Opinion Magazine
Number of visits: 9569791
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગમે એવી મહાન વ્યક્તિને પણ જીવન તો એક જ વાર મળે છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|21 April 2022

હા, માણસને જિંદગી એક જ વાર મળે છે. એ સારો હોય કે ખરાબ, જિંદગી એક જ વાર મળે છે. એમાં  કમાલ એ છે કે એક જિંદગી ખોટી જીવાઈ ગઈ હોય તો તે સુધારીને જીવવા માટે બીજી જિંદગી મળતી નથી. બધું મળીને જિંદગી એક જ છે. તે સુધારો, બગાડો કે ઉત્તમ કરો, એ એક જ જિંદગીમાં શક્ય છે, તે પૂરી થાય પછી, બજારમાંથી નવી લવાશે, એવા ભરોસે રહેનારાને છેતરાવાનું જ થાય છે. મનુષ્યનું આયુષ્ય 100 વર્ષનું સરેરાશ ગણીએ તે પછી પણ, તે પૂરું તો જ થાય છે, તે રિપ્લેસ કરી શકાતું નથી અથવા તો તેમાં એક્સટેન્શન મળતું નથી. કોઈ બાળક જન્મીને તરત મૃત્યુ પામે તો તેને સો વર્ષની સરેરાશ પૂરી કરવા બાકીનાં વર્ષો કોઈ આપતું નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે ઈશ્વરને પણ બીજી જિંદગી મળતી નથી, તો સાધારણ માણસની તો વાત જ શું કરવાની? એક જણને જિંદગી એક જ વાર મળે છે. એવું કહેવાય કે મનાય છે ખરું કે ફલાણો તો નવા અવતારે ઊઠ્યો કે ઢીકણાનો તો પુનર્જન્મ થયો, પણ એવું હકીકતે બનતું નથી. મૃત્યુ પછીની જિંદગીની વાતો થાય છે ખરી, પણ તેને વિજ્ઞાનનો આધાર નથી ને અંધશ્રદ્ધાને તો ક્યારે કોઈ પુરાવાની જરૂર જ પડી છે ! ટૂંકમાં, એક જણને જિંદગી એક જ વાર મળે છે.

જો આ સાચું હોય તો હવે એ વિચારવાનું રહે કે આપણે જિંદગીને કેટલી લાઇટલી લઇએ છીએ અથવા તો એને કેટલી ગંભીરતાથી લઇએ છીએ. આપણે લાઇટલી લઇએ કે સિરિયસલી, જિંદગી કોઈ કન્સેશન કે એક્સટેન્શન આપતી નથી. એનો જે વ્યાપ છે એમાં કોઈ ફરક પડતો નથી. એ નિશ્ચિત જ રહે છે. કોઈ જિંદગીને લંબાવી શકતું નથી, પણ તેને ટુંકાવી તો શકે છે. ટુંકાવવામાં કોઈ સફળ થાય કે નિષ્ફળ જાય, તે દરેક વખતે નક્કી નથી હોતું. કોઈ ટુંકાવવામાં સફળ જાય તો પણ તેને પાછળથી જિંદગી મજરે મળતી નથી. જ્યાંથી તે અટકે ત્યાંથી તે અટકે જ ! એમાં સુધારા વધારાને કોઈ અવકાશ નથી. એક વાત સ્પષ્ટ છે કે જન્મેલો માણસ ફરી જન્મ લેતો નથી ને મરેલો ફરી જીવતો થતો નથી. આ સ્થિતિ હોય તો આપણને જિંદગીનું મહત્વ હૈયે વસવું જોઈએ. પણ એવું ઓછું જ જોવા મળે છે.

સુરતના કઠોદરાની પ્રાથમિક શાળાના 11 વિદ્યાર્થીઓએ ચીમકી આપી છે કે ધોરણ નવના વર્ગો શરૂ નહીં થાય તો તેઓ અગ્નિસ્નાન કરશે. આઠ ધોરણ પૂરું થયા પછી નવમાં ધોરણમાં પ્રવેશ ઇચ્છતા વિદ્યાર્થીઓને, સરકારે મંજૂરી આપી દીધી હોય છતાં, નવમાં ધોરણના વર્ગો શરૂ થતા નથી એટલે ત્રાસીને વિદ્યાર્થીઓએ અગ્નિસ્નાનની ચીમકી ઉચ્ચારી છે. એ વાતનો આનંદ થાય કે વિદ્યાર્થીઓ હજી ભણવા ઉત્સુક છે. આપણે ઈચ્છીએ કે સરકાર 11 વિદ્યાર્થીઓને અગ્નિસ્નાન સુધી નહીં જ જવા દે, પણ વિદ્યાર્થીઓએ આવી ચીમકી ઉચ્ચારીને જિંદગીને સસ્તી બનાવી દેવી જોઈએ. દુર્ભાગ્યે એમાંથી એકાદ પણ અગ્નિસ્નાન કરે તો તેને કોઈ જિંદગી પાછી આપી શકવાનું છે? જો જિંદગી આપણા હાથની વાત ન હોય તો તેને હાથથી જવા પણ ન દેવાય. પણ, આજકાલ જિંદગીને બહુ સસ્તી બનાવી દેવાય છે. એ સારું નથી. રાજસ્થાનની એક ઘટના ગાયનેક ડોક્ટરની આત્મહત્યાની છે. એક લેડી ડૉક્ટરને હાથે એક પ્રસૂતાનું મૃત્યુ થઈ ગયું ને એ પ્રસૂતાના સંબંધીઓએ ડૉક્ટરને જવાબદાર ઠેરવી 302ની કલમ લગાવી હત્યાનો આરોપ મૂક્યો. ડૉક્ટરને લાગી આવ્યું ને તેણે આત્મહત્યા કરી લીધી.

એ ખરું કે કોઈ દરદીનું ડોક્ટરની બેદરકારીને લીધે મોત થાય તો ડોક્ટર જવાબદાર ગણાય. જે દરદી મૃત્યુ પામે તેનાં સંબંધીઓ વ્યક્તિને ગુમાવે છે એ ઉપરાંત તેનાં પર આધારિત કુટુંબના સભ્યોને જનાર વ્યક્તિની બહુ મોટી ખોટ વેઠવાની આવે છે. એવે વખતે તેના મોત માટે ડૉક્ટર જવાબદાર હોય તો તેની સામે કાનૂની રાહે પગલાં ભરાવાં જ જોઈએ, પણ કુટુંબ તો ડૉક્ટરને પણ હોય છે. રાજસ્થાનની ઘટનામાં ડૉક્ટરને જવાબદાર ઠેરવી દેવાનું યોગ્ય તો જ ગણાય જો તેની બેદરકારીથી પ્રસૂતાનું મોત થયું હોય. બને કે ડોક્ટરના બધા પ્રમાણિક પ્રયત્નો છતાં મહિલા દરદીને બચાવી ના શકાઈ હોય. આવામાં કોઈ પણ સંજોગોમાં ડૉક્ટરને 302ની કલમ તો ન જ લગાવી શકાય, કારણ ડૉક્ટરને દરદીને મારી નાખવાનું કોઈ કારણ જ ન હતું. તે દરદીની દુ:શ્મન ન જ હતી. એવું કોઈ વર્તન ડોક્ટરનું જણાતું નથી જે તેને હત્યાની આરોપી ઠેરવે. તો તેનાં પર હત્યાની કલમ કઇ રીતે લાગે? પ્રસ્તુત ઘટનામાં ડોક્ટરે આત્મહત્યા કરીને બે સ્થિતિ ઊભી કરી. એક, તેણે પોતાની નિર્દોષતા પુરવાર કરવા આત્મહત્યા કરવી પડી. બે, તેણે સ્વીકારી લીધું કે તે જવાબદાર હતી ને ગુનાહિત ભાવ એટલો તીવ્ર હતો કે આત્મહત્યા જ તેને એક ઉપાય લાગ્યો. 302ની કલમ લાગે ને આરોપ પુરવાર થાય તો જનમટીપ કે વધુમાં વધુ ફાંસી થાય, પણ આ તો ફાંસી થાય તે પહેલાં જ ડોક્ટરે જિંદગી ટૂંકાવી દીધી અને પોતાનાં જ કુટુંબને નોધારું કરી મૂક્યું. ખરેખર તો ડોક્ટરે જવાબદાર હતી તો પણ કે નિર્દોષ હતી તો પણ, તેણે જગતનો સામી છાતીએ સામનો કરવો જોઈતો હતો, પણ કમનસીબે એમ ના થયું. ડૉક્ટર જેવી વ્યક્તિ આમ જિંદગીથી હારી જાય એ ઠીક નથી.

ઘણા લોકો નાની કે મોટી ઉંમરે આવેશમાં આવીને આત્મહત્યા કરી લે છે, પણ તે ઈલાજ નથી, આત્મહત્યા કરીને વ્યક્તિ તો છૂટી જાય છે, પણ તેની પાછળ રહી જનારાઓ વ્યક્તિ તો ગુમાવે જ છે, સાથે જ અસહ્ય યાતનાનો ભોગ પણ થઈ પડે છે. ગમે એટલું વાજબી કારણ જ કેમ ન હોય, પણ આત્મહત્યા જગત પર ખોટો દાખલો જ બેસાડે છે.  જેમણે અનેક તકલીફો વેઠીને મુશ્કેલીમાંથી માર્ગ કાઢ્યો છે એવાઓને દુનિયા યાદ કરે છે, ન કે આત્મહત્યા કરનારને ! કોઈ પણ આત્મહત્યા કરનારી વ્યક્તિ અમર થઈ હોય એવા કિસ્સા માંડ હશે. એની સામે મહેનત કરનાર, પ્રમાણિક અને મુશ્કેલીમાંથી માર્ગ કાઢનાર જગતમાં વધુ ઓળખ પામ્યા છે.

આજકાલ આત્મહત્યા કરવાની જાણે ફેશન થઈ પડી છે. તેમાં સ્ત્રીઓની સંખ્યા વધુ હોવાનું લાગે છે. તે વધુ વેઠે છે એ વાત પણ કદાચ ભાગ ભજવતી હોય એમ બને. એમાં પણ નાની ઉંમરની છોકરીઓ કદાચ વધુ આત્મહત્યા કરે છે. પરીક્ષામાં નિષ્ફળ જવાને કારણે, પરીક્ષાનું રિઝલ્ટ સારું ન આવવાની ભીતિને કારણે, પ્રેમમાં નિષ્ફળતા મળતાં, લગ્ન ન થતાં, લગ્ન થવાને લીધે, નોકરી ન મળતાં, પતિનો અન્ય સ્ત્રી સાથેનો સંબંધ હોવાને કારણે, પોતાનો અફેર જાહેર થઈ જવાના ભયે, કોઈએ ઠપકો આપતાં, ભયંકર નિરાશા ઘેરી વળતાં, ઘણી સ્ત્રીઓ કે બાળાઓ આત્મહત્યા કરી લે છે. આત્મહત્યા સ્ત્રીઓ જ કરે છે એવું નથી. પુરુષો પણ અનેક કારણોસર આત્મહત્યા કરતા હોય છે. ઘણી વાર તો સાવ ક્ષુલ્લક કારણોસર લોકો આત્મહત્યા કરી લેતા હોય છે. બીજો વિચાર આવે ત્યાં સુધી જો આત્મહત્યા કરનાર રોકાઈ જાય તો તેને ખ્યાલ આવે છે કે કેવી મુર્ખાઈ કરવા પોતે જઈ રહી હતી અથવા જઈ રહ્યો હતો. સામૂહિક આત્મહત્યાના બનાવો ઓછા જ હશે, પણ વ્યક્તિ, ઘણી વ્યક્તિઓ હાજર હોય ત્યારે આત્મહત્યા કરતી નથી. વ્યક્તિ એકલી હોય ત્યારે જ આત્મહત્યા કરતી હોય છે. એટલે જ જેને આત્મહત્યાના વિચારો વધારે આવતા હોય તેવી વ્યક્તિઓએ બને ત્યાં સુધી એકલાં ન રહેવું જોઈએ.

આત્મહત્યાનો ગુનો જ એવો ગુનો છે જેમાં નિષ્ફળ જાવ તો સજા થાય છે, બાકીના ગુનાઓમાં સફળ જાવ તો સજા થાય છે. એ જે હોય તે, પણ આત્મહત્યા એ કોઈ પણ રીતે વખાણી શકાય કે ન્યાયી ઠેરવી શકાય એમ નથી. આપણને જિંદગી કુદરતે આપી છે, એને પાછી લેવાનો અધિકાર કેવળ કુદરતને છે. તે સિવાય જીવન અટકાવવાનો કોઈને અધિકાર નથી. આત્મહત્યા દ્વારા વ્યક્તિ પોતાનું જીવન અટકાવે છે. આમ અટકી જવાનું સહેલું નથી. મૃત્યુનો ભય તમામને છે. આત્મહત્યા કરનારને પણ ભય તો લાગે જ છે. તેને સફળ જવાનો ને નિષ્ફળ જવાનો, એમ બેવડો ભય લાગે છે. આ ભય કેમ લાગે છે? તે એટલે લાગે છે કારણ, મૃત્યુ આવનારાં ભવિષ્ય પર જ ચોકડી મારે છે. ભવિષ્યમાં જીવન હોત ને જે તે વ્યક્તિએ જે કર્યું હોત અથવા ન કર્યું હોત તેને મૃત્યુ કાયમને માટે અટકાવે છે. બધું રહે છે, માત્ર ભવિષ્ય જ રહેતું નથી. આત્મહત્યા કરનાર ભવિષ્યમાં જે કરી શક્યો હોત તે આત્મહત્યાને લીધે કદી થઈ શકતું નથી. વારુ, મૃત્યુ જ્યાં જીવન અટકાવે છે, પછી તે મૃત્યુમાંથી જીવનમાં કદી પાછા ફરી શકાતું નથી. આત્મહત્યા જો ભૂલ હોય તો પણ તેને સુધારવાની બીજી તક મળતી નથી. એ પરથી ખ્યાલ આવશે કે એક જ વાર જીવન મળતું હોય તેને આત્મહત્યા દ્વારા અટકાવવાનું કોઈ રીતે યોગ્ય નથી એટલું જ નહીં, આત્મહત્યા એ કોઈ પણ પ્રકારે અધિકાર તો નથી જ !

જે જીવન એક જ વાર મળે છે તેને આત્મહત્યા દ્વારા અટકાવવામાં તો મુર્ખાઈ જ છે એવું નથી લાગતું?

000

e.mail : ravindra21111946@gmail.com

Loading

માયા ગોવિંદ : નૈનો મેં દર્પણ હૈ, દર્પણ મેં કોઈ, દેખું જિસે સુબહ-શામ

રાજ ગોસ્વામી|Opinion - Opinion|21 April 2022

પ્લેબેક ગાયનના આકાશમાં, લતા મંગેશકર અને કિશોર કુમાર જ્યારે સૂરજ અને ચાંદની જેમ ચમકતાં હતાં, ત્યારે બે નવોદિત સિતારા એમાં લટાર મારવા આવ્યા; આસામી સંગીતકાર ભૂપેન હજારિકા અને ગીતકાર માયા ગોવિંદ. બંને પહેલીવાર તેમની પહેલી જ હિન્દી ફિલ્મમાં ભેગાં થયાં હતાં, અને તેમણે લતા-કિશોર પાસે એક યાદગાર અને શાનદાર ગીત ગવડાવ્યું :

નૈનો મેં દર્પણ હૈ, દર્પણ મેં કોઈ
દેખું જિસે સુબહ-શામ
બોલો જી બોલો યે રાજ ખોલા
હમ ભી સુને દિલ કો થામ
યા તો હૈ દાહરતિ યા હૈ ગગન
યા તો સૂરજ યા હૈ પવન
હુઆ ઉસકા તો સજન હૈ નામ

૭મી એપ્રિલને ગુરુવારે, ૮૨ વર્ષનાં માયા ગોવિંદના અવસાનના સમાચાર આવ્યા, ત્યારે આ જ ગીત સૌથી પહેલાં યાદ આવ્યું અને પછી પ્રશ્ન થયો કે માયાજી તેમની આ પહેલી જ ફિલ્મ જેવી સફળતાને કાયમ માટે બરકાર કેમ ન રાખી શક્યાં? એમાં તો તેમના નામે “આંખો મેં બસે હું તુમ,” “મૈ અનાડી તું ખેલાડી,” “મોરે ઘર આયે સજનવા” અને “ગુટુર ગુટુર” જેવાં ગીતો બોલતાં હતાં, પણ અંગત હોય કે વ્યવસાયિક, કોઈક કારણસર તેઓ તેમનાં ગીતોને કવિતાનો એ રંગ બક્ષી ન શક્યાં જે પહેલી ફિલ્મમાં જોવા મળ્યો હતો.

તેમના પુત્રએ તેમના અવસાન પછી કહ્યું હતું, “મારી માતાએ ૮૦૦ જેટલાં ગીત ગાયાં હતાં અને ૩૫૦ જેટલી ફિલ્મો માટે લખ્યું હતું. સ્વાસ્થ્યના કારણે તે સક્રિય નહોતાં, પણ મિત્રો કે પરિવારજનોને મળે ત્યારે તેમને કવિતા સાંભળવાનું ગમતું હતું. તે કલ્યાણજી-આણંદજી, રામાનંદ સાગર, બપ્પી લહેરી અને ખૈયામ સાથે ઘણા ઘનિષ્ઠ હતાં. દુર્ભાગ્યે, તેમનાં ઘણાં મિત્રો અને સહયોગીઓ અલવિદા ફરમાવી ગયાં હતાં.”

એક ઇન્ટરવ્યુમાં માયા ગોવિંદે કહ્યું હતું કે, “એક રીતે ફિલ્મ ઉદ્યોગમાં હું પહેલી મહિલા ગીતકાર હતી. એ દિવસોમાં મહિલા ફિલ્મી દુનિયાથી આઘી રહેતી હતી. એક્ટર ભારત ભૂષણે મારી કવિતાઓ સાંભળી હશે અને તેમણે મને ફિલ્મો માટે લખવાનો વિચાર આપ્યો હતો.”

લખનૌમાં જન્મેલાં અને સાત વર્ષની ઉંમરથી કવિતા લખતાં થયેલાં માયા ગોવિંદ ૧૯૭૩માં ફિરોઝ ખાન-રેખાની “કશ્મકશ” અને કિરણ કુમારની “જલતે બદન” ફિલ્મથી હિન્દી ફિલ્મોમાં આવ્યાં, પરંતુ તેમનું નામ થયું  ૧૯૭૪માં આવેલી ફિલ્મ “આરોપ”થી. ઉપર જે ગીતની વાત કરી તે આ જ ફિલ્મનું હતું. આ ફિલ્મના સ્ક્રીપરાઈટર રામ ગોવિંદ સાથે જ પાછળથી માયાએ લગ્ન કરી લીધાં હતાં.

રામાનંદ સાગરને તેમની કવિતાઓ પસંદ પડી હતી. અને તેમણે જ ફોન કરીને તેમને “જલતે બદન” ફિલ્મનાં ગીતો લખવા માટે મુંબઈ બોલાવ્યાં હતાં. ફિલ્મમાં કિરણ કુમાર અને કુમ કુમ પર ફિલ્માવાયેલું અને મહોમ્મદ રફી-લતા મંગેશકરનું ગીત ઘણું લોકપ્રિય થયું હતું :

વાદા ભૂલ ન જાના
હો જાનેવાલે લૌટ કે આના
તેરે સાથ હી જિયેંગે
તેરે સાથ હી મરેંગે
તુજે હર જનમ મેં પાયેં
બસ યહી દુઆ કરેંગે

રામાનંદ સાગરે આ ફિલ્મ માટે એક પાર્ટી કરી હતી, તેમાં માયા ગોવિંદનો ભેટો મશહુર એકટર-ડિરેકટર ગુરુ દત્તના નાના ભાઈ આત્મારામ સાથે થયો હતો, જેમણે “આરોપ” ફિલ્મ માટે તેમની પાસે ગીતો લખાવ્યાં હતાં. ફિલ્મ તો ન ચાલી પણ ગીતો લોકપ્રિય થયાં હતાં.

“આરોપ”માં કુલ આઠ ગીતો હતાં, અને ત્રણ ગીતો પ્રબોધ ચંદ્ર ડે નામના ગાયકે ગાયાં હતાં. પાછળથી આપણે તેમને મન્ના ડે તરીકે ઓળખતા થયા. આત્મારામે ભૂપેન હજારિકા પાસે આ ફિલ્મનું સંગીત કમ્પોઝ કરાવ્યું તે આત્મારામનો માસ્ટરસ્ટ્રોક હતો. ભૂપેન’દા ત્યારે પોતાની જ ફિલ્મોમાં કામ કરતાં હતા. એ જ રીતે તેમણે માયા ગોવિંદને એમાં બ્રેક આપ્યો હતો. “આરોપ”ની સ્ટારકાસ્ટ પણ સમૃદ્ધ હતી; વિનોદ ખન્ના, સાયરા બાનુ, વિનોદ મહેરા, રહેમાન, બિંદુ, જોની વોકર, કેસ્ટો મુખરજી અને પૈંટલ.

“આરોપ” ફિલ્મ બહુ દિલચસ્પ હતી. હિન્દી ફિલ્મોમાં પત્રકારત્વના વ્યવસાયને ઉચિત રીતે પેશ કરવામાં નથી આવ્યો. “ન્યૂ દિલ્હી ટાઈમ્સ,” “મૈ આઝાદ હું” અને “પીપલી લાઈવ” જેવી ગણીગાંઠી ફિલ્મો કંઇક અંશે અસલમાં પત્રકારોની જીવન કેવું હોય છે તે દર્શાવામાં સફળ રહી હતી. દિલીપ કુમારની “મશાલ” ફિલ્મમાં યશ ચોપરાએ એક ઈમાનદાર પત્રકાર અને તેની સામે આવતા પડકારોની કહાની સર્જી હતી, પણ “મશાલ”માં પત્રકારત્વ ઓછું અને વેરની વસુલાત વધુ હતી.

“આરોપ” એમાં સૌથી પહેલી હિન્દી ફિલ્મ છે જેણે પત્રકારત્વના વિષયને છેડ્યો હતો. અલબત્ત, તેની સરખામણી “ન્યૂ દિલ્હી ટાઈમ્સ” કે “પીપલી લાઈવ” સાથે ન થઇ શકે, પરંતુ નાચ-ગાનના ટીપિકલ ફિલ્મી મશાલા વચ્ચે પણ “આરોપ”માં આત્મારામે પત્રકારત્વ અને તેની સામાજિક પ્રતિબદ્ધતાને ગંભીરતાથી બતાવવા પ્રયાસ કર્યો હતો.

એનું કારણ છે. કલકત્તામાં જન્મેલા આત્મારામના પિતા શિવશંકર પદુકોણ બર્મા શેલમાં કામ કરતા હતા. તેમની માતા શિક્ષક હતી. ત્રણ ભાઈ અને એક બહેન હતી: ગુરુ દત્ત, દેવી દત્ત, વિજય દત્ત અને લલિતા લાઝમી (લલિતાની દીકરી કલ્પના લાઝમી ભૂપેન હજારિકાની આજીવન સાથી રહી હતી.)

કલકત્તામાં મોટા થયા હતા એટલે સમાજવાદી વિચારધારાથી રંગાયેલા હતા. બોમ્બે યુનિવર્સિટીમાં એ ભણ્યા હતા. ૧૯૪૮થી૧૯૫૦ સુધી તે સોશ્યલિસ્ટ પાર્ટીના સભ્ય હતા. એ પછી તે કામદાર નેતા બન્યા હતા અને પ્રેસ વર્કર્સ યુનિયનના સેક્રેટરી હતા. ૧૯૫૮થી ૬૧ સુધી એ લંડન હતા અને ત્યાં ફિલ્મો પર હાથ અજમાવ્યો હતો. ૧૯૬૪માં ભાઈ ગુરુ દત્તનું અચનાક અવસાન થઇ ગયું પછી આત્મારામે તેમની ઘણી અધૂરી ફિલ્મો પૂરી કરી હતી.

ફિલ્મમાં સુભાષ ત્રિપાઠી (વિનોદ ખન્ના) “મશાલ” નામનું અખબાર ચલાવે છે. (દિલીપ કુમાર-યશ ચોપરાની ફિલ્મમાં પણ અખબારનું નામ “મશાલ” હતું). સુભાષના આદર્શોથી પ્રભાવિત થયેલી સ્થાનિક મંદિરના પૂજારીની શિક્ષક દીકરી અરુણા (સાયરા બાનુ) અખબારમાં જોડાય છે. સુભાષનું અખબાર સ્થાનિક ગુનેગારો અને વેપારી માખન લાલ સિંહ(રહેમાન)ની સાંઠગાંઠ અંગે લખે છે એટલે તેની સામે કેસ થાય છે અને છ મહિનાની સજા થાય છે. તેની ગેરહજરીમાં તેનો વકીલ મિત્ર રવિ (વિનોદ મહેરા) અખબારનું કામ સંભાળે છે.

માખન લાલ અને તેની પીઠ્ઠું કંચન(બિંદુ)ને છુટ્ટો દોર મળેલો હોય છે. સ્થાનિક અધિકારીઓ અને રાજકારણીઓ પણ એમના ગજવામાં છે. કંચન બિન્દાસ્ત જુગારનો અડ્ડો ચલાવે છે. સુભાષ જેલમાંથી પાછો આવીને જુગારની બદી સામે ઝુંબેશ શરૂ કરે છે. તેનો બદલો લેવા માટે કંચનનો સાગરિત સુભાષનો પ્રેસ સળગાવી દે છે. માખન લાલ પ્રેસના માલિક ધોન્ડુ(જોની વોકર)ને દેવામાં ડુબાડી દે છે અને પ્રેસ વેચવા માટે મજબૂર કરી દે છે. એમાં રવિ અને અરુણાની નોકરી પણ જતી રહે છે.

હવે સુભાષ ઉશ્કેરાય છે અને ન્યાયી લડત બાજુએ મૂકીને કંચનને મારી નાખવાનું નક્કી કરે છે. તે રિવોલ્વર લઈને કંચનની કલબમાં ઘુસી જાય છે, પરંતુ એ ગોળી ચલાવે તે પહેલાં માખન લાલના ગુંડાઓ કંચનને ગોળી મારી દે છે. સુભાષને ખબર નથી કે કોણે ગોળી ચલાવી અને તે ત્યાંથી ભાગી છૂટે છે અને અરુણાને રિવોલ્વર સંતાડવા માટે આપી દે છે. જો કે પોલીસ તેને પકડી પાડે છે અને તેની પર કંચનના ખૂનનો કેસ મૂકે છે. કોર્ટમાં રવિ તેનો કેસ લડે છે.

રવિ “મશાલ”ના પત્રકાર અને ફોટોગ્રાફર ટોની(પૈન્ટલ)ની મદદથી કંચન પર ચાલેલી અસલી રિવોલ્વર શોધી કાઢે છે, પરંતુ કોર્ટમાં તે પુરાવો રજૂ કરે તે પહેલાં માખન લાલના ગુંડાઓ અને “મશાલ” પ્રેસના માણસો વચ્ચે મારામારી ફાટી નીકળે છે. એમાં માખન લાલથી સુભાષને બચાવવા જતાં રવિનું મૃત્યુ થઇ જાય છે. અંતે પોલીસ માખન લાલને અને કંચનના હત્યારાને પકડી પાડે છે.

“આરોપ” આમ તો થ્રિલર હતી, પરંતુ હિન્દી ફિલ્મોની વ્યવસાયિક મજબૂરીઓનાં કારણે એમાં ગીતો ય મૂકવાં પડે. પરિણામે, આત્મારામે તેમાં પ્રણય-ત્રિકોણ પણ મુક્યો હતો. ફિલ્મની શરૂઆત સુભાષ અને અરુણાની દોસ્તીથી થાય છે. બંને ઢોર ચરતાં હોય તેવા ખુલ્લા મેદાનમાં સાઈકલ પર “નૈનો મેં દર્પણ હૈ, દર્પણ મેં કોઈ” ગીત ગાતાં હોય છે એ દૃશ્ય કોઈ સ્વપ્ન જેવું લાગે છે. હવે એવી સાઈકલો ક્યાં અને એવાં પ્રેમીઓ ય ક્યાં છે!

સુભાષ જેલમાં હોય છે ત્યારે રવિ અરુણાથી આકર્ષાય છે, અને છેલ્લે જ્યારે તેની પર ખૂનનો કેસ થાય છે ત્યારે અરુણા નિરાશ અને વ્યાકુળ થઈને રવિ પર એવો આરોપ પણ મૂકે છે કે તે જાણી જોઈને કેસ બરાબર લડતો નથી, કારણ કે તેને સુભાષની ઈર્ષ્યા આવે છે. જોની વોકર, કેસ્ટો અને પૈન્ટલ હોય એટલે કોમેડી પણ હોય. તેમ છતાં, આત્મારામે એ ફોરમેટમાં રહીને પણ સમાજના નૈતિક પતનને રજૂ કરવાનો સનિષ્ઠ પ્રયાસ કર્યો હતો.

આટલાં વર્ષો પછી આજે પણ આપણે નૈતિકતાની ગેરહાજરીને જોઈ જ રહ્યા છીએ. આજે પણ સ્વતંત્ર અને ઈમાનદાર પત્રકારત્વ પર એટલી જ તવાઈ આવતી રહે છે. આજે પણ અમીરો, અપરાધીઓ અને રાજકારણીઓની સાંઠગાંઠ સમાજને નિયંત્રિત કરે છે. આત્મારામ તે જમાનામાં આ મુદ્દાની ગંભીરતા જોઇને ફિલ્મ બનાવી હતી. ફરક એ છે કે આજે આવી ફિલ્મો બનતી નથી. આપણે પત્રકારત્વનાં નામનું નાહી નાખ્યું છે.

——————————–

કોણ હતાં માયા ગોવિંદ …

માયા ગોવિંદ પાછલાં ઘણાં વર્ષોથી પથારીવશ હતાં. તેમનો દીકરો અજય દિવસ-રાત તેમની સારવાર કરતો હતો. તેમનાં શરીરનાં અવયવોએ કામ કરવાનું બંધ કરી દીધું હતું. લખનૌમાં જન્મેલાં માયાએ કથક નૃત્યમાં પ્રવીણતા હાંસલ કરી હતી. તેમણે અભિનેત્રી તરીકે પણ ફિલ્મો અને નાટકોમાં કામ કર્યું હતું. પ્રસિદ્ધ અભિનેત્રી હેમા માલિનીના લોકપ્રિય ડાન્સ “મીરાં” પણ માયા ગોવિંદે લખ્યો હતો. વ્યવસાયે તે બી.એડ. કરીને શિક્ષક બન્યાં હતાં, પણ શોખથી કવિતાઓ લખતાં હતાં. તેમણે ઓલ ઇન્ડિયા રેડિયો પર પણ કામ કર્યું હતું. 1970માં, લખનૌની સંગીત નાટક અકાદમીએ વિજય તેંદુલકરના નાટક “ખામોશ!” માટે માયાને શ્રેષ્ઠ અભિનયનો એવોર્ડ આપ્યો હતો. કવિ સંમેલનોમાં, શૃંગાર અને વિરહની વેદનાની તેમની કવિતાઓ પર લોકોની બહુ દાદ મળતી હતી. વ્રજ ભાષામાં તેમણે લખેલાં છંદના કારણે તેમની એક વિશેષ ઓળખાણ થઇ હતી. ૧૯૭૨માં તેઓ એકવાર એક કવિ સંમેલન માટે મુંબઈ આવ્યાં હતાં અને ત્યાં નિર્માતા રામાનંદ સાગર તેમનાથી પ્રભવિત થયા હતા. એ રીતે તેઓ ફિલ્મોમાં આવ્યાં હતાં.

પ્રગટ : ‘બ્લોક બસ્ટર’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “ગુજરાતી મિડ-ડે” 16 ઍપ્રિલ 2022

સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

ગુજરાતી પત્રકારત્વની પહેલી સદી

દીપક મહેતા|Opinion - Opinion|21 April 2022

લેખાંક-૧

૧૮૨૨ના જુલાઈની પહેલી તારીખ એટલે ગુજરાતી ભાષા, સાહિત્ય, પત્રકારત્વ, સંસ્કૃતિ, સમાજ, શિક્ષણ, વગેરે માટે એક સપરમો દિવસ. કારણ માત્ર એ નહિ, કે એ દિવસે એક ગુજરાતી અખબારનો જન્મ થયો. હા, એ દિવસે આપણી ભાષાના પહેલવહેલા અખબાર ‘મુંબઈ સમાચાર’ની શરૂઆત થઈ એ તો ખરું જ. પણ તે સાથે ગુજરાતી પત્રકારત્વનો પણ જન્મ થયો. અખબારો દ્વારા આપણે દેશ અને દુનિયાના બીજા ભાગો સાથે નિકટતાથી સંકળાયા. આપણાં ભાષા-સાહિત્યને પ્રતાપે પત્રકારત્વનો વિકાસ થયો, તો બીજી બાજુ અખબારો અને સામયિકોએ ગુજરાતી ભાષા-સાહિત્યના વિકાસમાં ખૂબ મહત્ત્વનો ફાળો આપ્યો.

ગુજરાતીમાં પહેલવહેલું અખબાર શરૂ થયું તે પછી ચાર વરસે, ૧૮૨૬ના મે મહિનાની ૩૦મી તારીખે રાષ્ટ્રભાષા હિન્દીના પહેલા અખબાર ‘ઉદન્ત માર્તન્ડ’નો કલકત્તામાં જન્મ થયો. એનું આયુષ્ય બે વરસ કરતાં ય ઓછું. છેલ્લો અંક ૧૮૨૭ના ડિસેમ્બરની ચોથી તારીખે બહાર પડ્યો. મુંબઈ ઇલાકાની વાત કરીએ તો મરાઠીનું પહેલું વૃત્તપત્ર (મરાઠીમાં અખબાર માટે વપરાતો શબ્દ) ગુજરાતી પછી લગભગ દસ વરસે, ૧૮૩૨ના જાન્યુઆરીની છઠ્ઠી તારીખે શરૂ થયું, ‘દર્પણ.’ એ દ્વિભાષી હતું. દરેક પાને મરાઠી અને અંગ્રેજી મજકૂર બે કોલમમાં સામસામે છપાતા. એના સ્થાપક તંત્રી હતા પ્રખ્યાત વિદ્વાન બાળશાસ્ત્રી જામ્ભેકર. ૧૮૪૦ના જૂન મહિનાની ૨૬મી તારીખે તેનો છેલ્લો અંક પ્રગટ થયો. હિન્દી ભાષીઓ ઉદન્ત માર્તન્ડ શરૂ થયું એ દિવસને ‘હિન્દી પત્રકારિતા દિવસ’ તરીકે ઉજવે છે. બાળશાસ્ત્રી જામ્ભેકરના જન્મ દિવસ, ૬ જાન્યુઆરીને મહારાષ્ટ્ર સરકારે મરાઠી પત્રકાર દિવસ જાહેર કર્યો છે. અને આપણે?

હા, ગુજરાતી અખબારો અને પત્રકારત્વની ભવ્ય ઇમારત રચાઈ તે બીજાં સો વરસમાં. પણ તેનો મજબૂત, ઊંડો, ધરખમ પાયો નખાયો તે ૧૮૨૨ પછીનાં સો વરસમાં. આપણી ભાષાનાં અખબારો, સામયિકોની સળંગ, વ્યવસ્થિત ફાઈલો દુર્લભ. કેટલાં ય પત્રો વિસ્મૃતિની ગર્તામાં ધકેલાઈ ગયાં છે. દસ્તાવેજીકરણમાં આપણને રસ ઓછો. એટલે પૂરી વિગતો પણ સચવાઈ નથી. પણ જે સચવાયું છે, જે શોધતાં મળે છે, તેને આધારે ગુજરાતી અખબારો અને પત્રકારત્વના વિકાસનાં પહેલાં સો વરસ અંગે થોડી વાતો આ લેખમાળામાં કરવા ધાર્યું છે.

અંગ્રેજીના News paper માટે આપણી ભાષામાં ત્રણ શબ્દો વપરાય છે : વર્તમાનપત્ર, અખબાર, અને છાપું. તેમાં ‘છાપું’ શબ્દ સૌથી વધુ અર્થસમર્પક છે. જે છાપેલું છે તે છાપું. એટલે કે પહેલાં છાપકામ આવ્યું, પછી છાપું. અને ગુજરાતી છાપકામના શ્રીગણેશ કરવાનું માન જાય છે મુંબઈના એક પારસી નબીરાને. એમનું નામ બહેરામજી જીજીભાઈ છાપગર. મૂળ વતની સુરતના. ૧૭૯૦ના અરસામાં મિત્ર નસરવાનજી જમશેદજી દાતારની સાથે મુંબઈ આવ્યા અને લુક એશબર્નરની માલિકીના ‘બોમ્બે કુરિયર’ અખબારના છાપખાનામાં કમ્પોઝીટર (બીબાં ગોઠવનાર) તરીકે જોડાયા. આ બોમ્બે કુરિયર તે મુંબઈનું બીજું છાપું, જે ૧૭૯૦માં શરૂ થયેલું. છાપકામનો અનુભવ તો ક્યાંથી હોય, પણ બહેરામજી આપબળે કમ્પોઝ કરતાં શીખ્યા એટલું જ નહિ, પ્રેસને જરૂર પડી ત્યારે એકલે હાથે ગુજરાતી બીબાં પણ બનાવી આપ્યાં. આપણી ભાષા છાપવા માટેનાં એ પહેલવહેલાં બીબાં. એ અર્થમાં એમને ગુજરાતી મુદ્રણના જનક કહી શકાય.

પણ આવું ખાતરીપૂર્વક કઈ રીતે કહી શકાય? બે કારણે. એક : બોમ્બે કુરિયર પ્રેસમાં જ છપાઈને ૧૭૯૭માં એક પુસ્તક પ્રગટ થયું હતું : ‘ગ્રામર ઓફ ધ મલબાર લેન્ગવેજ.’ લેખક હતા ડો. રોબર્ટ ડ્રમંડ. આ ભાષાનાં બીબાં હિન્દુસ્તાનમાં તો મળશે નહિ એટલે પુસ્તક ઇન્ગ્લંડમાં છપાવવું પડશે એમ લેખકના મનમાં હતું. પણ મુંબઈ આવ્યા પછી બહેરામજી છાપગરે બનાવેલાં આ ભાષાનાં બીબાં તેમણે જોયાં. ખૂબ પસંદ પડ્યાં એટલે પુસ્તક બોમ્બે કુરિયર પ્રેસમાં જ છપાવ્યું. પુસ્તકની પ્રસ્તાવનામાં લેખકે આ વાત તો નોંધી જ છે, પણ સાથોસાથ એ વાત પણ નોંધી છે કે આ જ બહેરામજીએ એકલે હાથે ગુજરાતી લિપિનાં બીબાં પણ બનાવ્યાં હતાં. એટલું જ નહિ, જરા ચાતરીને પ્રસ્તાવનામાં જ તેમણે આ ગુજરાતી બીબાંના નમૂના પણ આમેજ કર્યા છે. એટલે ૧૭૯૭ સુધીમાં બહેરામજીએ એકલે હાથે ગુજરાતી બીબાં બનાવ્યાં હતાં એટલું નક્કી.

પણ એના કરતાં ય વધુ ભરોસાપાત્ર છે ખુદ લુક એશબર્નરની વાત. પોતાના છાપાના ૧૨ નવેમ્બર ૧૭૯૬ના અંકના પહેલે પાને એક જાહેરાત છાપી છે જેમાં જણાવ્યું છે કે બહેરામજીએ કુરિયર પ્રેસ માટે ગુજરાતી બીબાં બનાવ્યાં છે એટલે હવે પછી આ પ્રેસમાં ગુજરાતીમાં છાપવાનું કામ કરી આપવામાં આવશે. અંગ્રેજીમાં જેને right from the horse’s mouth કહે છે એવી આ સાબિતી છે. આ બહેરામજીનો જન્મ ક્યારે થયેલો એ જાણવા મળતું નથી. પણ તેમનું અવસાન થયું ૧૮૦૪ના માર્ચની પાંચમી તારીખે. અને ‘પારસી પ્રકાશ’ નોંધે છે કે તે વખતે તેમની ઉંમર પચાસ વર્ષની હતી. એટલે તેમનો જન્મ ૧૭૫૪ની આસપાસ થયો હોવો જોઈએ.

પહેલવહેલાં ગુજરાતી બીબાં બનાવ્યાં બહેરામજી છાપગરે. પણ ગુજરાતી મુદ્રણનો પાયો નાખ્યો તે તો બીજા એક પારસીએ. સુરતની કણપીઠમાં કમનગરની શેરીને નાકે આવેલા મોબેદ (ધર્મગુરુ) પિતાના મકાનમાં ૧૭૮૭માં એમનો જન્મ. નામ, ફરદુનજી મર્ઝબાનજી. બાર વર્ષની ઉંમરના થયા ત્યાં સુધીમાં પિતા પાસેથી ધાર્મિક વિધિઓ ઉપરાંત ગુજરાતી અને ફારસી શીખ્યા. પછી એક પંડિત પાસેથી સંસ્કૃત શીખ્યા અને એક મૌલવી પાસેથી ફારસીનો અભ્યાસ વધુ પાકો કર્યો. ભરૂચના એક વૈદ પાસેથી વૈદક શીખ્યા. પણ પછી બાપ કહે કે હવે બહુ ભણ્યા, બેટા. કામે લાગી જાવ. પણ બેટાને તો હજી વધુ ભણવું હતું, અને તે ય પાછું મુંબઈ જઈને. અને મુંબઈ જવાની તક અણધારી રીતે ૧૮૦૫માં મળી ગઈ. પિતા મર્ઝબાનજીના મુંબઈવાસી ખાસ મિત્ર દસ્તુર મુલ્લાફિરોઝના ઘરે લગ્ન પ્રસંગ હતો. તેમાં પોતે ન જતાં બાપે દીકરાને મોકલ્યો. બસ, તે પછી ફરદુનજીએ ફરી ક્યારે ય સુરતમાં પગ ન મૂક્યો. મુલ્લાફિરોઝ પાસેથી અરબી-ફારસી શીખ્યા, તેમના અંગત ‘પુસ્તકખાના’(લાયબ્રેરી)નું ધ્યાન રાખ્યું. પછી પોતાના પગ પર ઊભા રહેવાના ઈરાદાથી અલાયદો બુક બાઇન્ડિંગનો ધંધો શરૂ કર્યો. બુક બાઇન્ડર તરીકે બોમ્બે કુરિયર પ્રેસ અને બીજાં છાપખાનાંમાં આવરો-જાવરો તો હતો જ. વિચાર આવ્યો કે કેવળ ગુજરાતી છાપકામ કરવા માટે એક છાપખાનું શરૂ કેમ ન કરવું? ૧૮૧૨માં કર્યું, મુંબઈના કોટ વિસ્તારમાં જૂની માર્કેટની સામેના એક નાના મકાનમાં. ૧૮૧૪માં પહેલવહેલું પંચાંગ છાપ્યું. ૧૮૧૫ના વર્ષમાં બે પુસ્તકો છાપ્યાં : ઓક્ટોબરમાં છાપ્યું ‘ફલાદીશ’ નામનું જ્યોતિષનું પુસ્તક અને ડિસેમ્બરમાં છાપ્યું ‘દબેસ્તાન.’

અને પછી એ જ પ્રેસમાં છાપીને ૧૮૨૨ના જુલાઈની પહેલી તારીખે શરૂ કર્યું અઠવાડિક ‘શ્રી મુમબઈનાં શમાચાર’ જે આજે પણ ‘મુંબઈ સમાચાર’ નામે પ્રગટ થાય છે. માત્ર આપણી ભાષામાં નહિ, માત્ર આપાણા દેશમાં નહિ, આખા એશિયા ખંડમાં આજે પ્રગટ થતાં બધી ભાષાનાં અખબારોમાં સૌથી જૂનું અખબાર. તે વખતે માસિક લવાજમ રાખેલું બે રૂપિયા. પહેલો અંક છપાયો તે પહેલાં ૧૫૦ ગ્રાહકો નોંધાઈ ગયા. પછીના દસ વરસમાં ફરદુનજી અને તેમના છાપાની પ્રતિષ્ઠા વધી, વાચકો વધ્યા. જાહોજલાલી વધી. પણ પછી કેટલાક વિરોધીઓએ ઊભા કરેલા વિપરીત આર્થિક સંજોગોને કારણે, પાયમાલ થયા અને બધી માલમિલકત વેચીને કાયમ માટે મુંબઈ છોડી દમણ જઈ વસ્યા. પૂરાં દસ વરસ અને ૪૪ દિવસ સુપેરે ચલાવ્યા પછી તેમણે પોતાનું વહાલું અખબાર તેહમૂલજી રુસ્તમજી મિર્ઝાને સોંપ્યું. ૧૮૪૧ના માર્ચની ૨૩મી તારીખે ફરદુનજી દમણમાં જ બેહસ્તનશીન થયા.

ફરદુનજી પાસે તાલીમ લીધેલા નવરોજી દોરાબજી ચાનદારુએ ૧૮૩૦ના સપ્ટેમ્બરની પહેલી તારીખથી પોતાનું છાપું કાઢ્યું. તેનાં પહેલાં બે નામ બદલ્યા પછી નામ રાખ્યું ‘મુંબઈના ચાબુક.’ તેમાં નવરોજી વ્યક્તિઓ અને સંસ્થાઓ પર આડેધડ ચાબુક વિંઝતા – યોગ્ય રીતે તેમ જ અયોગ્ય રીતે પણ. તેમનું છાપું અને એ વખતનું મુંબઈ સમાચાર, બંને પારસી પંચાયતના ઉગ્ર વિરોધી. આ બંનેનો પ્રતિકાર કરી પંચાયતની બાજુ રજૂ કરવા માટે સર જમશેદજી જીજીભાઈએ પડદા પાછળ રહીને શરૂ કરાવ્યું ‘જામે જમશેદ.’ ૧૮૩૨ના માર્ચની ૧૨મી તારીખે તેનો પહેલો અંક પ્રગટ થયો ત્યારે તેનું નામ હતું ‘શ્રી મુમબઈનાં જામે જમશેદ.’ પેસ્તનજી માણેકજી મોતીવાલા એના પહેલા તંત્રી. ડોસાભાઈ ફરામજી કરાકા, કેખુશરો કાબરાજી, વગેરે તેના જાણીતા તંત્રીઓ. ૧૮૮૭માં જેહાંગીરજી બેહરામજી ફરદુનજી મર્ઝબાન અને કાવસજી સરાફ તેના જોડિયા માલિકો બન્યા. પણ થોડા જ વખતમાં કાવસજી વેપાર અર્થે જાપાનમાં સ્થાયી થયા અને ફરદુનજીના પૌત્ર તેના એકમાત્ર માલિક બન્યા. તેમના પછી તેમના બેટા ફિરોઝશાહ ‘પીજામ’ માલિક-તંત્રી બન્યા. કુલ ૩૫ વર્ષ સુધી તેઓ જામે સાથે સંકળાયેલા રહ્યા. તેઓ ફરદુનજીની ચોથી પેઢી. પીજામ પછી તેમના દીકરા અરદેશર જામેના તંત્રી બન્યા. આ અરદેશર તે ગુજરાતી નાટક, રંગભૂમિ, રેડિયો, ટેલીવિઝન, દ્વારા ઘેર ઘેર જાણીતા થયેલા પ્રખ્યાત રંગકર્મી અદી મર્ઝબાન. અનેકવિધ પ્રવૃત્તિઓ વચ્ચે પણ તેમણે જામેનું તંત્રીપદ છેવટ સુધી સંભાળ્યું. અદી તે મર્ઝબાન કુટુંબની પાંચમી પેઢી. ફરદુનજીસાહેબનો જન્મ ૧૭૮૭માં. અદી મર્ઝબાનનું અવસાન થયું ૧૯૮૭માં. પૂરાં ૨૦૦ વર્ષ સુધી મર્ઝબાન કુટુંબના નબીરાઓ એક યા બીજી રીતે ગુજરાતી પત્રકારત્વ સાથે સંકળાયેલા રહ્યા. ગુજરાતી પત્રકારત્વના ક્ષેત્રે તો નહીં જ પણ દેશની કે દુનિયાની બીજી કોઈ ભાષાના પત્રકારત્વમાં પણ આવી અનોખી ઘટના ભાગ્યે જ જોવા મળશે.

“જેટલાં મુંબાઈનાં વરતમાન અથવા ચોપાંનીઆં આવે છે તેને લોકો ગપાઊંસ છે કેહે છે.” બુદ્ધિપ્રકાશના ૧૫ મે ૧૮૫૦ના રોજ પ્રગટ થયેલા પહેલા અંકના ‘પ્રસ્તાવના અથવા દીબાચો’માંના આ શબ્દો એટલું તો સ્પષ્ટપણે દર્શાવે છે કે બુદ્ધિપ્રકાશ શરૂ થયું તે પહેલાં પણ મુંબઈથી ગુજરાતી ચોપાનિયાં (સામયિકો માટે તે વખતે વપરાતો શબ્દ) પ્રગટ થતાં હતાં. એટલું જ નહિ, ટ્રેન પહેલાંના એ જમાનામાં અમદાવાદ સુધી પહોચતાં હતાં. ૧૮૪૦ના સપ્ટેમ્બરની પહેલી તારીખે મુંબઈથી નવરોજી ફરદુનજીએ ‘વિદ્યાસાગર’ નામનું માસિક શરૂ કરેલું. ૧૮૪૬ના ડિસેમ્બરમાં તે બંધ પડ્યું. નવરોજીના સમકાલીન સોરાબજી શાપુરજી બંગાળીએ લખ્યું છેઃ ‘ગુજરાતી જુબાનમાં વીદીઆ (વિદ્યા) અને હુનર સંબંધી માહાવારી ચોપાનીઆં આગલ પરગટ થાતાંતાં નહીં. એ કારણસર મિ. નવરોજીનું ‘વીદીઆ સાગર’ ચોપાનીઉં પહેલવહેલું જ નીકલીઉં હતું.’ (ભાષા-જોડણી મૂળ પ્રમાણે) આ ‘વિદ્યાસાગર’ તે આપણી ભાષાનું પહેલું સામયિક. ૧૮૪૮ના સપ્ટેમ્બરની છઠ્ઠી તારીખે શરૂ થયેલી જ્ઞાન પ્રસારક મંડળીએ ૧૮૪૯ના જુલાઈ મહિનાથી ‘જ્ઞાનપ્રસારક’ નામનું માસિક શરૂ કરેલું. તે ૧૮૬૭ના ડિસેમ્બર સુધી ચાલતું રહ્યું. સોરાબજી શાપુરજી બંગાળીએ ૧૮૫૦ના જાન્યુઆરીની પહેલીથી ‘જગત મીતર’ માસિક શરૂ કરેલું જે ૧૮૫૫ સુધી ચાલ્યું. આ ત્રણે સામયિકો ‘બુદ્ધિપ્રકાશ’નાં પુરોગામી. અલબત્ત, ત્રણેની આવરદા ટૂંકી.

અમદાવાદથી શરૂ થયેલા પહેલા ગુજરાતી અખબારથી શરૂ થતા બીજા તબક્કાની વાત હવે પછી.

(ક્રમશ:)

e.mail : deepakbmehta@gmail.com

પ્રગટ : “બુદ્ધિપ્રકાશ”, ઍપ્રિલ 2022

Loading

...102030...1,5191,5201,5211,522...1,5301,5401,550...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—320
  • ‘મનરેગા’થી વીબી જી-રામ-જી : બદલાયેલું નામ કે આત્મા?
  • હાર્દિક પટેલ, “જનરલ ડાયર” બહુ દયાળુ છે! 
  • આ મુદ્દો સન્માન, વિવેક અને માણસાઈનો છે !
  • બોલો, જય શ્રી રામ! ….. કેશવ માધવ તેરે નામ! 

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved