Opinion Magazine
Number of visits: 9448986
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચીને ગ્રેટ લીપ ફોરવર્ડનો કાર્યક્રમ કેમ પડતો મૂક્યો ?

રમેશ ઓઝા|Opinion - Opinion|22 October 2020

છેલ્લા એક અઠવાડિયા દરમ્યાન બનેલી બે ઘટના નોંધવા જેવી છે. પહેલી ઘટના એવી છે કે આંતરરાષ્ટ્રીય નાણાં નિધિએ સત્તાવાર જાહેરાત કરી છે કે ચીન વિશ્વનું સૌથી મોટું અર્થતંત્ર છે અને એ સ્થાન અમેરિકાએ ગુમાવી દીધું છે. બીજી ઘટના એવી છે કે ચીનના સર્વેસર્વા શી ઝિંગપીંગે ચીનના સૈન્યને યુદ્ધ માટે તૈયાર રહેવાની હાકલ કરી છે. યુદ્ધ કોની સામે એની સ્પષ્ટતા કરી નથી, પણ એની કલ્પના કરવી અઘરી પણ નથી. આનો અર્થ એ થયો કે ચીને પોતાની આર્થિક સત્તા સ્થાપિત કરી આપી છે અને લશ્કરી સત્તા સ્થાપિત કરવા માગે છે. સવાલ એ છે કે સાત દાયકા પહેલાં આપણા કરતાં પણ કંગાળ અવસ્થા ધરાવતું અને સંકટોથી ઘેરાયેલું ચીન આટલું આગળ ગયું કેવી રીતે? એમાં દૂરંદેશી કેટલી, સાહસ કેટલું અને નસીબ કેટલું? મને એમ લાગે છે કે ચીન દુનિયાનો એક નસીબદાર દેશ છે.

આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને નસીબદાર વડા પ્રધાન તરીકે ઓળખાવવામાં આવે છે. વડા પ્રધાન બનવામાં તેમની પોતાની રણનીતિ અને મહેનત તો ખરી જ, પણ નસીબે તેમને મદદ કરી હતી. વડા પ્રધાન બન્યા પછી નોટબંધીથી લઈને લોકડાઉન જેવા એકથી એક ચડિયાતા આ બેલ મુજે માર જેવા નિર્ણયો લીધા હોવા છતાં, તેઓ લોકોની ખફાથી બચી ગયા છે અથવા એટલી ઈજા નથી પહોંચી જેટલી અપેક્ષિત હતી. પણ અહીં વાત નરેન્દ્ર મોદીની નથી કરવી ચીનની કરવાની છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી કેટલા નસીબદાર છે એ તો હવે પછીનો સમય કહેશે, પણ ચીન આધુનિક યુગનો એક નસીબદાર દેશ છે એમાં કોઈ શંકા નથી.

ભારતને આઝાદી મળી એ પછી બે વર્ષે ૧૯૪૯માં પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઈનાની સ્થાપના થઈ હતી. ઇતિહાસમાં બહુ ઊંડે ઉતરવાની જરૂર નથી, પરંતુ એટલું જણાવવું જરૂરી છે કે ચીનમાં વીતેલી સદીના પૂર્વાર્ધમાં કોમિન્તાંગ તરીકે ઓળખાતા ચીની રાષ્ટ્રવાદીઓ અને સામ્યવાદીઓ વચ્ચે મોટો સંઘર્ષ થયો હતો. એ સંઘર્ષ આંતરવિગ્રહ જેવો જ હતો જેમાં સામ્યવાદીઓનો વિજય થયો હતો. ૨૧મી સપ્ટેંબર ૧૯૪૯ના રોજ સામ્યવાદી ચીનની સ્થાપના થઈ હતી અને રાષ્ટ્રવાદીઓ તાઈવાનના નાનકડા ટાપુમાં સંકેલાઈ ગયા હતા. રાષ્ટ્રવાદીઓનું ચીન રિપબ્લિક ઓફ ચાઈના તરીકે ઓળખાય છે. ચીનનું ભૌગોલિક-રાજકીય વિભાજન થયું એટલે તો શરૂઆતનાં વર્ષોમાં ચીન નૂતન ચીન (ન્યુ ચાઈના) અથવા મેઈન લેન્ડ ચાઈના તરીકે ઓળખાતું હતું. આજે સ્થિતિ એવી છે કે તાઈવાન, તાઈવાન નામના કોઈ અલગ દેશ તરીકે ઓળખાય છે, ચીન તરીકે નથી ઓળખાતું, જ્યારે કે તે અસલ અને સત્તાવાર ચીન હોવાનો દાવો કરે છે.

શરૂઆતનાં વર્ષો સામ્યવાદી નૂતન ચીન માટે કપરાં હતાં. આવડો મોટો દેશ, બહોળી વસ્તી અને ગરીબીનો કોઈ પાર નહીં. એમાં આંતરવિગ્રહ અને બીજા વિશ્વયુદ્ધ વખતે જપાન સાથેની લડાઈમાં ચીન ખોખરું થઈ ગયું હતું. ઓછામાં પૂરું અમેરિકા સામ્યવાદી ચીનની વિરુદ્ધ હતું તે ત્યાં સુધી કે ચીનને યુનોમાં પણ પ્રવેશ નહોતું આપવા દેતું. સામ્યવાદી ચીનને છેક ૧૯૭૧માં યુનોએ એક રાષ્ટ્ર તરીકે માન્યતા આપી હતી અને અમેરિકાએ રહી રહીને ૧૯૭૯માં ચીન સાથે રાજદ્વારી સંબંધ બાંધ્યા હતા. એની વચ્ચે વિએતનામ અને કોરિયામાં અમેરિકન સૈનિકો દાખલ થયા અને તેમાં અમેરિકાની નાલેશી થઈ એની પાછળ ચીનનો હાથ છે એવી અમેરિકાને શંકા હતી અને એ શંકા સાચી પણ હતી.

આ બાજુ ચીનના શાસકો ચીનની સ્થાપના થઈ ત્યારથી જ ઉતાવળમાં હતા. પ્રચંડ મોટી વસ્તી, ગરીબાઈ, ભૂખમરો, પછાતપણું અને અમેરિકા સાથેની દુશ્મનીની જાણે કે કોઈ ચિંતા જ નહોતી. એ સમયે બે મહાસત્તા હતી, એક મૂડીવાદી અમેરિકા અને બીજું સામ્યવાદી રશિયા. ચીન સામ્યવાદી દેશ હોવા છતાં સામ્યવાદી મોટાભાઈ રશિયાની છત્રીમાંથી પણ બહાર નીકળી ગયું હતું. ચીને તેની સ્થાપના પછી ગણતરીનાં વર્ષોમાં તિબેટ ઉપર કબજો કરવાની કોશિશ કરી હતી. ભારત સાથે સરહદનો ઝઘડો શરૂ કર્યો હતો જ્યારે કે ભારત તો હંમેશાં ચીનને મદદ કરતું હતું.

૧૯૫૮માં ચીને હનુમાન કૂદકો મારવાની જાહેરાત કરી હતી જે અંગ્રેજીમાં ગ્રેટ લીપ ફોરવર્ડ તરીકે ઓળખાય છે. ચીનના સર્વેસર્વા માઓ ઝેદોંગને લાગ્યું હતું કે ચીનની વસ્તી જોતા ઔદ્યોગીકરણને મહત્ત્વ આપનારો સામ્યવાદનો રશિયન ઢાંચો ચીનમાં ચાલી શકે એમ નથી. ચીનનો સામંતી પરંપરાગત ગ્રામીણ ઢાંચો પણ તોડવો જોઈએ. આને માટે હજારો એકરની સામૂહિક ખેતી અને કમ્યુનનો પ્રયોગ કર્યો હતો. આનું પરિણામ એ આવ્યું કે ચીનનો ખેતીનો અને ગ્રામીણ જીવનશૈલીનો ઢાંચો તૂટી ગયો. અનાજની અછત પેદા થઈ અને ૧૯૫૮થી ૧૯૬૨નાં વર્ષોમાં માનવનિર્મિત ભૂખમરામાં એક અંદાજ મુજબ ચાર કરોડ લોકો માર્યા ગયા. ચાર વરસમાં ચાર કરોડ નહીં અને જો બે કરોડ લોકો પણ માર્યા ગયા હોય તો એ આંકડો નાનો છે?

આશ્ચર્યની વાત છે કે આવડું મોટું દુસ્સાહસ કરવા છતાં, માત્ર ચાર વરસમાં બેથી ચાર કરોડ લોકો માર્યા ગયા હોવા છતાં, અર્થતંત્રનું ધનોતપનોત નીકળી ગયું હોવા છતાં, ગ્રામીણ ચીન ખેદાનમેદાન થઈ ગયું હોવા છતાં ચીનમાં કોઈ વિદ્રોહ નહોતો થયો. ૧૯૬૨માં ગ્રેટ લીપ ફોરવર્ડનો કાર્યક્રમ પડતો મુકવામાં આવ્યો અને પ્રજાનું ધ્યાન બીજે દોરવા ભારત સાથે યુદ્ધ કર્યું. ભારતની ભૂમિ છીનવી લીધી અને જીતેલી જમીન પાછી આપી પણ દીધી. પાછો જીતેલી અને પાછી આપેલી જમીન ઉપર દાવો કાયમ રાખ્યો.

૧૯૬૨માં ગ્રેટ લીપ ફોરવર્ડનો કાર્યક્રમ પડતો મુક્યો અને ૧૯૬૬માં સાંસ્કૃતિક ક્રાંતિ શરૂ કરી જે પણ એક દુસ્સાહસ સાબિત થઈ, જેની વાત હવે પછી.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 22 ઑક્ટોબર 2020

Loading

22 October 2020 admin
← આ નગરથી વિખૂટા પડી જઇએ
છઠ્ઠે નોરતે પ્રાર્થના →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved