Opinion Magazine
Number of visits: 9449053
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—213

દીપક મહેતા|Opinion - Opinion|10 September 2023

મુંબઈમાં જેમને ઝૂંપડપટ્ટી પણ ન પોસાય તે ફૂટપાથ પર રહે

ઝાડ કાપી થાંભલા ખોડ્યા અને તેના પર ફૂલનાં ચિત્રો દોર્યાં!

સ્થળ : એશિયાટિક સોસાયટી ઓફ મુંબઈની લાઈબ્રેરી.

પાત્રો : ડો. અરુણ ટીકેકર (જન્મ : ૧ ફેબ્રુઆરી ૧૯૪૪ – અવસાન:  ૧૯ જાન્યુઆરી ૨૦૧૬) અને  આપનો નાચીઝ દી.મ.

દી.મ. : દોસ્ત, ગયા અઠવાડિયાની વાત આગળ ચલાવીએ. ૧૯મી સદીમાં આપણા મુંબઈમાં બુદ્ધિ અને વિચારપ્રધાન અભિગમ ખીલવવાના પ્રયત્નો થયા. પણ તમારા પુસ્તકનું પેટા મથાળું સૂચવે છે તેમ thinking cultureની પડતી શાથી થઈ, ક્યારે શરૂ થઈ? 

ટીકેકર : એ આખી ઘટના કમનસીબ છે. આપણા પહેલા વડા પ્રધાન નેહરુ પોતે પ્રખર બુદ્ધિવાદી હતા. પણ સાથોસાથ ઉત્કટ લોકશાહીવાદી પણ હતા. લોકશાહીને મજબૂત કરવા માટે લોકશિક્ષણ અનિવાર્ય. એટલે અઝાદી પછી નવી નવી યુનિવર્સિટી, કોલેજ, સ્કૂલ ખૂલતી ગઈ. અને એમાં કશું ખોટું પણ નહોતું. પણ કમનસીબે એ વખતે શિક્ષણની સગવડો વધારવાની લાયમાં શિક્ષણની ગુણવત્તા ઘટતી ગઈ. આપણે શિક્ષણ વ્યવસ્થાનો વિકાસ કરવાને બદલે તેનો વિસ્તાર કર્યો. એટલું જ નહિ, વિસ્તાર એટલે જ વિકાસ એમ મનાવા લાગ્યું.

દી.મ .: એ વખતના ચિત્રથી તમે આટલા અકળાવ છો, તો આજે શિક્ષણ ક્ષેત્રે જે ચાલી રહ્યું છે …

ટીકેકર : આજની તો વાત જ રહેવા દો. સારું છે કે એ બધું જોવા હું હાજર નથી. અને એવું ય નહોતું કે શિક્ષણને જે લૂણો લાગી રહ્યો હતો તેની એ વખતના સત્તાધારીઓને ખબર નહોતી. એની ખબર હતી, ઉપાયની પણ ખબર હતી. પણ એ ઉપાય અજમાવવાની હિંમત નહોતી. શિક્ષણ ક્ષેત્રે ‘આમૂલ પરિવર્તન’ની વાતો થતી રહી. પણ તમે ગુજરાતીમાં કહો છો ને તેમ એ પોથીમાંયલાં રિંગણાં બની રહી. બીજી વાત એ બની કે શિક્ષણ સંસ્થાઓને સરકાર પુષ્કળ ગ્રાન્ટ આપતી. એટલે પાક્કા રાજકારણીઓએ પોતપોતાના મતવિસ્તારમાં આડેધડ સ્કૂલ-કોલેજ-યુનિવર્સિટી શરૂ કરી દીધી. આપણી વ્યવસ્થા પ્રમાણે દરેક રાજ્યમાંની યુનિવર્સિટીઓના ચાન્સેલર પદે ગવર્નર રહે. એમને જેટલો રાજકારણમાં રસ એટલો શિક્ષણમાં શાનો હોય? એટલે સરકારી બાબુઓ યુનિવર્સિટી ચલાવતા થયા. તેમણે વાઈસ ચાન્સેલરની જગ્યા માટે ‘અરજી’ મગાવવાનું શરૂ કર્યું. અને પછી ‘હા, જી, હા’ કરવાની તૈયારી એ સૌથી મોટી લાયકાત બની રહી. 

દી.મ. : મને એવો ખ્યાલ છે કે એક વખત તમને પણ આ રીતે અરજી કરવા જણાવેલું, પણ તમે ઘસીને ‘ના’ પાડી દીધેલી.

ટીકેકર : ‘છોડો કલ કી બાતેં, કલ કી બાત પુરાની’.

દી.મ. : તમે તો એમ જ કહો, પણ ‘મિલ કર નયી કહાની’ લખવાની શરૂઆત તમને ક્યાં ય દેખાય છે?

ટીકેકર : આજે નહિ તો ભવિષ્યમાં ક્યારેક એવી જરૂરિયાત સમજાશે એમ માનું એટલો આશાવાદી હું હજી છું. એક ગુજરાતી કવિએ જ લખ્યું છે ને કે ‘જે પોષતું તે મારતું, એવો દિસે ક્રમ કુદરતી’.

દી.મ. : હા, એ તો કવિ કલાપીના શબ્દો.

ટીકેકર : મુંબઈની બાબતમાં પણ કૈંક એવું બન્યું છે. આઝાદી પછી – હકીકતમાં બીજા વિશ્વયુદ્ધ પછી – આખા દેશના જુદા જુદા ભાગોમાંથી લોકો મુંબઈ આવવા લાગ્યા. નોકરી માટે, કામધંધા માટે. કહે છે ને કે મુંબઈમાં રોટલો મળે, પણ ઓટલો નહિ. પણ ઓટલા વગર ચાલે પણ નહિ. એટલે ઉત્તર દિશામાં મુંબઈની સીમા આગળ ને આગળ વધતી ગઈ. જ્યાં જુઓ ત્યાં લોકોનાં ટોળે ટોળાં. એક જમાનામાં હવાફેર માટેનાં સ્થળ તરીકે જાણીતાં સાંતાક્રુઝ કે વિલે પાર્લે જેવાં પરાંમાંથી એક પછી એક બંગલા દૂર થયા. તેની જગ્યાએ ફ્લેટ, ચાલી, ઝૂંપડપટ્ટી ઊભાં થયાં. જેમને ઝૂંપડપટ્ટી પણ ન પોસાય તે ફૂટપાથ પર રહેવા લાગ્યા. જેટલી ઝડપથી વસ્તી વધી તેટલી ઝડપથી સાધન-સગવડ ન વધ્યાં. આઝાદી પછીનાં કેટલાંક વરસ દાણો-પાણી, દૂધ, કપડાં વગેરેની કારમી અછત રહી. જેમની પાસે પૈસા હતા તે સંઘરાખોરી કરતા થયા. જે બહારથી આવેલા તેમાંના બહુ થોડા મુંબઈના થઈને રહ્યા. તેમને માટે તો મુંબઈ એટલે કમાવાની જગ્યા. પછી મુંબઈ માટેની લગન અને લગની ક્યાંથી આવે? હજી ગઈ કાલે કોરોનાની કટોકટી વખતે હજારો-લાખો લોકો રાતોરાત મુંબઈ છોડી ‘વતન’ તરફ ભાગ્યા. 

દી.મ. : હા, એક જમાનામાં મુંબઈગરામાં મુંબઈ માટેની જે દાઝ હતી, જે આપુલકી – પોતાપણું દેખાતાં તે આજે ક્યાં? 

ટીકેકર : છેલ્લાં ૭૫ વરસમાં મુંબઈના વેપાર-વણજ, ઉદ્યોગો વગેરેનો અસાધારણ વિકાસ થયો. દેશની અને વિદેશની મોટી મોટી બેંકો, કંપનીઓ, કારખાનાં – એની હેડ ઓફિસ ક્યાં? મુંબઈમાં. દેશના આર્થિક વિકાસનું એન્જિન બન્યું મુંબઈ. પણ એ એન્જિનને ચલાવવા પાછળ મુંબઈગરાનો એક આખો વર્ગ હોમાઈ ગયો. મુંબઈની વસતી કૂદકે ને ભૂસકે વધતી ગઈ. અસલ તો હતા સાત ટાપુઓ, એટલે મુંબઈની મોટી મુશ્કેલી એ કે એ પાઘડીપને તો વધી ન શકે, કારણ ચારે બાજુ દરિયો. એટલે એ ઉપર ને ઉપર વધતું જાય છે. બીજી બાજુ જમીન મેળવવા લીલોતરી કપાતી ગઈ, દરિયાને આઘો ને આઘો ધકેલવામાં આવ્યો. વાડીઓ, બગીચા, જંગલ, કચડાતાં ગયાં, કપાતાં ગયાં. 

દી.મ. : અરે, મોટા ધોરી માર્ગોની આજુબાજુનાં ઝાડ કાપીને આપણે સિમેન્ટ કોન્ક્રિટના મોટા, ઊંચા થાંભલા ખોડ્યા અને તેના પર ફૂલો અને પંખીઓનાં ચિત્રો દોર્યાં. તાજાં-કૂણાં ઘાસની જગ્યાએ સિમેન્ટની પગથારો બનાવીને આપણે તેને લીલા રંગે રંગી!

ખાસ સગવડો આમ આદમી માટે નથી 

ટીકેકર : મુંબઈથી થોડે દૂર ‘નવી મુંબઈ’ બનાવી તો ત્યાં પણ સિમેન્ટ કોન્ક્રિટનું જ રાજ. શહેરમાં મોટા મોટા ફ્લાઈ ઓવર બન્યા, વરલી બાંદરા સી લિન્ક બની. પણ તમે એક વાત નોંધી છે? આ ફ્લાઈ ઓવર, સી લિન્ક વગેરે પરથી ન સાઈકલ કે સ્કૂટર જઈ શકે, ન રિક્ષા કે બસ. જઈ શકે માત્ર મોટરો. કેમ ભાઈ? મોટરમાં ફરનારા સિવાયના લોકો કરવેરા નથી ભરતા? આ બધું બંધાય છે તેમાં એ લોકોના પૈસા પણ નથી વપરાતા? આઝાદી પહેલાં પણ આખા દેશમાંથી લોકો મુંબઈ આવતા. પણ એ મુંબઈના થઈને રહેતા. એટલે મુંબઈ પચરંગી હતું. આજે અહીં શંભુમેળો જામ્યો છે. 

દી.મ. : એક જમાનામાં માણસના પહેરવેશ પરથી, ટીલાં-ટપકાં પરથી, બોલી પરથી, તહેવારોની ઉજવણીની રીત પરથી, તે કયા પ્રદેશનો છે તે કહી શકાતું. આજે એ વિવિધતા ક્યાં? આજે તો દરેક માણસ બીબાંઢાળ બની ગયો છે. આજના મુંબઈના માણસો એટલે કવિ રાજેન્દ્ર શાહે કહ્યું છે તેમ એક છાપાની છપાયેલી હજારો-લાખો પ્રત જેવા માણસો. 

ટીકેકર : અને હવે તો મુંબઈના સમાજના બહુ મોટા વર્ગે પરિવર્તનની આશા પણ મૂકી દીધી છે. એટલે જે મળે તે લૂંટો-ઝૂંટવો. અંગ્રેજોના જમાનામાં અમુક જાતિઓ ‘ગુનેગાર જાતિઓ’ તરીકે ઓળખાતી. આજે તો કોઈ પણ જાત, જમાત, કે વર્ગના લોકો નાના મોટા ગુના કરતાં સહેજ પણ અચકાતા નથી. સો કરતાં વધુ લોકોએ પોતાનો જાન આપ્યા પછી ૧૯૬૦માં મહારાષ્ટ્રનું રાજ્ય બન્યું અને મુંબઈ બન્યું તેનું પાટનગર. સારે નસીબે એ વખતે યશવંતરાવ ચવાણ જેવા દૂરંદેશીવાળા મુખ્ય પ્રધાન મળ્યા. તેમણે અનેક યોજનાઓ શરૂ કરી. સાહિત્ય, સંગીત, નૃત્ય જેવી કલાઓને પ્રોત્સાહન આપતી યોજનાઓ અને સંસ્થાઓ શરૂ થઈ. મુંબઈ ધબકતું શહેર બન્યું. ખરા અર્થમાં પચરંગી બન્યું. 

દી.મ. : હા, એ જમાનામાં મહારાષ્ટ્ર સરકાર મરાઠીની સાથોસાથ ગુજરાતી અને સંસ્કૃત નાટ્યસ્પર્ધાઓ યોજતી. મરાઠી સિવાયની ભાષાના સર્જકોને, કલાકારોને, પુરસ્કારોથી પોંખતી. પણ પછી ધીમે ધીમે એ બધું પહેલાં ઓછું અને પછી બંધ થયું. 

ટીકેકર : સાહિત્ય, સંગીત, બીજી કલાઓ, ક્રિકેટ જેવી રમતો – વગેરે અનેક ક્ષેત્રોમાં મુંબઈના લોકોએ આગેવાની લીધી હતી, માત્ર વેપાર-ઉદ્યોગમાં જ નહિ. હું ભૂલતો ન હોઉં તો એક વખતે ગુજરાતી સાહિત્ય, પુસ્તક પ્રકાશન, પત્રકારત્વ, રંગભૂમિ, ફિલ્મ, વગેરે ઘણી બાબતોમાં મુંબઈ મુખ્ય કેન્દ્ર હતું. 

દી.મ. : સાવ સાચી વાત. અને આજે પણ અમદાવાદમાં એક વરસમાં જેટલાં ગુજરાતી નાટક ભજવાય છે એના કરતાં વધારે ગુજરાતી નાટક મુંબઈમાં એક મહિનામાં ભજવાય છે.

ટીકેકર : અને એ વખતે કલાકારો માટે સંગીત કે નાટક એ વ્યવસાય નહિ, એક મિશન હતું. ઘણી વાર તો ગાંઠનાં ગોપીચંદન ઘસીને એ લોકો કામ કરતાં. પણ પછી ધીમે ધીમે વ્યવસાયીકરણ થવા લાગ્યું. વ્યવસાય થાય એટલે ભાવ-તાલ થાય, હરીફાઈ થાય, મારું-તારું થાય. આપણા જમાનામાં પંડિતો, અધ્યાપકો, શિક્ષકો, કલાકારો આદર્શરૂપ મનાતા. એને બદલે ધનવાનો અને સત્તાધારીઓ યુવાનોના આદર્શ બની બેઠા. વૈચારિક પ્રગતિના પાયામાં રહેલું છે જ્ઞાન. અને આજના જમાનામાં જ્ઞાનપ્રાપ્તિનું મુખ્ય સાધન છે શિક્ષણ સંસ્થાઓ. જ્યાં સુધી આપણે આ પાયાને મજબૂત નહિ કરીએ, ત્યાં સુધી ઈમારત બહારથી ગમે તેટલી આકર્ષક લાગે, અંદરથી તો એ ખોખલી રહેવાની. જેમને સમજાવી જોઈએ તેમને આ વાત વહેલી તકે સમજાય એમ ઇચ્છીએ.

દરબાર હોલ, એશિયાટિક સોસાયટી

દી.મ. : દોસ્ત, ઘણી વાતો કરી, પણ હજી ઘણી બાકી છે. પણ છેવટે થોડી અંગત વાત કરું? થોડા દિવસ પહેલાં એક વ્યાખ્યાન સંભાળવા હું એશિયાટિક ગયો હતો. સાથે એક મિત્ર હતાં. કંપાઉંડમાં દાખલ થયા ત્યારથી મારી બોલબોલ ચાલુ : આ ઝાડ નીચે ઊભા રહીને ટીકેકર સાથે કેટલી વાતો કરેલી! સ્પાઈરલ સ્ટેરકેસ ચડીને ઉપર ગયા તો સામે જ તમારા મરાઠી પુસ્તકોનો ડિસ્પ્લે. દરબાર હોલમાં દાખલ થતાં પહેલાં ડાબી બાજુની કેબિન બતાવી કહ્યું કે ટીકેકર અહીં બેસતા. દરબાર હોલમાં દાખલ થયા ત્યારે યાદ આવ્યું કે તેના restoration વખતે તમે કેટલી કાળજીથી બારીકમાં બારીક વિગતોની ચોકસાઈ કરી હતી. મહામૂલાં પુસ્તકો અને સામયિકોની જાળવણી પાછળ તમે જાન રેડતા. જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરીને સોસાયટીને ધમધમતી રાખતા. તો બીજી બાજુ વોશ રૂમ્સ ચોખ્ખા ચણક રહે તે માટે સતત મથતા. 

ટીકેકર : જેટલું થઈ શક્યું એટલું કર્યું. જે ન થઈ શક્યું એનો ઝાઝો વસવસો નથી. અને જે કાંઈ થયું તે મેં એકલાએ તો કર્યું નહોતું. તમારા જેવા મિત્રોનો સાથ હતો એટલે થઈ શક્યું.

દી.મ .: આજે તો હવે છૂટા પડવું પડશે. પણ તમારા બીજા કોઈ પુસ્તક વિષે વાતો કરવા ફરી જરૂર મળશું, ક્યારેક. ચલા, યેતો.

ટીકેકર : આવજો.

e.mail : deepakbmehta@gmail.com 

xxx xxx xxx

પ્રગટ : “ગુજરાતી મિડ–ડે”; 09 સપ્ટેમ્બર 2023

Loading

10 September 2023 Vipool Kalyani
← ગુજરાતના ગ્રંથપાલો અને ગ્રંથાલયોનો પહેલવહેલો વિસ્તૃત માહિતી સંગ્રહ
ચૂંટણી માત્ર સત્તા સુધી પહોંચવા માટેની નિસરણી નથી; પણ જે તે પ્રદેશની પ્રજાની વિશિષ્ટ અપેક્ષા, ફરિયાદ, અસંતોષ, ઊહાપોહ અને ડૉ રામ મનોહર લોહિયા કહેતા એમ નાગરિક શિક્ષણનું સાધન છે →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved