Opinion Magazine
Number of visits: 9448730
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ધર્મસંસ્થાનો હઈડો સંભળાવા લાગ્યો છે એ બહુ રાજી થવા જેવી ઘટના છે

રમેશ ઓઝા|Opinion - Opinion|28 August 2017

શુક્રવારની ઘટના ગમગીન હોવા છતાં મનમાં ઊંડે-ઊંડે એક પ્રકારના રાજીપાનો અનુભવ પણ થઈ રહ્યો છે કે ચાલો, ધર્મસંસ્થા એના અંત તરફ ઝડપથી આગળ વધી રહી છે.

ધર્મસંસ્થાનો નાભિશ્વાસ ચાલી રહ્યો છે. દેહ ર્જીણ થઈ જાય અને મૃત્યુ નજીક આવે ત્યારે ધીરે-ધીરે શ્વાસ શરીરનાં બીજાં અંગોમાંથી સમેટાતો જાય છે અને કેવળ નાભિથી લઈને શ્વાસનળી વચ્ચે ચાલે છે. દેશી ભાષામાં આને નળો કહેવામાં આવે છે અને મૃત્યુ પામનાર માણસનો શ્વાસ જ્યારે નળામાં ચાલતો હોય છે ત્યારે જોર-જોરથી અવાજ આવે છે (કાઠિયાવાડમાં એને હઈડો કહે છે). આને શિષ્ટભાષામાં નાભિશ્વાસ કહે છે જે મૃત્યુનો સંકેત આપે છે. વિનોબા ભાવેએ કહ્યું હતું કે ધર્મ ઔર રાજનીતિ કે દિન લદ ગએં હૈં. વિનોબા આ દ્વારા શું કહેવા માગતા હતા એની વાત આ લેખમાં આગળ જતાં સ્પષ્ટ થતી જશે.

ગઈ કાલે કહ્યું હતું એમ મોટા ભાગના (અહીં પહેલાં મેં કેટલાક એવો શબ્દ લખ્યો હતો, પરંતુ એ પછી દરેક ધર્મ અને જાણીતા ધર્મગુરુઓ પર બારીક નજર કર્યા પછી એમ લાગ્યું હતું કે કેટલાકની જગ્યાએ મોટા ભાગના શબ્દ ઉચિત રહેશે) ખ્યાતિપ્રાપ્ત ધર્મગુરુઓ ધર્મનો અફીણ તરીકે, વેપાર તરીકે, રાજકારણ માટે અને પેટ્રોલ તરીકે એકસાથે ઉપયોગ કરી રહ્યા છે. તેઓ હજારો એકર જમીન ધરાવે છે. તેઓ ધંધો કરે છે અને કેટલાકે શાસકોને સાધીને વાણિજ્ય સામ્રાજ્યો ઊભાં કર્યાં છે. કેટલાક આશ્રમોમાં પાપલીલા આચરે છે, કેટલાક રીતસર રાજકારણ કરે છે અને સત્તા ભોગવે છે, કેટલાક રાજકારણીઓને આર્શીવાદ આપે છે અને જે-તે રાજકીય પક્ષોને મત આપવાની સલાહ આપે છે, કેટલાક મહાવીરસ્વામીને શરમ આવે એવી વાણીમાં બોલે છે. જગતને ઉદારતાનો સર્વોત્તમ સંદેશ આપનારા અનેકાંતવાદથી વિપરીત તેમની વાણી હોય છે.

ધર્મગુરુઓ આમ ચિડાઈને, ગુસ્સે થઈને મોટે-મોટેથી શા માટે ઉપદેશ આપતા હોય છે એવો સવાલ એક દિવસ મેં મારા એક મિત્રને પૂછ્યો હતો. તેણે જવાબ આપ્યો હતો કે શ્રોતા વિચારી ન શકે એટલા માટે. શ્રોતા ધર્મગુરુની થિયેટ્રિકલ ભાષા અને બૉડી-લૅન્ગ્વેજમાં એટલો પરોવાઈ જાય કે નેતા કે ધર્મગુરુ શું બોલે છે એની ચકાસણી જ ન કરે. જે. કૃષ્ણમૂર્તિ એક મિત્ર મિત્રો સાથે બેસીને વાત કરતા હોય એમ ગંભીર વાત કહેતા હતા. તમે કોઈ ધર્મગુરુને મિત્રભાવે ગંભીર વાત કહેતા સાંભળ્યા છે? નહીં સાંભળ્યા હોય. એ રીતે નેતાઓ પણ નથી બોલતા જે રીતે એક જમાનામાં એમ.એન. રૉય બોલતા હતા. નેતા જાણે કે ક્રાન્તિ કરવા કેસરિયા કરીને બહાર પડ્યો હોય એમ બરાડા પાડીને બોલે છે. જો મિત્ર તરીકે વાત કરે તો શ્રોતા વિચારમાં ભાગીદાર બની જાય. આ તેમને પરવડતું નથી. શ્રોતા ભક્ત બની રહેવો જોઈએ, વિચાર-વિમર્શમાં ભાગીદાર સહચિંતક નહીં.

આમ ખ્યાતવાન ધર્મગુરુઓ એકથી એક બત્રીસલક્ષણા છે. એક ખ્યાતનામ ધર્મગુરુએ દાયકા પહેલાં વિશ્વશાંતિ ખાતર મુંબઈમાં વિશ્વધર્મ પરિષદ બોલાવવાનો વિચાર કર્યો. તેમના એક સહાયક સાધુએ મારી મદદ માગી અને સર્વધર્મ સંવાદમાં કયા-કયા ધર્મના કયા ધર્મગુરુને બોલાવવા એની યાદી બનાવવા અમે સાથે બેઠા. તેઓ ધર્મગુરુઓના જે નામ સૂચવતા હતા એ ગામના ઉતાર જેવા હતા. મેં એ ધર્મગુરુએ સૂચવેલાં નામો સામે વાંધો લીધો અને તેમનાં કરતૂતોની જાણકારી આપી ત્યારે તેમણે કહ્યું હતું કે હા, એવું હશે; પરંતુ તેઓ જાણીતા છે. બીજા દિવસથી તેમણે મને બોલાવવાનું બંધ કરી દીધું હતું. આ બાજુ મારી પણ આંખ ઊઘડી હતી કે ધર્મસંવાદ એક ઢોંગ માત્ર છે. જેને અધ્યાત્મનાં રહસ્યો સમજાયાં છે એ રૂઢ અર્થમાં ધાર્મિક ન હોય અને જે રૂઢ અર્થમાં ધાર્મિક હોય એ અંદરથી સાવ ખાલીખમ હોય. તે સંવાદ કઈ રીતે સાધી શકે? તે શ્રોતા સાથે જે. કૃષ્ણમૂર્તિની માફક વાતચીતનો સંબંધ કેવી રીતે વિકસાવી શકે? વધુમાં વધુ તે ભસી શકે અને સ્ટેજ પરથી બે ટુચકા બે ડૂસકાંનાં નાટકો કરી શકે, શ્રોતા સાથે વાતચીત ન કરી શકે.

જે બાજુમાં બેસીને મિત્ર તરીકે ઉપદેશ આપે તે જ્ઞાની અને જે સામાન્ય માણસને દૂર ટોળાનો ભાગ બનાવી રાખીને દિવસરાત VIPઓને શોધતો ફરતો હોય અને કેવળ VIP માટે ઉપલબ્ધ હોય તે ઢોંગી. છેતરપિંડીથી બચવા માટેની આ ગુરુચાવી હું તમને આપું છું. આમ પણ ઉપદેશ શબ્દમાં ઉપનો અર્થ નજીક એવો થાય છે. જે નજીકમાં બેસાડીને સંસારનાં રહસ્યોનો સંદેશ આપે એ ઉપદેશ.

એક ધર્મગુરુના નેતાઓ સાથેનાં પોસ્ટરો હજી મહિના-બે મહિના પહેલાં તમે જોયાં હશે. આખા શહેરને પોસ્ટરોથી છલકાવી દેવામાં આવ્યું હતું. હું મનોમન વિચારતો હતો કે જે સંતને પોતાનું સંતત્વ સિદ્ધ કરવા માટે રાજકારણીઓના ખભાની જરૂર પડે એ કેવા સંત હશે? બીજું, કોણ મહાન? રાજકારણી કે સંત? કોનો ખભો મોટો? રાજકારણીનો કે સંતનો? રાજકારણી જાહેરમાં લોકો સામે પગે લાગે અને નીચા આસને બેસે એ ભાગીદારીની શરતમાત્ર છે, બાકી રાજકારણી પણ જાણતો હોય છે કે ભાઈ કેવા છે. NDTV હિન્દીના પ્રાઇમ ટાઇમના ઍન્કર રવીશ કુમારે માત્ર એક વાક્યમાં બહુ માર્મિક વાત કહી હતી. પંચકુલામાં ગુરમીતના જે અનુયાયીઓ એકઠા થયા હતા તેઓ હથિયાર લઈને આવ્યા હતા, મીઠાઈ લઈને નહોતા આવ્યા. કહેવાનું તાત્પર્ય એ કે અનુયાયીઓને પણ જાણ હતી કે આપણા ગુરુ કેવા છે અને ચુકાદો શું આવવાનો છે.

ધર્મ ઔર રાજનીતિ કે દિન લદ ગએં હૈં એમ કહ્યા પછી વિનોબાએ આગળ ખુલાસો કર્યો હતો કે આ બન્ને સંસ્થા સમાજને જોડનારી નથી, તોડનારી છે એટલે એમનો સૂર્યાસ્ત નજીક છે. આ બન્ને સંસ્થાઓ પોતાને ટકાવી રાખવા લોકોની અંદર દ્વેષ ભરવાનું કામ કરે છે એટલે બન્ને સંસ્થા હિંસાનું કારણ છે. આ બન્ને સંસ્થા એકબીજા સાથે ભાગીદારીમાં કામ કરે છે એટલે બન્ને પરસ્પરના વિનાશનું કારણ બનવાની છે. આ બન્ને સંસ્થાઓનો સ્થાપિત હિતો અને ગુંડાઓ ઉપયોગ કરી રહ્યા છે એટલે તેઓ આગમાં પેટ્રોલ નાખવાનું કામ કરી રહ્યા છે. આ બન્ને સંસ્થાઓ લક્ષ્મીની ગુલામ છે અને તેમના પગમાં આળોટે છે.

ધર્મ ઔર રાજનીતિ કે દિન લદ ગએં હૈં એમ જ્યારે વિનોબાએ કહ્યું છે તો એનો અર્થ એવો નથી કે આવનારાં થોડાં વર્ષોમાં એનો સૂર્યાસ્ત થઈ જવાનો છે. મધ્યાહ્ન પછી પશ્ચિમ તરફ ઢળતા સૂર્યને પણ અસ્ત થતાં છ-સાત કલાક લાગે છે. જેમ બપોર પછી સાંજ આવે અને પ્રકાશ ઘટતો જાય એમ ધર્મસંસ્થા અસ્તાંચળ તરફ આગળ વધી રહી છે એના સંકેતો મળવા લાગ્યા છે. આપણી હયાતીમાં ધર્મસંસ્થા હજી વધુ હિંસક અને વિકૃત સ્વરૂપમાં આપણને જોવા મળશે. આપણા પછીની બેએક પેઢી કદાચ હજી વધુ વિકૃત ચહેરો જોશે અને એ પછી ધર્મસંસ્થાનો અસ્ત થઈ જશે. એ માનવીય ઉત્ક્રાન્તિની નવી ઊંચાઈ હશે. એના માટે એકાદ સદીની રાહ જોવી પડશે. જેમ ફળને પાકતાં સમય લાગે છે એમ સડતાં પણ સમય લાગે છે.

ભગવાન કૃષ્ણ પણ સંભવામિ યુગે યુગે કહીને ગયા છે અને તેમણે પણ વાયદો પાળવાનો છે. ભગવાને જન્મ લેવો પડે એટલું પાપ નેતાઓ અને ધર્મગુરુઓ એકઠું કરી રહ્યા છે. એટલે જ પ્રારંભમાં કહ્યું એમ પંચકુલાની ઘટના ગમગીન હોવા છતાં મનમાં ઊંડે-ઊંડે રાજીપો અનુભવાય છે. ધર્મસંસ્થાનો હઈડો સંભળાવા લાગ્યો છે એનો રાજીપો.

સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 28 અૉગસ્ટ 2017

Loading

28 August 2017 admin
← ઝાડ માટેની લાગણી અમદાવાદમાં વધી રહી છે, એ વધતી રહે એવી ઇકો ફ્રેન્ડલી ગણપતિદાદાને પ્રાર્થના
ખટ-પટ →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved