Opinion Magazine
Number of visits: 9449250
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—156

દીપક મહેતા|Opinion - Opinion|30 July 2022

પારસી તવારીખના અમૂલ્ય ગ્રંથના ભેખધારી લેખક બહમનજી પટેલ

પારસીઓ અંગેનો જાણે સર્વજ્ઞાનકોષ

“હોરમજદની મદદથી આ પુસ્તકનું એક દફતર અતરે ખતમ થયું છે. એ દફતર ૧૦ વર્ષે છપાઈ તથા ૧૭ વર્ષે રચાઈ તૈયાર થયું છે, અને એ પર મેં મારી જિંદગીનો મોટો તથા જવાનીનો બધો વખત રોક્યો છે. એ રોકેલો વખત તથા લીધેલી મહેનત મારી કોમને ઉપયોગી થઈ પડી છે એમ જો મારા વાચનારાઓ ધારે તો મારા દિલમાંની મોરાદ અને મહેનતનો બદલો પામી ચુકયો છું, એવો હું સંતોષ લઈશ.” 

૧૮૮૮ના સપ્ટેમ્બરની ૧૭મી તારીખે આ શબ્દો લખાયા હતા. લખનાર હતા બહમનજી બેહરામજી પટેલ. 

બહમનજી પટેલ

બીજી જમાતના લોકોની વાત જવા દો, આજે તો બહુ ઓછા પારસીઓ પણ બહમનજીનું નામ જાણતા હશે. જો એક વાક્યમાં એવણની ઓળખ આપવી હોય તો ‘પારસી પ્રકાશ’ નામના દળદાર તવારીખી ગ્રંથના બનાવનાર. પારસી પ્રકાશનું પહેલું દફતર (એટલે કે પહેલો ખંડ) ૧૦૬૮ પાનાનું છે, અને તે ય મોટા કદનાં, બે કોલમમાં છાપેલાં પાનાં. તેમાં આરંભથી ૧૮૬૦ સુધીની તવારીખ સમાવી છે. પછી તો એવા જ બીજા બે ભાગ બહાર પડ્યા. એ જમાનાના ચાલ પ્રમાણે પહેલાં ૧૮૭૮થી ૧૮૮૮ સુધીમાં પારસી પ્રકાશના ૧૧ ભાગ પ્રગટ થયેલા અને પછી ૧૮૮૮માં એ બધા ભાગ એક પુસ્તકમાં પહેલા દફતર તરીકે પ્રગટ થયેલા. તેવી જ રીતે બીજું દફતર પણ પહેલાં આઠ ભાગમાં છપાયું અને પછી ૧૯૧૦માં એક પુસ્તક રૂપે સુલભ થયું. ૧૮૬૦થી ૧૮૮૦ના વીસ વર્ષના ગાળાને સમાવતા આ બીજા દફતરનું પ્રકાશન બહમનજીનાં બહેન દીનબાઈ બહેરામજી પટેલે કર્યું હતું. કારણ ૧૯૦૮ના સપ્ટેમ્બરની નવમી તારીખે બહમનજી બેહસ્તનશીન થયા હતા.

 

રુસ્તમ બરજોરજી પેમાસ્તર

ત્રીજા દફતરની ઘણી સામગ્રી પણ બહમનજીએ તૈયાર તો કરી રાખી હતી, પણ તેને વ્યવસ્થિત પુસ્તકનું રૂપ આપવાનું તેમનાથી બની શક્યું નહોતું. એ કામ કર્યું બહમનજીના મિત્ર, બોમ્બે હાઈ કોર્ટના વકીલ, રુસ્તમ બરજોરજી પેમાસ્તરે. આ દફ્તર પણ ૧૯૨૦માં ગ્રંથ રૂપે છપાતાં પહેલાં ૧૧ ભાગમાં પ્રગટ થયું હતું. તેમાં ૧૮૮૧થી ૧૯૦૦ સુધીની તવારીખ આપી છે.

 

બહમનજી પટેલ જ્યાં ભણ્યા તે એલ્ફિન્સ્ટન હાઈ સ્કૂલ

ઓગણીસમી સદીનો મુંબઈ ઇલાકો, તેમાં વસતા પારસીઓ, તેમનાં ધર્મ, ભાષા, સાહિત્ય, છાપાં અને સામયિકો, નાટકો અને રંગભૂમિ, છાપખાનાં, પુસ્તકાલયો, વ્યવસાયો, મળેલાં માન-અકરામ આ બધાં સાથે સંકળાયેલી અનેક વ્યક્તિઓ અને સંસ્થાઓ – આ અને આવા બીજા અનેક વિષયો અંગે ખરેખરી લગન અને જહેમતથી સંશોધન, અભ્યાસ, વિવેચન, સંદર્ભ, વગેરે કરનાર અભ્યાસી માટે આજે પણ પારસી પ્રકાશનાં ત્રણ દફતર સોનાની ખાણ જેવાં છે. મુંબઈમાં આવી વસનારા પહેલવહેલા પારસી પટેલ ખાનદાનના વંશજ હતા બહમનજી. પણ ત્યાં સુધીમાં એ ખાનદાનની જાહોજલાલીની સાંજ ઢળી ચૂકી હતી. બહમનજીનો જન્મ ૧૮૪૯ના ડિસેમ્બરની ૨૮મી તારીખે, મુંબઈમાં. ભણ્યા એલ્ફિન્સ્ટન હાઈસ્કૂલમાં અને મુલ્લાફિરોઝની મદરેસામાં. ૧૮૭૧માં એક ઇનામી નિબંધ સ્પર્ધામાં પહેલું ઇનામ મેળવ્યું. એટલું જ નહિ, તેમનું એ લખાણ પુસ્તિકા રૂપે પણ પ્રગટ થયેલું. ૧૮૭૨માં પ્રગટ થયું ‘ઈરાનની મુખ્તેસર હકીકત’ છે તો ઈરાનના ઇતિહાસનું પુસ્તક, પણ એક બાપ પોતાની બેટીને (નોંધ્યું? ‘બેટા’ને નહિ, ‘બેટી’ને) પત્રો લખતો હોય તે રીતે આખું પુસ્તક લખાયું છે. 

પણ ‘પારસી પ્રકાશ’માં એવું તે શું છે? પહેલા દફતરના ટાઈટલ પેજ પર છાપ્યું છે : “પારસીઓ ઈરાનથી હિન્દુસ્તાન આવ્યા ત્યારથી તે અત્યાર સુધીમાં તેઓના સંબંધમાં બનેલા અગત્યના બનાવોની વર્ષોને અનુક્રમે નોંધ.” ‘અત્યાર સુધી’ એટલે ૧૮૬૦ સુધી. ત્રણે દફ્તરોમાંની બધી જ માહિતી કાલાનુક્રમે (ક્રોનોલોજિકલ ઓર્ડરમાં) રજૂ થઈ છે. મોટા ભાગની એન્ટ્રીઓની બાબતમાં મૂળ એન્ટ્રી એક-બે લીટીની હોય, પણ તેની સાથેની પાદ ટીપ લાંબી લચક અને વધુ ઉપયોગી હોય તેવું બન્યું છે. ઘણી વાર તો પાદ ટીપ એક-બે પાનાં પણ રોકે છે. પાદ ટીપ વગરની તો આ પુસ્તકમાં ભાગ્યે જ કોઈ એન્ટ્રી જોવા મળે છે. એટલે પુસ્તકનો ઘણો મોટો ભાગ પાદ ટીપો રોકે છે. આ પાદ ટીપો બીજા એક કારણસર પણ ખૂબ મહત્ત્વની બની રહે છે. લેખકે જે વર્તમાનપત્રો, સામયિકો, દસ્તાવેજો, વગેરેને અહીં ટાંક્યાં છે તેમાંનાં ઘણાં આજે નાશ પામ્યાં છે, અથવા અત્યંત દુર્લભ બની ગયાં છે. 

પણ પારસી પ્રકાશનાં પહેલાં ત્રણ દફતરમાં માહિતીનો જે ભંડાર ભર્યો છે તેમાંથી જોઈતી માહિતી શોધવી કઈ રીતે? જે વખતે ‘રિડર ફ્રેન્ડલી’ જેવો શબ્દપ્રયોગ પ્રચારમાં આવ્યો નહોતો, કમ્પ્યુટરની તો કોઈએ કલ્પના કરી નહોતી ત્યારે વાચક, અભ્યાસી, સંશોધકને અત્યંત ઉપયોગી થાય એવી સૂચિ ત્રણે દફતરને અંતે મૂકી છે. દરેક સૂચિને પહેલાં બે ભાગમાં વહેંચી છે. એક, વ્યક્તિ નામ સૂચિ, જેને ‘આ પુસ્તકમાં આવેલા પારસી નામોનું સાંકળિયું’ તરીકે ઓળખાવી છે. સંદર્ભ ગમે તેટલો ગૌણ હોય, નામ તો સૂચિમાં હોય જ. બીજું સાંકળિયું છે ‘આ પુસ્તકમાં આવેલી બાબદોનું’ એટલે કે આજની પરિભાષામાં વિષય સૂચિ. વળી તેમાં વિષયોનું ગ્રૂપિંગ કર્યું છે, જેમ કે, પુસ્તકો પારસીઓનાં, ચોપાનિયાં પારસીઓનાં, વ્યવસાયો પારસીઓના, વગેરે. આથી વાચક શોધતો હોય તે માહિતી ઉપરાંત તેની આસપાસની બીજી માહિતી પણ તેને સાથોસાથ મળી રહે તેમ છે. પહેલા દફતરમાં વ્યક્તિ નામોની સૂચિ ૮૮ પાનાં રોકે છે તો વિષય સૂચિ ૪૩ પાનાં. બીજા દફતરમાં વ્યક્તિ નામ સૂચિ ૯૯ પાનાંની છે, તો વિષય સૂચિ ૭૨ પાનાંની. ત્રીજા દફતરમાં બંને સૂચિ કુલ ૨૨૦ પાનાં રોકે છે. આ બધી જ સૂચિઓ બે કોલમમાં છપાઈ છે.

પારસી પ્રકાશ કરતાં ઓછું જાણીતું, પણ તેટલું જ મહત્ત્વનું અને મહેનતભર્યું તેમનું બીજું પુસ્તક છે ‘પારસી મરત્યુકો.’ મુંબઈમાં અંગ્રેજી અને ગુજરાતી છાપાં શરૂ થયાં ત્યારથી માંડીને ૧૮૬૦ સુધીમાં તેમાં પારસીઓ માટેની જે જે મૃત્યુનોંધો પ્રગટ થઈ હતી તેનું સંકલન આ પુસ્તકમાં કર્યું છે. આવી ૫૫૯ નોંધો અહીં આપી છે. તેમાંની ૪૧૬ ગુજરાતી અને બાકીની અંગ્રેજી છાપાંઓમાંથી લીધેલી છે. મુંબઈમાં પહેલી વાર મરકીનો રોગચાળો ફાટી નીકળ્યો ત્યારે તેઓ પારસી વિસ્તારોમાં ઘરે ઘરે ફર્યા હતા અને મરકી અટકાવવાની દવા લેવા માટે લોકોને સમજાવ્યા હતા. તેમની આ સેવાની કદર રૂપે બ્રિટિશ સરકારે તેમને ‘ખાન બહાદુર’નો ઈલ્કાબ આપ્યો હતો, અને ૧૮૮૪માં તેમને ‘જસ્ટિસ ઓફ પીસ’નો માનભર્યો હોદ્દો આપ્યો હતો. ૧૯૦૦-૧૯૦૧માં તેઓ મુંબઈની મ્યુનિસિપાલિટીમાં ચૂંટાઈ આવ્યા હતા. 

‘બ.બે.પ.’ની સહીથી ‘જામે જમશેદ’માં પ્રગટ થતા તેમના લેખો પણ સારા એવા લોકપ્રિય થયા હતા. ‘સાંજ વર્તમાન’ તેમને અંજલિ આપતાં લખે છે કે “જો કે મરહુમ મી. બમનજી પૈસે તવંગર ન હતા, તોબી દિલે તવંગર હતા.” ‘રાસ્ત ગોફતાર અને સત્ય પ્રકાશ’ તેમને અંજલિ આપતાં લખે છે: “જાતે સાદા, સ્વભાવે મિલનસાર, ખવાશે ઉમદા હોવાથી મી. બહમનજી પટેલ ઘણું સાંભળતા, ઘણું કરી બતાવતા, પણ થોડું જ બોલતા હતા.” કુટુંબોના, જ્ઞાતિઓના, ગામ કે શહેરના ઇતિહાસ કે તવારીખનાં પુસ્તકો આપણે ત્યાં છે. પણ એક આખી કોમની આટલી વિગતવાર, સાધાર, સળંગ, લાંબા સમય ગાળાને આવરી લેતી, વિસ્તૃત એવી બીજી કોઈ તવારીખ આપણી ભાષામાં તો લખાઈ નથી જ, પણ દેશની પણ બહુ ઓછી ભાષાઓમાં લખાઈ હશે. અને આવું ગંજાવર કામ કરવાનો ભેખ લઈને એકલે હાથે તે કામ કરનાર હતા આપણા મુંબઈના બહમનજી બેહરામજી પટેલ. ફકત મોતી શોધવા માટે જ મરજીવા થવું પડતું નથી. આવાં કામ પણ મરજીવા થયા વગર થઈ શકતાં નથી.

e.mail : deepakbmehta@gmail.com 
xxx xxx xxx 
પ્રગટ : “ગુજરાતી મિડ–ડે”; 30 જુલાઈ 2022

Loading

30 July 2022 Vipool Kalyani
← ઉર્વીશ કોઠારીનું નવું પુસ્તક : અવસર નામે कौतुक, કિતાબ નામે કૌતુકાલય અર્થાત મ્યૂઝિયમ …
અમૃતમહોત્સવ : ભારતનાં મૂળિયાં ઉખેડવામાં આવી રહ્યાં છે એ દેશનું દુર્ભાગ્ય છે →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved