Opinion Magazine
Number of visits: 9447878
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દિલ્હીમાંથી પ્રાદેશિક ભાષાઓની હકાલપટ્ટી

ઉર્વીશ કોઠારી|Opinion - Opinion|6 June 2017

અગાઉ ભાજપી નેતાઓએ જેનો વાજબી વિરોધ કર્યો હતો, એ જ અવિચારી નિર્ણય હવે અમલી બન્યો છે

હિઝ માસ્ટર્સ વૉઇસ અરુણ જેટલીથી માંડીને કોઈ પણ ‘વફાદાર’ જણ કહેશે, ‘આપણા વડાપ્રધાને તેમના કાર્યક્રમ ‘મન કી બાત’ દ્વારા રેડિયોને ફરી લોકપ્રિય બનાવી દીધો.’ આ દાવાની ખરાઈ વિવાદાસ્પદ હોઈ શકે છે, પરંતુ રેડિયો સાથે સંકળાયેલા એક સમાચાર નિર્વિવાદ છે — અને તે સમાચાર રેડિયો પર કદી આવવાના નથીઃ દાયકાઓથી દિલ્હીમાં ચાલતી પ્રાદેશિક સમાચાર સેવાઓ પર વર્તમાન સરકાર કશા દેખીતા કારણ વિના પડદો પાડી રહી છે. 

સામાન્ય ધારો એવો હતો કે આકાશવાણી(ઑલ ઇન્ડિયા રેડિયો)નાં સ્થાનિક કેન્દ્રો પરથી રાજ્યસ્તરના સમાચાર પ્રસારિત થાય, પરંતુ એ જ ભાષાના રાષ્ટ્રીય સમાચાર દિલ્હી આકાશવાણી પરથી આવે. ઉદાહરણ તરીકે, અમદાવાદ-વડોદરા-રાજકોટ-ભૂજથી ગુજરાતીમાં ગુજરાતના સમાચાર આવતા હોય, પણ દિવસમાં સરેરાશ ત્રણ વાર દિલ્હીથી ગુજરાતી ભાષામાં રાષ્ટ્રીય સમાચાર રજૂ થાય.

રાષ્ટ્રીય દૃષ્ટિકોણને ધ્યાનમાં રાખીને લેવાયેલા આ નિર્ણયથી ઘણા લાભ હતાઃ

1) દેશના પાટનગરમાં આવેલી રેડિયો સ્ટેશનની કેન્દ્રીય ઓફિસમાં મહત્ત્વની સ્થાનિક ભાષાનું પ્રતિનિધિત્વ રહે, જે પાટનગર અને સ્થાનિક ભાષા બન્ને માટે જરૂરી ગણાય.

2) રાષ્ટ્રીય સમાચારો સંભવિત સ્થાનિક દખલગીરી અને સંકુચિતતાથી બચી શકે.

3) દિલ્હીમાં હોવાને કારણે અને દિલ્હીમાં રહેનાર વ્યક્તિઓ દ્વારા તે તૈયાર થઈને પ્રસારિત થતા હોવાને કારણે, તેમાં (સરકારી મર્યાદાઓમાં રહીને પણ) શક્ય એટલી વધારે ચોકસાઈ અને વ્યાપક દૃષ્ટિકોણ હોઈ શકે.

4) રાજ્યમાં અસામાન્ય સ્થિતિ ઊભી થાય ત્યારે પણ દિલ્હીથી સ્થાનિક ભાષામાં અપાતા સમાચાર ઉપયોગી ભૂમિકા નિભાવી શકે.

દેશના પહેલા માહિતી-પ્રસારણ મંત્રી સરદાર પટેલ આ બાબતો બરાબર સમજતા હતા. તેનું એક ઉદાહરણ આઝાદી પછી તરતના અરસામાં જોવા મળ્યું. વિભાજન પછી પાકિસ્તાનના દોરીસંચારથી કાશ્મીર પર આક્રમણ થયું ત્યારે સ્થાનિક લોકોને વિશ્વાસમાં લેવા માટે અને તેમની સાથે ભારતનો સીધો સંવાદ રહે તે માટે, સરદારે કાશ્મીરથી સ્થાનિક ડોગરી ભાષાના બે જાણકારોને ડાકોટા વિમાન દ્વારા દિલ્હી બોલાવી લીધા અને તત્કાળ આકાશવાણી પર ડોગરી ભાષામાં સમાચાર શરૂ કરાવ્યા.

કાશ્મીરમાં નવેસરથી 1987-88માં હિંસા અને આતંકવાદનો દૌર ચાલુ થયો, ત્યારે એક જ દિવસમાં બે સ્થાનિક સમાચારવાચકોની હત્યા કરી નાખવામાં આવી. ત્રાસવાદથી ઘેરાયેલા કાશ્મીરમાં, રેડિયો પરથી સમાચાર વાંચવા એ ત્રાસવાદ સામે મુકાબલા જેવું કામ બની ગયું. ત્યારે રવિ કૌલ નામનો એક યુવાન તૈયાર થયો. તેણે ધમકીઓની અવગણના કરીને સમાચાર વાંચવાનું ચાલુ રાખ્યું. કરુણતા એ થઈ કે એ જ અઠવાડિયે રવિના પિતા અને ભાઈની હત્યા થઈ – અને એ સમાચાર રવિને જ વાંચવાના આવ્યા.

લાગણી પર કાબૂ રાખીને તેમણે એ સમાચાર પણ વાંચ્યા. તેમની આ ઠંડી તાકાત પાછળ માતૃભાષા અને દેશ પ્રત્યેની લાગણી કારણભૂત હતી. રવિ કૌલ આજે દિલ્હીમાં કાશ્મીરી ભાષાના વિભાગમાં સમાચારવાચક તરીકે ફરજ બજાવે છે, પરંતુ વર્તમાન સરકાર કે તેની બાબુશાહી દિલ્હીમાં સ્થાનિક ભાષાના સમાચારનું મહત્ત્વ સમજતી નથી, એ બાબતે તેમની નિરાશા કલ્પી શકાશે. 

દિલ્હી આકાશવાણીમાંથી સ્થાનિક ભાષાના સમાચારને રાજ્યોમાં રવાના કરવાનો સરકારી નિર્ણય કેમ ભૂલ ભરેલો છે, એ જાણવા માટે કલ્પના દોડાવવાની જરૂર નથી. તેનાં નક્કર ઉદાહરણ મોજુદ છે. અગાઉ સિંધી, કન્નડ અને તેલુગુ યુનિટને દિલ્હીથી ખસેડી દેવાયાં હતાં. તેમાંથી સિંધી યુનિટને સિંધ તો ખસેડી શકાય નહીં, એટલે તેને અમદાવાદમાં મૂકવામાં આવ્યું હતું. પરંતુ જાણકારોના મતે દિલ્હીથી અમદાવાદ આવ્યા પછી સિંધી ભાષામાં આવતા રાષ્ટ્રીય સમાચારની ગુણવત્તા પર સીધી અસર પડી છે.

આ વર્ષના આરંભે થયેલા હુકમ પ્રમાણે 1 માર્ચ, 2017થી આસામી, ઉડિયા, તમિલ અને મલયાલમ ભાષાઓના એકમોને દિલ્હીથી અનુક્રમે ગૌહાટી, કટક, ચેન્નઈ અને તિરુવનન્તપુરમ્ ખસેડવામાં આવ્યાં. ત્યાર પછીના ત્રણ મહિનાનો અનુભવ ખાસ વખાણવાલાયક રહ્યો નથી. જેમ કે, ઉડિયા રાષ્ટ્રીય સમાચારોના રાષ્ટ્રીય ચરિત્ર સાથે છેડછાડ થઈ રહી હોવાનો અને તેમનું સ્થાનિકીકરણ થઈ રહ્યું હોવાનો જાણકારોનો મત છે. તેમાં માહિતીલક્ષી અને સમાચારલક્ષી અનેક ભૂલો હોવાનું પણ કહેવાય છે.

— અને હવે ગુજરાતી તથા મરાઠી પ્રાદેશિક સેવાઓનો વારો ચડી ગયો છે. ગયા સપ્તાહે થયેલા આદેશ મુજબ, 5 મેથી ગુજરાતીમાં રાષ્ટ્રીય સમાચારનું કામ હવે અમદાવાદ આકાશવાણીને અને મરાઠી રાષ્ટ્રીય સમાચારનું કામ મુંબઈ આકાશવાણીને સોંપી દેવાયું છે. સત્તાવાર ખુલાસા એવા છે કે ટેલેન્ટ મળતી નથી, ગુણવત્તાનું ધોરણ જળવાતું નથી, દિલ્હીમાં રહેનારા લોકો માતૃભાષાથી વિમુખ થઈ ગયા છે … પરંતુ આ દાવા કોઈ રીતે ગળે ઉતરે એમ નથી.

એક આરોપ પ્રમાણે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું પીઠબળ ધરાવતી હિંદુસ્તાન સમાચાર સેવા 10 સ્થાનિક ભાષામાં સમાચારો તૈયાર કરે છે — અને સરકારનો ઇરાદો આકાશવાણીમાં આ સમાચાર સેવાને દાખલ કરવાનો છે. આ આરોપનો હિંદુસ્તાન સમાચાર સેવાએ ઇન્કાર કર્યો છે. છતાં, પ્રાદેશિક વિભાગોને દિલ્હીથી રાજ્યોમાં ખસેડવામાં સરકારને બીજો શો ફાયદો છે, એ હજુ સુધી તો સમજાયું નથી. ફક્ત જનસામાન્યને જ નહીં, આ સેવાઓ સાથે વર્ષોથી સંકળાયેલા લોકોને પણ આવાં આત્યંતિક પગલાં પાછળનો સરકારનો સાચો ઇરાદો સમજાતો નથી. 

છેલ્લાં વીસ વર્ષથી સરકારે પ્રાદેશિક સમાચાર સેવાઓમાં કાયમી કર્મચારીઓની ભરતી કરવામાં આવી નથી. કોન્ટ્રાક્ટ પરની નિમણૂકો માટેની પ્રક્રિયા અને તેના નિર્ણાયકો સામે પણ અનેક આંગળીઓ ચીંધાઈ. આ સંજોગોમાં વડાપ્રધાનના કાર્યક્રમ ‘મન કી બાત’ની સફળતા પછી અપેક્ષા તો એવી હતી કે રેડિયોનો યુગ પાછો આવ્યાનો દાવો કરનાર સરકાર દિલ્હી આકાશવાણીની પ્રાદેશિક સમાચાર સેવાને નવું જીવન આપશે.

‘મન કી બાત’ હોય કે બીજી સરકારી સામગ્રી, પ્રાદેશિક ભાષાઓમાં તેમના અનુવાદ માટે એ જ લોકોમાંથી કેટલાકની સેવા લેવામાં આવે છે, જેમની ગુણવત્તા બરાબર નહીં હોવાનું બહાનું પ્રાદેશિક સમાચાર સેવા બંધ કરવા માટે અપાયું છે. એટલે, લાયક માણસો નહીં મળતા હોવાનો સરકારી દાવો ભરોસાપાત્ર જણાતો નથી. મજાની વાત એ છે કે ભૂતકાળમાં પ્રકાશ જાવડેકર અને સુષ્મા સ્વરાજ સહિતના ભાજપના નેતાઓ દિલ્હીમાં પ્રાદેશિક ભાષાના મહત્ત્વને બિરદાવીને, તેને રાજ્યોમાં ખસેડવાની હિલચાલનો વિરોધ કરી ચૂક્યા છે. વર્ષ 2005માં યુપીએ સરકારે તેમનો વિરોધ ગ્રાહ્ય રાખીને, આ નિર્ણય મોકુફ રાખ્યો, પરંતુ હવે એનડીએની સરકાર છે ત્યારે એ જ નિર્ણય અમલમાં મુકાઈ રહ્યો છે–અને આ ‘મન કી બાત’ને કાને ધરનાર કે પ્રસારભારતીનો કાન આમળનાર કોઈ નથી.

સૌજન્ય : ‘ભાષાનું પ્રતિનિધિત્વ’, “દિવ્ય ભાસ્કર”, 06 જૂન 2017

Loading

6 June 2017 admin
← અમીશની સીતા અને અરુંધતીની અંજુમઃ હેપી વૉરિયર્સની મિનીસ્ટ્રીનાં રચનાકારો
સુભાષબાબુ માટે નેહરુની પારાવાર ઉષ્મા →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved