Opinion Magazine
Number of visits: 9446634
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દરોડાનો શાસનકાળઃ સવાલ કરનારાઓને ચૂપ કરવા વપરાતી દરોડાની ચાબુકથી લોકશાહી લોહીલુહાણ થશે 

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|5 March 2023

ભ્રષ્ટાચાર જે એક સમયે બહુ મોટો મુદ્દો હતો એ હવે સામાન્ય બની ગયો છે. કોઇ રાજકીય નેતા પર કે મીડિયા હાઉસિઝ પર દરોડા પડે તો સામાન્ય જનતા એ આખી બાબતને રાજકીય યુદ્ધની એક ચાલ તરીકે જ જુએ છે

ચિરંતના ભટ્ટ

2014-2022 દરમિયાન એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ – ઇ.ડી. (Enforcement Directorate) દ્વારા 3,010 વખત અલગ અલગ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે. ભા.જ.પા.ના શાસનમાં દરોડાનો સિલસિલો 27 ગણ્યો વધ્યો છે. 2004થી 2014 દરમિયાન કુલ 112 દરોડા પડ્યા હતા. આ આંકડા જુલાઇ 2022માં રાજ્યસભામાં રજૂ કરાયા હતા પણ એ પછી આ લખાઇ રહ્યું છે ત્યાર સુધીમાં વિવિધ સંસ્થાઓ પર અને રાજકીય નેતાઓ પર પાડવામાં આવેલા દરોડાની સંખ્યામાં વધારો જ થયો છે.

બે-એક અઠવાડિયા પહેલા આ દરોડાના સપાટામાં બી.બી.સી.નો વારો પણ આવ્યો. નરેન્દ્ર મોદી અને ૨૦૦૨નાં રમખાણોના સંદર્ભે બનેલી એક ડૉક્યુમેન્ટરી ફિલ્મ રિલીઝ થઇ જેને પગલે ઘણી ચર્ચાઓ અને આક્ષેપો થયા. આ ડૉક્યુમેન્ટરી ભારતમાં સોશ્યલ મીડિયા પર શૅર ન થાય એ માટે બ્લૉક પણ કરાઇ અને તેને ભારત વિરોધી કચરાનું લેબલ પણ અપાયું – ટૂંકમાં તેની એટલી વાત થઇ કે ઉત્સુક જીવોએ એ ક્યાંકને ક્યાંકથી મેળવીને જોઇ લીધી. સહેજ સમય પસાર થયો નથી કે બી.બી.સી.ની ઑફિસિઝ પર આવકવેરાનો દરોડો પડ્યો. સરકારી સૂર એવો છે કે આવક વેરાના દરોડા અને બી.બી.સી. ડૉક્યુમેન્ટરીને કોઇ લેવાદેવા નથી.  2021માં ગુજરાતના અગ્રણી દૈનિક અખબારની ઑફિસ પર પણ ઇન્કમ ટૅક્સના દરોડા પડ્યા હતા અને એક અભિપ્રાય એવો પણ હતો કે એ અખબારે ભા.જ.પા.ની સરકાર વાળા ગુજરાતમાં કોરોનાની સારવારના મેનેજમેન્ટની પોલંપોલ વિષે એટલું લખ્યું હતું કે આ દિવસ આવીને ઊભો રહ્યો. આ જ રીતે અલ્ટ ન્યૂઝના મોહંમદ ઝુબેરને મહિના સુધી જેલમાં ગોંધી રખાયા, યુ.પી.માં સામૂહિક બળાત્કારની તપાસ કરવા ગયેલા પત્રકાર સિદ્દિક કપ્પાન સામે પણ આક્ષેપો કરાયા તો એન.ડી.ટી.વી. પર સી.બી.આઇ.ના દરોડા કરાયા, ૨૦૨૦માં દિલ્હીમાં મુસલમાનો પર થયેલી હિંસાનું રિપોર્ટિંગ કરનારી મલિયાલમ ભાષાની  ટેલિવિઝન ચેનલ ધી મીડિયા વનને 48 કલાક માટે ઑફ એર કરી દેવાઇ હતી તો માનવાધિકાર માટે કામ કરનારા હર્ષ મંદર જેવા એક્ટિવિસ્ટે પણ દરોડાનો સામનો કર્યો હતો, વળી ઑક્સફામ, એમનેસ્ટી, ગ્રીનપીસ, ભીમા કોરેગાંવ કેસ, સેન્ટર ફોર પૉલિસી રીસર્ચ પર પર દરોડાના ચાબુક વિંઝવામાં આવી. કેન્દ્રિય સંસ્થાનો જેમ કે સી.બી.આઇ., ઇ.ડી., નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી અને નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોને શસ્ત્ર બનાવી વિરોધીઓને ચૂપ કરવાનો પ્રયત્ન કરાયો છે.

કેન્દ્ર સરકારના વિરોધીઓ – તે વ્યક્તિગત હોય કે કોઇ સંસ્થા હોય – તેમની પર દરોડાનું શસ્ત્ર અપનાવાય છે એ વાત હવે એટલી સાહજિક બની ગઇ છે કે કોઇને હવે તેની નવાઇ પણ નથી લાગતી. આ દરોડાના વિરોધમાં ઉઠતા અવાજોને સરકાર ધ્વનિ પ્રદૂષણ સમજીને અવગણી દે છે અને કાયદાને અનુસરવાના પોતાના આગ્રહને આગળ ધરે છે. ભ્રષ્ટાચારને નાથવા માટેનો એક માત્ર રસ્તો દરોડા છે એવો અભિપ્રાય સરકાર પક્ષે ધૂંટવામાં આવે છે. દરોડાનું રાજકીયકરણ થયું છે અને ભા.જ.પા.ની કેન્દ્ર સરકાર હેઠળ જે રીતે દરોડાનો ઉપયોગ વિરોધીએને ચૂપ કરી દેવા માટે કરવા માટે થઇ રહ્યો છે તે લોકશાહી માટે જોખમી પરિસ્થિતિ ખડી કરશે એ ચોક્કસ. પ્રિવેન્શન ઑફ મની લૉન્ડરિંગ એક્ટ – PMLA 2002ને હથિયાર બનાવીને ઇ.ડી.એ મોદી સરકારની સામે ચૂં કે ચા કરનારાઓને ‘હખણા’ કરવામાં પાછું વળીને જોયું નથી – દરોડાનું રાજકીયકરણ તો પહેલાંની સરકારમાં પણ થયું છે પણ અત્યારે જે તેમાં એક બહુ નોંધપાત્ર ફેર આવ્યો છે – પહેલાં આ દરોડા રાજકીય રાહે થતા પણ હવે આ દરોડા રાજકીય નિયંત્રણ કરવાના આશયથી જ કરવામાં આવે છે. વળી ભેદભાવ એટલો સાફ છે કે ન પૂછો વાત – કર્ણાટક સરકાર સામે થયેલા વિવિધ કૌભાંડોના આક્ષેપો કે મધ્ય પ્રદેશમાં થયેલા મધ્યાહ્ન ભોજનના આક્ષેપો કે પછી વ્યાપમ સ્કેમમાં ભા.જ.પા.ના નેતાઓની સંડોવણી વગેરે મામલે કાં તો થોડો ઘણો ઘોંઘાટ થાય અને પછી બધું શાંત પડી જાય અથવા તો જે – તે નેતા ભા.જ.પ.માં ન હોય અને જો પક્ષ પલટો કરી લે તો આ દરોડાના દોરડામાંથી મૂક્ત થઇ જાય. આવા નેતાઓની યાદીમાં સામેલ છે આસામના મુખ્ય મંત્રી હિમન્તા બિસ્વાસ શર્મા, ભા.જ.પા. બંગાળના સુવેન્ધુ અધિકારી અને મુકુલ રોય. અગાઉની સરકારમાં એમ થતું કે કોઇ રાજકીય ચહેરાના માથે ભ્રષ્ટાચારી હોવાનું લેબલ લાગે એટલે બે આંખની શરમે પણ જે તે નેતા પક્ષમાંથી નીકળી જતા – જેમ કે કોમવેલ્થ ગેમ્સ કૌભાંડલ કે 2જી સ્કેમ – જો અત્યારની સરકારને એવો બધો કોઇ ફેર નથી પડતો. શિવસેનાના જે મંત્રીઓ સામે તપાસ ચાલતી હતી તે ભા.જ.પા.માં જોડાયા અને મામલો કોરાણે મુકાઇ ગયો.

અત્યારે પરિસ્થિતિ એવી થઇ છે કે વડા પ્રધાનની છબી પર એક સળ પડી નથી કે વિરોધીઓ પર દરોડાની ચાબુક વિંઝાઇ નથી! જે રીતે રાજકીય સરઘસો વારંવાર થાય એમ દરોડા પણ છાશવારે પડે છે. ભ્રષ્ટાચાર જે એક સમયે બહુ મોટો મુદ્દો હતો એ હવે સામાન્ય બની ગયો છે. કોઇ રાજકીય નેતા પર કે મીડિયા હાઉસિઝ પર દરોડા પડે તો સામાન્ય જનતા એ આખી બાબતને રાજકીય યુદ્ધની એક ચાલ તરીકે જ જુએ છે. અમુક ચોક્કસ લોકો કે સંસ્થાઓને દરોડાના નિશાન બનાવાય ત્યારે લોકશાહીની પકડ ઢીલી બને. તમે સહેજ અવાજ ઉઠાવ્યો નથી કે બસ તમારું આવી બન્યું વાળો અભિગમ લોકશાહીના મૂળભૂત અધિકાર – જેમાં સત્તા સામે સવાલ કરી શકાય -ની વાતનું હનન કરે છે. આમ જ ચાલે તો જે પણ સત્તાધીશોને સવાલ કરવા માગે છે તે એમ કરતાં પહેલાં બે વાર વિચાર કરશે. આ દરોડાની વાહવાહી થશે તો શાસક પક્ષના વિકલ્પ તરીકે કોઇ રાજકીય પક્ષ આવવાની શક્યતાઓ પણ પાંખી બનતી જશે. રાજકારણ બળપૂર્વકનું શાસન બને છે એમાં પસંદગીની વાત રહેતી જ નથી જે લોકશાહીનો છેદ ઉડાડનારી બાબત જ છે. લોકશાહીમાં લોકોને પોતાનો મત અલગ ધરાવવાનો અધિકાર હોય છે પણ અહીં તો માળું દરોડાની બીકથી કોઇ પોતાના અલગ વિચાર કરવાનો વિચાર નહીં કરે કારણ કે કાયદાની પકડ નહીં પણ કેન્દ્ર સરકારના સકંજામાં આવી જશે આમ કાયદાનું શાસન પણ નબળું પડે. ડર ફેલાવીના શાસન કરવાની માનસિકતા લોકશાહીને કેટલી અને કેવા પ્રકારની હાનિ પહોંચાડી શકે છે એ સમજવું જરા ય મુશ્કેલ નથી. દરોડાથી ચાલતું રાજકીય લોકશાહીનું પોત પાતળું પાડશે એ સૌથી મોટું જોખમ અને આવું શાસન ભ્રષ્ટાચારના પ્રશ્નનો જવાબ તો નહીં શોધી શકે બલકે તેની ગંભીરતા પાંખી કરશે. 

બાય ધી વેઃ 

2002નાં રમખાણો વખતે વડા પ્રધાને બી.બી.સી.ને કહ્યું હતું કે તેમને મુસલમાન વિરોધી હિંસાને લઇને એક માત્ર અફસોસ એ હતો કે તે મીડિયાને સરખી રીતે ‘હેન્ડલ’ ન કરી શક્યા. અત્યારે સાહેબનો મિજાજ જોતાં એમ કહી શકાય કે અત્યારે એ ભૂલનું ક્યાંક પુનરાવર્તન ન થઇ જાય તેની એ પૂરી તકેદારી રાખી રહ્યા છે. ન્યૂ યૉર્ક ટાઇમ્સના એક એડિટોરિયમાં લખાયું હતું કે 2014માં કેન્દ્ર સરકારમાં નરેન્દ્ર મોદી આવ્યા પછી ઘણાં પત્રકારોએ સરકાર જે વિષયો પર રિપોર્ટિંગ નથી ઇચ્છતી તેની પર રિપોર્ટિંગ કરીને પોતાની કારકિર્દી અને જિંદગી જોખમમાં મૂકી છે. લોકશાહી દેશમાં, અખબારી સ્વાતંત્ર્ય અંગે વિદેશી મીડિયા હાઉસિઝનો આ અભિપ્રાય હોય તો જાગૃત નાગરિક તરીકે આપણને શરમ આવવી જોઇએ. વર્ષો પહેલાં દૂરદર્શન પર વિક્રમ ઔર વેતાળ સિરિયલમાં એક સંવાદ હંમેશાં વેતાળનાં મ્હોંએ બોલાતો – ‘તુ બોલા ઔર મેં ચલા’, અત્યારે સરકાર સામે અવાજ ઉઠાવનારાઓને દરોડાનો અવાજ સંભળાય કે, ‘તુ બોલા ઔર મેં આયા.’

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 05 માર્ચ 2023

Loading

5 March 2023 Vipool Kalyani
← ન્યાયતંત્રએ ન્યાયતંત્રને બચાવવાનું છે
ગેરહાજરી →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved