકનું હાથ લાગેલું જ્ઞાન આપણને એટલું બધું પ્રભાવિત કરે છે કે આ-લોકનું જ્ઞાન મેળવવાનું આપણે ‘મ્લેચ્છો’ પર છોડી દીધું હતું!

ભારતમાં અને અન્ય દેશોમાં અંગ્રેજો અને બીજા યુરોપિયન દેશો જે રાજ્ય વ્યવસ્થા વિકસાવી રહ્યા હતા એ સંસ્થાનની વ્યવસ્થા હતી. કોઈ સૂબો નહોતો કે કોઈ ચોથાઈ જેવી ભાગીદારીની વ્યવસ્થા નહોતી. શાસન સીધું હતું અને એ પગારદાર નોકરો દ્વારા કરવામાં આવતું હતું. ભારતમાં પોતાને સર્વશ્રેષ્ઠ સમજનારા કોઈ ચિત્પાવન બ્રાહ્મણે તેની નજર સામે ક્યારે ય જોયું નહોતું એવું અનોખું રાજ્ય આકાર લઈ રહ્યું હતું અને તે છતાં ય તેને સમજવાની તસદી લીધી નહોતી. આમ લખવાનો હેતુ બ્રાહ્મણોનું અપમાન કરવાનું નથી, પરંતુ એ બતાવવાનું છે કે એક નજર બહારની દુનિયા પર પણ કરવી જોઈએ અને મિથ્યાભિમાન ટાળવું જોઈએ. શ્રેષ્ઠત્વનો ભાવ દીવાલ બનીને આપણને જ કેદ કરે એ હદે તેને પોષવાનો ન હોય. આજના યુગમાં જ્યારે હિંદુ શ્રેષ્ઠતાનું મોજું ફરી વળ્યું છે, ત્યારે આ કથન ફરી પાછું પ્રાસંગિક થતું નજરે પડી રહ્યું છે. જો હિંદુ સવર્ણોએ અને મુસ્લિમ ભદ્રવર્ગે શ્રેષ્ઠત્વની દીવાલો બાંધીને પોતે જ પોતાને કેદ ન કર્યા હોત તો તેમની નજર સામે આકાર લઈ રહેલ રાજ્યનું અનોખું સ્વરૂપ સમજાયું હોત અને તેનાથી કેમ બચવું એનો પણ કોઈ માર્ગ સૂઝ્યો હોત.

શાસનનું એક અનોખું સ્વરૂપ યુરોપિયનોએ વિકસાવ્યું હતું જેને સંસ્થાન (કૉલોની) કહેવામાં આવે છે. લશ્કરી આક્રમણ કરીને એક પ્રદેશ જીતી લીધો પછી તેની બધી સંપત્તિ જીતનારની. આનો અર્થ એ થયો કે સંસ્થાનવાદી રાજ્યવ્યવસ્થામાં પ્રજાનું કોઈ મહત્ત્વ નહોતું, સંસાધનોનું મહત્ત્વ હતું અને પ્રજા પણ એક ઉત્પાદક અને ઉપભોક્તા તરીકે સાધન માત્ર હતી. આ એક એવી વ્યવસ્થા હતી જેમાં પ્રજા રૈયત તો નામ પૂરતી હતી, સાધન વિશેષ હતી. આ શોષણ કરનારી વ્યવસ્થા હતી એટલે તેને સંસ્થાનવાદ તરીકે ઓળખાવવામાં આવે છે. ઇસ્ટ ઇન્ડિયા કંપનીના માલિકોએ ભારતમાં પગ પણ નહોતો મુક્યો. તેઓ નોકરો દ્વારા રાજ્યવિસ્તાર કરતા હતા અને વિસ્તારિત રાજ્યને સંસ્થાન બનાવીને તેનું નોકરો દ્વારા શોષણ કરતા હતા. તેઓ જે સમૃદ્ધિ ભોગવી રહ્યા હતા એ સમૃદ્ધિ જ્યાંથી આવે છે એ પ્રદેશને જોવાની પણ તેમને જરૂર નહોતી લાગી.

નોકરો દ્વારા શાસિત અને પ્રજાને પણ સંપત્તિ-ઉત્પાદક એક સાધન માત્ર માનનારી શોષણકેન્દ્રી વ્યવસ્થા એટલે સંસ્થાનવાદ. ઈંગ્લેંડમાં નામ પૂરતી રાજાશાહી હતી અને આજે પણ છે, એટલે અંગ્રેજોને સંસ્થાનની જગ્યાએ સામ્રાજ્ય શબ્દ વધારે માફક આવતો હતો. બ્રિટિશ સામ્રાજ્ય શબ્દપ્રયોગ ગૌરવશાળી લાગતો હતો જ્યારે સંસ્થાન શબ્દ શોષણવાચક હતો એટલે તેમાં શરમનો અનુભવ થતો હતો. આમ પણ બાયબલમાં કિંગડમ ઑફ ગૉડની વાત આવે જ છે એટલે બ્રિટિશ સામ્રાજ્યને પણ બ્રિટિશ સામ્રાજ્યવાદીઓ કિંગડમ ઑફ ગૉડના વિસ્તાર તરીકે લેખાવતા હતા. ભારત નસીબદાર છે કે એ બ્રિટિશ સામ્રાજ્યનો હિસ્સો છે જે દરેક અર્થમાં કિંગડમ ઑફ ગૉડ જેવું જ આદર્શ છે. આવી શબ્દછલનાનો પ્રતિવાદ કરતા કહેવામાં આવ્યું હતું કે જો એ સામ્રાજ્ય છે તો એ શોષણ કરનારો સામ્રાજ્યવાદ છે, પ્રજાને પોતાની માનનારું સામ્રાજ્ય નથી. આમ સંસ્થાનવાદ અને સામ્રાજ્યવાદ એ એક બીજાના પર્યાય તરીકે વપરાય પણ સંસ્થાનવાદ વધારે ઉપયુક્ત સંજ્ઞા છે.

આ એવું રાજ્ય હતું જે નોકરોથી ચાલતું હતું. અને નોકરો પણ કેવા? કૌવતની દ્રષ્ટીએ સામાન્ય અને પાછા ભ્રષ્ટ. તેજસ્વી લોકો ઇસ્ટ ઇન્ડિયા કંપનીની નોકરી કરવા આટલે દૂર આવવા તૈયાર નહોતા થતા એટલે કંપની જે મળે તેમને ભારત મોકલતી હતી. તેમને ભ્રષ્ટાચાર કરીને કમાઈ ખાવાની છૂટ હતી. આ ઉપરાંત લૈંગિક અને અન્ય શિથિલતાઓ સામે પણ આંખ આડા કાન કરવામાં આવતા હતા. કંપનીને હરામના નફામાં નુકસાન હતું અને અમલદારોને ફાંટ ભરીને ધન ઘેર લઈ જવા મળતું હતું. આમ શેઠ-નોકર બંને મળીને ભારતમાં શોષણ કરતા હતા. શેઠને ખબર હતી કે નોકર કેવો છે અને શું કરે છે.

સ્થિતિ એવી બની કે નોકરિયાતો સામાન્ય કૌવત ધરાવતા હતા અને મિશનરીઓ, ભારતમાં નસીબ અજમાવવા આવનારા ખાનગી અંગ્રજ નાગરિકો અને જિજ્ઞાસાથી પ્રેરાઈને પૂર્વનો અભ્યાસ કરવા આવતા અભ્યાસીઓ વધારે બુદ્ધિ ધરાવતા હતા અને એમ બનવું સ્વાભાવિક હતું. આ લોકો ભારત દેશ કેવો છે, તેનો સમાજ કેવો છે, ભારતમાં શું બની રહ્યું છે, કંપની શું કરે છે, અમલદારો કેવા છે વગેરેની જાણ પત્રો દ્વારા અથવા પ્રવાસવર્ણન કે સંસ્મરણો લખીને પોતાના વતનને કરતા હતા. બીજી બાજુ બ્રિટિશ સરકારે ઇસ્ટ ઇન્ડિયા કંપનીને ભારતમાં ધંધો કરવાનો અને રાજ કરવાનો ઈજારો યાવદ્ચન્દ્ર દિવાકરૌ નહોતો આપ્યો. આમની સભામાં દર વીસ વર્ષે ઈજારાશાહીનો ચાર્ટર રિન્યુઅલ માટે આવતો હતો. રિન્યુઅલ વખતે કંપનીના અને કંપનીના અમલદારોના ગોરખધંધા ચર્ચાનો વિષય બનતા હતા. આનાથી બચવા માટે કંપનીએ એક ખાસ પ્રકારનું વહીવટીતંત્ર અને અમલદારશાહી વિકસાવ્યાં હતાં.

નોકર દ્વારા શોષણ કરવાનું હતું, ક્ષમતાની દૃષ્ટિએ સરેરાશ નોકરથી ચલાવી લેવાનું હતું, નોકરની દરેક પ્રકારની શિથિલતાની બાબતે સહિષ્ણુ રહેવાનું હતું અને છતાં ઘરઆંગણે લોકપ્રવાદથી બચી નીકળવાનું હતું. આ ચોક્કસ હેતુ માટે ખાસ વિકસાવવામાં આવેલા વહીવટીતંત્રે અને અમલદારશાહીએ આધુનિક ભારતનો ચહેરો કંડારવામાં અને તેની નિયતિ ઘડવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું છે. ઉપર જે ચાર લક્ષણ કહ્યાં છે એ ચારેય લક્ષણ આઝાદી પછી આજે પણ જોવા મળે છે. ઇસ્ટ ઇન્ડિયા કંપની માટે ઘર આંગણે એટલે બ્રિટન અને આમની સભા હતાં અને આપણા શાસકો માટે ઘર આંગણે એટલે દેશમાં અને સંસદ થાય છે.

ગૂંચ પડેલા દોરામાં સામો છેડો જ ન જડે એવું વહીવટીતંત્ર અને અસંવેદનશીલ નોકરશાહી એ અંગ્રેજો પાસેથી મળેલો વારસો છે. આ બધાં આધુનિક ભારતનાં ઘડતરના પદાર્થો (ઇન્ગ્રેડીયનટ્સ) છે એ નહીં ભૂલતા.

e.mail : ozaramesh@gmail.com

પ્રગટ :  ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 16 ફેબ્રુઆરી 2020

Loading

16 February 2020 admin
← હું દેશોમાં વિશ્વાસ નથી કરતો, હું રાષ્ટ્રવાદી નથી, હું રાષ્ટ્રદ્રોહી છું : રજનીશ
ટ્રમ્પ-મોદીની દોસ્તીઃ સ્વાર્થનાં સગપણમાં કરોડો ખર્ચીને કેટલું મળે છે એ જોવાનો પ્રયાસ →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved