Opinion Magazine
Number of visits: 9504449
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ડિગ્રી તો કોઈ છુપાવતું હોય ? ગૌરવ કોઈ દિવસ લાંછન બની શકે ?

રમેશ ઓઝા|Opinion - Opinion|6 April 2023

રમેશ ઓઝા

નરેન્દ્ર મોદી કદાચ ભારતના પહેલા નેતા છે જેમના ભણતર વિષે સવાલો ઉઠાવવામાં આવે છે અને સામે પક્ષે જે જવાબ આપવામાં આવે છે એ જવાબ કરતાં પ્રશ્નો વધુ પેદા કરે છે. સરકારનો સત્તાવાર રીતે અને સમર્થકોનો હોંશપૂર્વકનો પહેલો જવાબ તો એ હોય છે કે ભણતર એ જે તે વ્યક્તિની અંગત બાબત છે અને તેના વિષે પ્રશ્નો પૂછવાનો કોઈને અધિકાર નથી. કમાલ છે નહીં! ગાંધીજી અને નેહરુ પરિવારનાં સભ્યોનાં અંગત જીવન વિશેની સાવ ખોટી મનઘડંત વાતો ફહેલાવનારાઓ કોઈના જીવનની અંગત બાબતોની પવિત્રતા જાળવવાની દલીલ કરે છે. બીજું, જે જવાબ આપવામાં આવે છે એમાં દેખીતી વિસંગતિ હોય છે જે વધુ પ્રશ્નો પેદા કરે છે અને તેનાથી બચાવવા અદાલતોએ તેમની મદદે આવવું પડે છે. પહેલી એપ્રિલે ગુજરાતની વડી અદાલતના ન્યાયમૂર્તિ બીરેન વૈષ્ણવે આપેલો ચુકાદો આનું પ્રમાણ છે.

પહેલી વાત તો એ કે ભણતરને બૌદ્ધિક ક્ષમતાના હોવા કે ન હોવા સાથે સંબંધ છે ખરો? જાણીતા કેળવણીકાર મનુભાઈ પંચોલી ‘દર્શક’ પાસે કોઈ ડિગ્રી નહોતી અને છતાં આપણે તેમને કેળવણીકાર તરીકે ઓળખીએ છીએ. દલાઈ લામા પાસે યુનિવર્સિટીની કોઈ ડિગ્રી નથી. દલાઈ લામા ચલતાપૂર્જા ધર્મગુરુ નથી. તમે કદાચ નહીં જાણતા હો, ભારતમાં દેશવટો ભોગવતા તિબેટીઓની સરકારના ભૂતપૂર્વ વડા પ્રધાન સામદોંગ રિંપોચે ભારતની યુનિવર્સિટીઓનાં કુલપતિઓનાં સંઘ(ચેમ્બર ઓફ વાઈસ ચાન્સેલર્સ ઓફ ઇન્ડિયન યુનિવર્સિટીઝ)ના અધ્યક્ષ હતા, જ્યારે કે તેમનું શાળા-કોલેજોમાં કોઈ ભણતર જ થયું નથી. સામદોંગ રિંપોચે બૌદ્ધ અને ભારતીય દર્શનના વિશ્વપ્રસિદ્ધ વિદ્વાન તરીકેની ખ્યાતિ ધરાવે છે. નારાયણભાઈ દેસાઈ પાસે કોઈ ડિગ્રી નહોતી, પણ તેઓ ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ હતા. તેમની વિદ્વતાથી આપણે પરિચિત છીએ. અને હા, પંડિત સુખલાલજી અને મુનિ જીનવિજયજીને કેમ ભૂલાય! 

કેટકેટલા માણસો ભારતમાં અને જગતમાં છે જેમણે શાળા કોલેજોનું કોઈ ઔપચારિક શિક્ષણ મેળવ્યું નથી અને પોતપોતાનાં ક્ષેત્રમાં ટોચે છે. બીજી બાજુ શિક્ષિત અભણોનો ભારતમાં કોઈ તોટો નથી. એક માગો ત્યાં દસ મળે તેમ છે. જાણીતા કલાવિદ્દ આનંદ કુમારસ્વામીએ ભારતની સૌથી મોટી સમસ્યા શિક્ષિત અભણોની ગણાવી હતી. ગાંધી-નેહરુ વિશેની માહિતી સાચી માની લેનારા અને તેને ચકાસ્યા વિના આગળ ફોરવર્ડ કરનારાઓ શિક્ષિત ગમાર છે.

તો ડિગ્રી હોવા કે ન હોવાથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કદમાં કોઈ વધારો-ઘટાડો થવાનો નહોતો. કોઈનો થયો નથી તો તેમનો શા માટે થાય? કોઈએ તેમના ભણતર વિષે કોઈ સવાલ પેદા નહોતો કર્યો. પણ સમસ્યા ત્યારે પેદા થઈ જ્યારે સંદિગ્ધ માહિતી સાથે ભણતર વિષે દાવો કરવામાં આવ્યો. એ પહેલાં તેમણે તેમનાં લગ્નજીવન વિશેની વાત છુપાવી હતી અને પછી જાહેર કરવી પડી હતી. લગ્ન કર્યાં હોય અને પછી એક પક્ષીય રીતે લગ્નજીવનને સમેટી લઈને એકલા નીકળી પડ્યા હોય એવા કેટલા ય મહાનુભાવો આ જગતમાં થયા છે. જો આ બધું કરવામાં ન આવ્યું હોત તો કોઈએ તેમની અંગત અને પાછી નિરર્થક બાબતોમાં રસ લીધો ન હોત. લોકો રસ લેતા એટલા માટે થયા કે ભણતર અને લગ્નજીવન વિષેની વિગતો છૂપાવવામાં આવી હતી અથવા જાણીબૂજીને સંદિગ્ધ માહિતી આપવામાં આવતી હતી.

બીજો મુદ્દો એ છે કે કઈ બાબતને વ્યક્તિની અંગત ગણવી અને કઈ સાર્વજનિક? આ સિવાય કોણ અંગતતાનો અધિકાર ધરાવે છે અને કોણ નથી ધરાવતું? ખાનગી જીવન જીવતી વ્યક્તિ અને જાહેરજીવન જીવતી વ્યક્તિની અંગતતા એક સરખી હોય? ગાંધીજીના તેમના મોટા પુત્ર હરિલાલ ગાંધી સાથેના મતભેદો અંગત બાબત ગણાય કે સાર્વજનિક? દેખીતી રીતે એ અંગત બાબત ગણાય, પણ ગાંધીજીને અંગતતાનો અધિકાર નથી મળતો અને તેમણે માગ્યો પણ નહોતો. આવી જ રીતે મનુબહેન ગાંધી સાથેનાં ગાંધીજીનાં બ્રહ્મચર્યના પ્રયોગ તેમની અંગત બાબત ગણાય કે સાર્વજનિક? ગાંધીજીએ એમાં પણ અંગતતાનો અધિકાર નહોતો માગ્યો, બલકે સામે ચાલીને પોતે તેને સાવર્જનિક કરી હતી.

૨૦૧૯માં સર્વોચ્ચ અદાલતની પાંચ જજોની બંધારણીય બેંચે ખાનગી અને સાર્વજનિક વિષે અને લોકોનું હિત અને લોકોની કુતૂહલવૃત્તિ વિષે મશક્કત કરી હતી. એમાં ન્યાયમૂર્તિ સંજીવ ખન્નાએ વ્યાખ્યા કરી હતી કે લોકહિતમાં જો કોઈ માહિતી માગવામાં આવી હોય તો માહિતીના અધિકાર હેઠળ આપવા સરકાર બંધાયેલી છે, પણ જો પોતાની કે લોકોની કુતૂહલવૃત્તિ સંતોષવા માટે કોઈ માહિતી માગવામાં આવી હોય તો તે આપવા સરકાર બંધાયેલી નથી. આની સામે ન્યાયમૂર્તિ ચન્દ્રચૂડ અને ન્યાયમૂર્તિ એન.વી. રામને ચુકાદો આપ્યો હતો કે દરેક માહિતીને કુતૂહલ તરીકે ખપાવીને માહિતી આપવાનું નકારી ન શકાય.

હવે સવાલ આવે છે ગુજરાત યુનિવર્સિટી અને દિલ્હી યુનિવર્સિટીનો. જો આ તેના વિદ્યાર્થી રહી ચૂકેલા નરેન્દ્ર મોદીની અંગત બાબત છે અને વિદ્યાર્થીની અંગત માહિતી જાહેર નહીં કરવાની યુનિવર્સિટીઓની નીતિ છે અને વિદ્યાર્થીનો તેવો કાયદાકીય અધિકાર છે તો ૨૦૧૬માં સામે ચાલીને તેની વેબસાઈટ ઉપર માહિતી આપી શા માટે? શા માટે ડિગ્રીનું સર્ટિફીકેટ અપલોડ કરવામાં આવ્યું? હવે જ્યારે જાહેર કરવામાં આવેલી માહિતી વિષે શંકા કરવામાં આવે છે, પ્રશ્નો અને પેટા પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા છે ત્યારે યુનિવર્સિટી કહે છે કે એક વાર માહિતી સાર્વજનિક કર્યા પછી બીજીવાર માગવાનો અધિકાર નથી અને જે પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા છે એમાં કુતૂહલવૃત્તિ છે. પાછી ગુજરાતની વડી અદાલત તે દલીલનો સ્વીકાર કરે છે. ગુજરાતની વડી અદાલતના ‘વિદ્વાન’ ન્યાયમૂર્તિ યુનિવર્સિટીને પૂછતા નથી કે તો પછી ૨૦૧૬માં સામે ચાલીને લોકોની કુતૂહલવૃત્તિ સંતોષી શા માટે હતી? શા માટે તમે વિદ્યાર્થીઓની અંગતતા જાળવવાની તમારી નીતિની વિરુદ્ધ ગયા હતા? પણ પૂછે કોણ?

આજકાલ સાદી બુદ્ધિના સવાલો ન્યાયતંત્રમાં બિરાજમાન જજોને થતા નથી. સાવ સાદી બુદ્ધિના સવાલો. પ્રારંભમાં કહ્યું એમ ભણતરને અને મેધાને કોઈ સંબંધ નથી. ભણતરને અને ચારિત્ર્યને કોઈ સંબંધ નથી. ભણતરને અને વિવેકને કોઈ સંબંધ નથી. ભણતરને અને પ્રામાણિકતાને કોઈ સંબંધ નથી. ભણતરને જાગતલ અંતરાત્મા સાથે કોઈ સંબંધ નથી. આ બે સાવ અલગ પ્રદેશ છે.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 06 ઍપ્રિલ 2023

Loading

6 April 2023 Vipool Kalyani
← અખંડદીપ
GODને બદલે DOG ભણાવીએ છીએ, તેની બધી મોંકાણ છે …  →

Search by

Opinion

  • સહૃદયતાનું ઋણ
  • સાંસદને પેન્શન હોય તો શિક્ષકને કેમ નહીં?
  • કેવી રીતે ‘ઈજ્જત’ની એક તુચ્છ વાર્તા ‘ત્રિશૂલ’માં આવીને સશક્ત બની ગઈ
  • અક્ષયકુમારે વિકાસની કેરી કાપ્યાચૂસ્યા વિના નરેન્દ્ર મોદીના મોં પર મારી!
  • ભીડ, ભીડ નિયંત્રણ, ભીડ સંચાલન અને ભીડભંજન

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન
  • અરણ્ય રૂદન
  • પિયા ઓ પિયા

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved