Opinion Magazine
Number of visits: 9448701
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દલિત અસ્મિતાનો મિજાજ નારણ વોરા

સંગીતા પટેલ|Opinion - Opinion|1 March 2025

નારણ વોરા

1961ના ગુજરાત સ્થાપના દિને, અમદાવાદના સેંકડો શ્રમિકો, વાદળી ટોપી પહેરી વાદળી વાવટો પકડી, સવારથી જ ઉમટેલા વિધાનસભા ધેરવા. તત્કાલીન વિધાનસભા અમદાવાદની મધ્યે હાલની સિવિલ હોસ્પિટલ ખાતે કાર્યરત હતી. ઘેરાવા પાછળ કારણ દલિતોએ છેડેલું જમીન આંદોલન હતું. રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા(RPI)એ 1956માં શરૂ કરેલું જમીન આંદોલન 1966 સુધી તબક્કાવાર ચાલેલું. ડો. બાબાસાહેબ આંબેડકરે તેમના ગ્રંથ “રાજ્ય અને લધુમતીઓ”માં જમીનોના રાષ્ટ્રીયકરણનો મુદ્દો ઉઠાવેલો અને એમાંથી પ્રેરણા લઇને જમીન સત્યાગ્રહ શરૂ થયેલો. મેધાવી આંબેડકરવાદી આનંદ તેલતુંબડે તેમના પુસ્તક “Dalits …. Past, Present and Future”માં નોંધે છે કે, 1938માં ઔદ્યોગિક કામદારોની હડતાળ પછી, પહેલી વાર 1959માં સામ્યવાદનો લાલ અને આંબેડકરવાદનો વાદળી એમ બેઉ ઝંડા એક સાથે લહેરાતા જોવા મળેલા. મહારાષ્ટ્રના નંદુરબાર તાલુકાથી શરૂ થયેલું આ આંદોલન રાષ્ટ્રવ્યાપી બનેલું. મહારાષ્ટ્રની ઘણીબધી અસરો ઝીલતા ગુજરાતના દલિતોએ આ આંદોલનમાં જરા ય પાછી પાની કરી ન હતી. આ જુવાળ વચ્ચે નેપાળી જેવી ઝીણી આંખો, વાન ઉજળો અને કદકાઠીએ બિલકુલ પહેલનવાનની યાદ અપાવે તેવું એક વ્યક્તિત્વ હતું, નારણ વોરા. 

બાબસાહેબના ભગીરથ પ્રયત્નોથી અસ્પૃશ્યતાની નાગચુડમાંથી માંડમાંડ બહાર નીકળેલા દલિત સમાજ માટે આંબેડકર પારસમણિ જેવા હતા. એટલે જ તેમની વિચારધારાને વરેલા પક્ષ RPIમાં દલિતોએ પૂરેપૂરો વિશ્વાસ મૂકેલો. એ વખતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં  RPIના 6 કોર્પોરેટર ચુંટાઇ આવેલા. તેમાંના એક મોહનલાલ આંબેડકરવાદી તો અમારા ગામ દરિયાપુરના હતા. કામદારોએ આ વાતાવરણની ખરી અસર ઝીલેલી. કાપડ મિલના કામદારો ખાસ તો અમદાવાદના આંદોલનોની તાકાત હતા. નારણ વોરા આવા કામદારોનો બળૂકો અવાજ હતા. 1959થી 1966 સુધી ચાલેલા જમીન આંદોલનમાં આખા દેશમાંથી હજારો લોકોએ ગિરફ્તારી વહોરેલી. એની ચરમસીમા તો એ હતી કે સ્ત્રીઓએ ય તેમનાં બાળકો સાથે જેલની હવા ખાધેલી. નારણ વોરા ય આવા જેલવાસીઓમાંના એક હતા. 

નારણભાઈના મોટા ભાઈ ડાહ્યાભાઈ યુવાન વયે જ અમદાવાદ છોડીને દિલ્હીમાં ફીટર માસ્ટર તરીકે સ્થાયી થયેલા. ફીટર માસ્ટરના કૌશલ પર જ તેમણે એક દીકરીને દિલ્હીમાં ડોક્ટર બનાવી અને બીજી દીકરી હાલ અમદાવાદના જાહેર જીવનમાં વ્યસ્ત છે. ડાહ્યાભાઈ ઘણીવાર નાનાભાઈ નારણને દિલ્હી સ્થાયી થવાની સલાહ આપતા. પણ ગુજરાતમાં વાદળી ઝંડો પકડીને બેઠેલા નારણભાઈ એમની વાત સાંભળી ન સાંભળી કરી દેતા.  

1970 થતાં થતાં RPIના વળતાં પાણી થયાં. આવા શૂન્યાવકાશમાં અમરિકામાં વર્ગભેદ સામે સંઘર્ષ કરતા માર્કસવાદી લેનિનવાદી સંગઠન “બ્લેક પેંથરના” ઉદયનો પડઘો ભારતમાં સંભળાયો અને મહારાષ્ટ્રમાં “દલિત પેંથરની” સ્થાપના થઈ. મહારાષ્ટ્રના પડોશી રાજ્ય ગુજરાતના દલિતો ય આમાં સાથો સાથ જ રહ્યા અને ગુજરાતમાં “દલિત પેંથરના” મંડાણ થયા. વાલજીભાઈ પટેલ, નગીનભાઈ પરમાર, બકુલ વકીલ અને RPIથી વિખૂટા પડેલા બંધુઓ રમેશચંદ્ર પરમાર અને નારણ વોરાથી ગુજરાતમાં “દલિત પેંથર્સનું” અવતરણ થયું. દસકોઇ તાલુકાના જેતલપુર ગામે શકરા નામના યુવાનને ગામપંચાયતની કચેરીમાં જીવતો સળગાવી દેવાનો બનાવ દલિત પેંથર્સને એવો દઝાડી ગયેલો કે તેમણે રાતદિવસ એક કરી ગુજરાતનો સુષુપ્ત લાવા સક્રિય કરેલો. ગુજરાત ભરના લોકોને જેતલપુર ગામની ભાગોળે ભેગા કરીને પ્રચંડ દલિતશક્તિનું પ્રદર્શન કર્યું અને ગામના ઉજળિયાતોની ઊંઘ હરામ કરેલી. વાલજીભાઈ પટેલ લેખિત “જલતું જેતલપુર”માં આખી ઘટના બયાન છે.

વાલજીભાઈ પટેલ અને નારણ વોરા

ગુજરાતમાં દલિતો પર થતા અત્યાચાર સામે પેંથરોએ ધરાર યુદ્ધ છેડેલું. મિલ મજૂર કે કડિયાકામ કરતા કોન્ટ્રાક્ટરથી માંડી સરકારી કર્મચારીઓ, શિક્ષકો આ યુદ્ધના સેનાનીઓ હતા. પત્રિકા, સામયિક, જાહેરસભા, દેખાવો તેમના હથિયાર હતાં. નોકરી છોડી આંદોલન કરવું આ યોદ્ધાઓને પાલવે તેમ ન હતું. તેમ છતાં, નોકરીની પરવા કર્યા વગર પ્રસ્થાપિત વ્યવસ્થા સામે સરકારી કર્મચારીઓ ય ઝંપલાવેલું. શાહપુરના ગણપતભાઈ રાઠોડ પેંથર મિત્રોથી રાત્રે 12 વાગ્યે છૂટા પડી સાયકલ પર સવાર થઈ મિલની છેલ્લી પાળી ભરવા જતા એ મને યાદ છે. ગામડાઓમાં દલિત સ્ત્રીઓ પર થતા બળાત્કારની વાત ઘણી સલૂકાઇથી સ્ત્રી ગરિમા સચવાય તે રીતે કરતા નારણભાઈને મેં સાંભળ્યા છે. બુલંદ અવાજે વાત કરતા આ મેદાની વક્તાએ સામાન્ય માણસને ગળે ઉતરે તેવા શબ્દો શોધવા પડ્યા ન હતા. 

અમારા ઘરના એક ઓરડામાં દરરોજ ભરાતી મિટિંગ પૂરી કરી ઘરે જતી વખતે નારણભાઈ એક વાક્ય અચૂક બોલતા, “સંગીતા, અમારાં પગલાં સાફ કરી નાખજે હવે.” ઘરને સ્વચ્છ રાખવાની મારી ટેવ હતી. અમદુપુરા વિસ્તારની રાયચંદ મેઘરજની ચાલીનું તેમનું ઘર ય તેઓ પરિવારજનો પાસે સુઘડ રખાવતા. નોકરી પૂરી કરી મિલ છોડતાં પહેલા પગની એડી પત્થર સાથે ઘસી ચોખ્ખી કરવાનું તેઓ ચૂકતા નહિ. એકદમ સુઘડ દેખાતા એ મિલમજૂર દલિત પોતે સ્વચ્છતા ઝુંબેશનું પ્રતીક હતા. આખો દિવસ પહેરણ અને ચડ્ડી પહેરી મિલની થ્રાસલ ખાતાની નોકરી કરતા પણ, સાંજ પડ્યે ખાદીના ઇસ્ત્રીબંધ સફેદ કપડાં પહેરી પેંથર્સ સભાઓ ગજવતા નારણભાઈને આંદોલનની ચિંતા હૈયે હતી. 

1981ના અનામત વિરોધી આંદોલનથી દલિત સમાજ બહાવરો બની ગયેલો તે વખતે પણ નારણભાઈએ ગિરફ્તારી વહોરેલી. તેમના પરિવારમાં આજદિન સુધી કોઇએ  અનામતના ફળ ચાખ્યા નથી, પણ તેનો જરા ય રંજ રાખ્યા વગર દલિત આંદોલનના આ કડખેદેએ પાછું વાળી જોયું ન હતું. તેમના મિલમજૂર બનેવી પણ આ રમખાણમાં પોલીસ ગોળીબારનો ભોગ બન્યા હતા. એમની ખાંભીઓ હજી ડૂસકાં ભરે છે. 

એક સંસદસભ્યએ પપ્પાને ઘણીવાર કહેલું “વાલજીભાઈ, અમને નારણ વોરા આપી દો.” નારણભાઈ આવા પ્રલોભન સામે ડગે એવા ન હતા. એકવાર રાજ્ય કક્ષાના તત્કાલીન ગૃહ મંત્રી યોગેન્દ્ર મકવાણા તેમને મળવા મિલમાં ગયેલા મોટી ગાડી લઇને. મિલ માલિકને કૌતુક થયેલું આ નારણ વોરા કોણ છે જેને, મળવા આટલા મોટા માણસ આવ્યા છે? આવા દબદબાથી ચલિત થાય તેવા તેઓ નહતા. 

નારણભાઈ કબડ્ડીના ય પાકા ખેલાડી હતા. વાલ્મિકી સમાજનો કબડ્ડીનો એક ખેલાડી મૃત્યુ પામ્યો. આકાશવાણીએ તેના મૃત્યુની નોંધ લેતા સમાચારમાં જણાવેલું કે, “મૃતક ખેલાડી બીજો નારણ વોરા હતો.” આ સમાચાર વાયુ વેગે જરા જુદી રીતે ગયા. લોકોએ એવું અર્થઘટન કર્યું કે નારણ વોરા મૃત્યુ પામ્યા. અને પછી તો સવારથી લોકોની ફોજ એમના ઘર આંગણે ઊભરાતી ગઈ. પરિવાર આભું બની ગયેલું. નારણભાઈનો ફોન આવતા પપ્પા તરત પહોંચી ગયેલા. બંને પેંથરો માટે એ આખો દિવસ લોક મેળા જેવો રહ્યો. નારણભાઈએ તેમનો પોતાનો સાક્ષાત્કાર તો કરાવ્યો જ, સાથોસાથ જીવતા જીવ હિતેચ્છુઓની હમદર્દીનો લ્હાવો પણ લીધો . 

મહારાષ્ટ્રની મરાઠાવાડા યુનિવર્સિટીનું “ડો. બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટી” નામાભિધાન તો છેક 1994માં થયું પણ તેના નામાન્તરનું આંદોલન શરૂ થયેલું 1974માં. મહારાષ્ટ્રમાં દલિત વિદ્યાર્થીઓ પર પેંથર્સની અસર મોટી હતી. તે વખતે દલિતોની પહેલી-બીજી પેઢી કોલેજ સુધી પહોંચેલી. કટોકટીની જાહેરાત, જયપ્રકાશ નારાયણનો સંપૂર્ણ ક્રાન્તિનો નારો, વિનોબા ભાવેનું ભૂદાન આંદોલન, નક્સલવાદનો પ્રારંભ આવા તમામ પરિબળો વચ્ચે મરાઠાવાડા આંદોલન વેગે ચડેલું. સેંકડો સ્ત્રી પુરુષોનાં લોહી રેડાયાં. આ હવાની લહેર ગુજરાત આવી. ગુજરાત દલિત પેંથર્સે મહારાષ્ટ્રના તત્કાલીન મુખ્ય મંત્રી શરદ પવારનું પૂતળું બાળી દેખાવો કરવાનો કાર્યક્રમ ઘડેલો. પોલીસને તેની જાણ થતા ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો. તે વખતે અમદાવાદના શાહપુર વિસ્તારમા રહેતા ડાહ્યાભાઈ શિકારી આબેહૂબ પૂતળા બનાવતા. પોલીસ તેમના ઘરે પણ ગોઠવાઇ ગઈ. ડાહ્યાભાઈએ ખાનગી રાહે પૂતળું બનાવી તો દીધું પણ, ત્યાંથી તેને ખસેડવાનું કામ ભગીરથ હતું. નારણભાઈની ચાલીના નાકે દૂધની દુકાન હતી. આ દુકાને દૂધની હેરફેર કરતી ટ્રક આ પેંથરોને હાથવગી હતી. દૂધના કેન ભરેલી આ ટ્રક શાહપુર લઇ ગયા અને પોલીસની આંખમાં ધૂળ નાખી પૂતળું ટ્રકમાં સંતાડીને જાહેર સ્થળે લઇ ગયા અને કાર્યક્રમને ધાર્યો અંજામ આપી સરકારને ચોંકાવી દીધી. 

સૌરાષ્ટ્ર વિસ્તારના હળવદ તાલુકાના રણમલપુરા ગામે ઉજળિયાતોએ દલિત મહિલા જેઠીબહેનની જીભ કાપી નાખેલી. ગુજરાતના અખબારોનું મીંઢું મૌન હતું. દલિત પેંથર્સે અખબારની ભૂમિકા ભજવવાની હતી. આ જ દિવસોમાં સમાજ કલ્યાણ મંત્રી ભીમાભાઈ રાઠોડ સરસપુર, અમદાવાદના આંબેડકર હોલ ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપવાના હતા. સરકારની સામે પડેલા પેંથરોની આવા કાર્યક્રમોમાં અવરજવર સરળ ન હતી.  ચોકીદારની મદદથી કાર્યક્રમના આગલા દિવસે નારણભાઈ હોલના મેકઅપ રૂમમાં જતા રહ્યા. રાત આખી મેકઅપ રૂમમાં જાગતા જ પસાર કરેલી. બીજા દિવસે ભીમાભાઈએ સ્ટેજ પર આવીને પ્રવચન શરૂ કર્યું, ત્યાં જ નારણભાઈએ સ્ટેજ પર જઇ તરાપ મારી ભીમાભાઈના હાથમાંથી માઇક છીનવી લીધું. હોલમાં હાજર દલિત યુવાનોએ સૂત્રોચ્ચાર કરી ભીમાભાઈ  પર જૂતાનો વરસાદ વરસાવેલો. આવી તો ઘણી તવારીખ મૂકતા ગયા નારણભાઈ. આંગળીના ટેરવે ચાલતા એ આંદોલન ન હતા. છાપા તો તેની નોંધ જ લેતા ન હતા. સમાજને ય તેના હિતની પ્રતીતિ કરાવવાની હતી. પ્રસ્થાપિત વ્યવસ્થાઓ સામે બાથ ભીડવાની હતી. આ બધું જરા ય સરળ ન હતું. કોઇપણ સંસાધનો વગર, માત્ર પ્રતિબદ્ધતાના જોરે સંઘર્ષ જ કરવાનો હતો.     

1981થી ગુજરાતના કાપડ ઉદ્યોગના માન્‌ચેસ્ટર કહેવાતા અમદાવાદની મિલો ટપોટપ બંધ પડવા માંડી. મિલમજૂરો બેકાર થવા માંડ્યા. તેમાં આ પેંથર યોદ્ધો ય પિસાયો. તેમની દીકરીઓ કરુણા અને ભારતીને પરણાવી દઇ ચૂલાચોકાની કહેવાતી સુરક્ષિત જિંદગીની વ્યવસ્થા કરી દીધી પણ, દીકરાઓ અર્ધ બેરોજગારીમાં મુકાઇ ગયેલા. આર્થિક કારમી પરિસ્થિતિ સામે ઝીંક ઝીલવી તેમના માટે અઘરી બની. 50 વર્ષની ઉંમરે હ્રદય રોગના પહેલા હુમલામાં જ ચિર નિંદ્રામાં પોઢી ગયા. તેમના પત્ની સેમીબહેનની જેમ જ તેમની પુત્રવધૂઓ પણ ભર યુવાનીમાં વિધવા થઇ. છેલ્લી અવસ્થામાં જોયેલા સેમીબહેનની ઉદાસ આંખો જિંદગી પૂરી કરવાની રાહ જોતી હતી. 

અમદુપુરા રોડ પર યોજાયેલી નારણભાઈની શોકસભામાં આખો રોડ દલિતો વંચિતોથી ઉભરાયેલો. આકાશવાણીમાં ફરજ બજાવતા ભરત ચૌહાણે નારણભાઈને શોકાંજલિ આપતા “નવ કરશો કોઇ શોક રસિકડાં” ગીત રજૂ કરાવેલું. જાહેર રોડ પર હકડેઠઠ ભરાયેલા લોકોના ઉદાસ વદને શાંતિથી એ ગીત સાંભળેલું. વાતાવરણ એટલું ગમગીન થઇ ગયેલું કે નર્મદે એ ગીત નારણભાઈ માટે જ લખ્યું હોય એવું લાગેલું. ચંદુ મહેરિયાએ “આપણા દુ:ખનું કેટલું જોર” શીર્ષક હેઠળ શ્રદ્ધાંજલિ આપેલી. ‘નયામાર્ગ’ સામયિકમાં એ છપાયેલી. એ વાતને આજે સાડત્રીસ વર્ષ થઇ ગયાં. તદ્દન ભ્રામક સમરસતા પાછળ લોકો ગાંડાતૂર છે તેવા સંજોગોમાં આપણા દુ:ખનું જોર માપવું વિકટ છે ત્યારે, મિલમજૂર નારણભાઈ દલિત આંદોલનકારીઓની એક મિસાલ છે.         

e.mail : rsolanki0@gmail.com

Loading

1 March 2025 Vipool Kalyani
← ‘નારી શક્તિ’ના લોભામણાં બિરુદ પાછળ સંતાતી વાસ્તવિકતા
बन गया विश्वगुरू क्लब ! →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved