Opinion Magazine
Number of visits: 9446500
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘દર્શક’નું ‘જલિયાંવાલા’ નાટક દેશભક્તિ ઉપરાંત નાગરિક અધિકાર અને કોમી એખલાસને પણ આલેખે છે

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|26 April 2019

દર્શકે અઢારેક વર્ષની ઉંમરે લખેલાં આ નાટકમાં માત્ર ને માત્ર જલિયાંવાલા હત્યાકાંડ અને દેશભક્તિનો ધોધ જોવા મળે એવી રાષ્ટ્રવાદી અપેક્ષા બર આવી શકે નહીં  

પ્રબુદ્ધ અગ્રણી સાહિત્યકાર મનુભાઈ પંચોળી ‘દર્શકે’ છ્યાંશી વર્ષની જિંદગીમાં ચાલીસ જેટલાં  પુસ્તકો લખ્યાં છે. તેમાં 1934માં પહેલું પ્રકાશિત થયેલું પુસ્તક ‘જલિયાંવાલા’ નાટક. વીસ દૃશ્યોમાં લખાયેલાં આ નાટકમાં માત્ર ને માત્ર જલિયાંવાલા હત્યાકાંડ અને દેશભક્તિનો ધોધ જોવા મળે એવી રાષ્ટ્રવાદી અપેક્ષા બર આવી શકે નહીં.

આમ તો જલિયાંવાલાનાં મેદાનમાં 13 એપ્રિલ 1919ની  સાંજે દૈત્ય ડાયર ગોળીબાર કરાવી રહ્યો છે તેવું  દૃશ્ય દર્શકે લખ્યું જ નથી. તેને બદલે તેમણે છેક પંદરમા દૃશ્ય તરીકે એ રાત્રે કાળા મેશ અંધારામાં એ મેદાન પર મૃતદેહો અને ઘાયલોની વચ્ચે, કતલમાંથી બચેલા હંસરાજ  અને  સંન્યાસી, એવાં બે પાત્રોનો સંવાદ બતાવ્યો છે. તેમાં કતલની ભીષણતાના કેટલાક ઉલ્લેખો છે. જેમ કે, ‘મડદાંથી છવરાએલાં’, ‘લોહીથી છંટાયેલાં’ મેદાન પર હંસરાજ એક અવાજની દિશામાં આગળ વધે છે જે સંન્યાસીનો અવાજ છે. હંસરાજના પગ નીચે કોઈની આંગળી, તો કોઈનું માથું આવે છે. એ જાણે ‘શબનો જ રાહ’ છે, જ્યાં ‘ડગલે ડગલે એક જીવન વેરાયેલ પડ્યું છે’. ‘છિન્નભિન્ન વ્યાસપીઠ’ છે, ‘હત્યારો કૂવો’ છે, ‘ઝાડ પર બે છોકરાં એમ ને એમ જ વીંધાઈ ગયા છે’. હંસરાજ યાદ કરે છે કે ‘પેલી સ્ત્રી એના બચ્ચાને છાતી નીચે સંતાડતી ગોળી ઝીલતી હતી’, ‘પેલા વિંધાઈ જતા બાપ ને બેટા એક બીજાને બહાર ધકેલી તાણમતાણ કરતા હતા’. મોતનાં તાંડવ વચ્ચે બીજાં પણ ઉમદા દૃશ્યો સંન્યાસીને સાંભરે છે: ‘ફૌજી જુવાનો સોલ્જરોની ગોળીઓ ઝીલતા હસતા હતા’, ‘એક જણ મૃત્યુ સમયે પોકારતો ગયો કે હિન્દુ મુસલમાન કી જય’ બીજો જપતો ગયો કે ‘રાષ્ટ્રદેવો ભવ’ ….’

અલબત્ત, રાષ્ટ્ર એટલે, દર્શકની દૃષ્ટિએ, આ દેશમાં વસતા સહુ કોઈ. તેથી જ સંન્યાસી કહે છે : ‘અહીં હિન્દુ, મુસલમાન, શીખ, જાટ સર્વે સૂતાં છે … સહુનું આ હરિદ્વાર, કાશી, મદુરા, શત્રુંજય ને મક્કા છે … ને ભારતનો આત્મા કોઈ કોમનો નથી, કોઈ પંથનો નથી.’ આ સંન્યાસી પણ કોમ કે પંથથી ઊપર ઊઠેલો છે. તેણે ‘જનોઈ ને ચોટલી બાળી નાખ્યાં છે’. જલિયાંવાલાના મેદાનમાં મૃતદેહોના ઢગલાઓ વચ્ચે પણ સંન્યાસીની ધર્મ વિશેની સમજ ડગી નથી : ‘ધર્મ એટલે નિસ્વાર્થતાનો જીવંત આચાર’. એટલા જ માટે તેને આક્રોશ છે કે : ‘દ્વારિકામાં મઠ અને મઠાધીશ રેશમે ઢંકાય ને બારણે નાગોડિયાં ટાબરિયાં ટાઢે ધ્રૂજતાં હોય. ભિખારાથી યે બદ બ્રાહ્મણને ભોજનશાળામાંથી સીધું ને મહારાજનો મંડપ ચણનાર કડિયો ભૂખે બેવડ વળી જાય’. સંન્યાસીને મતે ‘હિન્દુસ્તાનમાં અત્યારે એક જ જીવંત ધર્મ છે ને તે રાજકારણ, વર્તમાન શાસનનાં સ્વરૂપ માત્રને ફગાવી દેવાનું …’

તે વખતના અંગ્રેજ શાસનનું સહુથી તાનાશાહી રૂપ તે રૉલેટ ઍક્ટ કાયદો. આ કાળા કાનૂન સામેની ચળવળ તે નાટકનાં અનેક દૃશ્યોમાં છે, જે 4 એપ્રિલ 1919 થી 13 એપ્રિલે થયેલા હત્યાકાંડના અને પછીના બે-ત્રણ દિવસ વચ્ચેના ગાળાને આવરે છે. કેટલાંક દૃશ્યોની મંચ-સૂચનાઓમાં દર્શક તારીખ લખે છે. તદુપરાંત પ્રસ્તાવના તરીકે તેઓ એ દિવસોનો ઇતિહાસ પણ આપે છે, જેનો આધાર જલિયાંવાલા કતલ વિશે કૉન્ગ્રેસે નીમેલી તપાસ સમિતિનો સત્તરસો જેટલી જુબાનીઓ સાથેનો અહેવાલ છે. નાટકનાં કેટલાંક દૃશ્યો અમૃતસરની ગલીઓમાં કે રસ્તાઓ પર છે. નાટકનું અન્ય એક મહત્ત્વનું લોકેશન તે પાંચ હજારની વસ્તીવાળું પંજાબનું નવતરણ ગામ. કેટલાંક દૃશ્યો આ ગામનાં ખેતર, ચોક, નહેરકાંઠા, પોલીસ થાણું અને કરતારના ઘરમાં ભજવાય છે.

કરતાર અમૃતસરની ખાલસા કૉલેજનો દેખાવડો ખમીરવંતો દેશભક્ત નવજુવાન છે અને રોલેટ ઍક્ટ સામેની ચળવળના કાર્યકર્તા તરીકે આવ્યો છે. તે લોકોને ચર્ચાઓ અને સભામાં રોલેટ ઍક્ટનો વિરોધ શા માટે અને કોમી એખલાસ જાળવીને અહિંસક રીતે કેવી રીતે કરવો જોઈએ તે સમજાવે છે. પંજાબમાં અંગ્રેજોના અનેક પ્રકારના જુલમ અને તેની સામે નાગરિક અધિકારની વાત અહીં સોંસરી રીતે આવે છે. કરતારનો કૉલેજ સાથી હંસરાજ પણ તેને ત્યાં આવ્યો છે. હંસરાજ અંગ્રેજોએ પંજાબમાંથી કરેલી ફરજિયાત લશ્કરી ભરતી પછી તેના ઉપરીને છેતરીને લશ્કરમાંથી છટક્યો છે. તે જ ઉપરી આર્યસમાજી અર્જુનસિંહ નવતરણ ગામના થાણેદાર તરીકે અહીં ભટકાય છે. કરતારની બહેન દેવકીને હંસરાજ માટે કૂણી લાગણી છે. હંસરાજનું દર્શકે શરૂઆતમાં શંકાસ્પદ અને પછી ઉમદા પાત્ર તરીકે ચિત્રણ કર્યું છે. જલિયાંવાલા હત્યાકાંડ વિશેની વાચનસામગ્રીમાં હંસરાજ એક રહસ્યમય પાત્ર રહ્યો છે. મોટા ભાગની માહિતીમાં તે  રૉલેટ સામેની ચળવળ દબાવી દેવાની અંગ્રેજોની વ્યૂહરચનાનું એક પ્યાદું હોવાનું જણાય છે.

પંજાબમાં રૉલેટના વિરોધના પ્રબુદ્ધ અગ્રણીઓ સત્ય પાલ અને સૈફુદ્દિન કિચલુની અંગ્રેજોએ ધરપકડ કરી. તેના વિરોધમાં ઠેરઠેર દેખાવો થયા. તેમાં અમૃતસરમાં થયેલી હિંસાનાં દૃશ્યો નાટકમાં છે. તેના પહેલાં રામનવમીની શોભાયાત્રામાં હિન્દુ-મુસ્લિમ એખલાસના પ્રસંગનું દેવકીને મુખે વર્ણન કરવાનું લેખક ચૂકતા નથી. જલિયાંવાલા પછી ઘણાં ગામોમાં જાગેલા વિરોધના ઉલ્લેખો મળે છે. નાટકનાં આખરી બે દૃશ્યોમાં નવતરણમાં ગાયનાં વાછરડાનું માથું નહેરના પૂલ પર લટકાવીને કોમી એકતા ભંગ કરવાની કોશિશ થાય છે. પણ હંસરાજ તેના સાથી ગિરધારી થકી ડુક્કર કપાવીને તેને મસ્જિદમાં નખાવે છે. પછી તે ગામ લોકોને સમજાવે છે કે આ કરાવનારા કોઈ બીજા જ છે : ‘સ્વાર્થ ને ખોટા ધર્મની મદિરા પાઈને કોઈ એવો ધર્મ ભાળ્યો છે કે જે ભાઈને ભાઈનું ગળું કાપવાની છૂટ આપતો હોય, ને તે ય પાંચ હજાર ગાઉ દૂરથી આવેલા પરદેશીઓના નફા માટે. આપણાં સૌનાં હૈયાં આ સંધ્યા જેવાં શાંત ને પાણી જેવાં ચોખ્ખાં કરીએ.’

નરવી દુનિયા માટેના આવાં સપનાં સાથેનું દર્શકનું આ ઐતિહાસિક નાટક તખ્તા પર ભજવવા માટે અઘરું છે. પણ તે દર્શકનાં દેશપ્રેમ, ગાંધી માટેનો આદર અને ઇતિહાસ માટેની લગન બતાવે છે. લેખક તરીકેના શરૂઆતમાં તબક્કામાં લખાયેલી સ્વાતંત્ર્ય સંગ્રામ પર આધારિત પોતાની ત્રણ કૃતિઓ વિશે દર્શક નોંધે છે : ‘પહેલાં લખાયું ‘બંદીઘર’, વિસાપુર જેલવાસ પછી. તે પહેલી કૃતિ, પહેલી નવલકથા; છપાવામાં પાછળ પણ લખાવામાં આગળ. પહેલાં છપાયાં ‘જલિયાંવાલા’ ને ‘અઢારસો સત્તાવન’, બંને નાટકો કહેવાયાં. 30-32ના સંગ્રામમાં હાર્યા હતા તેથી અંદરની નિરાશાને ટાળવા માટે આ લખાયેલાં.’ ગુજરાતી સાહિત્યમાં જલિયાંવાલા પર દર્શકનાં નાટક ઉપરાંત બીજી એક પૂરાં કદની કૃતિ મળે છે – 1857ના સંગ્રામ ‘ભારેલો અગ્નિ’ નવલકથા  લખનાર રમણલાલ વસંતલાલ દેસાઈની સાત ભાગમાં વિવિધ છંદોમાં લખાયેલી કવિતા ‘જલિયાનવાલા બાગ’ (1935). જલિયાંવાલાની ઘટના સ્વાતંત્ર્ય આઝાદીની લડતમાં એક ચાલકબળ હતું, નાગરિક અધિકારોના સંદર્ભે તે હંમેશાં પ્રસ્તુત છે. એમ છતાં તેની મહત્તાના પ્રમાણમાં તેના શતાબ્દી વર્ષમાં તેનું સ્મરણ આપણા શાસકો અને નાગરિકો બહુ પાંખું કરી રહ્યા છે. નાટકની પ્રસ્તાવનાને અંતે દર્શકે લખ્યું છે : ‘જ્યાં સુધી આ કથા નહીં ભૂલાય ત્યાં સુધી હિન્દ રાષ્ટ્ર તરીકે જીવશે. જે દિવસે આ કથા ભૂલશું તે દિવસે હિન્દનાં રાષ્ટ્રીયત્વનું મૃત્યુ થશે.’

********

24 એપ્રિલ 2019

સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “નવગુજરાત સમય”, 26 ઍપ્રિલ 2019

Loading

26 April 2019 admin
← “અલવિદા, એ જિંદગી!”
સૅક્સ ટુરિઝમ ટ્રેડ વિશે →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved