Opinion Magazine
Number of visits: 9448997
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દલિતોની વેદના અને તેમનો વિદ્રોહ સમજીએ સાહિત્યકૃતિઓ થકી

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Literature|23 July 2016

ઉના તાલુકાના મોટા સમઢિયાળા ગામના દલિતો પર થયેલા અત્યાચારના વિરોધમાં ગુજરાત  ખળભળી ઊઠ્યું છે તે સામાજિક પ્રતિરોધ અને પરિવર્તનની નિશાની છે.

ઢોરના ચામડાના કામ સાથે અને એકંદર સફાઈના કામ સાથે સંકળાયેલા શ્રમજીવી સમુદાયો આપણા દેશમાં સદીઓથી હીણપત અને હિંસાનો ભોગ બનતા રહ્યા છે. સફાઈ, નાતજાત, ધર્મ, ભૂખ, માંસાહાર ગરીબી, બેકારી એ બધી સુખાળવા સવર્ણ લોકો સમજી શકે એના કરતાં વધુ સંકીર્ણ બાબતો છે. એ સમજ કેળવવાનું કામ પ્રત્યક્ષ રીતે શિક્ષણ અને પરોક્ષ રીતે સાહિત્ય તેમ જ કલા કરતાં હોય છે. પીડિત દર્શન એ સાહિત્ય, સિનેમા, સંગીત અને ચિત્ર જેવી કલાઓનું એકમાત્ર નહીં તો ય મુખ્ય કર્તવ્ય છે. એ કામ સાહિત્યના અનેક પ્રવાહોમાંથી દલિત અને જનવાદી  સાહિત્ય વધુ  અસરકારક  રીતે કરે છે. વાચકને આ પ્રકારનાં લખાણો હાંસિયા બહારના લોકોની દોજખભરી જિંદગીનો અનુભવ નહીં તો ય અસરકારક અંદાજ આપે છે. એટલા માટે જ અગ્રણી ગુજરાતી સાહિત્યકાર-વિવેચક  દલપત ચૌહાણની ‘ગીધ’ (2000) નવલકથા ઉના ઘટનાએ ખાસ યાદ આવે છે. અહીં લેખકે મરી ગયેલાં ઢોરને લઈ જઈને, તેનું માંસ કાપીને, ખાઈને તેના ચામડામાંથી પગરખાં અને અન્ય વસ્તુઓ બનાવનાર લોકોની જિંદગીનું ઝીણવટભર્યું ચિત્રણ  કર્યું છે.

ઉનામાં ચાર દલિતોને મોટર સાથે બાંધીને દંડા ફટકારતા લુખ્ખાઓનું દૃશ્ય જોતાં ‘ગીધ’ નવલકથાનું દૃશ્ય મનમાં આવી ગયું. નવલકથામાં ચામડાંનું કામ કરનાર શ્રમજીવી કોમનો ‘સાથી’ એટલે કે બંધવા મજૂર નાયક ઇસાને તેના ચૌધરી માલિક માવજીભા તેમ જ  તેમના દીકરા લવજી-વેલજીને ઊભા ખેતરમાં લાકડીઓથી ઝૂડી નાખે છે, સાથે બેફામપણે તેની નાતને ગાળો બોલતા જાય છે. ઈસાની ‘લાશ’ને નીકમાં ગબડાવી તેની પર પૂળા ઢાંકી દે છે. ઇસો જીવી જાય છે,પણ ડરનો માર્યો જુલમીઓના નામ દેતો નથી. ઇસા પર હુમલાનું કારણ માવજીની શરીરસંબંધ ઝંખતી સોળ વર્ષની દીકરી દિવાળીનું ઇસા માટેનું એકતરફી આકર્ષણ  છે. અલબત્ત ઇસો જ્યારે ખેતરમાં જ્યાં પીટાય  છે તેના થોડા જ અંતરે દિવાળીની પાછળ પડેલો બીજો સાથી શનિયો પાક વચ્ચે છૂપાઈને તેનો લાભ લેતો હોય છે. પેલાં બંને ભાગી જાય છે અને ઇસો વગર વાંકે કૂટાઈ જાય છે. ઇસાને ફસાવવાની દિવાળીની કોશિશો સાથે લેખકે માલિકના કુટુંબમાં થતાં તેના ખૂબ શોષણ અને અપમાન પણ બતાવ્યાં છે. અસલામતી અનુભવતો શનોજી ઇસાને મારી નખાવે છે. ઇસાની વાર્તા સાથે લેખકે તેના પંથકમાં ચામડાનું કામ કરતાં દલિતોની આખીય દુનિયાનો ચિતાર, નવલકથા કેવળ દસ્તાવેજ ન બને તે રીતે આપ્યો છે. ગામની ભૂગોળ, રોજબરોજની જિંદગી, જ્ઞાતિઓનાં વરણવેશ અને વાસ, ચામડાં કમાવા માટેનાં કુંડનું સ્થાન, ચામડાનાં કામનાં ઓજાર-રીત-પેદાશો, રીતરિવાજ, ભૂવા-જાગરિયા, મેળા-તૂરી-તરગાળાં જેવી અનેક બાબતો અહીં મળે છે. આભડછેટની અને નિરક્ષરતાની નિશાનીઓ ઠેરઠેર છે. બસો સાત પાનાંની નવલકથાનાં પચીસ પાનાંમાં મરેલી એક ભેંસ પરની મહેનતનો આબેહૂબ ચિતાર છે. તેમાં તેના મોતના સમાચાર પહોંચાડવા, ટુકડી બનાવીને લાશ ઊપાડી જવી, તેને કાપવી, નાતીલા વચ્ચે માંસની વહેંચણી કરવી, ચામડાની કામગીરી શરૂ કરવી, માંસ મળતાં વાસમાં તેને રાંધવાની ખુશ્બૂ અને ખાવાની ખુશી ફેલાઈ જવી જેવી કેટલી ય બાબતો લેખકે વર્ણવી છે. નવલકથાનાં કથન-વર્ણન નાગરી ભાષામાં, જ્યારે તમામ સંવાદો દૉતોર પરગણાની, ચામડાનું કામ કરતી કોમની બોલીમાં છે. એટલે તેને ‘તળની બોલી’ નામના લેખકે પોતે જ સંશોધિત-સંપાદિત કરેલા શબ્દાર્થ સંગ્રહની મદદથી વાંચતાં સરળતા રહે છે. ભાષાની આ ભિન્નતાને હળવી કરીએ એટલે સમાજના એક અતિશય ઉપેક્ષિત વર્ગનાં પછાતપણા અને  અવદશાનું ચિત્રણ  અસ્વસ્થ કરી  જાય છે.

ચામડાનું કામ કરતાં મહેનતકશ વર્ગની દુર્દશા અને ચૌધરી સમૂહના તેના પરના જુલમોનું ચિત્રણ હિન્દી લેખક જગદીશચન્દ્ર માથુર (1930-1996) પંજાબની પશ્ચાદભૂ પરની  ત્રણ નવલકથાઓમાં પણ કરે છે : ‘ધરતી ધન ન અપના’, ‘નરકકુંડમેં બાસ’ અને ‘જમીન અપની તો થી’. તેમાં હોશિયારપુર જિલ્લાના ઘોડેવાહા ગામની ચમાદડી એટલે કે ચર્મકાર દલિતોની વસ્તી કેન્દ્ર સ્થાને છે. તેમાંથી મોટાભાગના ચૌધરીઓને ત્યાં વેઠ કરે છે, ગાળો અને માર ખાય છે, પાણી માટે ટળવળે છે, ગામના છેવાડે ચીતરી ચડે તેવી  ગંદકીમાં રહે છે. ‘ગાંવમેં કુત્તોંકી ઔર ઇનકી પહચાન રખના મુશ્કિલ હૈ’ – આવા પ્રકારની પસ્તાળ ત્રણેય નવલકથાઓમાં વારંવાર વાંચવા મળે છે. કંઈક  અંશે વિદ્રોહી નાયક કાલી સમાજમાં બદલાવ લાવવાની કોશિશો પછી ગામ છોડીને જલંધર આવે છે. ચામડા કમાવાના, નરકકુંડ સમા કારખાનામાં વૈતરું કરે છે. પછી તે પગરખાંની દુકાને કામ કરે છે. આ વળાંકે તેની જિંદગી થોડીક સુધરે છે. તેનો એક  પુત્ર સનદી અધિકારી અને બીજો દાક્તર બને છે,પણ કાલી પોતાના કામને ગરિમાપૂર્વક વળગી રહે છે. જગદીશચન્દ્ર અને જૉસેફ મૅકવાનની નવલકથાઓમાંના દલિત ચેતનાના નિરુપણ વિષય પર પુસ્તક લખનાર હિંદી સાહિત્યના અધ્યાપક ગોવર્ધન બંજારા માથુરની નવલત્રયીને ‘ચમડેકા કામ કરનેવાલી જાતિકા મહાકાવ્યાત્મક ઉપન્યાસ’ ગણાવે છે.

દલિત ગુજરાતી નવલિકા ‘આઘાત’માં પસો મરેલી ભેંસને કાપે છે, તેમાંથી મળેલ માંસ રંધાતા વાસમાં ગંધ ‘બાદશાહી ઠાઠથી’ ફરવા લાગે છે. અલબત્ત પસાને વધુ આનંદ તો ભેંસના પેટમાંથી સોનાનો અછોડો નીકળ્યાનો છે. બીજી ભેંસ માંદી હોવાના સમાચાર આવે છે. પસાનો સાથી જેઠો રાજી થાય છે. તેને ક્ષયથી રિબાતી યુવાન દીકરી લીલાની સારવાર માટે પૈસાની જરૂર છે. માંદી ભેંસના પેટમાં પણ ઘરેણું હોવું જોઈએ એવી આશ એને છે. પણ ડૉક્ટર આવીને ભેંસને સાજી કરે છે. વાર્તાને અંતે લેખક કહે છે : ‘આજે પાંચ વર્ષ પછી પણ પસો એ નથી સમજી શક્યો કે જેઠાકાકા ભેંસ જીવી ગઈ એના આઘાતથી ગાંડા થઈ ગયા છે કે યુવાન દીકરીના મૃત્યુથી …’. મરાઠી દલિત વાર્તાકાર અમિતાભની ‘પાડ’(1980) નામની વાર્તામાં ઢોરનું શબ આવી પહોંચ્યા પછી વખાના માર્યા ગરીબ દલિતો તેનું માંસ કાઢીને લઈ જવા કેવી રીતે તૂટી પડે છે તેનું હચમચાવી નાખે તેવું બયાન છે. તે પન્નાલાલ પટેલની ‘માનવીની ભવાઈ’ના ‘ભૂખી ભૂતાવળ ?’ પ્રકરણમાં ભેંસોને ખાવા માટે તૂટી પડેલાં દુષ્કાળગ્રસ્ત ભૂખ્યા જંગલવાસીઓના વર્ણનની યાદ અપાવે છે.

ભારતીય સાહિત્યની એક મહત્વની દલિત આત્મકથા તે મરાઠી લેખક દયા પવારની ‘બલુતં’ (1978, ગુજરાતી અનુવાદ : સુરેન્દ્ર દોશી). એમાં ઢોરનાં ચામડાં ઊતારવાના કામ અને માંસભક્ષણના ઉલ્લેખો છે. તેમાંથી એક :  ‘મરેલા ઢોરનું માંસ તેં ખાધું છે કે ? એનો સ્વાદ કેવો હોય છે ? એવો સવાલ મને એક સાહિત્યિક ચિંતકે પૂછ્યો. મારો શ્વાસ રુંધાવા લાગ્યો. મેં કહ્યું : ‘ જે દિવસોમાં મેં આ માંસ ખાધું એ દિવસોમાં મારી ઉંમર સ્વાદ પરખવાની નહોતી. માત્ર પેટનો ખાડો પૂરવાનું હું જાણતો હતો.’

21 જુલાઈ 2016

+++++

e.mail : sanjaysbhave@yahoo.com

સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “નવગુજરાત સમય”, /22 જુલાઈ 2016

Loading

23 July 2016 admin
← ટેરીસા મેઃ બ્રિટનનાં બાહોશ મહિલા વડાપ્રધાન સામે બ્રેક્ઝિટ અને અર્થતંત્રનાં પડકારો
દરુ : માનવવાદના કર્મશીલ સિપાહી →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved