Opinion Magazine
Number of visits: 9446688
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—137

દીપક મહેતા|Opinion - Opinion|19 March 2022

પૈસા તો મળ્યા પણ રાજાબાઈ ટાવર બાંધવો ક્યા?

સરકારે યુનિવર્સિટીને આપેલી જગ્યા પર બંધાયું હાઈ કોર્ટનું મકાન!

બે પારસી બાનુઓના મોતનો વણઉકલ્યો ભેદ

આપણામાં એક કહેવત છે : ભેંશ ભાગોળે, છાશ છાગોળે, ને ઘરમાં ઘમાઘમ. સર કાવસજી જહાંગીર અને શેઠ પ્રેમચંદ રાયચંદે યુનિવર્સિટીને ઇમારતો બાંધવા માટે દાન આપ્યાં, ત્યારે કૈંક આવી જ સ્થિતિ ઊભી થઈ. કારણ એ ઇમારતો બાંધવી ક્યાં? યુનિવર્સિટી પાસે તો તસુભાર જમીન નહોતી. એટલે યુનિવર્સિટીએ વિનંતી કરી મુંબઈ સરકારને કે જમીન આપો. પણ એમ કાંઈ માગો એટલે જમીન મળે નહિ. બીજી બાજુ સરસાહેબ અકળાયા. કહે મકાન ન બાંધવું હોય તો પાછા આપો મારા પૈસા. છેવટે જમીન મળી. રામપાર્ટ રો (આજનો મહાત્મા ગાંધી રોડ) પર મોકાની જગ્યા. ૧૮૬૮ના ડિસેમ્બરની ૨૯મી તારીખે યુનિવર્સિટીના ચાન્સેલર સર સેમોર ફિટઝિરાલ્ડે વાજતેગાજતે શિલાન્યાસ વિધિ કર્યો. સમારંભના મુખ્ય મહેમાન હતા અર્લ ઓફ મેયો. એ વખતે તેમની નિમણૂક હિન્દુસ્તાનના વાઈસરોય અને ગવર્નર જનરલ તરીકે થઈ ચૂકી હતી, પણ હજી તેમણે હોદ્દો સંભાળ્યો નહોતો.

રાજાબાઈ ટાવર બંધાતો હતો ત્યારે

પણ કહ્યું છે ને કે કરમન કી ગત ન્યારી. આજના યુનિવર્સિટીના ફોર્ટ કેમ્પસનો ખૂણે ખૂણો જોઈ વળો. ક્યાં ય મળશે નહિ એ શિલાન્યાસનો પથ્થર. હોય તો મળે ને? કારણ જે જગ્યાએ એ દિવસે શિલાન્યાસનો સમારંભ થયો એ જગ્યાએ યુનિવર્સિટીની ઇમારતો બંધાઈ જ નહિ! એ જગ્યાએ બંધાયું બોમ્બે હાઈકોર્ટનું મકાન! યુનિવર્સિટીએ વાંધો-વિરોધ નોંધાવ્યા. ફરી લખાપટ્ટી, ફરી રેડ રિબન, ફરી સરસાહેબનું અકળાવું. છેવટે સરકારે અગાઉ કરતાં વધુ મોટો પ્લોટ ૯૯૯ વરસના લીઝ પર આપ્યો. એ અંગેના દસ્તાવેજો પર ૧૮૭૭ના સપ્ટેમ્બરની ૨૬મી તારીખે સહીસિક્કા થયા. એ જ જગ્યા પર આજે ઊભાં છે સર કાવસજી જહાંગીર કોન્વોકેશન હોલ, રાજાબાઈ ટાવર, અને બીજી ઇમારતો.

ઘડિયાળ મૂકાયા પહેલાંનો ટાવર

જમીન મળી એટલે બંને ઈમારતની ડિઝાઈન તૈયાર કરાવવાનું કામ શરૂ થયું. બ્રિટનમાં બેસીને સર જ્યોર્જ ગિલ્બર્ટ સ્કોટે બંનેની ડિઝાઈન તૈયાર કરીને મોકલી. આ માટે જગ્યા જોવા તેઓ મુંબઈ આવ્યા જ નહોતા. પણ જમીનના પ્લોટ વિશેની ખૂબ જ વિગતવાર માહિતી યુનિવર્સિટીએ મોકલી હતી. સાધારણ રીતે એમ મનાય છે કે લંડનના બિગ બેન ટાવરને નજર સમક્ષ રાખીને રાજાબાઈ ટાવરની ડિઝાઈન તૈયાર થઈ છે. પણ હકીકતમાં ફ્લોરેન્સ કથીડ્રલના મિનારાને નજર સામે રાખીને આ ડિઝાઈન તૈયાર થયેલી. મુંબઈની ગરમ ભેજવાળી આબોહવાનો તેમને ખ્યાલ આપવામાં આવેલો એટલે બંને ઈમારતોની પૂર્વ-પશ્ચિમ બાજુને તેમણે ખુલ્લી રાખી અને મોટી, લાંબી-પહોળી બારીઓની જોગવાઈ કરી. તેના પર સ્ટેન્ડ ગ્લાસ (કપચી) જડેલી છે તેવી મુબઈમાં તો બીજે ક્યાં ય જોવા નહિ મળે. પશ્ચિમ-પૂર્વ દિશામાં સામસામી મોટી મોટી બારીઓ હોવાને કારણે હવાની અવરજવર તો રહે જ છે, પણ કુદરતી અજવાળું પણ અંદર સતત આવતું રહે છે. અને હા, એ વખતે દરિયો આ જગ્યાની ઘણી નજીક હતો એટલે ટાવર પરથી રમણીય, શાંત દરિયા કિનારો જોઈ શકાતો. આ મકાનો બંધાયાં ત્યારે હજી મુંબઈમાં વીજળીના દીવા આવ્યા નહોતા. એટલે બારીઓને કારણે બંને ઈમારતમાં કુદરતી અજવાળું પણ ઘણું આવતું.

સમયની સફાઈ

રાજાબાઈ ટાવરનું ભોંયતળિયું લાઈબ્રેરીના મકાન સાથે જોડાયેલું છે. ચાર ઘોડા જોડેલી ગાડી ઊભી રહી શકે એટલો મોટો પોર્ચ છે. જ્યારે ટાવરનો પહેલો માળ લાઈબ્રેરીના મકાનના પહેલા માળ સાથે જોડાયેલો છે. તે પછી ટાવરના છ માળ છે. પહેલાં તેનો ઉપયોગ ૧૬ મોટા ઘંટ મૂકવા માટે કર્યો હતો. આ બધા ઘંટ જૂદા જૂદા સૂરમાં વાગતા, અને દર પંદર મિનિટે ગ્રેટ બ્રિટનનું રાષ્ટ્રગીત ‘ગોડ સેવ ધ ક્વીન’ વગાડતા! પણ હવે માત્ર આઠ ઘંટ જ વપરાય છે. અને એ રાષ્ટ્રગીત ક્યારે ય વાગતું નથી. ટાવરની ચારે બાજુ પર એક-એક વિશાળકાય ઘડિયાળ છે. દરેક ઘડિયાળની નીચે નાની બાલ્કની છે જે ટાવરની શોભા તો વધારે જ છે, પણ ચારે ઘડિયાળનાં ડાયલને બહારથી સાફ કે સમાંનમાં કરવા માટે ખૂબ ઉપયોગી બને છે. ટાવરનો ઘણો મોટો ભાગ ચતુષ્કોણ છે પણ છેક ઉપરનો ભાગ અષ્ટકોણ છે. આ ટાવર પર જે મૂર્તિઓ જોવા મળે છે તે કોઈ દેવ-દેવી કે બ્રિટનનાં રાજા-રાણીની નથી, પણ મુંબઈ ઇલાકામાં વસતા જુદી જુદી જમાતના લોકોનું પ્રતિનિધિત્વ કરતી મૂર્તિઓ છે. ટાવરની ટોચ અત્યંત સુંદર નકશીકામ ભરેલી છે.

બંને ઈમારતોનું બાંધકામ ૧૮૬૯માં શરૂ થયું, અને ૧૮૭૮માં પૂરું થયું. જો કે કોન્વોકેશન હોલનું બાંધકામ વહેલું પૂરું થયેલું. ૧૮૭૪ના ડિસેમ્બરની ૩૧મી તારીખે તેનો કબજો યુનિવર્સિટીને મળ્યો. તેના બાંધકામ પાછળ રૂપિયા ૪,૧૫,૮૦૪નો ખર્ચ થવાનો અંદાજ હતો. પણ હકીકતમાં એ ખર્ચ તેના કરતાં ઓછો, રૂપિયા ૩,૭૯,૦૯૩ જેટલો આવ્યો હતો. જ્યારે રાજાબાઈ ટાવર અને લાઈબ્રેરીનું મકાન બાંધવા પાછળ ધાર્યા કરતાં વધુ ખરચ થયો. રૂપિયા ૫,૪૭,,૭૦૩ના અંદાજ કરતાં ખરચ ૧૯,૬૧૦ રૂપિયા વધુ થયો. પ્રેમચંદ શેઠે આપેલી ચાર લાખની રકમનું જે વ્યાજ આવેલું તેમાંથી વધારાનો ખરચ ભરપાઈ થઈ શક્યો. આ ટાવર કુલ ૨૮૦ ફૂટ (૮૫ મિટર) ઊંચો છે. બંધાયા પછી ઘણાં વર્ષો સુધી મુંબઈની સૌથી ઊંચી ઈમારતનું માન તે ધરાવતો હતો.

૧૮૮૦ના ફેબ્રુઆરીની ૨૭મી તારીખ. બંને ઇમારતોનો ઉદ્ઘાટન સમારંભ. મુંબઈના બધી કોમના આગેવાનો હાજર. મુંબઈના ગવર્નર અને યુનિવર્સિટીના ચાન્સેલર સર રિચર્ડ ટેમ્પલ. કોન્વોકેશન હોલ, લાઈબ્રેરીનું મકાન, અને બધી ખુલ્લી જગ્યા મહેમાનોથી ખીચોખીચ. મહેમાનોની આગતાસ્વાગતા કરી રહી હતી મુંબઈની કેટલીક સ્કૂલોની પારસી અને હિંદુ છોકરીઓ. પણ મરાઠીભાષીઓ કહે તેમ આ સમારંભ વખતે એક ગમ્મત થઈ. બન્ને નવી ઇમારતો પર રોશની કરવાનો કોઈને તુક્કો આવ્યો. એ વખતે વીજળીના દીવા તો હતા નહિ. એટલે ઠેકઠેકાણે તેલના દીવા ચાર હજાર રૂપિયાના ખર્ચે ગોઠવ્યા હતા. પણ બરાબર ઉદ્ઘાટન વખતે જ જોરદાર પવન ફૂંકાયો અને ઘણાખરા દીવા ગુલ! એ વખતે વિજ્ઞાન શાખામાં ગ્રેજ્યુએટની ડિગ્રી આપનાર યુનિવર્સિટી આખા હિન્દુસ્તાનમાં આ એક જ હતી. એટલે ઉદ્ઘાટન સમારંભ વખતે વિજ્ઞાનના કેટલાક નિયમો પ્રયોગો દ્વારા સમજાવતું પ્રદર્શન પણ યોજાયું હતો. આ બે ઈમારતોના ઉદ્ઘાટન સાથે જ શરૂ થયો યુનિવર્સિટી ઓફ બોમ્બેનો સુવર્ણયુગ.

***

પચીસ એપ્રિલ, ૧૮૯૧, બપોરના સાડા ત્રણ. રાજાબાઈ ટાવર નીચેની ભોંય પર એક પછી એક બે ધુબાકા થાય છે. બે પારસી બાનુઓના લોહી નીગળતા દેહ પડ્યા છે. બચુબાઈ તે અરદેશર બરજોરજી ગોદરેજનાં ધણિયાણી અને પિરોજાબાઈ તે સોરાબજી ધનજીશાહ દસ્તૂર કામદીનનાં ધણિયાણી. સગપણમાં નણંદ-ભોજાઈ. ઉંમર વર્ષ વીસ અને સોળ. બંને બાનુઓ રાજાબાઈ ટાવર પરથી મુંબઈનો નજારો જોવા ગયાં હતાં. એ વખતે ટાવર મુલાકાતીઓ માટે ખુલ્લો હતો એટલે ઘણા એ રીતે ટાવર પર ચડી મોહમયી મુંબઈનાં દર્શન કરતા. પણ તે દિવસે આ બે બાનુઓ ઉપરાંત ત્રીજું પણ કોઈ હતું ટાવરના છેક ઉપલા માળ પર હાજર. તેણે બંને બાનુઓની લાજ લૂંટવાનો પ્રયત્ન કર્યો. પછી શું થયું એ ક્યારે ય નક્કી ન થયું. બંને બાનુઓએ આબરૂ બચાવવા નીચે પડીને આપઘાત કર્યો? કે પેલા ત્રીજા કોઈએ બંનેને ધક્કો મારી ટાવર પરથી નીચે ફેંક્યાં, કે જાતને બચાવવા જતાં બંને બાનુઓ અકસ્માત નીચે પડી?

પટકી નિજનો પ્રાણ પછાડી, બાળા મૂઈ બિચારી

પારસી કોમમાં તો ખરો જ, પણ આખા મુંબઈ શહેરમાં હાહાકાર મચી ગયો. આ કેસ અંગે એક કમિટી નીમવામાં આવી. જેમાં જમશેદજી જીજીભાઈ બેરોનેટ, દિનશાહ માણેકજી પિતીત, સોરાબજી ફરામજી પટેલ, ફરામજી દિનશાહજી પિતીત, ડો. કેખુશરો નસરવાનજી બહાદુરજી, અને ફરદુનજી મેરવાનજી બનાજીનો સમાવેશ થતો હતો. એ વખતે ટાવર પર હાજર હતો તે માણેકજી અસલાજીની ધરપકડ થઈ. કોરોનરની કોર્ટે આ ઇસમને ખૂન અને સદોષ મનુષ્ય વધના ગુના સબબ જવાબદાર ગણાવી યોગ્ય સજા કરવાની ભલામણ કરી. ૪૫ હજાર નાગરિકોની સહી સાથે સરકારને અરજી મોકલવામાં આવી અને ગુનેગારને આકરી સજા કરવા ખાસ કમિશન નીમવામાં આવે એવી માગણી કરવામાં આવી. પણ મુંબઈ સરકારે એ માગણી સ્વીકારી નહિ. એટલે ૬૬ હજાર સહીવાળી બીજી અરજી ગ્રેટ બ્રિટન મોકલવામાં આવી. તેના પર સહી કરનારાઓમાં ૨૯,૬૦૪ પારસી, ૨૮,૦૦૮ હિંદુ, ૬,૩૮૫ મુસ્લિમ, ૧,૮૦૪ ખ્રિસ્તી, અને ૩૩ યહૂદીઓનો સમાવેશ થતો હતો. સહી કરનારાઓમાં ૬,૫૩૧ સ્ત્રીઓ પણ હતી. પણ એ અરજી સ્વીકારાઈ નહિ. છેવટે આ ખટલો બોમ્બે હાઈકોર્ટમાં ગયો. જસ્ટિસ ફેરન અને ખાસ જૂરીની હજૂરમાં છ દિવસ ખટલો ચાલ્યો જેને અંતે ૧૮૯૧ના જુલાઈની ૧૩મી તારીખે આરોપીને નક્કર પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરવામાં આવ્યો. આ ઘટના વખતે કેટલાક પારસી અને હિન્દુઓએ ખાસ ચોપાનિયાં અને પદ્યકૃતિઓ છપાવી પ્રગટ કરેલાં. તેમાંથી કેટલાંકનાં નામ : રાજાબાઈ ટાવરની કહાણી લે. અરદેસર ખાનસાહેબ, રાજાબાઈ ટાવર વિરહ, લે. ‘સત્યવક્તા, એક હિંદુ’, ટાવર ગરબા, લે. ખરશેદજી ફરામરોજ, સરોદે પાક દામની અને સિતમે મિનાર, લે. ફિરોજશાહ બાટલીવાલા, રાજાબાઈ ટાવરવાળી માહેતમનાં ગાયનો, લે. દા.એ. તારાપોરવાલા. આ છેલ્લી કૃતિની થોડીક પંક્તિ :

ઓ ઈશ્વર! શી અવધિ આજે, આકરો કેર જ કીધો,
મુંબઈમાં શી માહતમ વરસી? લ્હાવો શો આ લીધો?
પટકી નિજનો પ્રાણ પછાડી, બાળા મૂઈ બિચારી;
‘ટાવર’ તેં તો ટેક જ લીધો, ભોગ થયા બે ભારી!
પત્ની પતિવ્રત પારસી, જોવા મિનાર જાહેર,
ગઈ હોંશે પણ આફત, વળી ન પાછી બાહેર!
મહા ભૂંડી ચાંડાળ નજરનો, ભોગ થઈ તે ભોળી.
મહિપતિ! તું ઇન્સાફ ખરાથી, ખરો ખૂની દે ખોળી.

e.mail : deepakbmehta@gmail.com

xxx xxx xxx

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 19 માર્ચ 2022

Loading

19 March 2022 admin
← ‘અમે તો પંખી પારાવારનાં’ : વિશ્વનાગરિકતાનું ઘોષણાપત્ર
શા માટે કાઁગ્રેસના નેતાઓ વાસ્તવિકતાનો સ્વીકાર કરવામાં અને કમર કસવામાં પાછા પડે છે ? →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved