Opinion Magazine
Number of visits: 9448833
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દોષિત હોવા છતાં ન વેઠવું … 

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|10 April 2024

રવીન્દ્ર પારેખ

મિત્રો, ગયા રવિવારે આપણે એ જોયું કે દોષિત ન હોવા છતાં રામાયણનાં ત્રણ નારી પાત્રો અહલ્યા, સીતા અને ઊર્મિલાએ શું ને કેવી રીતે વેઠવાનું આવ્યું. આ રવિવારે રામાયણનાં જ અન્ય ત્રણ નારીપાત્રો દોષિત હોવા છતાં ખાસ વેઠતાં નથી તેની વાત કરીશું. આમ તો રામાયણમાં મહિમા આદર્શોનો છે. રઘુકુલ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય પર વચન ન જાય – એમને એમ નથી કહેવાયું. કોઈને વચન આપ્યું હોય તો તે પ્રાણ આપીને પણ નિભાવાય છે તે દશરથનાં ઉદાહરણ પરથી સમજાય એવું છે. રામાયણમાં મોટે ભાગે સારાં પાત્રો સારાં જ રહ્યાં છે ને ખલ પાત્રો ઘણુંખરું ખલ જ રહ્યાં છે. રામ શરૂથી અંત સુધી વીર, ધીર અને વિવેકી જ રહ્યા છે. એવું જ કૌશલ્યા, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન, વિભીષણ, સીતા, ઊર્મિલા, માંડવી … વગેરેનું પણ રહ્યું છે. ખલ પાત્રોમાં શૂર્પણખા, મેઘનાદ, મંથરા, રાક્ષસો, રાક્ષસીઓ પણ શરૂથી અંત સુધી એવાં જ રહે છે. સાધારણ માનવીમાં આવતાં પરિવર્તનો એ બધાંમાં ઓછાં જ અનુભવાય છે.

એનો અર્થ એવો નથી કે રામાયણમાં સંવેદનશીલ પાત્રોનો અભાવ છે. માનવ જીવનમાં આવતા ઉતાર-ચડાવનો અનુભવ રામાયણનાં પાત્રોમાં પણ જોવા મળે જ છે. સીતાહરણ વખતનો રામનો વિલાપ કે પુત્ર વિયોગે મરતા દશરથની પીડા બિલકુલ માનવીય છે. રાવણ અહંકારી છે તે સાથે જ મહાજ્ઞાની પણ છે. હરણ કરીને રાવણ સીતાને લંકા લઈ તો આવે છે, પણ તેને આંગળી પણ અડાડતો નથી ને અશોક વાટિકામાં રાખે છે. એ જ રાવણ, લંકા વિજયની ઇચ્છાથી રામ પૂજા કરવા ઈચ્છે છે, તો તે પૂજા કરાવવા ને તેને આશિષ આપવા પુરોહિત બને છે, એટલું જ નહીં, વિવાહિત પુરુષની પૂજા તેની પત્નીની હાજરીમાં સંપન્ન થાય એ હેતુથી, તે સીતાને પૂજામાં ઉપસ્થિત પણ કરે છે ને વિધિ સંપન્ન થતાં જ સીતાને ફરી અશોક વાટિકા તરફ પ્રયાણ કરવાની સૂચના પણ આપે છે. એ સાથે જ પૂજા સંપન્ન થતાં જ રાવણ વિજયી ભવ-ના આશિષ પણ યજમાન રામને આપે છે. આ આશિષ આપતી વખતે તે પોતાનો પરાજય પણ નોતરે છે, પણ પુરોહિતનું કર્તવ્ય તે પૂરી વફાદારીથી બજાવે છે. અહીં રાવણ ખલ પાત્ર નથી, પણ પોતાનું જ અહિત નોતરતો નાયક છે. એક તરફ શૂર્પણખાનાં અપમાનનો બદલો લેવા તે સીતાનું હરણ કરે છે ને એ જ રાવણ પત્ની વગર પૂજા અધૂરી ન રહે એટલે રામની અર્ધાંગિની તરીકે સીતાને સ્થાપિત પણ કરે છે.

આવું પરિવર્તન વિશ્રવા અને કૈકસીની સૌથી નાની પુત્રી શૂર્પણખામાં જણાતું નથી. રામના વનવાસ દરમિયાન શૂર્પણખા પંચવટીમાં આવી ચડે છે ને રામને જોતાં જ તેના પર મોહિત થઈ જાય છે. રામ પોતે વિવાહિત છે ને એક પત્નીવ્રતી છે એમ કહીને તેને ટાળે છે. શૂર્પણખા ત્યાંથી લક્ષ્મણ તરફ વળે છે ને તેને પોતાની સાથે લગ્ન કરવાનું કહે છે. લક્ષ્મણ પણ તેને નકારે છે. અપમાનિત શૂર્પણખા ક્રોધિત થાય છે ને સીતા પર હુમલો કરે છે, પણ લક્ષ્મણ તે હુમલો શૂર્પણખાનાં નાકકાન કાપીને નિષ્ફળ કરે છે. આ રીતે ઘવાયેલી શૂર્પણખા, રાવણ પાસે પરત ફરે છે ને પોતાનાં અપમાનની અને સીતાનાં સૌંદર્યની વાત કરીને રાવણને બદલો લેવાનું કહે છે. અહીં પણ દોષિત શૂર્પણખા છે, પણ તે એટલું વેઠતી નથી, જેટલું રાવણ કે સીતાએ કે રામે વેઠવાનું આવે છે.

એવું જ કૈકેયીનું પણ છે. આમ તો તે દશરથ પાસેથી અગાઉ માંગવાનાં હતાં તે વચન જ રામના રાજ્યાભિષેક વખતે માંગે છે. એ પહેલાં રામ માટે કૈકેયીને ક્યારે ય કોઈ દુર્ભાવ થયો નથી. તે ભરતની જેમ જ રામને સ્વીકારે છે. દશરથ માટે પણ કોઈ અભાવ કૈકેયીનાં મનમાં નથી. દશરથ સાથે યુદ્ધમાં તે ગઈ છે ને રથનું પૈડું નીકળી જતું તે જુએ છે ને ખીલાની જગ્યાએ રથમાં આંગળી ખોસીને રથને એટલે ચાલુ રાખે છે કે દશરથનો શત્રુ પર પ્રહાર કરવામાં વિક્ષેપ ન પડે. આ સ્નેહ ને વીરત્વ જોઈને દશરથ પ્રસન્ન થઈને કૈકેયીને બે વરદાન માંગવાનું કહે છે ને એ વરદાન તે રામનો રાજ્યાભિષેક થવા જઈ રહ્યો છે ત્યારે માંગે છે. એ વખતે તેનાં મનમાં ભરતને કેવળ ગાદી મળે એ જ લક્ષ્ય છે. આમ તો તે દોષિત નથી, દશરથ પાસે વરદાન જ માંગે છે, પણ એમ કરવા જતાં બિલકુલ નિર્દોષ રામનો હક ડુબાડવા જેવું તે કરે જ છે. એની અસરો એટલી ઊંડી અને વ્યાપક પડે છે કે તે છેક લંકા સુધી વિસ્તરે છે. તેણે રામનો રાજ્યાભિષેક થવા દીધો હોત તો વનવાસ ટળ્યો હોત, વનવાસ ટળ્યો હોત તો શૂર્પણખા લક્ષ્મણને મળી ન હોત, રાવણે અપહરણ કર્યું ન હોત કે ન તો રામરાવણ યુદ્ધ થયું હોત ! આ બધું કૈકેયીએ ભરતને ગાદી મળે એ માટે કર્યું, પણ એ ગાદી ભરત એક દિવસ પણ ભોગવતો નથી ને પરિણામ કૈકેયી પ્રત્યેની ભરતની ઘૃણામાં આવે છે. કૈકેયી દોષિત હતી, પણ તે વેઠતી નથી, વેઠે છે આખું અયોધ્યા ! જો કે, ભરત કૈકેયીને તિરસ્કારે છે તે પછી તે શરમાય છે ને પસ્તાય પણ છે. રામને મનાવવા ભરત વનમાં જવા નીકળે છે ત્યારે તે પણ અન્ય નગરજનોની સાથે મનાવવા નીકળે છે ને રામને પાછા ફરવા વીનવે છે, પણ રામ વચનપાલનથી બંધાયેલા હોઈને અયોધ્યા પાછા ફરતા નથી.

રામને પુત્ર માનતી ને ભરત કરતાં પણ એની સાથે વધુ સમય ગાળતી કૈકેયી આટલી બદલાઈ કેમ અને તે રામનો રાજ્યાભિષેક થતો કેમ રોકે છે, તેની તપાસ કરીએ તો પગેરું મંથરા તરફ નીકળે છે. મંથરા કૈકેયીની દાસી હતી અને પિયરથી તે તેની સાથે આવી હતી. શરીરે તે ત્રણ ઠેકાણેથી વાંકી હતી એટલે તે ત્રિવક્રા તરીકે પણ ઓળખાતી હતી ને કુબ્જા તરીકે પણ જાણીતી હતી. તે રાજખટપટોથી પણ પરિચિત હતી. તે જ્યારે જાણે છે કે દશરથ રામનો રાજ્યાભિષેક કરવા જઈ રહ્યા છે તો તે રાજી નથી. આ વાત તે ક્રોધથી કૈકેયીને જણાવે છે. કૈકેયી પ્રસન્ન થઈને મંથરાને મોતીનો હાર આપે છે. રામના રાજ્યાભિષેકથી પ્રસન્ન કૈકેયીને મંથરા એમ કહીને ચડાવે છે કે રામ રાજા થશે, પછી ભરતનું શું? તે કૈકેયીને બે વરદાન માંગવાનું સૂઝાડીને રામ માટે વનવાસ અને ભરત માટે ગાદી માંગવાનું કહે છે. ભરતને ખબર પડે છે કે માતા કૈકેયીએ મંથરાના કહેવાથી વરદાન માંગ્યાં છે તો તે બંને પર ક્રોધે ભરાય છે. મંથરાને આ ખટપટથી કૈં મળવાનું ન હતું, પણ તે કૈકેયી અને ભરતનું ભલું કરવા જતાં અનેક અનિષ્ટોનું નિમિત્ત બને છે. એને વેઠવાનું ખાસ થતું નથી, પણ એને લીધે અન્યોને ઘણું વેઠવાનું થાય છે. દશરથનું મૃત્યુ, રામનો વનવાસ અને ભરતને ગાદી જેવી મોટી ઘટનાઓ એને નિમિત્તે બને છે. કૈકેયીને પસ્તાવાનું થાય છે. પસ્તાવાનું તો મંથરાને પણ થાય છે.

તે કૈકેયી સાથે રામને ફરી અયોધ્યા બોલાવવા પણ જાય છે. વનવાસ પછી રામ અયોધ્યા પધારે છે ત્યારે રામનો રાજ્યાભિષેક 14 વર્ષે થાય છે. એ પ્રસંગે મંથરા શરમની મારી રામની સામે નથી આવી શકતી. રામ તેની પૃચ્છા કરે છે તો જાણ થાય છે કે મંથરાને પોતાનાં કૃત્યનો ભારોભાર પસ્તાવો છે અને તે 14 વર્ષથી રામની માફી માંગવાની રાહ જોઈ રહી છે. તે જે અંધારા ઓરડામાં હતી, ત્યાં રામ જાય છે તો જુએ છે કે મંથરા જમીન પર સૂતી છે.  રામને સીતા, લક્ષ્મણ સાથે પધારેલાં જોઈને તે માફી માંગે છે ને રામ તેને માફ કરી પણ દે છે.

આમ તો મંથરા, શૂર્પણખા રામાયણનાં અત્યંત ગૌણ પાત્રો છે, નાનાં પાત્રો છે, પણ તે પરિણામો મોટાં આપે છે. મંથરા સીધી તો કશામાં સંડોવાતી નથી, તે કૈકેયી દ્વારા ભરતનું હિત ઈચ્છે છે, આ પણ તેને કોઈએ કહ્યું નથી, પણ શરૂથી જ તે કૈકેયીની સાથે રહી છે અને તેની સાથેનો લગાવ જ કૈકેયીની મતિ ભ્રષ્ટ કરવાનું કારણ બને છે ને પરિણામ દશરથનાં મૃત્યુ અને રામના વનવાસમાં આવે છે. આમ તો શૂર્પણખા પણ દોષિત છે ને તે સીતાહરણનું નિમિત્ત બને છે ને એ દ્વારા જ રાવણનાં મૃત્યુનું કારણ પણ બને છે. ધોબી રામાયણમાં કેટલું નગણ્ય પાત્ર છે, પણ તે સીતાનાં પુનર્વનવાસનું નિમિત્ત બને છે. મહાકાવ્યોની ખાસિયત એ છે કે મોટાં પરિણામો સાવ નાનાં પાત્રો દ્વારા આવતાં હોય છે. મહાકાવ્યોની સૃષ્ટિ એવી છે કે તે કથારસ ઉપરાંત અર્થઘટનોની અનેક શક્યતાઓ પણ પૂરી પાડે છે. એટલે જ તો આટલા વિકાસ પછી પણ રામાયણ જેટલી વાર જે રૂપે સામે આવે છે, તેમાં ઊતરવાનું ગમે જ છે. એ જ કારણ છે કે રામ નવ પલ્લવિત થઈને વારંવાર આપણાં જીવનમાં પ્રગટતાં રહે છે. રામનો વનવાસ તો યુગો પહેલાં પૂરો થયો, પણ એમનો આપણામાં થયેલો મનવાસ તો કૈં યુગો પછી પણ પૂરો થાય એમ નથી. આપણે ખૂટીશું, પણ રામ નહીં ખૂટે એટલું નક્કી છે …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘સ્ત્રી સશક્તિકરણ’ નામક લેખકની કટાર, ‘મેઘધનુષ’ પૂર્તિ, “ગુજરાત ટુડે”, 07 ઍપ્રિલ 2024

Loading

10 April 2024 Vipool Kalyani
← કબૂલ કે કેજરીવાલ જે.પી. જનતા પર્વના ઉત્તરાધિકારી નથી, છતાં … જયપ્રકાશના આંદોલન પછીની એક મોટી ઘટના માટે કોણ જવાબદાર?
आज की चुनौती : कल का दायित्व  →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved