Opinion Magazine
Number of visits: 9446497
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચાલો, હરારી પાસે -28 : ‘એ.આઈ.’-ના ઇતિહાસની લગીર ઝાંખી 

સુમન શાહ|Opinion - Opinion|6 October 2023

સુમન શાહ

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સના ઇતિહાસની લગીર ઝાંખી થઈ શકે એવી થોડીક વીગતો આપું :

‘એ.આઈ.’-નાં બીજ તો યન્ત્રમાં માનવીય શક્તિ દાખલ કરી શકનારી માણસની સર્જનાત્મક બુદ્ધિમાં પડેલાં છે. પ્રાચીનકાળમાં એનાં ઍંધાણ જોવા મળે છે. જેમ કે, માનવ-સરજિત કૃત્રિમ વસ્તુઓમાં બુદ્ધિ કે ચેતનાનું આરોપણ આપણને પુરાણગાથાઓમાં કે વાર્તાઓમાં જોવા મળે છે.

ગ્રીક સંસ્કૃતિમાં એક જાણીતું દૃષ્ટાન્ત છે, Talos-નું. કાંસાનો બનાવાયેલો એ રક્ષક ક્રીટ ટાપુની પૂરેપૂરી સંભાળ રાખતો. એનું સર્જન અગ્નિ અને ધાતુઓના હેફાયેટસ નામના ગ્રીક દેવે કરેલું. એ પ્રચણ્ડકાય યન્ત્રમાનવ ક્રીટ ટાપુ આસપાસ દિવસમાં ત્રણ આંટા લગાવતો ને દુશ્મનોનાં વહાણ પર ખડકો અને ભાલા ફૅંકતો, ને એ પ્રકારે ટાપુની રક્ષા કરતો. કહેવાય છે કે પોતાના મુખમાંથી એ અગ્નિના ઉચ્છ્વાસ કરી શકતો, ધાતુને પીગળાવી મૂકતો.

ભારતીય પુરાણગાથાઓમાં તો એનાં એકથી વધુ દૃષ્ટાન્તો મળે છે. સવિશેષે જાણીતું છે, પુષ્પક વિમાન. આપણે જાણીએ છીએ કે એનું સર્જન ભગવાન રામ માટે થયેલું અને વિશ્વકર્મા એના સર્જક હતા. ગાથા તો એટલે લગી કહે છે કે એ સુવર્ણનું હતું ને એની પાસે એવી બુદ્ધિ હતી કે એ વિશ્વના કોઈપણ ખૂણે ઊડવાને સમર્થ હતું.

એવું જ બીજું દૃષ્ટાન્ત છે, ગરુડનું. એનું સર્જન ભગવાન વિષ્ણુ માટે થયેલું અને એના સર્જક પણ વિશ્વકર્મા હતા. ગાથા કહે છે કે ગરુડ સુવર્ણ અને અમૃતનું બનાવાયેલું. એનું ધડ પક્ષીનું હતું પણ શિર મનુષ્યનું હતું. ગરુડ વિષ્ણુનું વાહન તો હતું જ પણ અત્યન્ત બુદ્ધિશાળી હતું. 

લગભગ કોઈ હિન્દુ દેવ એવો નથી જેનું વાહન કોઈ પ્રાણી ન હોય. વળી, યક્ષ ગન્ધર્વ અપ્સરા અને પંચતન્ત્રની પ્રાણીકથાઓ સૂચવે છે કે પ્રાચીન ભારતીય ગાથાઓના એ સર્જકો માનવેતર યાન્ત્રિક સર્જનો કલ્પી શકતા તેમ જ તે યન્ત્રોમાં મનુષ્યત્વને કે પશુત્વને જોડી શકતા હતા.

‘એ.આઈ.’નાં બીજ યન્ત્રમાં માનવીય શક્તિ દાખલ કરી શકનારી એની સર્જનાત્મક બુદ્ધિમાં પડેલાં છે. એ આ રીતે પણ સાચું છે. લગભગ દરેક સભ્યતામાં શિલ્પબુદ્ધિ ધરાવનારા કારીગરોએ વાસ્તવિક લાગે એવાં મનુષ્યદેહી ઑટોમેશન બનાવ્યાં છે. પ્રાચીન ઇજિપ્ત અને ગ્રીસનાં પવિત્ર મનાતાં પૂતળાંને એ ગૌરવ અપાયું છે.

અંગ્રેજ વિદ્વાન ઍલેક્ઝાન્ડર નેકહામે કહ્યું છે કે પ્રાચીન રોમન કવિ વર્જિલે તો ઑટોમેશન પૂતળાંનો મહેલ ઊભો કર્યો છે ! એ હકીકત મધ્યકાળની અનેક સાહિત્યકૃતિઓમાં પણ જોવા મળે છે. ૧૯-મી સદીના કથાસાહિત્યમાં પણ કૃત્રિમ માનવો અને વિચારવન્ત મશીનની વાતો થઈ છે.

એ હકીકતનાં અર્વાચીન દૃષ્ટાન્તો છે, સાયન્સ ફિકશન્સ. કહેવાય છે કે ૨૦મી સદીના પૂર્વાર્ધમાં સાયન્સ ફિક્શને કૃત્રિમ બુદ્ધિ ધરાવતા રોબોટ્સની વિભાવનાનો દુનિયાને પરિચય કરાવ્યો. પ્રારમ્ભ થયો, wizard of Oz -ના ‘હાર્ટલેસ’ ટિન મૅનથી; અને Maria in Metropolis-માં એની નકલ કરતા મનુષ્યદેહધારી – હ્યુમનોઇડ – રૉબોટથી. આમ એ પરિચય થયો કથાથી, સાહિત્યકલાથી, સર્જનાત્મક બુદ્ધિથી.

‘એ.આઈ.’-નું જેને ફૉર્મલ રીઝનિન્ગ કહી શકીએ તેને, એ રૂપપરક તાર્કિકતાને, સમજવી જોઈશે. મુખ્ય પૂર્વધારણા એ છે કે માનવીય વિચારપ્રક્રિયાનું યાન્ત્રિક રૂપાન્તરણ શક્ય છે, એનું યન્ત્ર બનાવી શકાય. આ તર્કનો દીર્ઘ ઇતિહાસ છે, અહીં એમાં જવાનું કારણ નથી. બાકી, કહેવાય છે કે ચીની, ભારતીય અને ગ્રીક ફિલસૂફોએ ઇ.સ.પૂ.-ના પહેલા સહસ્રાબ્ધમાં ફૉરમલ ડિડક્શનની, નિગમનાત્મક તર્કની, સંરચનાત્મક પદ્ધતિઓ વિકસાવી હતી.

એવું એક દૃષ્ટાન્ત મનાય છે, બૌદ્ધ દર્શનની ‘માધ્યમિકા’ વિચારપદ્ધતિ. એમાં, કેન્દ્રસ્થ વિભાવ એ છે કે બધા જ ફિનોમિના રિક્ત અથવા અસ્તિત્વહીન છે, અને વાસ્તવિકતાને નિષેધ વડે જ પામી શકાય છે. એ વિચારપદ્ધતિમાં તર્કશક્તિ અને તાર્કિકતાનું મહત્ત્વ છે. એમાં reductio ad absurdum અને the law of non-contradiction જેવી તર્કપરાયણ અનેક ટૅક્નિક્સ જોવા મળે છે. પહેલી ટૅક્નિક – વસ્તુને સાચી પુરવાર કરનારા હકારાત્મક વિધાનનું નકારાત્મક વિધાન વિરોધી અને અસંગત લાગે, તે. જાણીતો દાખલો કાયમ અપાય છે : બધાં યુનિકૉર્ન્સ શ્વેત છે : કેટલાંક યુનિકૉર્ન્સ શ્વેત નથી : બીજી ટૅક્નિક – તર્કશાસ્ત્ર એમ કહે છે કે એક જ સમયે કોઈપણ વિધાન ખરું અને ખોટું એમ બન્ને ન હોઈ શકે, તે.

૧૭-મી સદીમાં, લિબનિઝ, થૉમસ હોબ્બસ, અને રેને દે કાર્તે એવી શક્યતા ભાળી કે બધા જ તર્કસંગત વિચારોને બીજગણિત અને ભૂમિતિ જેટલા પદ્ધતિપુર:સરના કરી શકાય એમ છે.

૨૦-મી સદીમાં, ‘મૅથેમૅટિકલ લૉજિક’-નાં અધ્યયનો એવાં સફળ પુરવાર થયાં કે ‘એ.આઈ.’-ના આવિષ્કારની ભૂમિકા નિશ્ચિત થઈ ગઈ.

ગણકયન્ત્રો તો માનવ-ઇતિહાસમાં પરાપૂર્વથી બનતાં આવ્યાં છે. સૌ પહેલાં બન્યાં તે કમ્પ્યુટરો અતિ મોટાં કદનાં હતાં અને તેનો વિનિયોગ બીજા વિશ્વયુદ્ધમાં થયો હતો. એક હતું ENIAC જે ઍલન ટ્યુરિન્ગના સિધ્ધાન્તો અનુસારનું હતું, જેને જોહ્ન ન્યૂમાને વિકસાવેલું, જે ઘણું જ પ્રભાવક નીવડેલું.

ENIAC એટલે, Electronic Numerical Integrator and Computer. US army-ની બાલિસ્ટિક્સ ટ્રેઝેક્ટરીઝની ગણતરીઓ કરી આપતું લગભગ ૩૦ ટન વજનનું હતું અને ૧૮૦૦ ચૉરસ ફીટ જગ્યા રોકતું હતું ! સંદર્ભ છે, ENIAC: https://en.wikipedia.org/wiki/ENIAC on Wikipedia.

(ક્રમશ:)
(05/10/23)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

6 October 2023 Vipool Kalyani
← નગરો અને મહાનગરો : કોનાં પોતાનાં, કોના પારકાં ?
સી.આઈ.ડી. : ‘બોમ્બે ક્રાઈમ’, દેવ આનંદ અને મધુર સંગીતનો ત્રિવેણી સંગમ →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved