Opinion Magazine
Number of visits: 9511791
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ધીરે ધીરે સુધારાનો સાર સંભળાવતું વેનચરિત્ર

દીપક મહેતા|Opinion - Literature|18 January 2020

કાળચક્રની ફેરીએ

૧૯મી સદીમાં ગુજરાતમાં સમાજ સુધારાની જે પ્રવૃત્તિ જોરશોરથી ચાલી તેના પ્રત્યેના કવિ દલપતરામના અભિગમને આ પંક્તિ સ્પષ્ટ રીતે વ્યક્ત કરે છે:

‘સ્નેહ સહીત સંભળાવજો, ધીરે ધીરે સુધારાનો સાર’.

(અવતરણ ચિહ્નોમાં બધે જોડણી મૂળ પ્રમાણે)

૧૮૬૮માં પહેલી વાર પ્રગટ થયેલ ‘વેનચરિત્ર’નો એક વાક્યમાં પરિચય આપવો હોય તો કહી શકાય કે આ જાણીતી પંક્તિ જેમાં આવે છે તે કાવ્ય એટલે વેનચરિત્ર. લગભગ ૧૫૦૦ પંક્તિનું આ કાવ્ય દલપતરામનું કદાચ લાંબામાં લાંબુ કાવ્ય છે. તેમની બીજી ઘણી ગદ્ય અને પદ્ય કૃતિઓની જેમ વેનચરિત્ર પણ પ્રેરિત રચના છે. ગોપાળરાવ હરિ દેશમુખની ‘ફરમાસ’ પરથી દલપતરામે આ દીર્ઘ કાવ્ય લખ્યું હતું અને તેને માટે પાલીતાણાના દરબાર તરફથી તેમને ૭૫૦ રૂપિયાનું ઇનામ મળ્યું હતું. મહારાષ્ટ્રમાં ‘લોકહિતવાદી’ના ઉપનામથી ઓળખાતા ગોપાળ હરિ દેશમુખ (૧૮૨૩-૧૮૯૨) ૧૯મી સદીના મરાઠી સાહિત્યના અને મહારાષ્ટ્રની સમાજ સુધારા માટેની ચળવળના એક અગ્રણી હતા. ૧૮૬૭થી ૧૮૭૬ સુધી તેમણે અમદાવાદમાં સ્મોલ કોઝ કોર્ટના જજ તરીકે કામ કર્યું હતું. અમદાવાદના પ્રાર્થના સમાજની સ્થાપનામાં તેમનો મહત્ત્વનો ફાળો હતો. આ ઉપરાંત પુનર્વિવાહ મંડળ અને ગુજરાતી વક્તૃત્ત્વ મંડળની તેમણે અમદાવાદમાં સ્થાપના કરી હતી. ૧૮૭૩થી ૧૮૭૭ સુધી તેઓ ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના ઓનરરી સેક્રેટરી હતા. ઋણસ્વીકાર કરવામાં દલપતરામ ક્યારે ય કરકસર ન કરતા. ‘વેનચરિત્ર’નાં બે પદ – ૧૪૧, ૧૪૨ — માં તેમણે ગોપાળરાવનો પરિચય આપ્યો છે અને કહ્યું છે:

‘સ્માલકાજ કોરટમાં આજે, અમદાવાદ મોઝાર,
જે છે સાહિબ જજ્જ જુવો, પ્રતિ માસ સહસ્ર પગાર.
આ પુસ્તકથી એ સાહેબનું મનરંજન કરી લીધું,
અધિક મદદ એણે આપી, કવિનું મનરંજન કીધું.
જ્યાં સુધી આ પુસ્તક જગમાં રહેશે ઠામોઠામ,
ત્યાં સુધી આ ઉદાર નરનું  અવિચળ રહેશે નામ.’

વેનચરિત્ર વિષે વધુ વાત કરતાં પહેલાં તેના સમયની કેટલીક ઘટનાઓની વાત કરી લઈએ. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર વિધવા વિવાહના પ્રખર હિમાયતી હતા. આ અંગે કાયદો ઘડવા માટે તેમણે તથા તેમના સાથીઓએ લેજિસલેટિવ કાઉન્સિલને અરજી કરી હતી. આ અરજીનો વિરોધ કરતી અરજી રાધા કાન્ત દેવ અને ‘ધર્મસભા’એ કરી હતી. તેના પર સહી કરનારાઓની સંખ્યા ઈશ્વરચંદ્રની અરજી પર સહી કરનારાઓ કરતાં ચારગણી હતી. પણ ગવર્નર જનરલ લોર્ડ ડેલહાઉસીએ ઈશ્વરચંદ્રની અરજી સ્વીકારી એટલું જ નહિ, તેમણે જાતે આ અંગેના કાયદાનો ખરડો તૈયાર કર્યો. ૧૮૫૬ના જુલાઈની ૨૬મી તારીખે ‘હિંદુ વિડોઝ રિમેરેજ એકટ’ પસાર થયો અને સમગ્ર બ્રિટિશ ઇન્ડિયામાં લાગુ કરવામાં આવ્યો. એટલે કે વેનચરિત્ર લખાયું છે વિધવાવિવાહનો કાયદો થયા પછી. સમાજ સુધારકો પણ જાણતા હતા કે માત્ર કાયદાથી આ સુધારો થઈ શકે તેમ નથી. એટલે લોકોમાં જાગૃતિ લાવવા તેમણે જુદે જુદે સ્થળે વિધવાવિવાહને પ્રોત્સાહન આપતી સંસ્થાઓ કે સભાઓ ઊભી કરી, ગદ્ય અને પદ્ય કૃતિઓ તૈયાર કરી કે કરાવી, અખબારો અને ચોપાનિયાં દ્વારા વિધવાવિવાહનો પ્રચાર કર્યો. દલપતરામની આ રચના એ વ્યાપક પ્રયત્નના એક પ્રેરિત ભાગ રૂપે જ જોવી ઘટે, દલપતરામના વ્યક્તિગત સાહસ તરીકે નહિ.  

બીજી કૃતિઓની જેમ વેનચરિત્રમાં પણ દલપતરામ પરંપરાગત પદ્યરચનાનો ઉપયોગ કરે છે. પ્રેમાનંદની કવિતા ચડે કે શામળની, એવો જાહેર વિવાદ ઊભો કરી શામળને ચડિયાતો કવિ ગણાવનાર દલપતરામ વેનચરિત્રમાં શામળની પદ્યવાર્તાના નહિ, પણ પ્રેમાનંદના આખ્યાનના ઘાટનો ઉપયોગ કરે છે એ ખાસ નોંધવું જોઈએ. વિસ્તાર અને અતિશયતા એ દલપતરામનાં લખાણોની એક ખાસિયત છે. અહીં પણ તેમણે ૪૨ જેટલી દેશીનો ઉપયોગ કર્યો છે. પણ ભાવાનુકૂળ અભિવ્યક્તિ એ દલપતરામનું ધ્યેય નથી, વૈવિધ્ય અને વિસ્તાર એ જ ધ્યેય છે. કૃતિના ખંડોને  ‘કડવું’ને બદલે તેમણે ‘ભાગ’ કહેવાનું પસંદ કર્યું છે. કુલ ૧૨ ભાગમાં તેમણે ૧૪૪ ‘પદ’ યોજ્યાં છે. લગભગ દરેક પદ પછી ‘દોહરો’ પણ આવે છે. આખ્યાનના બાહ્ય ઘાટનું દલપતરામ અનુકરણ કરે છે ખરા, પણ પ્રેમાનંદનું અનુસરણ કરતા નથી, બલકે કવિત્વની નીજી મર્યાદાને કારણે કરી શકતા નથી.

આ લાંબી કૃતિને આરંભે દલપતરામે બે ઉદ્દેશ નજર સામે રાખ્યા છે: બાળલગ્નનો નિષેધ અને પુનર્વિવાહનું સમર્થન. હકીકતમાં ત્યારે આ બંને પરસ્પર સંકળાયેલાં હતાં. એક ખોટા સિક્કાની બે બાજુ જેવા હતા. બાળલગ્નનો વિરોધ કરતાં તેઓ કહે છે :

‘બાળપણમાં બાળનાં, નવ કરવાં લગન;
જો કરીએ જાણી જોઈને, વડું ઉપજે વિઘન.’

એ વખતે આખા દેશમાં બાળમૃત્યુ દર ઘણો ઊંચો હોવાને લીધે બાળવિધવાઓ સમાજમાં મોટી સંખ્યામાં જોવા મળતી. પત્ની મરી જતાં કોઈ પણ પુરુષ તરત બીજું લગ્ન કરે એ સ્વાભાવિક ગણાતું. આમ, પુરુષોના પુનર્લગ્ન અંગે તો કશી મુશ્કેલી હતી જ નહિ. પણ ‘ઉજળિયાત’ કહેવાતી જ્ઞાતિઓમાં બાળવિધવાઓનાં ફરી લગ્ન થઈ શકતાં નહિ. અહીં દલપતરામે જે હિમાયત કરી છે તે ફક્ત સોળ વરસ કરતાં ઓછી ઉંમરની વિધવાનાં પુનર્લગ્નની કરી છે. સોળ વરસ કરતાં મોટી ઉંમરની વિધવાએ તો વૈધવ્ય પાળવું જોઈએ એમ તેમણે એક કરતાં વધારે વાર સૂચવ્યું છે. તેઓ કહે છે :

જે રાંડે વય સોળ વરસમાં, તે કરવી માંડેલી જી;
એ ઉપરાંત ઉપરની રાંડે રાખજો તે રાંડેલી જી.

એટલું જ નહિ, બાળવિધવાનાં પુનર્લગ્ન પણ તેનાં પિયરિયાંની સંમતિથી થવાં જોઈએ એમ દલપતરામ કહે છે. કારણ :

સોળ વરસની વયની અંદર, સ્ત્રી કાચી અકલ કહેવાય;
પીયરરિયાંની સલાહ વિના પરણે તો પતિ દંડાય.

બીજી નોંધપાત્ર બાબત એ છે કે બાળવિધવાનાં પુનર્લગ્નની તેઓ હિમાયત કરે છે ખરા, પણ તે લગ્ન સ્વજ્ઞાતિમાં થવાં જોઈએ એવું સ્પષ્ટપણે કહે છે. બાળલગ્નનો વિરોધ અને વિધવાવિવાહની તરફેણ કરનાર દલપતરામ જ્ઞાતિનાં બંધનોનો વિરોધ કરતા નથી, કરી શકતા નથી. જો કે આ માટે દલપતરામને દોષ ન દઈ શકાય. આ કૃતિ રચાઈ તેને આજે ૧૫૦ વર્ષ પૂરાં થયાં છે. છતાં લગ્ન જેવી કેટલીક બાબતોમાં હજી જ્ઞાતિવાદની પકડ બહુ ઢીલી થઈ નથી – મોટાં શહેરોને બાદ કરતાં. વળી દલપતરામ બાળવિધવાનાં પુનર્લગ્નની હિમાયત કરતાં જે દલીલો કરે છે તે વ્યક્તિલક્ષી નહિ પણ સમાજલક્ષી છે. અહીં બાળવિધવાના વ્યક્તિસ્વાતંત્ર્યની તો વાત જ નથી. પણ બાળવિધવાઓને કારણે ગર્ભપાત, બાળહત્યા, અવૈધ શરીરસંબંધો, બાળવિધવાનું યૌન અને અન્ય રીતનું શોષણ, નિયોગ પદ્ધતિ,  જેવાં દૂષણો સમાજમાં જોવા મળે છે તેની જ ચિંતા અહીં જોવા મળે છે અને આ બધાં સામાજિક દૂષણો દૂર કે ઓછાં કરવા માટે દલપતરામ બાળવિધવાનાં પુનર્લગ્નની હિમાયત કરે છે. અલબત, એ વખતે આપણે ત્યાં વ્યક્તિકેન્દ્રી નહિ પણ સમાજકેન્દ્રી વિચારણા પ્રચલિત હતી એટલે આમ થવું સ્વાભાવિક ગણાય.

આ બે મુખ્ય બાબતો ઉપરાંત સમાજમાં જોવા મળતાં બીજાં કેટલાંક દૂષણો કે કુરિવાજો દૂર કરવાની હિમાયત પણ દલપતરામે કરી છે. જેમ કે મરનાર પાછળ રોવા-કૂટવાનો રિવાજ, જ્યોતિષ વગેરેમાં અંધશ્રદ્ધા, શુકન-અપશુકન, જન્માક્ષર વગેરે અંગેના વહેમ, જ્ઞાતિનાં બંધનો, વગેરે. તો બીજી બાજુ દલપતરામ કન્યા કેળવણીની હિમાયત પણ કરે છે :

નાનકડીને મોકલો ને નિશાળે; વિદ્યાથી થશે બુદ્ધિ વિશાળે.
બાળપણથી નિશાળે જો બેસે, પૂરા પંડમાં સદ્ગુણ પેસે.

વિધવાવિવાહનો પુરસ્કાર કરવા માટે દલપતરામે જે કથા આલેખી છે તે ૧૯મી સદીના ગુજરાતની નહિ, પણ જૂના પૌરાણિક કાળની છે. ૧૯મી સદીના ગુજરાતમાં પ્રવર્તતાં વિધવાજીવનનાં પ્રશ્નો અને સમસ્યાને પૌરાણિક કાળમાં મૂકવાથી ઐતિહાસિક વાતાવરણનો દ્રોહ થાય છે એ વાત તો સુધારાના ઉત્સાહમાં કાં ધ્યાન બહાર ગઈ છે, કાં વિધવાવિવાહની પ્રાચીનતા સિદ્ધ કરવા ખાતર તેમણે એ જોખમ ઉઠાવી લીધું છે. અહીં કથા પ્રમાણમાં આછી-પાતળી છે, પણ વર્ણનો, આડ વાતો વગેરેથી કૃતિને ઘણી લંબાવી છે. પ્રેમાનંદનાં આખ્યાનો લાંબાં હોય ત્યારે ય ખેંચીને લાંબાં કરેલાં લાગતાં નથી. કથા દૃષ્ટિએ જોતાં લગ્નવિધિ થયા પછી તરત બાળ-વરરાજા બીજા દોસ્તો સાથે રમવા ચાલ્યો જાય અને અકસ્માતને કારણે લગ્ન પછી થોડા જ કલાકમાં તેનું મૃત્યુ થાય એ આ કથાની એક નબળી કડી છે. તેવી જ રીતે કાવ્યના અંત ભાગમાં ફરી પરણેલી વિધવાની દીકરી જે નિશાળમાં ભણવા જાય છે તે દલપતરામે જ શરૂ કરાવેલી કન્યાશાળા હોય એ વાત પણ પૌરાણિક કાળમાં બંધબેસતી કઈ રીતે થાય? કૃતિના જુદા જુદા પ્રસંગો દ્વારા રસ વૈવિધ્ય સાધવાનો પ્રયત્ન દલપતરામે કર્યો છે ખરો, પણ વિવિધ રસોનું જેવું રસાયણ પ્રેમાનંદમાં જોવા મળે છે તેવું અહીં જોવા મળતું નથી. સમગ્ર કૃતિને કલાત્મક ઘાટ મળે છે કે નહિ તેની ચિંતા દલપતરામે બહુ કરી નથી. ‘અર્વાચીન કવિતા’માં સુન્દરમે યોગ્ય રીતે જ કહ્યું છે કે “કાવ્યના રસો બનાવટી, અનૌચિત્યભર્યા અને ઘણા છીછરા છે. પાત્રોમાં આભિજાત્યનો અભાવ, કથાનક્માં સુરેખતાની ખામી, અને રસોમાં કૃત્રિમતા, આ કાવ્યની મોટી ખામીઓ છે, અને તે દલપતરામની એક મોટી કૃતિ હોવા છતાં તેને ઊંચી કૃતિ તરીકેનું સ્થાન અપાવવામાં મોટી નડતર બને છે.”

બાળવિધવાના પુનર્લગ્નનો પુરસ્કાર કરતી આ કૃતિ પહેલાં પણ દલપતરામે બીજી એક ગદ્ય કૃતિ આ જ વિષય અંગે લખી હતી. અને તે પણ ૧૮૫૬માં હિંદુ વિધવાના પુનર્લગ્ન વિશેનો કાયદો પસાર થયો તે પહેલાં, ૧૮૫૩માં. પણ તે તરફ ભાગ્યે જ કોઈનું ધ્યાન ગયું છે. ‘દલપત કાવ્ય’ના પહેલા ભાગની ૧૮૯૬માં પ્રગટ થયેલી બીજી આવૃત્તિમાં દલપતરામની કુલ ૨૫ કૃતિઓની વિગતવાર યાદી આપી છે. યાદીને અંતે દ.ડા. એવી દલપતરામની ટૂંકી સહી પણ મૂકી છે. આ યાદીમાં છઠ્ઠે ક્રમે ‘પુનર્વિવાહ પ્રબંધ’ નામની કૃતિ નોંધી છે. મુંબઈની જ્ઞાન પ્રસારક સભા(હકીકતમાં મંડળી)ની જાહેર ખબરને કારણે આ કૃતિ લખાઈ હતી અને તેને એ સંસ્થા તરફ્થી ૧૫૦ રૂપિયાનું ‘ઇનામ’ મળ્યું હતું એવી નોંધ પણ કરી છે. સર એલેક્ઝાન્ડર ગ્રાન્ટની સૂચિમાં દલપતરામને નામે આ પુસ્તક નોંધાયું છે ખરું, પણ તેની પ્રકાશન સાલ આપી નથી અને પ્રકાશક તરીકે ગુજરાત વર્નાક્યુલર સોસાયટીનું નામ આપ્યું છે. ગુજરાત સાહિત્ય અકાદમીએ દલપતરામનું સમગ્ર સાહિત્ય ‘દલપત ગ્રંથાવલિ’ના પાંચ દળદાર ગ્રંથોમાં પ્રગટ કર્યું છે, પણ તેમાં આ કૃતિ જોવા મળતી નથી. દલપતરામ વિષે વિગતે વાત કરતાં વિવેચનોમાં પણ તેનો ઉલ્લેખ જોવા મળતો નથી. આમ થવાનું કારણ એ છે કે ૧૮૫૩માં જ્યારે તે પ્રગટ થઈ ત્યારે કર્તાની વિનંતી સ્વીકારીને જ્ઞાન પ્રસારક મંડળીએ તે કર્તાના નામ વગર પ્રગટ કરી હતી. એ પુસ્તકમાં ‘વીનંતી પતર’ છાપ્યું છે તેમાં આ હકીકત જણાવી છે.

એટલે કે ‘દલપત કાવ્ય’માંની યાદીમાં જે ‘પુનર્વિવાહ પ્રબંધ’નો ઉલ્લેખ છે તે આ જ કૃતિ. તેની જે એક નકલ જોવા મળી તેમાં ટાઈટલ પેજ નથી, પણ ‘વીનંતી પતર’માંનું લખાણ વાંચતાં જણાય છે કે આ પુસ્તક જ્ઞાન પ્રસારક મંડળીએ જ ૧૮૫૩માં પ્રગટ કરેલું, ગુજરાત વર્નાક્યુલર સોસાયટીએ નહિ. કુલ ૨૬ ‘વિરામ’માં વહેંચાયેલી આ કૃતિ દલપતરામની પહેલી ગદ્ય કૃતિ ‘ભૂતનિબંધ’ની જેમ કેટલેક અંશે કથાત્મક છે.

દલપતરામનાં ટૂંકાં કાવ્યો – ખાસ કરીને હાસ્ય-રમૂજ પ્રેરક કાવ્યો – આજ સુધી જીવતાં રહ્યાં છે, પણ વેનચરિત્ર જેવું તેમનું લાંબુ અને મહત્ત્વાકાંક્ષી કાવ્ય બહુ થોડા અભ્યાસીઓને બાદ કરતાં ભૂલાઈ ગયું છે. પણ એક જમાનામાં તે સારું એવું લોકપ્રિય થયું હોવું જોઈએ. કારણ ૧૮૬૮થી ૧૯૦૪ સુધીમાં તેની ચાર આવૃત્તિ પ્રગટ થઈ હતી. પણ એક તો વેનચરિત્રમાં જેટલી મહત્ત્વાકાંક્ષા છે તેટલી લાંબી કાવ્યકૃતિને સાદ્યંત સંભાળવાની સજ્જતા નથી. અને બીજું, બાળલગ્ન, અને વિધવાવિવાહ પરનો સામાજિક પ્રતિબંધ એ આજના સમાજના સળગતા પ્રશ્નો રહ્યા નથી. એટલે આ કૃતિ તરફ આજે બહુ ઓછાનું ધ્યાન જાય છે.

છેલ્લે, વેનચરિત્રના અંતે દલપતરામે તેનું શ્રુતિફળ આપતાં જે લખ્યું છે તેની ચાર પંક્તિ :

ગંગા, જમના, સરસ્વતી ને, સાભ્રમતી ને રેવા;
આ શુણશે તેને થઈ ચૂકી, સૌ તીરથની સેવા.
કથા પવિત્ર સમાધિ કરતાં, કહે કવિજન કરજોડ;
શ્રોતાજન સૌ સ્નેહે બોલો, જય જય શ્રીરણછોડ.

Flat No. 2, Fulrani, Sahitya Sahavas, Madhusudan Kalelkar Marg, Kalanagar, Bandra (E), Mumbai 400 051

Email: deepakbmehta@gmail.com

સૌજન્ય : “શબ્દસૃષ્ટિ”, જાન્યુઆરી 2020

Loading

18 January 2020 admin
← સરકારને એમ પૂછવું પડે કે આવું શાને થાય છે, વિદ્યાર્થીઓને માર મારીને ગુંડા નીકળી જાય છે
બિપિન રાવત પહેલાં કોઈ પણ લશ્કરી અધિકારીએ શું આટલા રાજકીય નિવેદનો કર્યા છે ? →

Search by

Opinion

  • વિશ્વવિજયી મહિલા ક્રિકેટર ખેલાડીઓ : સિદ્ધિ પહેલાંના સંઘર્ષો 
  • ઓગણીસમી સદીની એક બહુરૂપી પ્રતિભા 
  • નાગરિકોનો મતાધિકાર ઝૂંટવી લેવાનું કાવતરું એટલે SIR? 
  • લોકોએ જે કરવું હતું એ જ કર્યું !
  • વિશ્વધાનીમાં મેયર મમદાની : ફૂટતું પ્રભાત ને સંકેલાતી રજની

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ગઝલ
  • ગઝલ
  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved