Opinion Magazine
Number of visits: 9446991
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દક્ષિણ આફ્રિકામાં ગાંધીજી ‘એન અનવેલકમ વિઝિટર’

રમેશ ઓઝા|Opinion - Opinion|13 September 2020

ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં પગ મુક્યો એ જ દિવસે પ્રમુખ કૃગરે જાહેરાત કરી દીધી હતી કે શ્વેત ખ્રિસ્તી પ્રજા ઈશ્વરની માનીતી પ્રજા છે એટલે બીજા લોકોએ અધિકારો તો ઠીક, આત્મસન્માનની પણ અપેક્ષા રાખવી નહીં. ગાંધીજીને હવે આના અનુભવ થવાના હતા. પહેલો અનુભવ તો બીજા જ દિવસે ૨૬મી મે ૧૮૯૩ના રોજ ડરબનની આદાલતમાં થયો. ગાંધીજી ભારતીય પાઘડી પહેરીને અદાલતમાં ગયા ત્યારે જજે ઈશારો કરીને પાઘડી ઉતારવા કહ્યું. ગાંધીજીએ પાઘડી નહીં ઉતારી અને અદાલતના ખંડની બહાર નીકળી ગયા. બીજા દિવસે ત્યાંના અખબાર ‘ધ નાતાલ ઍડ્વર્ટાઈઝર’માં એ ઘટનાના સમાચાર ‘એન અનવેલકમ વિઝિટર’ એવા મથાળા હેઠળ આપવામાં આવ્યા હતા. હજુ તો કૃગરે ચેતવણી આપી એને ત્રણ દિવસ પણ નહોતા થયા ત્યાં અખબારે ગાંધીજીને ‘એન અનવેલકમ વિઝિટર’ જાહેર કરી દીધા.

૩૧મી મેએ ગાંધીજી ડરબન છોડીને કેસના કામે પ્રિટોરિયા જવા નીકળ્યા. તેમના અસીલે તેમના માટે પહેલા વર્ગની ટિકિટ કઢાવી હતી. રાતે નવેક વાગે ટ્રેન મૅરિત્સબર્ગ સ્ટેશને પહોંચી ત્યારે ગોરાઓએ તેમને ટ્રેનની બહાર સામાનની સાથે સામાનની જેમ જ ફગાવી દીધા હતા એ ઘટના તો જાણીતી છે. એ પછી ગાંધીજી કડકડતી ઠંડીમાં બાંકડા ઉપર બેસીને આખી રાત વિચારતા રહ્યા. ઊંઘનું એક મટકું પણ માર્યું નહોતું. મારે શું કરવું જોઈએ? એક મનુષ્ય તરીકે મારો ધર્મ શું હોય શકે છે?

ગાંધીજી તેમની આત્મકથામાં લખે છે : મેં મારો ધર્મ વિચાર્યો : ‘કાં તો મારે મારા હકોને સારું લડવું અથવા પાછા જવું. નહીં તો જે અપમાનો થાય તે સહન કરવાં ને પ્રિટોરિયા પહોંચવું અને કેસ પૂરો કરીને દેશ જવું. કેસ પડતો મૂકીને ભાગવું એ તો નામર્દી ગણાય. મારા ઉપર દુઃખ પડ્યું એ તો ઉપરચોટિયું દરદ હતું; ઊંડે રહેલા મહારોગનું એ લક્ષણ હતું. આ મહારોગ તે રંગદ્વેષ. એ ઊંડો રોગ નાબૂદ કરવાની શક્તિ હોય તો તે શક્તિનો ઉપયોગ કરવો. તેમ કરતાં જાત ઉપર દુઃખ પડે તે બધાં સહન કરવાં. અને તેનો વિરોધ રંગદ્વેષ દૂર કરવા પૂરતો જ કરવો.’

એક વિકલ્પ હતો કેસ પતાવીને તરત દેશ પાછા જતા રહેવું. પણ દેશમાં પાછા જતા રહેવાથી દક્ષિણ આફ્રિકામાં હિંદીઓ સાથે, કાળાઓ સાથે અને બીજા અશ્વેતો સાથે જે અન્યાયી વર્તન થઈ રહ્યું છે એનો તો કોઈ અંત આવવાનો નથી. આપણને અન્યાયથી છૂટકારો મળશે પણ અન્યાયનો અંત આવવાનો નથી. બીજું, ભારતમાં પણ ક્યાં રામરાજ્ય છે. અહીં પણ અંગ્રેજો ભારતની પ્રજાને ગુલામ બનાવીને શાસન કરે છે. આ ઉપરાંત ભારતમાં એક પ્રજા બીજી પ્રજા સાથે અન્યાય ક્યાં નથી કરતી. દક્ષિણ આફ્રિકામાં એક મહારોગ છે તો ભારતમાં બીજો મહારોગ છે.

બીજો વિકલ્પ હતો રંગદ્વેષ નામના મહારોગ સામે લડવાનો. ગાંધીજી લખે છે, ‘એ ઊંડો રોગ નાબૂદ કરવાની શક્તિ હોય તો તે શક્તિનો ઉપયોગ કરવો. તેમ કરતાં જાત ઉપર દુઃખ પડે તે બધાં સહન કરવાં.’ ગાંધીજીએ હજુ થોડા સમય પહેલાં જ એ શક્તિનો ગોરા રંગદ્વેષીને પરિચય કરાવ્યો હતો. પોતાની જાતે ઉતરવાની ના પાડી દીધી હતી અને પોતાનામાં શક્તિ હતી ત્યાં સુધી ટ્રેનના દરવાજાનો સળિયો પકડી રાખ્યો હતો. લગભગ કાંડું તૂટી જાય ત્યાં સુધી. ગાંધીજીને જ્ઞાન થયું હતું કે આત્મબળ કોઈ પણ બળનો સામનો કરી શકે એવું એક બળ છે. એમાં શરત એ છે કે બધાં પ્રકારનાં દુઃખો સહન કરવાની તૈયારી હોવી જોઈએ. 

અને છેલ્લું વાક્ય સૌથી વધારે મહત્ત્વનું છે. ગાંધીજીએ લખ્યું છે, ‘અને તેનો વિરોધ રંગદ્વેષ દૂર કરવા પૂરતો જ કરવો.’ આત્મબળનો ઉપયોગ કરવાનો પણ આફ્રિકામાં રંગદ્વેષ દૂર કરવા પૂરતો જ. એ રાતે કડકડતી ઠંડીમાં એક ખાસ પ્રકારની મનોવેદનામાંથી પસાર થઈ રહેલો ૨૪ વરસનો યુવક પોતાના માટે લક્ષ્મણરેખા પણ બાંધે છે. લડત મુદ્દાને લઈને અને મુદ્દા પૂરતી જ. સાધારણપણે એવું બને છે કે લડતમાં ટકી રહેવા માટે, સાથે લડતા લોકોને ટકાવી રાખવા માટે અને એકંદરે લડતને ટકાવી રાખવા માટે તિરસ્કાર અને દ્વેષનો વિસ્તાર કરવામાં આવે છે. જેની સામે લડવાનું હોય તેની સામે મળે એટલાં દ્વેષનાં શસ્ત્રો એકઠાં કરવામાં આવે છે. તમે ગોરા છો માટે આવા એમ કહીને સાચો-ખોટો ઇતિહાસ ઉખેળવામાં આવે છે. ગાંધીજી તિરસ્કાર અને દ્વેષના વિસ્તારને કાયરતા સમજે છે.

અધ્યાત્મિક પરિભાષામાં કહીએ તો એ દિવસે ગાંધીજીને જ્ઞાન લાધ્યું હતું. તેમણે ૧૯૩૮માં એક અમેરિકન પાદરી ડૉ. જોન આર. મૉટ સાથેની ચર્ચામાં એ અનુભવને ‘જીવન ફેરવનાર’ અનુભવ તરીકે વર્ણવ્યો હતો અને કહ્યું હતું કે તે દિવસથી તેમની અંદર સક્રિય અહિંસાની શરૂઆત થઈ હતી.

એ પછી દક્ષિણ આફ્રિકામાં મોહનમાંથી મહાત્મા બનવાની યાત્રા શરૂ થાય છે. સાચી તાકાત ચાલાકીમાં નહીં સત્યમાં રહેલી છે. સાચી તાકાત બહાર નહીં અંદર રહેલી છે. સાચી તાકાત શસ્ત્રમાં નહીં આત્મામાં રહેલી છે. આ તાકાત અજેય છે. જાહેરજીવનમાં સામૂહિક રીતે આ તાકાત અજમાવવાની ઘટના ઇતિહાસમાં પહેલી વાર બની એ દક્ષિણ આફ્રિકામાં. આપણે ગાંધીજીના દક્ષિણ આફ્રિકાના દિવસો વિષે બહુ ઓછું જાણીએ છીએ. પચાસેક હજાર સાવ ગરીબ શોષિત ચેતનહીન લોકો શસ્ત્ર હાથમાં લીધા વિના અને દ્વેષ કર્યા વિના પ્રચંડ શક્તિશાળી રાજ્યને પડકારી શકે એ અચરજની વાત હતી. એ યુગમાં સામાજિક પ્રવાહો ઉપર નજર રાખનારાઓ ‘એન અનવેલકમ વિઝિટર’ ગાંધીજી તરફ કુતૂહલથી જોતા હતા. એમાંના કેટલાક શ્રદ્ધાપૂર્વક પણ જોતા હતા. ગાંધીજીએ તેમની આત્મકથામાં આનો પણ ઉલ્લેખ ટાળ્યો છે. આ બાજુ પ્રચંડ શક્તિશાળી રાજ્યને પણ એક નવો અનુભવ થઈ રહ્યો હતો.

e.mail : ozaramesh@gmail.com

પ્રગટ :  ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 13 સપ્ટેમ્બર 2020

Loading

13 September 2020 admin
← અલવિદા અગ્નિવેશ : ગ્રીન લેડી, સેફ્રોન મંક
યુનિવર્સિટીઓનાં પીએચ.ડી.નાં કારખાનાં બંધ થવાં જોઈએ →

Search by

Opinion

  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?
  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved